પ્રધાનમંત્રીનું કાર્યાલય

ECOSOCના હાઈલેવલ સેગમેન્ટને પ્રધાનમંત્રીનુ સંબોધન


પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના કેન્દ્રમા સુધારા સાથે ઊત્તમ બહુપક્ષવાદ માટે આહ્વાન કર્યુ

‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’નો અમારો મંત્ર કોઇને વંચિત ના રહેવા દેવાના મૂળ SDG સિદ્ધાંતનો પડઘો પાડે છે: પ્રધાનમંત્રી

વિકાસના માર્ગે આગેકૂચ કરતી વખતે, અમે આપણા ગ્રહ પ્રત્યેની જવાબદારી નથી ભૂલી રહ્યા: પ્રધાનમંત્રી

અમારા પાયાના સ્તરના આરોગ્યતંત્રએ કોવિડ સામેની લડાઇમાં ભારતને દુનિયાભરમાં સૌથી શ્રેષ્ઠ સાજા થવાનો દર પ્રાપ્ત કરનાર રાષ્ટ્ર બનવામાં મદદ કરી છે: પ્રધાનમંત્રી

Posted On: 17 JUL 2020 8:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે 17 જુલાઇ, 2020ને શુક્રવારના રોજ યોજાયેલા, આ વર્ષના સંયુક્ત રાષ્ટ્રસંઘ આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) સત્રના ઉચ્ચ સ્તરીય વિભાગમાં વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્ય સંબોધન આપ્યું હતું.

17 જૂનના રોજ, સુરક્ષા પરિષદમાં વર્ષ 2021-22 માટે બિન-કાયમી સભ્ય તરીકે ભારતને જંગી સમર્થન સાથે ચૂંટવામાં આવ્યું ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘના વ્યાપક સભ્યગણને પ્રધાનમંત્રીનું આ પહેલું સંબોધન હતું.

ECOSOCના ઉચ્ચ સ્તરીય વિભાગની આ વર્ષની થીમ રાખવામાં આવી છે- “કોવિડ-19 પછી બહુપક્ષવાદ: 75મી વર્ષગાંઠે આપણને કેવું UN જોઇએ છે”

સંયુક્ત રાષ્ટ્રસંઘની 75મી વર્ષગાંઠના સંયોગે, આ થીમ સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદના આગામી સભ્યપદ માટે ભારતની પ્રાથમિકતાનો પણ પડઘો પાડે છે. કોવિડ-19 પછીના વિશ્વમાં ‘સુધારેલા બહુપક્ષવાદ’ માટે ભારતના આહ્વાનનો પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો, જે સમકાલિન વિશ્વની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે.

પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ ECOSOC સાથે ભારતના લાંબા જોડાણ અને ટકાઉક્ષમ વિકાસના લક્ષ્યો સહિત સંયુક્ત રાષ્ટ્રસંઘના વિકાસના કાર્યો યાદ કર્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, ભારતનો ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ વિકાસનો મંત્ર કોઇને પણ વંચિત ના રહેવા દેવાના મૂળ SDG સિદ્ધાંતનો પડઘો પાડે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વિશાળ જનસમુદાયમાં આર્થિક-સામાજિક સૂચકોમાં સુધારો લાવવામાં ભારતને મળેલી સફળતાનો SDG લક્ષ્યાંકો પર નોંધનીય પ્રભાવ પડે છે. તેમણે SDG લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અન્ય વિકાસશીલ દેશોને સહકાર આપવા માટે ભારતની પ્રતિબદ્ધતા વિશે પણ વાત કરી હતી.

તેઓ “સ્વચ્છ ભારત અભિયાન” દ્વારા સફાઇની પહોંચમાં સુધારો, મહિલા સશક્તિકરણ, આર્થિક સમાવેશીતા સુનિશ્ચિત કરવી અને “સૌના માટે આવાસ” કાર્યક્રમ તેમજ “આયુષ્યમાન ભારત” યોજના જેવી કેટલીક મુખ્ય યોજનાઓ દ્વારા લોકોને આવાસ અને આરોગ્ય સંભાળની ઉપલબ્ધતાનું વિસ્તરણ કરવા સહિતના ભારતના હાલમાં ચાલી રહેલા વિકાસના પ્રયાસો અંગે પણ બોલ્યા હતા.

પ્રધાનમંત્રીએ પર્યાવરણીય ટકાઉક્ષમતા અને જૈવ વિવિધતા સંરક્ષણ પર ભારતના કેન્દ્રિત પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની સ્થાપના તેમજ આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધનમાં ભારતની મોખરાની ભૂમિકા પણ યાદ કરી હતી.

પોતાના પ્રદેશમાં પ્રથમ પ્રતિભાવક તરીકેની ભારતની ભૂમિકા અંગે જણાવતા પ્રધાનમંત્રીએ વિવિધ દેશોમાં તબીબી પૂરવઠો પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં અને SAARC દેશોમાં તબીબી સંયુક્ત પ્રતિભાવ વ્યૂહનીતિનું સંકલન સાધવામાં ભારત સરકાર અને ભારતીય ફાર્મા કંપનીઓ દ્વારા આપવામાં આવેલા સાથ-સહકારને પણ યાદ કર્યો હતો.

પ્રધાનમંત્રી આ વખતે ECOSOCને બીજીવખત સંબોધિત કર્યું હતું. અગાઉ જાન્યુઆરી 2016માં ECOSOCની 70મી વર્ષગાંઠ નિમિત્તે તેમણે મુખ્ય સંબોધન આપ્યું હતું.

 

DS/GP/BT



(Release ID: 1639570) Visitor Counter : 307