ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે ખાસ કરીને કોવિડ-19 સંભાળ સુવિધાઓ સહિત કોઇપણ આરોગ્ય સુવિધાઓમાં આગની દુર્ઘટના ના બને તે સુનિશ્ચિત કરવા માટે એક્શન પ્લાનની જરૂરિયાત પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ધ્યાન આપવા કહ્યું


ગૃહ મંત્રાલયે કોવિડ સમર્પિત સુવિધાઓ સહિત હોસ્પિટલો અને મેડિકલ સુવિધાઓમાં વિના અવરોધે વીજળીનો પૂરવઠો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત હોવાની પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટકોર કરી

Posted On: 05 MAY 2021 1:04PM by PIB Ahmedabad

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ તાજતેરમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં શોર્ટસર્કિટના કારણે બનેલી આગની દુર્ઘટનાઓની નોંધ લઇને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવી દુર્ઘટનાઓ પર ધ્યાન આપવાનું ધ્યાન દોર્યું છે.

રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે આજે કરવામાં આવેલા સંદેશાવ્યવહારમાં કેન્દ્રીય ગૃહ સચિવે જણાવ્યું હતું કે, ખાસ કરીને હાલમાં વધી રહેલી ઉનાળાની ગરમીના કારણે તાજેતરમાં બનેલી આગ લાગવાની દુર્ઘટનાઓના સંદર્ભમાં ઊંચું તાપમાન અથવા જાળવણીનો અભાવ અથવા જે-તે સુવિધામાં આંતરિક વાયરિંગ પર અતિ ભારણના કારણે શોર્ટસર્કિટ થાય અને તેના કારણે આગ લાગવાની દુર્ઘટના બને છે તેમજ આવી આગમાં લોકોના જીવ અને આવશ્યક માળખાકીય સુવિધાઓ ગુમાવવા પડે છે તે બાબત પર પ્રકાશ પાડવો જરૂરી છે.

આ સંદેશાવ્યવહારમાં વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સરકારી અને ખાનગી ક્ષેત્રની આરોગ્ય સુવિધાઓ (ખાસ કરીને કોવિડ-19 સમર્પિત સુવિધાઓ)માં કોઇપણ પ્રકારની આગની આવી દુર્ઘટનાઓ ના બને તે સુનિશ્ચિત કરવા માટે એક્શન પ્લાન અમલમાં મૂકવા પર રાજ્યોએ ધ્યાન આપવાની જરૂર છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ આરોગ્ય, વીજળી અને ફાયર વિભાગના અધિકારીઓ સાથે મળીને વિગતવાર સમીક્ષા કરે અને વિગતવાર એક્શન પ્લાન પણ તૈયાર કરે જેથી તમામ હોસ્પિટલો અને આરોગ્ય સુવિધાઓમાં ફાયર સલામતીનાં પગલાંનું પાલન સુનિશ્ચિત કરી શકાય.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવી પણ વિનંતી કરવામાં આવી છે કે, તેઓ વિવિધ સ્તરે સંબંધિત અધિકારીઓ માટે દિશાસૂચન બહાર પાડે કે, આરોગ્ય સુવિધાઓની ફિલ્ડ અધિકારીઓ દ્વારા મુલાકાત લઇને ત્યાં આંતરિક વાયરિંગ અને ફાયર સલામતી માર્ગદર્શિકા અનુસાર કાર્યરત હોય તેવા સલામતીના ઉપકરણોની ઉપલબ્ધતાનું નિરીક્ષણ કરે અને જો કોઇપણ પ્રકાની ઉણપ વર્તાય તો તાત્કાલિક ધોરણે તેઓ જરૂરી ઉપચારાત્મક પગલાં પણ લે.

ગૃહ મંત્રાલયે તાજેતરમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં MHA અંતર્ગત મહાનિદેશક (ફાયર સેવાઓ, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સ) દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઇઝરી પર સૌનું ધ્યાન દોર્યું હતું.

આ સંદેશાવ્યવહારમાં એ બાબતે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે, દેશભરમાં કોવિડ-19 સમર્પિત આરોગ્ય સુવિધાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોવિડ-19ના દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. મોટાભાગના કિસ્સામાં, ઓક્સિજન સમર્થિત બેડ, ICU અને વેન્ટિલેટર્સ મહત્વપૂર્ણ હસ્તક્ષેપ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે અને આથી જ, તમામ હોસ્પિટલો અને તબીબી સુવિધાઓમાં 24X7 ધોરણે વિના અવરોધો વીજળીનો પૂરવઠો પહોંચે તે સુનિશ્ચિત કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સંદેશાવ્યવહારમાં વધુમાં એ બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો કે, દર્દીઓનો જીવ બચાવવો એ સર્વોપરી પ્રાથમિકતા છે અને તેથી દર્દીઓને અસરકારક આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં અડચણો ઉભી કરી શકે તેવી કોઇપણ વિપરિત ઘટનાને ટાળવા માટે અગાઉથી જ કોવિડ-19નું વ્યવસ્થાપન કરતી તમામ આરોગ્ય સુવિધાઓમાં યોગ્ય પગલાં લઇને તેમને જરૂરી સહકાર પૂરો પાડવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે.

                                                                                                                  ********************************

SD/GP/JD/PC

 



(Release ID: 1716145) Visitor Counter : 253