પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લખનઉમાં UP રોકાણકાર સંમેલન 3.0ના ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમમાં હાજરી આપી


રૂપિયા 80,000 કરોડ કરતાં વધારે મૂલ્યની 1406 પરિયોજનાઓ માટે શિલાન્યાસ કર્યો

“વિશ્વ આજે જેની શોધ કરી રહ્યું છે તેવા ભરોસાપાત્ર ભાગીદારના માપદંડોને પૂરા કરવાની શક્તિ માત્ર આપણા લોકશાહી ભારત પાસે છે”

“આજનું વિશ્વ ભારતની સંભાવનાઓના કારણે તેના તરફ જોઇ રહ્યું છે તેમજ તેની કામગીરીના વખાણ કરી રહ્યું છે”

“છેલ્લા 8 વર્ષમાં અમે નીતિઓમાં સ્થિરતા, સંકલન અને ઇઝ ઓફ ડુઇંઝ બિઝનેસ પર ભાર મૂક્યો છે”

“ઉત્તરપ્રદેશના વિકાસ માટે, અમારી ડબલ એન્જિનની સરકાર માળખાકીય સુવિધાઓ, રોકાણ અને વિનિર્માણ ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી રહી છે”

“આ રાજ્યનો હું સાંસદ હોવાથી, મેં પ્રશાસન મામલે આ રાજ્યની ક્ષમતા અને સામર્થ્યનો અનુભવ કર્યો છે અને દેશની અપેક્ષાઓ પૂરી કરી શકે તેવી રાજ્ય સરકાર અહીં હોવાનું મને લાગ્યું છે”

“અમે નીતિ, નિર્ણયો અને ઇરાદાઓથી વિકાસની સાથે છીએ”

Posted On: 03 JUN 2022 1:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉ ખાતે UP રોકાણકાર સંમેલન 3.0ના ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રૂપિયા 80,000 કરોડ કરતાં વધારે મૂલ્યની 1406 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, IT અને ઇલેક્ટ્રોનિક્સ, MSME, વિનિર્માણ, અક્ષય ઊર્જા, ફાર્મા, પર્યટન, સંરક્ષણ અને એરોસ્પેસ, હસ્તવણાટ અને ટેક્સટાઇલ વગેરે વિવિધ ક્ષેત્રોને સમાવી લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં દેશના ઉદ્યોગજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહ અને અન્ય મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ શરૂઆતમાં જ ઉત્તરપ્રદેશની ક્ષમતા, સમર્પણ અને સખત પરિશ્રમમાં વિશ્વાસ મૂકવા બદલ અને આ રાજ્યના યુવાનોને સમજવા બદલ તમામ રોકાણકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉદ્યોગસાહસિકોને કાશીની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, કાશીના પ્રતિનિધિ તરીકે, હું આપ સૌને મારા કાશીની મુલાકાત લેવાનો અનુરોધ કરું છુ. હકીકત તો એ છે કે, કાશી તેની ભવ્ય પ્રાચીન કિર્તીની સાથે સાથે તેના નવા સંસ્કરણ સાથે પોતાની રીતે ઉદયમાન થઇ શકે છે તે ઉત્તરપ્રદેશની ક્ષમતાઓનું જીવંત ઉદાહરણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે પ્રસ્તાવો પર સમજૂતી કરવામાં આવી છે તેનાથી ઉત્તરપ્રદેશમાં નવી સંભાવનાઓનું સર્જન થશે અને ઉત્તરપ્રદેશની વિકાસ ગાથામાં વધી રહેલા આત્મવિશ્વાસને તે પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વ આજે જેની શોધ કરી રહ્યું છે તેવા ભરોસાપાત્ર ભાગીદારના માપદંડોને પૂરા કરવાની શક્તિ માત્ર આપણા લોકશાહી ભારત પાસે છે. આજનું વિશ્વ ભારતની સંભાવનાઓના કારણે તેના તરફ જોઇ રહ્યું છે તેમજ તેની કામગીરીના વખાણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આગળ માહિતી આપતા જણાવ્યું હતું કે, G20 અર્થતંત્રોમાં ભારત સૌથી ઝડપી ગતિએ વિકસતો દેશ છે અને વૈશ્વિક રિટેલ ઇન્ડેક્સમાં બીજા ક્રમે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા દેશ છે. ગયા વર્ષે, વિશ્વના 100 કરતાં વધારે દેશોમાંથી ભારતમાં 84 બિલિયન ડૉલરનું વિક્રમી પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે ગયા નાણાકીય વર્ષ દરમિયાન 417 અબજ ડૉલર કરતાં વધારે એટલે કે 30 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે મૂલ્યના માલસામાનની નિકાસ કરીને નવો વિક્રમ બનાવ્યો છે.

કેન્દ્રમાં આરૂઢ NDA સરકારના 8 વર્ષ પૂરા થયા હોવાનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, વર્ષોના આ સમયમાં અમે રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મ (સુધારો- કામગીરી- પરિવર્તન)ના મંત્ર સાથે આગળ વધ્યા છીએ. અમે નીતિઓમાં સ્થિરતા પર ભાર મૂક્યો છે, સંકલન પર ભાર મૂક્યો છે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ભાર મૂક્યો છે”. તેમણે આખા દેશને એક રાષ્ટ્ર તરીકે જોડતા સુધારાઓ વિશે વાત કરીને આ બાબત વિગતે સમજાવી હતી. તેમણે કહ્યું હતું, “અમે અમારા સુધારાની મદદથી ભારતને એક રાષ્ટ્ર તરીકે મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કર્યું છે. એક રાષ્ટ્ર એક કર GST, એક રાષ્ટ્ર એક ગ્રીડ, એક રાષ્ટ્ર એક મોબિલિટી કાર્ડ, એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ આ બધા પર અમે કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારા આ તમામ પ્રયાસો અમારી નક્કર અને સ્પષ્ટ નીતિઓને પ્રતિબિંબિત કરે છે.

2017 પછી ઉત્તરપ્રદેશમાં જે પ્રગતિ જોવા મળી છે તે અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઝડપી વિકાસ કરવા માટે, અમારી ડબલ એન્જિનની સરકાર માળખાકીય સુવિધાઓ, રોકાણ અને વિનિર્માણ ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ વર્ષના બજેટમાં રૂપિયા 7.50 લાખ કરોડના અભૂતપૂર્વ મૂડી ખર્ચની ફાળવણી કરવામાં આવી તે આ દિશામાં અમારું એક પગલું છે. તેમણે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવ્યો હોવાથી વ્યવસાયિક સમુદાયમાં વિશ્વાસ ફરી સ્થાપિત થયો છે, ઉદ્યોગો માટે યોગ્ય માહોલનું સર્જન થયું છે અને રાજ્યમાં પ્રશાસનિક સ્થિતિમાં સુધારો આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ રાજ્યના સાંસદ હોવાથી, તેમણે પ્રશાસન મામલે આ રાજ્યની ક્ષમતા અને સામર્થ્યનો અનુભવ કર્યો છે અને દેશની અપેક્ષાઓ પૂરી કરી શકે તેવી રાજ્ય સરકાર અહીં હોવાનું તેમને લાગ્યું છે. રાજ્યના વ્યવસ્થાતંત્રના બદલાયેલા મિજાજ અને કાર્ય સંસ્કૃતિની તેમણે પ્રશંસા કરી હતી. ઉત્તરપ્રદેશ દેશની પાંચમા ભાગની અથવા છઠ્ઠા ભાગની વસ્તીનું ગૃહ રાજ્ય છે, તેથી દેશના વિકાસ પર તેની મોટી અસર પડે છે. ઉત્તરપ્રદેશની સહજ શક્તિઓનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યને વિકાસના માર્ગ પર આગળ વધતા કંઇપણ રોકી શકશે નહીં. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે, તાજેતરના બજેટમાં, ગંગા નદીના બંને કાંઠે 5 કિમી લાંબા રસાયણ મુક્ત કુદરતી ખેતીના કોરિડોર જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં 25-30 જિલ્લાઓને આવરી લેતી 1100 કિમી ગંગા નદી આવેલી છે. તેના કારણે કુદરતી ખેતીની વિશાળ તકો ઊભી થશે. તેમણે કહ્યું હતું કે, કોર્પોરેટ જગત માટે હવે કૃષિ ક્ષેત્રમાં રોકાણ કરવાની સુવર્ણ તક છે. તેમણે કહ્યું હતું કે, PLI યોજનાઓ અને મૂડી ખર્ચ માટે રૂપિયા 7.5 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે તેના કારણે રાજ્યને ફાયદો થશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, રાજ્યમાં સંરક્ષણ કોરિડોર અહીં વિપુલ સંખ્યામાં નવી તકોના સર્જનમાં મોખરે રહેશે. આધુનિક પાવરગ્રીડ, ગેસની પાઇપલાઇન, મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી, વિક્રમી સંખ્યામાં એક્સપ્રેસ-વે, આર્થિક ઝોનની કનેક્ટિવિટીનું મજબૂતીકરણ, આધુનિક રેલવે માળખાકીય સુવિધા, ઇસ્ટર્ન અને વેસ્ટર્ન સમર્પિત નૂર કોરિડોર આ બધા જ પગલાં ઉત્તરપ્રદેશના વિકાસ માટે નવો વેગ આપવાના વચન સાથે રાજ્યમાં પરિવર્તન લાવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સમયસર પરિયોજનાઓનું કામ પૂરું કરવાની એક નવી સંસ્કૃતિ શરૂ થઇ છે. આ વૃત્તિના ઉદાહરણ તરીકે ડિજિટલ ક્રાંતિનું દૃશ્ટાંત આપતા પ્રધાનમંત્રીએ તાજેતરના વર્ષોમાં દેશમાં થયેલા વિકાસની ગાથાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, 2014, આપણા દેશમાં માત્ર 65 મિલિયન બ્રોડબેન્ડ ગ્રાહકો હતા. આજે તેમની સંખ્યા વધીને 78 કરોડનો આંકડો વટાવી ગઇ છે. 2014 માં, એક GB ઇન્ટરનેટ ડેટાની કિંમત લગભગ 200 રૂપિયા હતી. આજે તેની કિંમત ઘટીને માત્ર 11-12 રૂપિયા થઇ ગઇ છે. ભારત વિશ્વના એવા દેશોમાંથી એક છે જ્યાં ડેટા ખૂબ જ સસ્તા દરે ઉપલબ્ધ છે. 2014માં, દેશમાં 100થી પણ ઓછી ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઇબર દ્વારા જોડાયેલી હતી. આજે, ઓપ્ટિકલ ફાઇબર દ્વારા જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા અઢી લાખ કરતાં પણ વધારે થઇ ગઇ છે. 2014 પહેલાં, આપણી માટે માત્ર અમુક સોની સંખ્યાની સ્ટાર્ટઅપ હતા. પરંતુ આજે દેશમાં નોંધાયેલા સ્ટાર્ટઅપની સંખ્યા લગભગ 70 હજાર સુધી પહોંચી ગઇ છે. તાજેતરમાં જ, ભારતે 100 યુનિકોર્ન કંપનીઓ હોવાનો વિક્રમ બનાવ્યો છે. પ્રધાનમંત્રીએ રોકાણકારો અને ઉદ્યોગપતિઓને ખાતરી આપી હતી કે, અમે નીતિ, નિર્ણયો અને ઇરાદાઓથી વિકાસની સાથે છીએ. તમારા દરેક સાહસમાં અમે તમારી સાથે જ રહીશું અને તમારા માર્ગમાં ડગલેને પગલે તમને સહકાર આપીશું.

ઉત્તરપ્રદેશ રોકાણકાર સંમેલન 2018નું આયોજન 21 અને 22 ફેબ્રુઆરી 2018ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં જેમાં પ્રથમ ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારંભ 29 જુલાઇ 2018ના રોજ અને બીજો ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમ 28 જુલાઇ 2019ના રોજ યોજવામાં આવ્યો હતો. પ્રથમ ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમ દરમિયાન, રૂપિયા 61,500 કરોડ કરતાં વધારે મૂલ્યની 81 કરતાં વધુ પરિયોજનાઓનો પાયો નાખવામાં આવ્યો હતો. જ્યારે બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમમાં રૂ. 67,000 કરોડથી વધુના રોકાણ સાથે 290 પરિયોજનાઓનો પાયો નાંખવામાં આવ્યો હતો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1830836)