PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
11 JUL 2020 6:28PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 11.07.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સાજા થયેલા કેસની સંખ્યા 5 લાખની નજીક પહોંચી; સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યા 2.31 લાખ કરતાં વધારે; સાજા થવાનો દર વધીને 63%ની નજીક પહોંચ્યો
કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા પાંચ લાખનો આંકડો વટાવીને આજે 5,15,385 સુધી પહોંચી ગઇ છે અને આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલમાં દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,31,978 વધારે છે. સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનું અંતર એકધારું વધી રહ્યું હોવાથી, સાજા થવાનો દર પણ વધીને 62.78% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 19,870 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,83,407 સક્રિય કેસ છે અને તમામને જો ગંભીર કેસ હોય તો કેન્દ્ર અથવા રાજ્ય સરકારોની હોસ્પિટલોમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને જો દર્દીમાં સામાન્ય લક્ષણો જોવા મળે અથવા લક્ષણો ના હોય તો, તેમન હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં ICMR હેઠળ આવતા 1,180 નિદાન લેબોરેટરીના નેટવર્કમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોની લેબોરેટરીઓમાં કુલ મળીને 1,13,07,002 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણો કરવામાં આવ્યા છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638001
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 મહામારી સંબંધિત તૈયારીઓની સમીક્ષા માટે બેઠક યોજાઇ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં અન્ય લોકો ઉપરાંત, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધન, નીતિ આયોગના સભ્ય, કેબિનેટ સચિવ અને ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, આપણે ચોક્કસપણે વ્યક્તિગત સ્વચ્છતા અને સાર્વજનિક સ્થળોએ સામાજિક શિસ્તનું પાલન કરવાની જરૂરિયાતોનું વારંવાર પુનરાવર્તન કરવું જોઇએ. કોવિડ અંગે લોકોમાં જાગૃતિનો વ્યાપકરૂપે પ્રચાર કરવો જોઇએ અને સંક્રમણને ફેલાતું રોકવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવા જોઇએ. પ્રધાનમંત્રીએ એવા પણ નિર્દેશો આપ્યા હતા કે, તમામ અસરગ્રસ્ત રાજ્યો તેમજ ઉચ્ચ ટેસ્ટ પોઝિટીવિટી વાળા સ્થળોને વાસ્તવિક સમયમાં રાષ્ટ્રીય સ્તરે દેખરેખ અને દિશાનિર્દેશ ઉપલબ્ધ કરાવવા જોઇએ.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638004
કોવિડ-19ના હળવાથી ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ઇટોલીઝુમેબનો પ્રતિબંધિત ઇમરજન્સી ઉપયોગ કરવા માટે DCGIએ મંજૂરી આપી
જુના ગંભીર પ્લાક સોરાઇસીસ માટે પહેલાંથી જ માન્યતા પ્રાપ્ત મોનોક્લોનલ એન્ટીબોડી ઇટોલીઝુમેબ (rDNA મૂળ)નો તબીબી પરીક્ષણોના ડેટાના આધારે પ્રતિબંધિત ઇમરજન્સી ઉપયોગ કરવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મેસર્સ બાયોકોન 2013માં એલ્જુમેબ બ્રાન્ડ નામથી મધ્યમથી ગંભીર જુના પ્લાક સોરાયસિસના દર્દીઓની સારવાર માટે આ દવાનું ઉત્પાદન અને માર્કેટિંગ કરી રહી છે. આ સ્વદેશી દવાને હવે કોવિડ-19 માટે પુનર્નિર્મિત કરવામાં આવી છે. મેસર્સ બાયોકોને કોવિડ-19ના દર્દીઓમાં ઉત્પન્ન બીજા તબક્કાના તબીબી પરીક્ષણોના પરિણામો DCCI સમક્ષ રજૂ કર્યા હતા. કોવિડ-19ના કારણે દર્દીઓમાં જોવા મળતા મધ્યમથી ગંભીર તીવ્ર શ્વસન સમસ્યા સિન્ડ્રોમ (ARDS)માં સાઇટોકીન રિલીઝ સિન્ડ્રોમ (CRS)ની સારવાર કરવા માટે પ્રતિબંધિત ઇમરજન્સી ઉપયોગ અંતર્ગત આ દવાને બજારમાં લાવવા માટે મંજૂરી આપવાનો DCCI દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637926
કોવિડ-19 માટે તબીબી વ્યવસ્થાપન વ્યૂહરચના માટે ધોરણો
કોવિડ-19 માટે હજુ સુધી કોઇ જ ચોક્કસ સારવાર ઉપલબ્ધ ના હોવાથી, આ બીમારીના દર્દીઓની સારવાર માટે અપનાવવામાં આવતો અભિગમ વ્યાપકપણે એસિમ્પ્ટોમેટિક અને સહાયક સંભાળ આધારિત હોય છે. સારું હાઇડ્રેશન જવાઇ રહે તે પણ આવશ્યક છે. લક્ષણોની ગંભીરતાના આધારે, કોવિડ-19ની સ્થિતિને ત્રણ સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે જેમ કે: હળવી, મધ્યમ અને ગંભીર. રાજ્યો સાથે 10.07.2020ના રોજ કરવામાં આવેલી વીડિયો કોન્ફરન્સ અને "રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશ ઉત્કૃષ્ટતા કેન્દ્રો દ્વારા કોવિડ કેસના વ્યવસ્થાપન” બાબતે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં, ICMR અને નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, ચોક્કસ સારવાર હાલમાં ઉપલબ્ધ ના હોવાથી, હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સંભાળ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા તબીબી વ્યસ્થાપન પ્રોટોકોલમાં વર્ણવવામાં આવેલી થીમ સૌથી અસરકારક છે. તમામ ‘તપાસસંગત ઉપચારો’ યોગ્ય આરોગ્ય સંભાળ સુવિધાઓમાં જ થવા જોઇએ જ્યાં દર્દીની નીટકતાથી દેખરેખ થઇ શકે તેમ હોય જેથી સંભવિત જટિલ સ્થિતિનું સંચાલન કરવામાં મદદ મળી શકે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637996
ખરીફ મોસમમાં ગત વર્ષની સરખામણીએ 2.5 ગણા વધુ ક્ષેત્રફળમાં કઠોળનું વાવેતર થયું; તેલીબિયાંના વાવેતર ક્ષેત્રફળમાં પણ નોંધપાત્ર વધારો થયો; ડાંગર, બરછટ ધાન્ય અને કપાસના વાવેતરમાં પણ વધારો થયો
ભારત સરકારના કૃષિ સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા કોવિડ-19 મહામારી દરમિયાન ખેડૂતો અને કૃષિ પ્રવૃત્તિઓને સુવિધાઓ પૂરી પાડવા માટે પાયાના સ્તરે કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વર્ષે ખરીફ પાકની મોસમમાં વાવેતરના ક્ષેત્રફળમાં સંતોષકારક પ્રગતિ જોવા મળી રહી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637864
ડૉ. હર્ષવર્ધને 'મેક ઇન ઇન્ડિયા માટે કેન્દ્રીત હસ્તક્ષેપો: કોવિડ-19 પછી' અંગે TIFAC દ્વારા તૈયાર કરવામાં આવેલું શ્વેતપત્ર બહાર પાડ્યું
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને પૃથ્વી વિજ્ઞાનમંત્રી ડૉ. હર્ષવર્ધને "'મેક ઇન ઇન્ડિયા' માટે કેન્દ્રિત હસ્તક્ષેપો: કોવિડ-19 પછી” અને "સક્રીય ફાર્માસ્યુટિકલ ઘટકો: સ્થિતિ, સમસ્યાઓ, ટેકનોલોજીની તૈયારીઓ અને પડકારો” અંગે ટેકનોલોજી ઇન્ફોર્મેશન, અનુમાન અને આકલન પરિષદ (TIFAC) દ્વારા તૈયાર કરવામાં આવેલું શ્વેતપત્ર વર્ચ્યુઅપ કાર્યક્રમ દરમિયાન બહાર પાડ્યું હતું. તેમાં ક્ષેત્ર આધારિત શક્તિઓ, બજારના ટ્રેન્ડ્સ અને ભારતના પરીપ્રેક્ષ્યથી મહત્વના છે તેવા પાંચ ક્ષેત્ર- આરોગ્ય સંભાળસ મશીનરી, ICT, કૃષિ, વિનિર્માણ અને ઇલેક્ટ્રોનિક્સમાં માંગ અને પુરવઠાના સંદર્ભમાં તેમાં રહેલી તકો, સ્વ-પૂર્તિ અને મોટાપાયે ઉત્પાદનની ક્ષમતાને આવરી લેવામાં આવ્યા છે. તેમાં પ્રાથમિક સ્તરે જાહેર આરોગ્ય તંત્ર, MSME ક્ષેત્ર, વૈશ્વિક સંબંધો: FDI, ફરી તૈયાર કરવામાં આવેલી વેપારની ગોઠવણીઓ, નવી પેઢીની ટેકનોલોજી વગેરે નીતિ વિકલ્પો ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમાં કરવામાં આવેલી ભલામણો ભારતને “આત્મનિર્ભર” બનાવવા માટે તાત્કાલિક ટેકનોલોજી અને નીતિ પ્રોત્સાહન આપવાની દિશામાં છે. વિવિધ ક્ષેત્રોના આઉટપુટ, વચ્ચે લિંકેજ અને આંતર-નિર્ભરતાના આધારે આ શ્વેતપત્રમાં આઉટપુટ બહુગુણકો અને વિવિધ ક્ષેત્રો માટે આવક બહુગુણકો રજૂ કરવામાં આવ્યા છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637806
ઉપરાષ્ટ્રપતિએ હરિત અને ટકાઉક્ષમ આર્કિટેક્ચર અપનાવવાનું આહ્વાન કર્યું
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે દેશના આર્કિટેક્ચરોને હરિત આર્કિટેક્ચર અપનાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આગમી બિલ્ડિંગ પ્રોજેક્ટ્સમાં સૌર ઉર્જા જેવા અક્ષય ઉર્જાના સ્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઇએ. કોવિડ-19ના કારણે આરોગ્ય અને લોકોની આજીવિકા પર પડેલી ઘેરી અસરો અંગે ચિંતા વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ મહામારીના સમયમાં બાંધકામ ક્ષેત્રમાં સાઇટ પર થતા કામકાજોમાં અત્યંત ઘટાડો થયો છે અને તેમણે આર્કિટેક્ચરો તેમજ ડિઝાઇનરોને આ પડકારજનક સમયને જવાબ આપવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “આર્કિટેક્ટ્સે આ મહામારી અને તેના પરિણામો માટે ઉકેલો શોધવામાં મદદરૂપ થઇ શકે તે માટે ડિઝાઇનની સીમાઓ અંગે નવા વિચારો શોધવા અને ચર્ચાઓ કરવાની પણ જરૂર છે.”
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637925
કોવિડ-19નો સામનો કરવા માટે, RCF દ્વારા નવું ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યું: હાથ સાફ કરવા માટે આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ (IPA) આધારિત જેલ
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637935
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- પંજાબ: પંજાબ સરકારે ધોરણ -12, ઓપન સ્કૂલ અને ફરી પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થીઓ તેમજ ગોલ્ડન ચાન્સ વિદ્યાર્થીઓ સહિત અન્ય કેટલીક શ્રેણીમાં પરીક્ષા લેવાના નિર્ણયને રદ કરી દીધો છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મહામારી ફાટી નીકળતા પહેલાં પંજાબ સ્કૂલ શૈક્ષણિક મંડળ (PSEB) દ્વારા પહેલેથી જ લેવાઇ ચૂકેલી કેટલાક વિષયોની પરીક્ષાઓમાં કરેલા શ્રેષ્ઠ પ્રદર્શનના આધાર પર પરિણામો જાહેર કરવામાં આવશે.
- હરિયાણાઃ પત્રકાર પરિષદ સંબોધતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19ના કારણે અટકી પડેલી પ્રવૃત્તિઓ હવે ધીરે ધીરે ફરી પાટા ઉપર ચઢી રહી છે. કોવિડ-19નો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવ્યાં છે. અનલૉક-2 દરમિયાન, તમામ પ્રવૃત્તિઓએ ઝડપ પકડી છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી આશરે રૂ. 3,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
- કેરળઃ કોવિડ-19ના કેસોના સ્થાનિક સંક્રમણ નવા કેન્દ્રબિંદુ પૂંથુરામાં ત્વરિત પ્રતિભાવ ટીમની રચના કરવામાં આવી છે. રોગચાળા નિવારણની પ્રવૃત્તિઓ મજબૂત કરવાના ભાગરૂપે તેમાં મહેસૂલ, પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. IMAએ ફરી એકવખત ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યમાં કોવિડ-19નું સામુદાયિક સ્તરે સંક્રમણ થવા લાગ્યું છે અને લક્ષણો વગરના કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં થઇ રહેલો વધારો ચિંતાનો વિષય છે. આ દરમિયાન, શુક્રવારે હૃદયરોગના હુમલાના કારણે અર્નાકુલમમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેનો કોવિડ-19 પરીક્ષણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ચેર્થાલા તાલુકા હોસ્પિટલમાં એક ગાયનેકોલોજિસ્ટ સહિત આઠ વ્યક્તિઓના કોવિડ-19ના પરીક્ષણ પોઝિટીવ આવ્યાં હતાં. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 416 પોઝિટીવ કેસોની પુષ્ટિ થઇ હતી, જેમાંથી 204 સ્થાનિક સંક્રમણના કારણે થયા છે. જુદા-જુદા જિલ્લાઓમાં 1,84,112 લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે.
- તામિલનાડુઃ 62 નવા કેસો નોંધાતા પુડુચેરીમાં કોવિડ-19ની સંખ્યા વધીને 1,337 થઇ ગઇ છે, જ્યારે વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજતાં મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે. તામિલનાડુના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને ડિજિટલ ઉપલબ્ધિની સમસ્યાઓને ધ્યાનમાં રાખતાં ઑનલાઇન પરીક્ષાઓ યોજી શકાય તેમ ન હોવાથી વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકનની પદ્ધતિ નિર્ધારિત કરવા રાજ્યોને સ્વતંત્રતા આપવા માંગ કરી છે. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને જ્યારે 681 માછીમારોને વતન પરત લાવવામાં આવ્યાં ત્યારે જહાજમાં જગ્યાના અભાવે રહી ગયેલા 40 માછીમારોને ઇરાનમાંથી પાછા લાવવા અપીલ કરી છે. ગઇકાલે 3,680 નવા કેસો નોંધાયા હતા, 4,163 લોકો સાજા થયા હતા અને 64 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 1,30,261 છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 46,105 છે અને 1,829 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 18,616 છે.
- કર્ણાટકઃ બેંગલોરમાં કોવિડ-19ના કેસોમાં ખૂબ જ ઝડપથી થઇ રહેલા વધારાના કારણે રાજ્ય સરકારે શહેરમાં આજથી રેપિડ એન્ટિજેન ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે 30 મિનિટમાં પરિણામો આપે છે. આ નિર્ણયની સાથે પરીક્ષણની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. ઉચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોવિડ દર્દીઓ માટે બેડની ઉપલબ્ધતા માટે વાસ્તવિક સમય ડિજિટલ માહિતી વ્યવસ્થા ગોઠવવાની શક્યતાઓ તપાસવી જોઇએ. મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે સપ્તાહના અંતે લૉકડાઉન લાગુ કરવાની કોઇ જરૂર નથી, નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા બાદ સરકાર નિર્ણય લેશે. આ દરમિયાન રાજ્યમાં કોવિડના કારણે મૃત્યુઆંક 500થી વધુ થઇ ગયો છે. ગઇકાલે 2,313 નવા કેસો નોંધાયા હતા; 1,003 લોકોને રજા આપવામાં આવી હતી અને 57 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. પોઝિટીવ કેસોની સંખ્યા 33,418 છે; જ્યારે સક્રિય કેસોની સંખ્યા 19,035 છે અને 543 લોકોના મૃત્યુ નીપજી ચુક્યાં છે.
- આંધ્રપ્રદેશ: રાજ્યમાં તમામ 13 જિલ્લામાં કુલ 45,240 બેડની ક્ષમતા સાથે 76 કોવિડ સંભાળ કેન્દ્રો ઓળખી કાઢવામાં આવ્યા છે જેથી દરેક જિલ્લામાં લક્ષણોના દેખાતા હોય તેવા અને અત્યંત હળવા લક્ષણો ધરાવતા કેસોની સંભાળ લેવા માટે ઓછામાં ઓછા 3000 બેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. હોસ્પિટલ પરિસરમાં સુધારો કરવા માટે જેમાં ખાસ કરીને શૌચાલયોની સુવિધા, તબીબી ઉપકરણો જેમકે મોબાઇલ એક્સ-રે, ECG અને અન્ય લેબોરેટરીના ઉપકરણોમાં સુધારો કરવા માટે રૂપિયા એક કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી દર્દીઓ પર સતત નજર રાખવામાં મદદ મળી રહે. નેલ્લોરના DCએ કોવિડ-19થી મૃત્યુ પામેલા ત્રણ દર્દીઓના મૃતદેહ ખાડો ખોદવાના મશીનથી અમાનવીય રીતે દફનાવવાના કેસમાં પૂછપરછ હાથ ધરવા માટે વિશેષ અધિકારી તરીકે RDOની નિયુક્તિ કરી છે. ગઇકાલે રાજ્યમાં 1608 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 15 દર્દીઓ કોવિડના કારણે મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 25,422 સક્રિય કેસ: 11,936 મૃત્યુ પામ્યા: 292.
- તેલંગાણા: રાજ્યમાં કોવિડ-19ના વ્યવસ્થાપન પર દેખરેખ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા 11 સભ્યોની તબીબી ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. નવી ટીમમાં ટોચના તબીબોને સામેલ કરવામાં આવ્યા છે જે તબીબી શિક્ષણના નિદેશકના હાથ નીચે કામ કરશે અને તેઓ નિયમિત ધોરણે સ્થિતિનો અહેવાલ આપશે. ગઇકાલ સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 32,224 સક્રિય કેસ: 12,680 મૃત્યુ પામ્યા: 339 સાજા થતા રજા આપવામાં આવી:19,205.
- આસામ: લૉકડાઉનના અમલના કારણે નબળા વર્ગને પડી રહેલી સમસ્યાઓની નોંધ લઇને આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે મુખ્ય સચિવને નિર્દેશો આપ્યા હતા કે, નિરાધારો, દૈનિક વેતનદારો અને સમાજના ગરીબ વર્ગોને રાહત આપવા માટે અન્ન પૂરું પાડવામાં આવે.
- મણિપુર: મણિપુરમાં થાંગલ કેઇથેલમાં તબક્કાવાર દુકાનો ફરી શરૂ કરવા માટે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે.
- મેઘાલય: મેઘાલયમાં આજે 76 વ્યક્તિઓને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો હોવાની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 215 થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 45 દર્દીઓ સાજા થઇ ગયા છે.
- મિઝોરમ: મિઝોરમમાં કોવિડ-19માંથી સાજા થયેલા સાત દર્દીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા 76 છે જ્યારે અત્યાર સુધીમાં 150 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા છે.
- નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19 બાબતે ઉચ્ચ અધિકાર પ્રાપ્ત સમિતિએ આરોગ્ય વિભાગને વધારાના તબીબો અને નર્સોની ભરતીની પ્રક્રિયા વધુ ઝડપથી કરવા માટે નિર્દેશો આપ્યા છે જેથી સમગ્ર રાજ્યમાં આરોગ્ય સંભાળ તંત્ર વધુ મજબૂત બની શકે.
- સિક્કિમ: સિક્કિમમાં STNM હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટના વડા (મેડિસીન)એ માહિતી આપી હતી કે, STNM હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા કોવિડ-19 કેન્દ્રમાં દાખલ કરવામાં આવેલા સૌથી વૃદ્ધ દર્દી (65 વર્ષ) અને સૌથી નાની વયના દર્દી (2 વર્ષ)ની સફળતાપૂર્વક સારવાર થઇ ગઇ હોવાથી તેઓ સાજા થઇ ગયા છે.
- મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં વિક્રમી સંખ્યા એટલે કે 7,862 નવા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કેસ ઓળખી કાઢવામાં આવ્યા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસનો આંકડો વધીને 2,38,461 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 1,32,625 દર્દીઓ સાજા થઇ ગયા છે. તાજેતરના અપડેટ અનુસાર, હાલમાં 95,647 સક્રિય કેસ સારવાર હેઠળ છે. મુંબઇમાં નવા નોંધાતા કેસની સંખ્યા સ્થિર છે, જ્યારે પુણે, થાણે, કલ્યાણ અને મીરા- ભાયંદર જેવા શહેરોમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે.
- ગુજરાત: ગુજરાતમાં, કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસોની સંખ્યા 40 હજારનો આંકડો વટાવીને 40,155 થઇ ગઇ છે જેમાં છેલ્લા 24 કલાકમાં નવા 875 કેસ પોઝિટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત વધુ 14 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા કુલ દર્દીની સંખ્યા 2,024 થઇ ગઇ છે. રાજ્યમાં સૌથી વધુ નવા 202 કેસ સુરતમાં નોંધાયા હતા જ્યારે અમદાવાદમાં નવા 165 કેસ નોંધાયા છે.
- રાજસ્થાન: રાજસ્થાનમાં આજે સવારે કોવિડ-19ના નવા 170 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 23,344 થઇ ગઇ છે જ્યારે વધુ 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આજે અલવર જિલ્લામાં નવા 40 કેસ નોંધાયા હતા જ્યારે જયપુરમાં 33 અને ઉદયપુરમાં 31 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 5211 છે. રાજ્યમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા વધીને 17,634 થઇ છે જ્યારે કુલ મૃત્યુઆંક 499 થઇ ગયો છે.
- મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત વધુ 316 દર્દીના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હોવાથી કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 16,657 થઇ ગઇ છે. ગ્વાલિયરમાં સૌથી વધુ નવા 60 કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ ભોપાલમાં 57 અને ઇન્દોરમાં 44 નવા કેસ નોંધાયા છે. જોકે, મધ્યપ્રદેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 3538 છે જ્યારે સાજા થયેલા દર્દીઓનો કુલ આંકડો વધીને 12,481 થઇ ગયો છે. દરમિયાન, રાજ્યમાં ‘કિલ કોરોના અભિયાન’ અંતર્ગત કુલ વસ્તીમાંથી 66% લોકોમાં સર્વેનું કામ પૂરું થઇ ગયું છે.
- છત્તીસગઢ: છત્તીસગઢમાં શુક્રવારે કોવિડ-19ના વધુ 166 પોઝિટીવ દર્દીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા 3,832 થઇ ગઇ છે. રાયપુર અને બલોદા બજાર બંને જિલ્લામાં એક જ દિવસમાં સૌથી વધુ 34 નવા કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 787 છે.
- ગોવા: ગોવામાં શુક્રવારે કોવિડ-19ના નવા 100 કેસમાં પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે જેથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ દર્દીની સંખ્યા 2,251 સુધી પહોંચી છે. રાજ્યમાં કુલ 1347 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે જ્યારે કુલ 895 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
FACTCHECK


(Release ID: 1638066)
Visitor Counter : 313
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam