પ્રધાનમંત્રીનું કાર્યાલય

ચેન્નઇમાં વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 26 MAY 2022 8:58PM by PIB Ahmedabad

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ. કે. સ્ટાલિન, કેન્દ્રિય મંત્રીમંડળના સાથીઓ, તમિલનાડુ સરકારના મંત્રીઓ, સંસદ સભ્યો, તમિલનાડુ વિધાનસભાના સભ્યો, તમિલનાડુના ભાઇઓ અને બહેનો, વનાક્કમ! તમિલનાડુમાં પાછા ફરવું હંમેશા અદભૂત રહ્યું છે! આ જમીન વિશેષ છે. આ રાજ્યના લોકો, સંસ્કૃતિ અને ભાષા અદભૂત છે. મહાન ભરતીયારે ખૂબ સરસ વર્ણન કરતાં કહ્યું છે કેઃ

सेंतमिल नाडु एन्नुम पोथीनीले इन्बा तेन वन्तु पायुतु कादिनीले |

મિત્રો,

દરેક ક્ષેત્રમાં તમિલનાડુમાંથી એક યા બીજી વ્યક્તિ હંમેશા ઉત્કૃષ્ટ સ્થાન પહોંચેલી હોય છે. હમણાં તાજેતરમાં, મે મારા નિવાસસ્થાને ભારતીય ડેફલિમ્પિક્સની પ્રાસંગિક યજમાની કરી હતી. તમે જાણતા હશો કે આ વખતે પ્રતિયોગિતામાં ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. પરંતુ, શું તમે જાણો છો કે આપણે જીતેલા 16 મેડલમાંથી, તમિલનાડુમાંથી આવેલા યુવાનો 6 મેડલમાં તેમની ભૂમિકા ધરાવતા હતા! તે ટીમના શ્રેષ્ઠ યોગદાન પૈકીનું એક હતું. તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ વૈશ્વિક છે. ચેન્નઇથી કેનેડા સુધી, મદુરાઇથી મલેશિયા સુધી, નામાક્કલથી ન્યૂયોર્ક સુધી, સાલેમથી સાઉથ આફ્રિકા સુધી, પોંગલ અને પુથાંડુના પ્રસંગોની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યાં, તમિલનાડુની મહાન ભૂમિનો પુત્ર, થિરુ એલ. મુરુગન પરંપરાગત તમિલ પરિધાનમાં રેડ કાર્પેટ ઉપર ચાલે છે. તેનાથી સમગ્ર વિશ્વના તમિલોને ભારે ગર્વ અનુભવે છે.

 

મિત્રો,

આપણે અહીં તમિલનાડુના વિકાસની સફરમાં વધુ એક ભવ્ય પ્રકરણની ઉજવણી કરવા માટે ભેગા થયા છે. એકત્રિસ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે અથવા તેનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. અમે આ પરિયોજનાઓની વિગતો હમણાં જ જોઇ છે પરંતુ હું કેટલાક મુદ્દાઓ પર વાત કરવામાં માંગુ છું. રસ્તાના નિર્માણ ઉપર આપવામાં આવી રહેલું ધ્યાન સ્પષ્ટપણે નજરે પડે છે. અમે આમ એટલા માટે કરી રહ્યાં છીએ કારણ કે તે સીધી રીતે આર્થિક સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. બેંગલુરુ ચેન્નઇ એક્સપ્રેસ માર્ગ વિકાસના બે મહત્ત્વના કેન્દ્રોને જોડશે. ચેન્નઇ બંદરને મદુરાવોયલ સાથે જોડતો 4 માર્ગીય એલિવેટેડ રોડ ચેન્નઇ બંદરને વધારે કાર્યક્ષમ બનાવશે અને શહેરમાં ટ્રાફિક ઘટાડશે. નેરાલુરુ અને ધર્માપુરી પ્રભાગનું અને મીનસુરુત્તિથી ચિદમ્બરમ પ્રભાગનું વિસ્તરણ લોકો માટે ખૂબ જ લાભદાયક રહેશે. હું ખાસ કરીને તે વાત માટે ખુશ છું કે 5 રેલવે સ્ટેશનોને નવનિર્મિત કરવામાં આવી રહ્યાં છે. આ આધૂનિકરણ અને વિકાસ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. આ જ સમયે, તે સ્થાનિક કળા અને સંસ્કૃતિનો સમન્વય કરશે. મદુરાઇ અને થેની વચ્ચે ગેજનું રૂપાંતર ખેડૂત બહેનો અને ભાઇઓને મદદ કરશે, તેમને વધારે બજારો ઉપલબ્ધ કરાવશે.

 

મિત્રો,

હું તે તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું જેઓ PM- આવાસ યોજના અંતર્ગત ઐતિહાસિક ચેન્નઇ લાઇટ હાઉસ પરિયોજનાના ભાગરૂપે આવાસો મેળવવાના છે. આ અમારા માટે ખૂબ જ સંતોષકારક પરિયોજના છે. અમે ઘરો બનાવવામાં શ્રેષ્ઠ પ્રણાલીઓનો સમાવેશ કરવામાં આવે તે માટે ગ્લોબલ ચેલેન્જ શરૂ કરવામાં આવ્યું હતું, જેથી બનાવેલા આવાસો વ્યાજબી હોય, ટકાઉ હોય અને પર્યાવરણ સાથે અનુકૂળ હોય. વિક્રમજનક સમયમાં, પ્રથમ આ પ્રકારની લાઇટ હાઉસ પરિયોજના સાકાર કરવામાં આવી છે અને મને આનંદ છે કે તે ચેન્નઇમાં છે. થિરુવલ્લુરથી બેંગલુરુ અને ઇન્નોરેથી ચેન્ગાલપટ્ટુ સુધી પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનના ઉદ્ઘાટન સાથે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં લોકો માટે LNG સરળતાથી ઉપલબ્ધ બનશે. દેશની આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપવા માટે અને ચેન્નઇ બંદરને આર્થિક વિકાસના કેન્દ્ર બનાવવાની દૃષ્ટી સાથે આજે ચેન્નઇ ખાતે મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અમારી સરકાર દેશના અન્ય ભાગોમાં આવા મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક વિકસાવવા પ્રત્યે કટિબદ્ધ છે. આ મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક આપણા દેશમાં માલ-સામાનની ઇકોસિસ્ટમમાં દૃષ્ટાંતરૂપ પરિવર્તન બની રહેશે. વિવિધ ક્ષેત્રોમાં આ પૈકીની દરેક પરિયોજનાઓ રોજગારીના સર્જન અને આત્મનિર્ભર બનવા માટે આપણા સંકલ્પને ઉત્તેજન આપશે.

 

મિત્રો,

મને પૂરો વિશ્વાસ છે કે તમે દરેક તમારા બાળકોને તમારા કરતાં વધારે સારા ઉમદા જીવન તરફ દોરી જવા ઇચ્છો છો. તમે દરેક લોકો તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છો છો. તેના માટે સૌથી મહત્ત્વપૂર્ણ પૂર્વશરત છે શ્રેષ્ઠ ગુણવત્તાની માળખાકીય સુવિધા. ઇતિહાસે આપણે શિખવ્યું છે કે તે રાષ્ટ્રો જેમણે માળખાકીય સુવિધાઓને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું હતું તેમણે વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશોમાં પરિવર્તન કર્યુ છે. ભારત સરકાર માળખાકીય સુવિધાઓના નિર્માણ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે શ્રેષ્ઠ ગુણવત્તાનું હોય અને ટકાઉ હોય. જ્યારે હું માળખા વિશે વાત કરું છું ત્યારે હું સામાજિક અને ભૌતિક બન્ને માળખાઓની વાત કરું છું. સામાજિક માળખાને અદ્યતન કરીને આપણે ગરીબ કલ્યાણ પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખીએ છીએ. સામાજિક માળખા ઉપર અમારો ભાર 'સર્વ જન હિતાય, સર્વ જન સુખાય'ના સિદ્ધાંત પ્રત્યે અમારી કટિબદ્ધતા સૂચવે છે. અમારી સરકાર ચાવીરૂપ યોજનાઓનો વ્યાપ અંતિમ સ્તર સુધી પહોંચાડવા માટે કામગીરી કરી રહી છે. કોઇપણ ક્ષેત્ર લો, શૌચાલય, આવાસ, નાણાકીય સમાવેશિતા... અમે સંપૂર્ણ સમાવેશ તરફ કામ કરી રહ્યાં છે. અમે તમામ ઘરોમાં પીવાના પાણી - નલ સે જલ -ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહ્યાં છે. જ્યારે અમે આમ કરીએ છીએ ત્યારે બાદબાકી અથવા ભેદભાવનો સહેજપણ અવકાશ રહેતો નથી. અને ભૌતિક માળખા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારતના યુવાનોને સૌથી વધારે લાભ પ્રાપ્ત થશે. તે યુવાનોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે અને યુવાનો દ્વારા તેનો ઉપયોગ સંપતિ અને મૂલ્યનું સર્જન કરવા માટે કરવામાં આવશે.

 

મિત્રો,

અમારી સરકાર પરંપરાગત માળખા તરીકે ઓળખાતી બાબતથી આગળ વધી ગઇ છે. થોડા વર્ષો અગાઉ, માળખાના અર્થમાં રસ્તા, ઉર્જા અને પાણીનો સંદર્ભ કરવામાં આવતો હતો. આજે અમે ભારતની ગેસ પાઇપલાઇન નેટવર્ક વિસ્તારવા કામગીરી કરી રહ્યાં છીએ. આઇ-વે ઉપર કામગીરી ચાલી રહી છે. અમારું સપનું હાઇ સ્પીડ ઇન્ટરનેટને દરેક ગામો સુધી લઇ જવાનું છે. આ પરિવર્તનકારી સંભાવનાની કલ્પના કરો. થોડા મહિના પહેલા અમે PM - ગતિ શક્તિ પરિયોજના પ્રારંભ કરી હતી. આ પરિયોજના તમામ હિતધારકો અને મંત્રાલયોને આગામી વર્ષોમાં ભારત શ્રેષ્ઠ ગુણવત્તાની માળખાકીય સુવિધાઓ ધરાવે તે ઉદ્દેશ સાથે એકત્રિત કરશે. લાલ કિલ્લા ઉપરથી મે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંગે જણાવ્યું હતું. આ પરિયોજના એક હજાર લાખ કરોડથી પણ વધારે મૂલ્યની છે. આ સપનું વાસ્તવિકતામાં ફેરવવા માટેની કામગીરી ચાલી રહી છે. ચાલુ વર્ષના બજેટ દરમિયાન રૂપિયા સાડા સાત લાખ કરોડની રકમ મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવી છે જે એક ઐતિહાસિક વધારો છે. માળખાકીય સુવિધાઓનું સર્જન કરતી વખતે અમે તે પણ સુનિશ્ચિત કરીએ છીએ કે આ પરિયોજનાઓ સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ થાય.

મિત્રો,

ભારત સરકાર તમિલ ભાષા અને સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ વર્ષે, જાન્યુઆરી મહિનામાં, ચેન્નઇમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાસિકલ તમિલના નવા પરિસંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવું પરિસંકુલ માટે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે. તે વિશાળ પુસ્તકાલય, ઇ-લાઇબ્રેરી, સેમિનાર ખંડ અને મલ્ટિમીડિયા હોલથી સુસજ્જ છે. તાજેતરમાં જ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસ પર સુબ્રમણ્યભારતી ચેરની જાહેરાત કરવામાં આવી હતી. BHU મારા મતવિસ્તારમાં આવેલી હોવાથી મને આ બાબતે વિશેષ આનંદ થયો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા પર વિશેષ મહત્વ આપે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કારણે, ટેકનિકલ અને મેડિકલ અભ્યાસક્રમોનો અભ્યાસ સ્થાનિક ભાષામાં કરી શકાય છે. તમિલનાડુના યુવાનોને આનાથી ફાયદો થશે,

મિત્રો,

શ્રીલંકા અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. મને ખાતરી છે કે, તમે ત્યાંના વિકાસ બાબતે ચિંતિત હશો. નજીકના મિત્ર અને પડોશી તરીકે ભારત શ્રીલંકાને શક્ય હોય તેવા તમામ પ્રકારે ટેકો આપી રહ્યું છે. આમાં આર્થિક સહાયતા, ઇંધણનો સહકાર, ખાદ્યચીજો, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સામેલ છે. સંખ્યાબંધ સંગઠનો અને વ્યક્તિઓએ શ્રીલંકામાં ઉત્તર અને પૂર્વમાં તેમજ ગ્રામ્ય પ્રદેશોમાં વસતા તમિલો સહિત ત્યાં વસતા તેમના ભાઇઓ અને બહેનોને મદદ મોકલી છે. ભારતે શ્રીલંકાને વધારે આર્થિક સહાય આપવા માટે આંતરરાષ્ટ્રીય મંચ સમક્ષ મજબૂત રીતે પોતાની વાત મૂકી છે. ભારત હંમેશા શ્રીલંકાના લોકોની પડખે ઉભું રહેશે અને શ્રીલંકામાં લોકશાહી, સ્થિરતા અને આર્થિક રિકવરીને સહકાર આપવાનું ચાલુ રાખશે.

મિત્રો,

થોડા વર્ષ પહેલાં મેં જાફનાની મુલાકાત લીધી હતી તેને હું ક્યારેય ભૂલી નહીં શકું. જાફનાની મુલાકાત લેનારો હું પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હતો. ભારત સરકાર શ્રીલંકામાં તમિલ લોકોને મદદ કરવા માટે સંખ્યાબંધ પરિયોજનાઓ હાથ ધરી રહી છે. આ પરિયોજનાઓ આરોગ્ય સંભાળ, પરિવહન, આવાસ અને સંસ્કૃતિને આવરી લે છે.

મિત્રો,

આ સમયે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. 75 વર્ષ પહેલાં આપણે આપણા સ્વતંત્ર રાષ્ટ્રની સફરનો આરંભ કર્યો હતો. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશ માટે ઘણા સપનાં જોયાં હતાં. તેને પૂરાં કરવા એ આપણી ફરજ છે અને મને વિશ્વાસ છે કે આપણે પ્રસંગોચિત ઉદયમાન થઇશું અને તે કરી બતાવીશું. સૌ સાથે મળીને, આપણે ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવીશું. ફરી એકવાત, વિકાસના કાર્યોની શરૂઆત બદલ આપ સૌને અભિનંદન

વનક્કમ!

આભાર!

SD/GP/JD



(Release ID: 1828604) Visitor Counter : 180