પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં કેવડિયાનાં એકતાનગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે મિશન લાઇફ(LiFE)નો શુભારંભ કર્યો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો


વિશ્વના નેતાઓ આ પહેલ બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવે છે અને સમર્થનની પ્રતિજ્ઞા લે છે
પર્યાવરણની રીતે મજબૂત નીતિઓને આગળ ધપાવવા માટે ભારતે જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેનાથી અત્યંત પ્રોત્સાહિત છું: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ

શ્રી ગુટેરેસ ગોવા સાથે પૈતૃક જોડાણ ધરાવે છે, તેમનું ગુજરાતમાં સ્વાગત કરવું એ પરિવારના એક સભ્યનું સ્વાગત કરવા જેવું છેઃ પ્રધાનમંત્રી


"આબોહવા પરિવર્તન માત્ર નીતિ નિર્માણથી વિશેષ છે"

મિશન લાઇફ જળવાયુ પરિવર્તન સામેની લડાઈને લોકતાંત્રિક બનાવે છે, જેમાં દરેક વ્યક્તિ યોગદાન આપી શકે છે"
"મિશન LiFE આપણને સૌને પર્યાવરણના ટ્રસ્ટીઝ બનાવે છે"

"મિશન LiFE પૃથ્વીના લોકોને ગ્રહ તરફી લોકો તરીકે જોડે છે"
“'રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ' અને ચક્રીય અર્થવ્યવસ્થા-સર્ક્યુલર ઇકોનોમી હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો ભાગ છે”

"પ્રગતિ અને પ્રકૃતિ કેવી રીતે ખભેખભો મિલાવીને આગળ વધી શકે છે તેનું ભારત શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયું છે"

"જ્યારે પણ ભારત અને સંયુક્ત રાષ્ટ્રએ સાથે મળીને કામ કર્યું છે, ત્યારે દુનિયાને વધુ સારું

Posted On: 20 OCT 2022 1:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયાનાં એકતા નગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી અને ત્યારબાદ મિશન લાઇફ- LiFEનો  શુભારંભ કર્યો હતો. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના તમામ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 11 દેશોના વડાઓ દ્વારા મિશન લાઇફના પ્રારંભ પર અભિનંદનના વીડિયો સંદેશાઓ પણ રિલે કરવામાં આવ્યા હતા.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસ માટે બીજાં ઘર જેવું છે અને તેમણે પોતાની યુવાનીના દિવસોમાં ઘણી વખત ભારતની મુલાકાત લીધી હતી. તેમણે વધુમાં શ્રી ગુટેરેસના ભારતનાં ગોવા રાજ્ય સાથે પૂર્વજોનાં જોડાણ તરફ ધ્યાન દોર્યું. પ્રધાનમંત્રીએ ભારતની મુલાકાત લેવાની તક ઝડપવા બદલ શ્રી ગુટેરેસનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં તેમનું સ્વાગત કરવું એ પરિવારના સભ્યનું સ્વાગત કરવા સમાન છે.

પ્રધાનમંત્રીએ મિશન લાઇફ પહેલ હાથ ધરવા બદલ ભારત પર થયેલી સાથસહકારની વર્ષા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને આ કૃપાળુ પ્રસંગે અભિનંદનના સંદેશાઓ મોકલવા બદલ તમામ દેશોના વડાઓનો આભાર માન્યો હતો. જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં એકતાનાં મહત્ત્વ પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારતનાં ગૌરવ સમાન સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી સમક્ષ મિશન લાઇફનો શુભારંભ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "વિશ્વની સૌથી મોટી પ્રતિમા નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવામાં પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે ધારાધોરણો અસાધારણ હોય છે, ત્યારે રેકોર્ડ્સ બહુ મોટા હોય છે." ગુજરાતમાં આ શુભારંભનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, પુનઃપ્રાપ્ય ઊર્જા અને આબોહવાનાં સંરક્ષણની દિશામાં પગલાં લેવાનું શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. નહેરો પર સોલર પેનલ લગાવવાની વાત હોય કે પછી રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે જળસંચયના પ્રોજેક્ટ્સ શરૂ કરવાની વાત હોય, ગુજરાત હંમેશા એક અગ્રણી અને પથદર્શક- ટ્રેન્ડસેટર તરીકે આગળ આવ્યું છે.

પ્રધાનમંત્રીએ એવી પ્રવર્તમાન વિચારસરણી તરફ ધ્યાન દોર્યું હતું કે આબોહવામાં પરિવર્તન એ માત્ર નીતિ સાથે સંબંધિત મુદ્દો છે જે એક એવી વિચાર પ્રક્રિયા તરફ દોરી જાય છે અને આ અતિ મહત્ત્વપૂર્ણ મુદ્દાને માત્ર સરકાર કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર છોડી દે છે. તેમણે જણાવ્યું હતું કે, લોકો તેમની આસપાસનાં વાતાવરણમાં પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે અને છેલ્લા થોડા દાયકાઓમાં અનપેક્ષિત આપત્તિઓ જોવા મળી છે. આનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આબોહવા પરિવર્તન માત્ર નીતિ-નિર્માણથી વિશેષ છે અને લોકો પોતે જ અનુભવી રહ્યા છે કે તેઓએ એક વ્યક્તિ, પરિવારો અને પર્યાવરણમાં સમુદાયો તરીકે યોગદાન આપવું જોઈએ.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, "મિશન લાઇફનો મંત્ર 'પર્યાવરણ માટે જીવનશૈલી' છે. મિશન લાઇફ લાભો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તે આ પૃથ્વીનાં સંરક્ષણ માટે લોકોની શક્તિઓને જોડે છે અને તેમને તેનો વધારે સારી રીતે ઉપયોગ કરવા શીખવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મિશન લાઇફ આબોહવામાં પરિવર્તન સામેની લડાઈને લોકતાંત્રિક બનાવે છે, જેમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ પ્રદાન કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, "મિશન લાઇફ આપણને પર્યાવરણની સુરક્ષા માટે આપણા રોજિંદાં જીવનમાં જે કંઈ પણ કરી શકાય તે કરવા માટે પ્રેરિત કરે છે. મિશન લાઇફ માને છે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે." તેમણે ભારતમાં વીજળીનાં બિલો ઘટાડવાં અને પર્યાવરણનાં સંરક્ષણ માટે એલઇડી બલ્બ્સ અપનાવવાનું ઉદાહરણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "તેનાથી મોટા પાયે બચત થઈ છે અને પર્યાવરણને લગતા લાભો થયા છે અને આ એક વારંવારનો કાયમી લાભ છે."

ગુજરાત એ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે એ બાબતની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તેઓ એવા વિચારકોમાંના એક હતા, જેઓ લાંબા સમય અગાઉ પ્રકૃતિ સાથે સૌહાર્દપૂર્ણ જીવન જીવવાં અને પર્યાવરણનાં સંરક્ષણનું મહત્ત્વ સમજતા હતા. તેમણે ટ્રસ્ટીશિપનો ખ્યાલ વિકસાવ્યો. મિશન લાઇફ આપણને સૌને પર્યાવરણના ટ્રસ્ટીઝ બનાવે છે. ટ્રસ્ટી એ એવી વ્યક્તિ છે જે સંસાધનોના આડેધડ ઉપયોગની મંજૂરી આપતી નથી. ટ્રસ્ટી એક પોષક તરીકે કામ કરે છે, શોષણકર્તા તરીકે નહીં"

પ્રધાનમંત્રીએ આ અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું કે, મિશન LiFE પી3 મોડલ એટલે કે પ્રો પ્લેનેટ પીપલની ભાવનાને પ્રોત્સાહન આપે છે. મિશન લાઇફ, પૃથ્વીના લોકોને ગ્રહ તરફી લોકો તરીકે જોડે છે, અને તે બધાને તેમના વિચારોમાં જોડે છે. તે 'ગ્રહની જીવનશૈલી, ગ્રહ માટે અને ગ્રહ દ્વારા' ના મૂળભૂત સિદ્ધાંતો પર કાર્ય કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને જ ભવિષ્યનો માર્ગ મોકળો થઈ શકે છે. તેમણે યાદ કર્યું હતું કે, ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા રહી છે. વેદોમાં જળ, પૃથ્વી, જમીન, અગ્નિ અને જળ જેવાં પ્રકૃતિનાં તત્વોનાં મહત્વને ચોક્કસપણે દર્શાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ અથર્વવેદને ટાંકીને કહ્યું હતું કે, "'માતા ભૂમિ પુત્રહં પૃથિવ્યાહ' એટલે કે, પૃથ્વી આપણી માતા છે અને આપણે તેનાં સંતાનો છીએ."

પ્રધાનમંત્રીએ 'રિડ્યુલ, રિયુઝ એન્ડ રિસાઇકલ'ની વિભાવના તથા ચક્રીય અર્થવયવસ્થા- સર્ક્યુલર ઇકોનોમી પર પ્રકાશ પાડ્યો હતો તથા ઉલ્લેખ કર્યો હતો કે, તે હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો હિસ્સો રહ્યું છે. દુનિયાના અન્ય ભાગો વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારની પદ્ધતિઓ પ્રચલિત છે, જે આપણને પ્રકૃતિ સાથે સૌહાર્દપૂર્ણ રીતે ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, "મિશન લાઇફ પ્રકૃતિનાં સંરક્ષણ સાથે સંબંધિત દરેક જીવનશૈલીને આવરી લેશે, જે આપણા પૂર્વજોએ અપનાવી હતી અને તેને આજે આપણી જીવનશૈલીનો ભાગ બનાવી શકાય છે."

ભારત જળવાયુ પરિવર્તનનાં સંકટને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે. આજે, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, " વિશ્વની સરેરાશ દર વર્ષે 4 ટનની સરખામણીએ ભારતમાં માથાદીઠ કાર્બન ફૂટપ્રિન્ટ વાર્ષિક માત્ર 1.5 ટનની છે." આમ છતાં ભારત જળવાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે સૌથી આગળ રહીને કામ કરી રહ્યું છે. શ્રી મોદીએ ઉજ્જવલા યોજના, દરેક જિલ્લામાં 75 'અમૃત સરોવર' જેવી પહેલ અને કચરામાંથી કંચન- waste to wealth પર અભૂતપૂર્વ ભાર વિશે વાત કરી હતી. આજે ભારત વિશ્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જા માટે ચોથા ક્રમની સૌથી મોટી ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે આપણે પવન ઊર્જામાં ચોથા અને સૌર ઊર્જામાં પાંચમા ક્રમે છીએ. છેલ્લાં 7થી 8 વર્ષમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતામાં આશરે 290 ટકાનો વધારો થયો છે. અમે સમય મર્યાદાથી 9 વર્ષ વહેલાં બિન-અશ્મિભૂત-ઇંધણ સ્ત્રોતોમાંથી 40 ટકા વીજળીની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો છે. અમે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો હતો, અને તે પણ સમયમર્યાદાના 5 મહિના પહેલાં. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન મારફતે ભારત પર્યાવરણને અનુકૂળ ઊર્જા સ્ત્રોત તરફ આગેકૂચ કરી રહ્યું છે. આનાથી ભારત અને વિશ્વના ઘણા દેશોને નેટ શૂન્યના તેમના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદ મળશે." કેવી રીતે પ્રગતિ અને પ્રકૃતિ સાથે-સાથે ખભા મેળવીને ચાલી શકે છે તેનું ભારત એક ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. હવે જ્યારે ભારત પણ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, ત્યારે આપણો વન વિસ્તાર પણ વધી રહ્યો છે અને વન્યજીવોની સંખ્યા પણ વધી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડનાં વૈશ્વિક અભિયાનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત હવે આ પ્રકારના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પોતાના સંકલ્પને વધારે મજબૂત કરવાની સાથે-સાથે વિશ્વ સાથે પોતાની ભાગીદારીમાં વધારો કરવા ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધનની રચનાનું નેતૃત્વ કરીને ભારતે પર્યાવરણનાં સંરક્ષણની દિશામાં પોતાની વિભાવનાને દુનિયા સુધી પહોંચાડી છે. મિશન લાઇફ આ શ્રેણીમાં આગામી પગલું છે,” એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ એ હકીકતની નોંધ લીધી હતી કે, જ્યારે પણ ભારત અને સંયુક્ત રાષ્ટ્રએ ખભેખભો મિલાવીને કામ કર્યું છે, ત્યારે દુનિયાને શ્રેષ્ઠ સ્થળ બનાવવાની નવી રીતો શોધી કાઢવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ ટેકો આપ્યો હતો. આજે તે વિશ્વભરના લાખો લોકોને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી રહ્યું છે." આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષનું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષને સંયુક્ત રાષ્ટ્રને ઊંડો ટેકો મળ્યો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત દુનિયાને તેનાં પરંપરાગત અને પર્યાવરણને અનુકૂળ, બરછટ અનાજ સાથે જોડવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ પર સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. તેમણે ઉમેર્યું હતું કે, "મિશન લાઇફ તેને દુનિયાનાં દરેક ખૂણે, દરેક દેશમાં લઈ જવામાં સફળ રહેશે." "આપણે આ મંત્રને યાદ કરવાનો છે – પ્રકૃતિ રક્ષા રક્ષિતા, એટલે કે, જે લોકો પ્રકૃતિનું રક્ષણ કરે છે, પ્રકૃતિ તેમની રક્ષા કરે છે. હું માનું છું કે આપણે આપણાં મિશન લાઇફને અનુસરીને એક વધુ સારી દુનિયાનું નિર્માણ કરીશું,” એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે આપણા ગ્રહ માટે આ જોખમી સમયમાં આપણને તૂતક પર સૌના હાથની જરૂર છે. જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટ- Lifestyle For Environment - LIFE પહેલ આવશ્યક અને આશાવાદી સત્યોને ઉજાગર કરવા માટે બનાવવામાં આવી છે. આપણે સૌ, વ્યક્તિઓ અને સમુદાયો, આપણા ગ્રહ અને આપણાં સામૂહિક ભવિષ્યોનું રક્ષણ કરવાના ઉકેલનો ભાગ બની શકીએ છીએ અને હોવા જ જોઈએ. છેવટે, વધુ પડતો વપરાશ આબોહવા, પરિવર્તન, જૈવવિવિધતાનાં નુકસાન અને પ્રદૂષણની ત્રિવિધ ગ્રહની કટોકટીનાં મૂળમાં છે. આપણે આપણી જીવનશૈલીને ટેકો આપવા માટે 1.6 ગ્રહ પૃથ્વીની સમકક્ષનો ઉપયોગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, આ મોટો અતિરેક મોટી અસમાનતાને કારણે વધ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, લાઇફ (LiFE) અભિયાનની પહેલ સમગ્ર દુનિયામાં ફેલાશે. "પર્યાવરણને અનુકૂળ નીતિઓને આગળ ધપાવવા માટે ભારતે જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને ટેકો આપીને પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોકાણમાં નોંધપાત્ર વધારો કરવાની તેની પ્રતિબદ્ધતાથી હું અત્યંત પ્રોત્સાહિત થયો છું. આપણે પુનઃપ્રાપ્ય ક્રાંતિને વેગ આપવાની જરૂર છે અને હું આ એજન્ડાને આગળ વધારવા માટે ભારત સાથે કામ કરવા આતુર છું." ઇજિપ્તમાં આગામી સીઓપી 27 વિશે વાત કરતા, સેક્રેટરી જનરલે કહ્યું કે આ પરિષદ પેરિસ કરારના તમામ આધારસ્તંભો પર વિશ્વાસ જાહેર કરવા અને કાર્યવાહીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ રાજકીય તક રજૂ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, "આબોહવાની અસરો પ્રત્યેની તેની ભેદ્યતા અને તેનાં વિશાળ અર્થતંત્ર સાથે ભારત મહત્વપૂર્ણ સેતુની ભૂમિકા ભજવી શકે છે."

મહાત્મા ગાંધીને ટાંકીને શ્રી ગુટેરેસે કહ્યું હતું કે, "વિશ્વ પાસે દરેકની જરૂરિયાતો માટે પૂરતું છે, પરંતુ દરેકની લાલચ માટે પૂરતું નથી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણે પૃથ્વીનાં સંસાધનો સાથે ડહાપણ અને આદરથી વર્તવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે અર્થતંત્રો અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું, જેથી આપણે પૃથ્વીનાં સંસાધનોને વાજબી રીતે વહેંચી શકીએ અને આપણને જેની જરૂર હોય તે જ લઈ શકીએ. તેમણે દરેકને ભારત પર ભરોસો રાખવા પણ વિનંતી કરી હતી, કેમ કે તે જી-20ના પ્રમુખપદની જવાબદારી સંભાળે છે, જેથી તેના ઇતિહાસ, તેની સંસ્કૃતિ અને તેની પરંપરાને સંપૂર્ણપણે અનુરૂપ સ્થિરતાના નવા યુગની શરૂઆત કરવામાં મદદ મળી શકે."

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી સુબ્રહ્મણ્યમ જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

મિશન લાઇફનો ઉદ્દેશ સ્થિરતા તરફના આપણા સામૂહિક અભિગમને બદલવા માટે ત્રિપાંખિયા વ્યૂહને અનુસરવાનો છે. પહેલું એ છે કે વ્યક્તિઓને તેમનાં રોજિંદા જીવનમાં (માગ) સરળ છતાં અસરકારક પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ક્રિયાઓનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કરવી; બીજું એ છે કે ઉદ્યોગો અને બજારોને બદલાતી માગ (પુરવઠો) સામે ઝડપથી પ્રતિસાદ આપવા માટે સક્ષમ બનાવવા અને; ત્રીજું એ છે કે ટકાઉ વપરાશ અને ઉત્પાદન (નીતિ) બંનેને ટેકો આપવા માટે સરકાર અને ઔદ્યોગિક નીતિને પ્રભાવિત કરવી.


*****

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1869530) Visitor Counter : 324