પ્રધાનમંત્રીનું કાર્યાલય
દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
14 APR 2026 4:23PM by PIB Ahmedabad
ભારત માતાની જય.
ભારત માતાની જય.
ભારત માતાની જય.
ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ યુવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નિતિન ગડકરીજી, અજય ટમટાજી, ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ગવર્નર આનંદી બેન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, મંચ પર ઉપસ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીજી, પૂર્વ મુખ્યમંત્રી ભાઈ રમેશ પોખરિયાલ, વિજય બહુગુણાજી, તીરથ સિંહ રાવતજી, ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, ઉત્તરાખંડ સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલાં ભાઈઓ બહેનો.
દેવભૂમિ ઉત્તરાખંડની આ પાવન ધરતી પર આપ સૌને મારા પ્રણામ. ખૂબ મોટી સંખ્યામાં આવેલા પૂજ્ય સંતગણને પણ પ્રણામ. ઉત્તરાખંડના પ્યારા ભુલોં-ભૈબંદોં, બૌડી-ભૂલિયોં, સ્યાણા-બુજુર્ગો, આપ સબુ તૈં નમસ્કાર! મેરો પ્યારો દાજી ભાઈ, દીદી-બૈની, આમા-બાબા સબઈ લાઈ મેરો તરફ દેખી ઢોગ દિનછૂ.
આ કાર્યક્રમમાં ટેકનોલોજી દ્વારા પણ દિલ્હી, યુપીથી અનેક લોકો જોડાયા છે, હું તમામનું અભિનંદન કરું છું. સૌથી પહેલા તો હું આપ સૌની ક્ષમા ચાહું છું, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના કાર્યક્રમમાં જોડાયેલા લોકોની પણ ક્ષમા માંગું છું, કે મને અહીં પહોંચવામાં એક કલાકથી પણ વધારે મોડું થઈ ગયું, બધી જગ્યાએ લાંબા સમય સુધી આપ સૌએ રાહ જોવી પડી, અને કારણ એ જ હતું, હું નીકળ્યો તો સમય પર હતો, પરંતુ આશરે 12 કિલોમીટરનો રોડ શો, કાલી મંદિરથી લઈને અહીં સુધી, એટલો ઉત્સાહ એટલો ઉમંગ, કે મારા માટે તેજ ગતિએ ગાડી ચલાવવી ખૂબ મુશ્કેલ થઈ ગઈ. તો ધીરે-ધીરે લોકોને પ્રણામ કરતા-કરતા, જનતા જનાર્દનના આશીર્વાદ લેતા લેતા અહીં પહોંચવામાં મને એક કલાકથી પણ વધારે મોડું થઈ ગયું, અને તે માટે હું તમારી ક્ષમા માંગું છું, અને આવા તડકામાં 12 કિલોમીટર આ જન સૈલાબ, આ ઉત્તરાખંડનો પ્રેમ, માતાઓ-બહેનોના આશીર્વાદ, હું આજે ઉત્તરાખંડથી એક નવી ઉર્જા લઈને જઈશ, નવી પ્રેરણા લઈને જઈશ અને હું આ માટે દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
સાથીઓ, આજે દેશમાં પર્વ તહેવારનો ઉમંગ છે. વિવિધ ભાગોમાં નવવર્ષનું આગમન થયું છે. હું દેશવાસીઓને બૈસાખી, બોહાગ બિહુ અને પુથાંડુની શુભકામનાઓ આપું છું!
સાથીઓ, આગામી થોડા જ દિવસોમાં, યમુનોત્રી, ગંગોત્રી, બાબા કેદારનાથ, બદ્રીનાથ ધામની યાત્રા પણ શરૂ થવા જઈ રહી છે. આ પવિત્ર સમયની, દેશના કોટિ-કોટિ આસ્થાવાન, શ્રદ્ધાભાવથી રાહ જોતા હોય છે. હું પંચ બદ્રી, પંચ કેદાર, પંચ પ્રયાગ અને અહીંના આરાધ્ય દેવોને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. હું સંતલા માતાને પણ નમન કરું છું. અહીં આવતા પહેલા મને, માં ડાટ કાલીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. દેહરાદૂન શહેર પર, માં ડાટ કાલીની મોટી કૃપા છે. દિલ્હી-દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરના આટલા મોટા પ્રોજેક્ટને પૂરો કરવામાં, માતા ડાટ કાલીના આશીર્વાદ ખૂબ મોટી શક્તિ રહ્યા છે.
સાથીઓ,
ઉત્તરાખંડ રાજ્ય પોતાની સ્થાપનાના 25 વર્ષ પૂરા કરવાની સાથે જ છવ્વીસમા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આજે દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટન સાથે આ પ્રગતિમાં એક વધુ મોટી ઉપલબ્ધિ જોડાઈ છે. તમને યાદ હશે, બાબા કેદારના દર્શન પછી મારા મોઢામાંથી અનાયાસ નીકળ્યું હતું, કે આ શતાબ્દીનો ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. મને ખૂબ ખુશી છે કે ડબલ એન્જિન સરકારની નીતિઓ, અને ઉત્તરાખંડના લોકોના પરિશ્રમથી, આ યુવા રાજ્ય, વિકાસના નવા આયામો જોડી રહ્યું છે. આ પ્રોજેક્ટ પણ, ઉત્તરાખંડના વિકાસને નવી ગતિ આપશે. આ એક્સપ્રેસ-વેનો ખૂબ મોટો હિસ્સો યુપીમાંથી પસાર થાય છે. આનાથી ગાઝિયાબાદ, બાગપત, બડૌત, શામલી અને સહારનપુર જેવા અનેક શહેરોને પણ ઘણો ફાયદો થશે. ટૂરિઝમની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો છે. હું સમગ્ર દેશને આ પ્રોજેક્ટની ખૂબ-ખૂબ વધાઈ આપું છું.
સાથીઓ, આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ પણ છે. હું બાબા સાહેબને દેશવાસીઓ વતી કોટિ-કોટિ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. વિતેલા દાયકામાં અમારી સરકારે જે નીતિઓ બનાવી, જે નિર્ણયો લીધા, તે બંધારણની ગરિમાને પુનઃસ્થાપિત કરનારા રહ્યા છે. આર્ટિકલ 370 હટ્યા પછી આજે સમગ્ર દેશમાં ભારતનું બંધારણ લાગુ છે. જે ડઝનબંધ જિલ્લાઓમાં માઓવાદ-નક્સલવાદ ખતમ થયો છે, ત્યાં પણ હવે બંધારણની ભાવનાને અનુરૂપ કામ થઈ રહ્યું છે. દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થાય, તે આપણા બંધારણની અપેક્ષા છે. ઉત્તરાખંડે બંધારણની આ ભાવનાને આગળ વધીને અને તે ભાવનાને આગળ વધારીને સમગ્ર દેશને રાહ ચીંધી છે.
સાથીઓ, બાબા સાહેબનું જીવન, ગરીબોને, વંચિતોને, શોષિતોને ન્યાયપૂર્ણ વ્યવસ્થા આપવા માટે સમર્પિત હતું. અમારી સરકાર આજે તે જ ભાવના સાથે, દરેક ગરીબ, દરેક વંચિતને સાચો સામાજિક ન્યાય આપવામાં લાગેલી છે. અને સામાજિક ન્યાયનું એક ખૂબ મોટું માધ્યમ, દેશનો સંતુલિત વિકાસ છે, સૌને સુવિધા છે, સૌની સમૃદ્ધિ છે. એટલા માટે જ બાબા સાહેબ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ઔદ્યોગિકીકરણની ભરપૂર વકાલત કરતા હતા.
સાથીઓ, ભવિષ્યની દશા અને દિશા શું હશે, અવારનવાર લોકો, તે માટે હાથની રેખાઓ જુએ છે, જોવડાવે છે. જે ભવિષ્ય વક્તાઓ હોય છે ને, તેઓ હસ્ત રેખાઓ જુએ છે, અને દરેક વ્યક્તિના ભવિષ્ય વિશે જણાવે છે. હું આ વિજ્ઞાનને તો નથી જાણતો, પરંતુ કહેવાય છે કે આ પણ એક શાસ્ત્ર છે. હવે આ તો થઈ વ્યક્તિના ભાગ્યની જે તેના હાથમાં રેખાઓ છે તેની વાત, પરંતુ હું જો આ જ સંદર્ભમાં વાતને, આ જ સંદર્ભને રાષ્ટ્ર-જીવન સાથે જોડીને જોઉં, તો રાષ્ટ્રની ભાગ્ય રેખાઓ કઈ હોય છે? રાષ્ટ્રની ભાગ્ય રેખાઓ આ આપણી આ સડકો હોય છે, આપણા હાઈવે હોય છે, આપણા એક્સપ્રેસ-વે હોય છે, એરવે, રેલવે, વોટરવે, આ આપણી રાષ્ટ્રની ભાગ્ય રેખાઓ હોય છે. અને વિતેલા એક દાયકાથી આપણો દેશ, વિકસિત ભારત બનાવવા માટે વિકાસની આવી જ ભાગ્ય રેખાઓના નિર્માણમાં લાગેલો છે. આ વિકાસ રેખાઓ માત્ર આજની સુવિધાઓ નથી, આ આવનારી પેઢીઓની સમૃદ્ધિની ગેરંટી છે અને આ મોદીની પણ ગેરંટી છે. વિતેલા દાયકાથી અમારી સરકાર રાષ્ટ્રની આ વિકાસ-રેખાઓ પર અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. હું તમને એક આંકડો આપું છું. હમણાં નિતિન જીએ ખૂબ બધા આંકડા માત્ર ઉત્તરાખંડને સંબંધિત જણાવ્યા છે તમને. જુઓ વર્ષ 2014 સુધી આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વર્ષમાં, આખા દેશમાં, 2 લાખ કરોડ રૂપિયા પણ ખર્ચ થતા નહોતા. આ હું આખા હિન્દુસ્તાનની વાત જણાવું છું, 2 લાખ કરોડ પણ નહોતા થતા, આજે આ છ ગણું વધીને, 12 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે થઈ ચૂક્યું છે. અહીં ઉત્તરાખંડમાં જ, સવા બે લાખ કરોડ રૂપિયાથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે. 2014 પહેલા આખા દેશ માટે 2 લાખ કરોડ, આજે એકલા ઉત્તરાખંડ માટે સવા બે લાખ કરોડ રૂપિયા. ક્યારેક ઉત્તરાખંડના ગામડાઓમાં રસ્તા માટે રાહ જોવામાં પેઢીઓ બદલાઈ જતી હતી. આજે ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી, હવે સડક ગામ સુધી પહોંચી રહી છે, જે ગામો પહેલા વેરાન થઈ ગયા હતા, તે ફરીથી જીવંત થઈ રહ્યા છે. ચારધામ મહામાર્ગ પરિયોજના હોય, રેલ પરિયોજનાઓનો વિસ્તાર હોય, કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે હોય, વિકાસની આ રેખાઓ, આ ક્ષેત્રના ખૂણે-ખૂણે જીવનની પણ ભાગ્ય રેખાઓ બની રહી છે.
સાથીઓ, 21મી સદીનું ભારત આજે જે સ્પીડ અને જે સ્કેલ પર કામ કરી રહ્યું છે, તેની આખી દુનિયા ચર્ચા કરી રહી છે. હું તમને ઉત્તરાખંડ, પશ્ચિમી યુપી અને દિલ્હીનું જ ઉદાહરણ આપું છું. થોડા અઠવાડિયા પહેલા જ, દિલ્હી મેટ્રોનો વિસ્તાર થયો, મેરઠમાં મેટ્રો-સેવાની શરૂઆત થઈ, દિલ્હી-મેરઠ નમો-ભારત રેલ દેશને સમર્પિત કરવામાં આવી, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની શરૂઆત થઈ, હવાઈ જહાજો માટે MRO ફેસિલિટી પર કામ શરૂ થયું, અને આજે, દેહરાદૂન-દિલ્હી એક્સપ્રેસ-વે શરૂ થઈ રહ્યો છે.
સાથીઓ, આટલા નાના રીજનમાં આ બધું આટલા ઓછા સમયમાં થઈ રહ્યું છે. કલ્પના કરો, દેશમાં કેટલા મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે. અને એટલા માટે જ હું કહું છું - 21મી સદીનું ભારત, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે, તે અભૂતપૂર્વ છે, અકલ્પનીય છે.
સાથીઓ, આજે ભારતના અલગ-અલગ ભાગોને જોડતા, અનેક ઇકોનોમિક કોરિડોર્સ, તેના પર કામ ચાલી રહ્યું છે. જેમ કે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, બેંગલુરુ-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇસ્ટ કોસ્ટ ઇકોનોમિક કોરિડોર, અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, આવા ઘણા ઇકોનોમિક કોરિડોર દેશમાં બનાવવામાં આવી રહ્યા છે. આ ઇકોનોમિક કોરિડોર, પ્રગતિના નવા દ્વાર છે, ગેટવે છે, ડોર છે. અને આની સાથે આશાઓની દોર પણ જોડાયેલી છે. આ ઇકોનોમિક કોરિડોર, સડક ઉપરાંત નવા-નવા વેપાર-કારોબારનો માર્ગ બનાવે છે. ફેક્ટરીઓ માટે, ગોદામો માટે આખું નેટવર્ક, તેનો આધાર તૈયાર કરે છે.
સાથીઓ, દેહરાદૂન-દિલ્હી ઇકોનોમિક કોરિડોરથી પણ આ આખા ક્ષેત્રનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. પહેલો ફાયદો તો એ છે કે આનાથી સમય બચશે, આવવું-જવું સસ્તું અને ઝડપી થશે, લોકોનું પેટ્રોલ-ડીઝલ ઓછું ખર્ચાશે, ભાડું ઓછું થશે, અને બીજો મોટો ફાયદો રોજગારનો થશે. અત્યારે આના નિર્માણમાં 12 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા, તો હજારો શ્રમિકોને કામ મળ્યું છે. સાથે જ, જે એન્જિનિયર છે, અન્ય સ્કિલ્ડ વર્કફોર્સ છે, ટ્રાન્સપોર્ટથી, તેનાથી જોડાયેલા સાથીઓ છે, તેમને પણ ખૂબ મોટી માત્રામાં કામ મળ્યું છે. ખેડૂતો અને પશુપાલકોની ઉપજ પણ, હવે તેજ ગતિએ, મોટી મંડીઓ અને મોટા બજારો સુધી પહોંચશે.
સાથીઓ, આ શાનદાર એક્સપ્રેસ-વેથી ઉત્તરાખંડના ટૂરિઝમને ખૂબ જ મોટો ફાયદો થશે. દેહરાદૂન, હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી અને ચારધામ યાત્રા માટે આ સૌથી પ્રમુખ માર્ગ બનશે. અને આપણે સૌ જાણીએ છીએ, જ્યારે ટૂરિઝમનો વિકાસ થાય છે, તો દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કમાય છે. હોટલ હોય, ઢાબાવાળા હોય, ટેક્સી હોય, ઓટો હોય, હોમ સ્ટે હોય, સૌને આનો ફાયદો થાય છે.
સાથીઓ, મને ખુશી છે કે આજે ઉત્તરાખંડ, વિન્ટર ટૂરિઝમ, વિન્ટર સ્પોર્ટ્સ અને wed in india, લગ્ન માટે, ખૂબ જ ઉત્તમ ડેસ્ટિનેશન બનતું જઈ રહ્યું છે.
સાથીઓ, ઉત્તરાખંડના અર્થતંત્ર માટે બારેમાસી પર્યટન ખૂબ જરૂરી છે. તેથી મારો શિયાળામાં થનારી ધાર્મિક યાત્રાઓને લઈને ખૂબ આગ્રહ રહ્યો છે. અને મને ખુશી છે કે દર વર્ષે આ યાત્રાઓમાં લોકોની સંખ્યા વધી રહી છે. તમને યાદ હશે, હું 2023માં આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રા પર ગયો હતો. પહેલા બહુ જતો હતો, વચ્ચે બિલકુલ જઈ ન શક્યો, ઘણા વર્ષો પછી હું ગયો, અને મને મુખ્યમંત્રી જી જણાવી રહ્યા હતા, ગવર્નર સાહેબ વચ્ચે આવ્યા, તેઓ પણ જણાવી રહ્યા હતા કે 2023માં ત્યાં ગયો અને ત્યાર પછી, ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં જઈ રહ્યા છે. પહેલા ત્યાં થોડાક સો લોકો જ શિયાળામાં યાત્રા માટે જતા હતા. વર્ષ 2025માં, આશરે 40 હજારથી વધુ લોકોએ આ પવિત્ર સ્થાનોની યાત્રા કરી છે. ક્યારેક એક હજાર નહોતા થતા, જો ચાલીસ હજાર પહોંચે છે તો અહીંના લોકોની રોજી-રોટીની કેટલી મોટી તાકાત આવી જાય છે. તેવી જ રીતે વર્ષ 2024માં શિયાળુ ચારધામ યાત્રામાં, આશરે એંસી હજાર શ્રદ્ધાળુઓ આવ્યા હતા. 2025માં આ સંખ્યા દોઢ લાખ પાર કરી ચૂકી છે.
સાથીઓ, આપણે એવું વિકસિત ભારત બનાવવા માટે મથ્યા છીએ, જ્યાં પ્રગતિ પણ હોય, પ્રકૃતિ પણ હોય અને સંસ્કૃતિ પણ હોય. અને તેથી, આજે થનારા દરેક નિર્માણને, આ જ ત્રિવેણી, પ્રગતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિની ત્રિવેણી, આ જ મૂલ્યોના આધારે વિકસિત કરવામાં આવી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માનવીને પણ સુવિધા થાય, અને ત્યાં રહેનારા વન્યજીવોને પણ અસુવિધા ન થાય, તે અમારો પ્રયાસ છે. અને એટલા માટે જ આ એક્સપ્રેસ-વે પર, આશરે 12 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઈલ્ડ લાઈફ કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. હાથીઓને પણ અસુવિધા ન થાય, તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
જોકે સાથીઓ, હું આજે દેશભરના તમામ પર્યટકો અને તીર્થયાત્રીઓને પણ એક આગ્રહ કરવા માંગુ છું. આપણા પહાડો, આ વન ક્ષેત્રો, આ દેવભૂમિની ધરોહર, આ ખૂબ જ પવિત્ર સ્થાનો છે. આવા સ્થાનોને સાફ રાખવા, તે આપણા સૌની ફરજ છે. અહીં રહેનારાઓની પણ અને યાત્રી તરીકે આવનારાઓની પણ. આ વિસ્તારોમાં પ્લાસ્ટિકની બોટલો, કચરાના ઢગલા, આ દેવભૂમિની પવિત્રતાને ઠેસ પહોંચાડે છે. તેથી ખૂબ આવશ્યક છે કે આપણે દેવભૂમિના આ સ્થળોને, આપણા આ તીર્થ સ્થળોને સ્વચ્છ રાખીએ, સુંદર રાખીએ.
સાથીઓ,
આગામી વર્ષે હરિદ્વારમાં કુંભનું પણ આયોજન થવાનું છે. આપણે આસ્થાના આ સંગમને દિવ્ય-ભવ્ય અને સ્વચ્છ બનાવવામાં કોઈ કસર બાકી રાખવાની નથી.
સાથીઓ, ઉત્તરાખંડમાં નંદા દેવી રાજજાત યાત્રા પણ થાય છે. આ આસ્થાનો ઉત્સવ તો છે જ, આ આપણી સાંસ્કૃતિક ચેતનાનું પણ જીવંત ઉદાહરણ છે. જ્યાં માં નંદાને દીકરી માનીને પૂરા સન્માન સાથે વિદાય આપવામાં આવે છે. આ યાત્રામાં બહેનો-દીકરીઓની ભાગીદારી, તેને વિશેષ બનાવે છે. હું માં નંદાને પ્રણામ કરતા, દેશભરની બહેનો-દીકરીઓને પણ વિશેષ સંદેશ આપવા માંગુ છું. વિકસિત ભારતના નિર્માણમાં તમારી ખૂબ મોટી ભૂમિકા છે. આ દેશની દીકરીઓની, આ દેશની માતાઓની, બહેનોની ખૂબ મોટી ભૂમિકા હું જોઈ રહ્યો છું. અને બહેનો-દીકરીઓની સુવિધા, સુરક્ષા અને લોકશાહીમાં ભાગીદારી, આ ડબલ એન્જિન સરકારની ખૂબ મોટી પ્રાથમિકતા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો, કે દુનિયામાં કેટલું મોટું સંકટ આવ્યું છે. આનાથી દુનિયાના વિકસિત દેશોમાં પણ કેટલો હાહાકાર મચ્યો છે. આવા મુશ્કેલ સંજોગોમાં પણ, સરકારનો નિરંતર પ્રયાસ છે કે આપણી બહેનોને ઓછામાં ઓછી પરેશાની થાય.
સાથીઓ, બહેનો-દીકરીઓની ભાગીદારીનો એક વધુ મહત્વનો પડાવ હવે દેશની સામે છે. 4 દાયકાની પ્રતિક્ષા પછી સંસદે, નારીશક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો. આનાથી વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ માટે તેંત્રીસ ટકા અનામત નક્કી થઈ ગઈ. તમામ પક્ષોએ આગળ આવીને આ મહત્વના કાયદાને સમર્થન આપ્યું. હવે મહિલાઓને આ જે હક મળ્યો છે ને, આ હકને લાગુ કરવામાં વાર ન થવી જોઈએ. હવે આ લાગુ થવો જોઈએ. હવે જે 2029માં લોકસભાની ચૂંટણીઓ થશે, હવે ત્યારથી લઈને વિધાન સભાની પણ ચૂંટણીઓ આવતી રહેશે, જે પણ ચૂંટણીઓ આવતી રહેશે, 2029થી જ આ લાગુ થઈ જવું જોઈએ. આ દેશની ભાવના છે, આ દેશની દરેક બહેન-દીકરીની ઈચ્છા છે. માતૃશક્તિની આ જ ઈચ્છાને નમન કરતા, 16 એપ્રિલથી સંસદમાં વિશેષ ચર્ચા નક્કી કરવામાં આવી છે. દેશની બહેનો-દીકરીઓના હક સાથે જોડાયેલા આ કામને, તમામ રાજકીય પક્ષો મળીને સર્વસંમતિથી આગળ વધારે, તેને પૂરું કરે. અને મેં આજે દેશની તમામ બહેનોના નામે એક ખુલ્લો પત્ર લખ્યો છે, સોશિયલ મીડિયામાં કદાચ આ મારો પત્ર આપના સુધી પહોંચ્યો હશે, હોઈ શકે છે ટીવી અને અખબારવાળા પણ આ પત્રનો ઉલ્લેખ કરતા હશે. મેં મોટા આગ્રહ સાથે દેશની માતાઓ-બહેનોને આ કાર્યમાં ભાગીદાર બનવા માટે નિમંત્રિત કરી છે. મને પાક્કો વિશ્વાસ છે કે પત્ર મારા દેશની માતાઓ-બહેનો જરૂર વાંચશે. એક એક શબ્દ પર મનન કરશે, અને આટલું મોટું પવિત્ર કાર્ય કરવા માટે 16-17-18 ને સંસદમાં આવનારા તમામ સાંસદોને તેમના આશીર્વાદ પણ મળશે. હું આજે દેવભૂમિથી દેશના તમામ પક્ષોને ફરી અપીલ કરીશ કે નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારાનું જરૂર સમર્થન કરે. 2029માં આપણા દેશની 50 ટકા જનસંખ્યા આપણી માતાઓ-બહેનો, આપણી દીકરીઓ, તેમને તેમનો હક આપણે આપીને રહીએ.
સાથીઓ, હું ઉત્તરાખંડ આવું અને ફોજની વાત ન થાય, તો વાત અધૂરી જ રહે છે. આ ગઢી કેન્ટ, આ સભા સ્થળ, આ ઉત્તરાખંડની મહાન સૈન્ય પરંપરાનું પ્રમાણ છે. અહીં પાસે જ દેશની રક્ષા સુરક્ષા સાથે જોડાયેલી ઘણી સંસ્થાઓ છે, 1962ની લડાઈમાં, શહીદ જસવંત સિંહ રાવત જીના શૌર્યને દેશ ક્યારેય ભૂલી શકે નહીં.
સાથીઓ, સેનાના સામર્થ્યને સશક્ત કરવાનું હોય, અથવા આપણા સૈનિક પરિવારોની સુવિધા અને સન્માન હોય, અમારી સરકાર તે માટે નિરંતર પ્રયત્નશીલ છે. વન રેન્ક વન પેન્શનના માધ્યમથી અમારી સરકારે, અત્યાર સુધી આશરે સવા લાખ કરોડ રૂપિયા પૂર્વ ફોજીઓને તેમના ખાતામાં જમા કરી દીધા છે. ઉત્તરાખંડના પણ હજારો પરિવારોને આનો લાભ મળ્યો છે. આ ઉપરાંત, આ વર્ષે પૂર્વ ફોજીઓ માટે health scheme નું બજેટ પણ છત્રીસ ટકા વધારવામાં આવ્યું છે. 70 વર્ષ અને તેથી વધુના ex-servicemen માટે, દવાઓની door step home delivery પણ શરૂ કરવામાં આવી છે. પૂર્વ ફોજીઓના બાળકોની એજ્યુકેશન ગ્રાન્ટ પણ ડબલ કરવામાં આવી છે. અને દીકરીઓના લગ્ન માટે જે સહાય મળે છે, તેને પણ 50 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે.
સાથીઓ, દેશભક્તિ, દેવભક્તિ અને પ્રગતિ, આવા દરેક આયામને જોડતા, આપણે દેશને વિકસિત બનાવવાનો છે. એકવાર ફરી દિલ્હી-વાસીઓને, ઉત્તર પ્રદેશ વાસીઓને, અને એક પ્રકારે દેશવાસીઓને, આ શાનદાર એક્સપ્રેસ-વેની હું ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
મારી સાથે બોલો- ભારત માતાની જય!
ભારત માતાની જય!
વંદે માતરમ!
વંદે માતરમ!
વંદે માતરમ!
વંદે માતરમ!
વંદે માતરમ!
વંદે માતરમ!
વંદે માતરમ!
ખૂબ-ખૂબ ધન્યવાદ !
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2251915)
મુલાકાતી સંખ્યા : 15