પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રથમ અરૂણ જેટલી વ્યાખ્યાન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 08 JUL 2022 11:24PM by PIB Ahmedabad

નમસ્કાર,
આજનો દિવસ મારા માટે ના પુરાય તેવી ખોટ અને અસહનીય પીડાનો દિવસ છે. મારા ઘનિષ્ઠ મિત્ર અને જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી શિંજો આબે આપણી વચ્ચે રહ્યા નથી. આબે મારા તો સાથી હતા જ પરંતુ તે ભારતના જ પણ એટલા જ વિશ્વસનીય મિત્ર હતા. તેમના કાર્યકાળમાં ભારત જાપાનમાં તેમના જે આપણા રાજકીય સંબંધ હતા તેને નવી ઊચાઈ પ્રદાન થઈ છે, અમે બંને દેશના સહિયારા વારસા સાથે સંકળાયેલા સંબંધોને પણ આગળ ધપાવ્યા હતા. આજે ભારતની વિકાસની જે ગતિ છે, જાપાનના સહયોગથી આપણે ત્યાં જે કાર્ય થઈ રહ્યા છે તેના મારફતે શિંજો આબેજી ભારતના જનમાનસ પર વર્ષોના વર્ષો સુધી વસેલા રહેશે. હું ફરી એક વાર દુઃખી મનથી મારા મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

સાથીઓ,
આજનું આ આયોજન મારા અને એક ઘનિષ્ઠ મિત્ર અરૂણ જેટલીજીને સમર્પિત છે. ભૂતકાળના દિવસોને યાદ કરીએ છીએ તો તેમની ઘણી સારી બાબતો, તેમની સાથે સંકળાયેલા પ્રસંગો સ્વાભાવિકપણે જ યાદ આવી જાય છે અને ત્યાં તેમના ઘણા બધા પુરાણા સાથીઓને હું જોઈ રહ્યો છું. તેમની શૈલીના અમે દીવાના હતા અને તેમના વન લાઇનર તો લાંબા સમય  સુધી હવામાં ગૂંજતા રહેતા હતા. તેમનું વ્યક્તિત્વ વિવિધતાથી ભરેલું હતું અને તેમના સ્વભાવ સર્વમિત્ર ધરાવનારો હતો. આ જેટલા પણ લોકો દેખાય છે પ્રત્યેકની અલગ અલગ દુનિયા છે પરંતુ તમામ લોકો અરૂણ જેટલીના મિત્ર હતા. આ અરૂણ જેટલીની સર્વમિત્રની વિશેષતા હતી અને તેમના વ્યક્તિત્વની આ ખૂબીને આજે પણ સૌ યાદ કરે છે અને દરેક અરૂણની કમી અનુભવે છે.
હું અરૂણ જેટલીને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

સાથીઓ,
અરૂણજીને સ્મૃતિમાં આ પ્રવચનનો જે વિષય રાખવામાં આવ્યો છે ગ્રોથ થ્રુ ઇનક્લ્યુઝિવિટી (સમાવેશીતા દ્વારા વિકાસ) તે સરકારની વિકાસ નીતિનો મૂળ મંત્ર છે. હું થર્મન જીનો વિશેષરૂપથી આભારી છું કે તેમણે અમારા આમંત્રણનો સ્વિકાર કર્યો અને મેં ઘણી વાર તેમને સાંભળ્યા પણ છે. તેમને હું વાંચતો પણ રહ્યો છું. તેમની વાતોમાં, તેમના અધ્યયનમાં તેઓ માત્ર ભારતમાં જ બોલતા હોય ત્યારે નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ જ્યારે જાય છે તો ઘણું સંશોધન કરે છે, સ્થાનિક સ્પર્શ તેમના દરેક એકેડમિક વિચારોમાં, તેમની ફિલોસોફીમાં એકદમ સચોટ રીતે તેઓ સ્પષ્ટ કરે છે, આજે પણ આપણે સૌએ તે અનુભવ કર્યો. ખૂબ સરસ શૈલીમં તેમણે વૈશ્વિક પરિસ્થિતિથી લઈને આપણા દેશના બાળકો સુધી આપણને લઈ આવ્યા. હું તેમનો ખૂબ આભારી છું તેમણે સમય કાઢ્યો.

સાથીઓ,
જે વિષય પર અહીં ચર્ચા થઈ રહી છે, જે વિષયને લઈને અરૂણ જેટલી વ્યાખ્યાનથી આપણો પ્રારંભ થયો છે તેને જો હું સરળ ભાષામાં કહું તો આ થીમ મારી સીધી ભાષામાં હું કહીશ, સૌનો સાથ સૌનો વિકાસ. પરંતુ તેની સાથે જ આ વ્યાખ્યાનની થીમ, આજના નીતિ ઘડનારાઓની સામે આવી રહેલા પડકારો અને અગવડોને પણ હસ્તગત કરી લે છે.
હું આપ સૌને એક સવાલ કરવા માગું છું. શું સમાવેશ વિના યોગ્ય વિકાસ શક્ય છે ? સરકારના વડા તરીકે મને 20 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી કાર્ય કરવાની તક મળી છે અને મારા અનુભવોનું તારણ એ જ છે કે સમાવેશ વિના સાચો વિકાસ શક્ય જ નથી. અને વિકાસ વિના સમાવેશીનો લક્ષ્યાંક પણ પૂરો કરી શકાતો નથીઅને તેથી જ અમે સમાવેશી દ્વારા વિકાસનો માર્ગ અપનાવ્યો છે, સૌના સમાવેશનો પ્રયાસ કર્યો. છેલ્લા આઠ વર્ષમાં ભારતે સમાવેશી માટે જે ઝડપથી કામ કર્યું છે, જે વ્યાપમાં કાર્ય કર્યા છે તેવું ઉદાહરણ તમને સમગ્ર વિશ્વમાં નહીં મળે. છેલ્લા આઠ વર્ષમાં ભારતે નવ કરોડથી વધારે મહિલાઓને વિના મૂલ્યે ગેસ જોડાણ આપ્યા છે. આ સંખ્યા સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ન્યૂઝીલેન્ડ જેવા દેશની વસતિને પણ એક તરફ રાખી દે તો તેના કરતાં પણ વધારે હોવી જોઇએ. એટલે કે તમે વ્યાપ જૂઓ, વીતેલા આઠ વર્ષમાં ભારતે દસ કરોડથી વધારે ટોયલેટ બનાવીને ગરીબોને આપ્યા છે. થર્મનજીએ તેના પ્રભાવમાં આવીને ઉલ્લેખ કર્યો છે. આ સંખ્યા સાઉથ કોરિયાની કુલ વસતિ કરતાં બમણાથી વધારે છે. વીતેલા આઠ વર્ષમાં ભારતે 45 કરોડથી વધારે જનધન બેંક ખાતા ખોલાવ્યા છે. આ સંખ્યા પણ જાપાન, જર્મની, બ્રિટન, ઇટાલી, મેક્સિકોની કુલ વસતિની નજીક નજીકની બરાબરી પર છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતે ગરીબોને ત્રણ કરોડ પાક્કા મકાન બનાવીને આપ્યા છે. અને મને યાદ છે હું એક વાર આપના જ મંત્રી પરિષદના સાથી ઇશ્વરન સાથે મારી વાત થઈ રહી હતી. તેઓ સિંગાપોરના મંત્રી છે અને હું જ્યારે તેમને આ વ્યાપ દર્શાવી રહ્યો હતો તો ઇશ્વરને મને કહ્યું કે આપે તો દર મહિને એક નવું સિંગાપોર બનાવવું પડશે.
 
હું તમને સમાવેશી દ્વારા વિકાસ, વિકાસ દ્વારા સમાવેશીનું વધુ એક ઉદાહરણ આપવા માગું છું. ભારતમાં થોડા વર્ષ અગાઉ અમે આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેનો ઉલ્લેખ થર્મનજીએ કર્યો અને આવનારા પ્રમુખ ક્ષેત્રમાં તેમણે આરોગ્ય ક્ષેત્રની પણ ચર્ચા કરી છે. આ યોજનાને કારણે 50 કરોડથી વધુ ગરીબોને સારામાં સારી હોસ્પિટલમાં અને હિન્દુસ્તાનમાં ક્યાંય પણ પાંચ લાખ રૂપિયા સુધીની વિના મૂલ્યે સારવાર સુનિશ્ચિત થઈ શકી છે. 50 કરોડ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની વિના મૂલ્યે સારવાર. છેલ્લા ચાર વર્ષમાં આયુષ્માન ભારત યોજનાને કારણે દેશમાં સાડા ત્રણ કરોડથી વધારે લોકોએ પોતાની સારવાર વિના મૂલ્યે કરાવી છે. અમે આ યોજનામાં સમાવેશી પર ધ્યાન કેન્દ્રીત કર્યું, ગરીબમાં ગરીબ હોય, છેલ્લી હરોળમાં બેઠો હોય તેને પણ આરોગ્ય અંગે સારામાં સારી સવલત મળે અને સમયની સાથે અમે જોયું કે તે પાસું સમાવેશીનું છે પરંતુ સમયે એ દર્શાવ્યું કે તેનાથી વિકાસનો માર્ગ પણ બને છે. જે અગાઉ નજરઅંદાજ કર્યો હતો તે વિકાસની મુખ્યધારા સાથે અમે જોડાયા, તો માગ પણ વધી અને વિકાસ માટે શક્યતાઓનો પણ વ્યાપ વધ્યો. જ્યારે ભારતની એક તૃતિયાંશ વસતિ જે અગાઉ બહેતર આરોગ્ય સુવિધાથી દૂર હતી તેને સારવારની સવલત મળી તો તેની સીધી અસર એ થઈ કે હેલ્થકેર ક્ષમતાને તેના મુજબ પોતાને વધારે મજબૂત થવું પડ્યું. હું તમને કહું કે આયુષ્માન ભારત યોજનાએ કેવી રીતે સમગ્ર હેલ્થકેર ક્ષેત્રને કેવી રીતે બદલી નાખ્યું. 2014 અગાઉ આપણા દેશની સરેરાશ હતી દસ વર્ષમાં લગભગ 50 મેડિકલ કોલેજ બનતી હતી. જ્યારે ભારતમાં છેલ્લા સાતથી આઠ વર્ષમાં અગાઉની સરખામણીએ ચાર ગણી એટલે કે લગભગ 209 નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. હવે તમે કલ્પના કરી શકો છો કે ક્યાં 50 અને ક્યાં 209 અને આવનારા આગામી દસ વર્ષમાં આ હિસાબ માંડીશ તો તે સંખ્યા વધારે આગળ ધપનારી છે આ આંક 400 સુધી પહોંચનારો છે. છેલ્લા સાતથી આઠ વર્ષમાં ભારતમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ બેઠકમાં 75 ટકાનો વધારો થયો છે. ભારતમાં હવે વાર્ષિક કુલ મેડિકલ બેઠકની સંખ્યા વધીને લગભગ બમણી થઈ ગઈ છે. એટલે કે જ્યાં દેશને વધારે ડૉક્ટર મળી રહ્યા છે તો દેશમાં અત્યંત ઝડપથી આધુનિક તબીબી માળખાનું નિર્માણ થઈ રહ્યું છે. સમાવેશીકરણ માટે લાવવામાં આવેલી આ યોજનાનો વાસ્તવિક વિકાસની દૃષ્ટિએ પણ આવડો મોટો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. આપણે તેનું આંકલન કરી શકીએ છીએ. અને હું તો આપને આવી ડઝનબંધ યોજના ગણાવી શકું છું.
ભારતના ડિજિટલ ઇન્ડિયા અભિયાને જેનો ઉલ્લેખ થર્મનીજીએ કર્યો લગભગ પાંચ લાખ કોમન સર્વિસ સેન્ટરે ગામડામાં રહેનારા ગરીબ સુધી પણ ઇન્ટરનેટની શક્તિને પહોંચાડી છે. ભારતની ભીમ-યુપીઆઈએ કરોડો ગરીબોને ડિજિટલ પેમેન્ટની સવલત સાથે સાંકળી લીધા છે. ભારતની સ્વનિધી યોજનાએ લારી-ગલ્લાવાળા સાથીઓને બેંકિંગ વ્યવસ્થા સાથે સંકળાવાની તક પૂરી પાડી છે. જે આપણે ત્યાં નગરપાલિકામાં, મહાનગર પાલિકામાં જે લારી ગલ્લાવાળા હોય છે જેમની સાથે આપણો દરરોજનો સંબંધ હોય છે. બેંક મેનેજર હશે તેમના ઘરમાં રોજ ફેરિયાઓ માલ આપતા હશે પરંતુ તે લોકોની બેંકમાં જગ્યા નહીં હોય, આ હાલત હતી પણ આજે અમે તેમને સાંકળી લીધા છે. આ જ રીતે ભારતે એક મોટું કામ કર્યું છે, દુનિયા તેમની ઉપર ઘણા દિવસોથી જે અર્થશાસ્ત્રીઓ છે તે લખી રહ્યા છે અને મોટી મોટી એજન્સીઓ તેનું રેટિંગ પણ કરી રહી છે.
ભારતની એક પહેલ છે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, દેશના 100થી વધુ જિલ્લામાં રહેનારા કરોડો સાથીઓનું ઉત્થાન થઈ રહ્યું છે. અને આ મહત્વાકાંક્ષા જિલ્લાઓની કલ્પના એ છે કે હિન્દુસ્તાનના અન્ય જિલ્લાઓની સરખામણીએ તે પાછળ રહી ગયા છે તેમની આકાંક્ષાઓને અમે પૂરી કરી શકીએ. તે જિલ્લાઓને એ રાજ્યની મોખરાની સ્થિતિની બરાબરી સુધી લઈ જઈ શકીએ અને પછી ધીમે ધીમે તેમને રાષ્ટ્રની ટોચની બરાબરી સુધી લઈ આવીએ.

સાથીઓ,
આ બાબતની એટલી બધી સકારાત્મક અસર થઈ છે અને એક પ્રકારે આ 100 જિલ્લાનું સમાવેશીકરણ થઈ રહ્યું છે વિકાસની દુનિયામાં. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને આ ઘણો મોટો કોઠો છે અને શિક્ષણ પર પણ થર્મનજીએ ઘણો ભાર મૂક્યો છે. પોતાની વાતચીતમાં ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માતૃભાષામાં અભ્યાસ પર ભાર મૂકી રહી છે. જે અંગ્રેજી જાણતા નથી, જે વંચિત છે તેમને હવે માતૃભાષામાં અભ્યાસ કરીને આગળ વધવાની તક  મળશે. ભારતની ઉડાન યોજના, તેનાથી દેશમાં અમે ઘણા એરપોર્ટને જીવંત કરી દીધા છે, નવા એરપોર્ટ બનાવ્યા, દૂર દૂર ટાયર 2, ટાયર 3 સિટીમાં અમે પહોંચી ગયા અને ઉડાન યોજના લાવ્યા, નિશ્ચિત રકમમાં હવાઈ યાત્રાની એક રચના કરી. ભારતની ઉડાન યોજનાએ દેશના અલગ અલગ ખૂણાને હવાઈ માર્ગથી સાંકળી લીધો છે. ગરીબને પણ હવે વિમાનમાં મુસાફરી કરવાનો જૂસ્સો આપ્યો છે. અને હું કહેતો હતો હવાઈ ચપ્પલ પહેરનારો પણ હવે હવાઈ જહાજમાં બેસશે. એટલે કે સમાવેશીકરણ થઈ રહ્યું છે, વિકાસ પણ થઈ રહ્યો છે તેનું આ પરિણામ છે. આજે ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રનો એટલો વિકાસ થઈ રહ્યો છે કે ભારત માટે એક હજારથી વધારે નવા એરક્રાફ્ટનું બુકિંગ થયું છે. આ દેશમાં એક હજારથી વધુ નવા એરક્રાફ્ટ ખરીદવા કેમ કે મુસાફરવાળા સમાવેશીકરણનો અમારો જે અભિગમ રહ્યો તેનું આ પરિણામ છે.
હમણાં જ થર્મનજીએ જેની વાત કરી જે મેં ગુજરાતમાં ખૂબ જ અગ્રીમતાથી કાર્ય કર્યું હતું જળ જીવન મિશન. દેશના દરેક ઘરને પાઇપલાઇન જળ પુરવઠાથી જોડવાનું. નળથી જળ અને માત્ર આ પાણી મળતું જ નથી પરંતુ તેનાથી તેમનો સમય બચે છે, તકલીફો ઘટે છે, કપરી પરિસ્થિતિમાં પાણીની મોટી ભૂમિકા રહે છે. આ તમામ દૃષ્ટિએ આ મિશન ખૂબ મોટા સામાજિક જીવન અને જેમણે બાળકોના ન્યુટ્રિશનનો ઉલ્લેખ કર્યો તેનો સંબંધ પણ પાણી સાથે જ છે. શુદ્ધ પાણી, પીવાનું શુદ્ધ પાણી તે પણ ન્યૂટ્રિશન માટે બાળકોને માટે મહત્વપૂર્ણ વિષય છે અને અમારું નળથી જળનું અભિયાન આ સમસ્યાને પણ પહોંચી વળવા માટેના એક ઘણા મોટા અભિયાનનો એક હિસ્સો છે. માત્ર ત્રણ જ વર્ષમાં આ મિશને છ કરોડથી વધારે ઘરોને પાણીના કનેક્શનથી સાંકળી લીધા છે. ભારતમાં મોટા પાયે હિસાબ કરીએ તો 25થી 27 કરોડ ઘર છે, તેમાંથી છ કરોડ ઘરોને પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે જી. આ સમાવેશીકરણ આજે દેશના સામાન્ય માનવીના જીવનને આસાન બનાવી રહ્યું છે. તેમને આગળ ધપવાનો જૂસ્સો આપી રહ્યું છે. અને કોઈ પણ દેશના વિકાસમાં તેનું કેટલું મહત્વ છે તે તમે અર્થ જગતના લોકો જે અહીં બેઠા છે તે આ વાતને સારી રીતે જાણે છે.
હું તમને વધુ એક ઉદાહરણ આપીશ. તમે પણ જાણો છો  અને એ તો જોયું છે કે યુએનમાં પણ તેની ચર્ચા થઈ છે. એસડીજીમાં પણ તેના વિકાસકીય લક્ષ્યાંકના આ મુદ્દા પર ચર્ચા થતી હોય છે અને એ શું છે દુનિયામાં દાયકાઓથી અનેક દેશોમાં મિલકત અધિકાર આ એક મોટો મુદ્દો બનેલો છે. અને જ્યારે મિલકત અધિકારની વાત કરીએ છીએ તો ત્યારે સમાજના જે પછાત લોકો હોય છે તેઓ સૌથી વધુ ચિંતિત હોય છે. તેમની પાસે કોઈ દસ્તાવેજ હોતા નથી. સૌથી વધારે મુશ્કેલીનો તેમને સામનો કરવો પડતો હોય છે. પરંતુ તમને જાણીને આનંદ થશે કે ભારતે આ દિશામાં જે કામ કર્યું છે તે અભૂતપૂર્વ છે. અને હું માનું છું કે દુનિયાના એકેડેમિશિયન, દુનિયાના અર્થશાસ્ત્રીઓ આ વિષય પર અભ્યાસ કરશે અને દુનિયાની સામે આ વિષય પ્રસ્તુત કરશે કે સ્વામિત્વ યોજનાના માધ્યમથી દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં મકાનો અને ઇમારતોના મેપિંગનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતના દોઢ લાખ ગામડાઓમાં આ કાર્ય અમે ડ્રોનની મદદથી કરી રહ્યા છીએ. ડ્રોનથી સર્વે થાય છે અને ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થાય છે અને આ તમામ પ્રક્રિયા થતી હોય ત્યારે સમગ્ર ગામ ત્યાં હાજર હોય છે અને દોઢ લાખથી વધુ ગામમાં આ સર્વે પૂરો થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 37 હજાર ચોરસ કિલોમીટર જમીનના મેપિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેનો અર્થ એ થયો કે ઘરો સાથે સંકળાયેલી જમીન વાળા અને 80 લાખથી વધુ લોકો માટે પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે અને આ પણ જે માલિક છે તેની મંજૂરીથી થતું હોય છે. તેમની સાથે વિચાર વિમર્શ થાય છે, તેમની અડોશ પડોશના લોકો સાથે વિચાર વિમર્શ થાય છે એક લાંબી પ્રક્રિયા છે અને તેનો અર્થ એ થયો કે તેનાથી ગામડાના લોકોને બેંક લોન મળવી આસાન બની જશે અને તેમની જમીન પણ કાનૂની વિવાદોથી બચી રહી છે.

સાથીઓ,
આજે ભારત ફરજિયાત સુધારા નહીં પરંતુ તેને બદલે પ્રતિતિ દ્વારા સુધારાથી આવનારા 25 વર્ષનો રોડમેપ તૈયાર કરી રહ્યું છે. દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરે ત્યારે દેશ ક્યાં હશે તે લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આજે રોડમેપ તૈયાર કરીને આગળ ધપી રહ્યા છીએ. દાયકાઓ અગાઉ દેશે એ જોયું હતું કે જ્યારે કોઈ સુધારા મજબૂરીમાં થાય છે તો તેના સંસ્થાકીયકરણની આશા ઘણી ઓછી રહે છે.
જેવી મજબૂરી પૂરી થાય છે તે સાથે જ સુધારાને ભુલાવી દેવામાં આવે છે. સુધારા એટલે કે રિફોર્મ જેટલા જરૂરી હોય છે એટલું જ જરૂરી એ વાતાવરણ, પરિસ્થિતિ હોય છે, પ્રેરક હોય છે. અગાઉ ભારતમાં એ સુધારા ત્યારે  જ થતા હતા જ્યારે અગાઉની સરકાર પાસે અન્ય કોઊ માર્ગ બચતો ન હતો. અમે સુધારાને જરૂરી દુશ્મન તરીકે નહીં પરંતુ એ ફાયદાકારક પસંદગી તરીકે માનીએ છીએ. જે રાષ્ટ્રહિતમાં પણ છે અને સમાજના હિતમાં પણ છે. તેથી જ છેલ્લા આઠ વર્ષમાં અમે જે સુધારા કર્યા તેણે નવા સુધારા માટે માર્ગ તૈયાર કર્યો છે.
અરૂણજી આજે જ્યાં પણ હશે તેઓ સંતુષ્ટ હશે કે તેઓ જે મિશનમાં ભાગીદાર રહ્યા તેનો લાભ આજે દેશને મળી રહ્યો છે. જીએસટી હોય કે આઈબીસી તેના વિશે વર્ષો સુધી ચર્ચા થતી રહી આજે તેની સફળતા આપણી સામે છે. કંપની એક્ટનું નિરપરાધિકરણ કરવાનું હોય, કોર્પોરેટ ટેક્સને સ્પર્ધાત્મક બનાવવા હોય, સ્પેસ, કોલસાની ખાણ અને પરમાણું ક્ષેત્ર શરૂ કરવાના હોય આવા અનેક સુધારા આજે 21મી સદીના ભારતનું સત્ય છે.

સાથીઓ,
અમારી નીતિનું ઘડતર પ્રજાની નાડી આધારિત છે. અમે વધુને વધુ લોકોને સાંભળીએ છીએ, તેમની જરૂરિયાત, તેમની આકાંક્ષા, અપેક્ષાઓને સમજીએ છીએ. પ્રજાની લાગણી મુજબ નિર્ણય લેવા અને લોકવાદ સામે હથિયાર હેઠાં મૂકી દેવાનો શું અર્થ છે તે કોવીડની મહામારીના સમયમાં હિન્દુસ્તાને જોયું છે અને જોયું જ નથી સમગ્ર દુનિયાને દેખાડી દીધું છે. મોટા મોટા અર્થશાસ્ત્રી કહી રહ્યા હતા મહામારીના સમયમાં જ્યારે મહામારી આવી ત્યારે સમગ્ર દુનિયા બેલ આઉટ પેકેજ માટે, માગ આધારિત વસુલાત માટે અને એક લોકશાહી આવેગનું અમારી ઉપર પણ દબાણ હતું અને અમારી ટીકા થતી રહેતી હતી આ લોકો કાંઈ કરી રહ્યા નથી, કાંઈ જોઈ રહ્યા નથી ખબર નહીં અમારા માટે શું શું કહેવામાં આવી રહ્યું હતું. એમ પણ કહેવાતું હતું કે આ લોકો ઇચ્છે છે, નિષ્ણાતો એમ ઇચ્છે છે કે મોટા મોટા વિદ્વાનો આમ ઇચ્છે છે. પરંતુ ભારત દબાણમાં આવ્યું નહીં અને તેણે એક અલગ જ અભિગમ અપનાવ્યો અને ખૂબ જ સમજદારી સાથે શાંત ચિત્તે આ અભિગમ અપનાવ્યો. અમે પ્રજા પહેલાના અભિગમ સાથે ગરીબોને સુરક્ષા પ્રદાન કરી, મહિલાઓ, ખેડૂતો, એમએસએમઈઓ પર ધ્યાન આપ્યું. અમે દુનિયા કરતાં અલગ એટલા માટે કરી શક્યા કેમ કે અમે પ્રજાની નાડી પારખી એટલે કે પ્રજા શું ઇચ્છે છે, તેમની શું સમસ્યા છે તેની લાગણી છે. તેથી જ ભારતની રિકવરી અને અન્ય વિશ્વની રિકવરીમાં ઘણો ફરક છે જે સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

સાથીઓ,
હું અવારનવાર લઘુત્તમ સરકાર અને મહત્તમ સંચાલનનો આગ્રહ રાખું છુ. અમારી સરકારે એવા દોઢ હજાર કાયદાઓને નાબૂદ કર્યા છે જે લોકોના જીવનમાં બિનજરૂરી રીતે દખલગીરી કરતા હતા. અને મને યાદ છે કે 2013માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને પ્રધાનમંત્રીનો ઉમેદવાર બનાવ્યો હતો. 2014માં ચૂંટણી યોજાનારી હતી ત્યારે  આ જ દિલ્હીમાં વેપારી લોકોએ મને એક કાર્યક્રમ માટે બોલાવ્યો હતો અને એ થોડું ગરમ મિજાજનું વાતાવરણ હતું. શું કરશો, કેટલું કરશો, આ કરશો, પેલું કરશો તેમ સૌ પૂછી રહ્યા હતા. આ કાનૂન બનાવશો નહીં પેલો કાયદો બનાવજો, આવું મોટું દબાણ હતું, ઉમેદવાર હતો, ચૂંટણીના દિવસો હતા તો અમે પણ જરા....મેં કહી દીધું તમે કાનૂન બનાવવા માગો છો તો હું તમને વચન આપું છું કે હું દરરોજ એક કાનૂન નાબૂદ કરીશ, નવા બનાવવાની ગેરન્ટી આપતો નથી, નાબૂદ જરૂર કરીશ. અને પ્રથમ પાંચ વર્ષમાં દોઢ હજાર કાનૂન નાબૂદ કરવાનું કામ કરી નાખ્યું જે સામાન્ય પ્રજા પર બોજો બની ગયા હતા.

સાથીઓ,
તમને જાણીને આનંદ થશે તે અમારી સરકારે 30 હજાર કરતાં પણ વધારે એટલે કે આંકડા પર પણ તમે ચોંકી જશો, 30 હજારથી પણ વધારે એવા ફરજિયાત પાલનને પણ ઘટાડી દીધા છે જે બિઝનેસ કરવામાં સરળતા અને સરળ જીવનમાં અવરોધ બનેલા હતા. 30.000 ફરજિયાત પાલનને નાબૂદ કરી દેવા એટલે કે જનતા જનાર્દનનો કેવો અભૂતપૂર્વ વિશ્વાસનો યુગ આવ્યો છે. તેનું પરિણામ હોય છે આવી ફરજના બોજામાંથી પ્રજાને મુકત કરી રહ્યા છીએ. અને મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતુ હું ઇચ્છું છું કે સરકાર લોકોના જીવનમાંથી જેટલી બહાર ચાલી જાય તેટલી અમે બહાર કાઢવા માગીએ છીએ. લોકોના જીવનમાંથી સરકાર, સરકાર, સરકાર, સરકારનો પ્રભાવ ઓછામાં ઓછો હોય પરંતુ જેમને સરકારની જરૂર છે તેમને સરકારનો અભાવ ન હોય આ બંને વિષયોને લઈને અમે આગળ ચાલવાનો પ્રયાસ કર્યો છે. આજે મને તમને કહેતા સંતોષ છે કે લધુત્તમ સરકારનું વલણ મહત્તમ પરિણામ આપી રહી છે. અમે ખૂબ જ ઝડપથી અમારી ક્ષમતાનો વ્યાપ વધારી રહ્યા છીએ અને તેના પરિણામ આપની સામે છે. કોવીડ વેક્સિનનું જ ઉદાહરણ લો. આપણા દેશના ખાનગી ક્ષેત્રએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે પરંતુ તેના પાછળ પ્રક્રિયામાં ભાગીદાર તરીકે સરકાર સંપૂર્ણ તાકાત સાથે ઊભી રહી હતી. વાયરસ આઇસોલેશનથી લઈને ઝડપી પરિક્ષણ સુધી, ફંડિંગથી લઈને રેપિડ રોલ આઉટ સુધી જે કંપનીઓ વેક્સિનનું નિર્માણ કરી રહી હતી તેમને સરકારનો ભરપુર સહયોગ મળ્યો હતો. અન્ય એક ઉદાહરણ આપણી સ્પેસ ઇકોસિસ્ટમનું છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વિશ્વસનીય અને અત્યાધુનિક સ્પેસ સર્વિસ પ્રદાતા પૈકીનું એક છે. આ ક્ષેત્રમાં આપણી ખાનગી ક્ષેત્રની ઇકોસિસ્ટમ શાનદાર કામ કરી રહી છે. પરંતુ તેની પાછળ પણ પ્રક્રિયામાં ભાગીદારના રૂપમાં સરકારની સમગ્ર શક્તિ છે જે તેને તમામ સવલત અને માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી રહી છે. જ્યારે આપણે ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનું ઉદાહરણ લઈએ છીએ તો આપણે ત્યાં ફિનટેકની સાથે જ ડિજિટલ  પેમેન્ટ સાથે સંકળાયેલા ઘણા ભાગીદાર છે. પણ અહીં પણ જૂઓ તો તેની પાછળ જામ ટ્રિનિટી, રૂપે, યુપીઆઈ અને સમર્થક નીતિનો મજબૂત આધાર છે. અહીં મેં માત્ર કેટલાક ઉદાહરણ જ આપની સમક્ષ રજૂ કર્યા છે. પરંતુ હું તેને દુનિયા માટે એક સંશોધનનો વિષય માનું છું. શૈક્ષણિક જગતને ઊંડાણપૂર્વક જાણવા માટે આહવાન આપું છું, દુનિયાભરના અર્થશાસ્ત્રીઓને આમંત્રણ આપું છું, આવો અને તેની બારીકાઇઓને જૂઓ. આ વિશાળ દેશ અનેક વિવિધ આવશ્યકતાઓ અને એ તમામ છતાં અમે કેવી રીતે આગળ ધપી રહ્યા છીએ. એક રીતે જૂઓ તો હવે માત્ર ખાનગી ક્ષેત્ર કે સરકારી વર્ચસ્વ ધરાવતા મોડેલની વાતો જૂની થઈ ગઈ છે. હવે સમય છે જ્યારે સરકાર ખાનગી ક્ષેત્રને પ્રક્રિયામાં ભાગીદાર માનીને તેને પ્રોત્સાહિત કરે અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

સાથીઓ,
સૌને સાથે લઈને ચાલતા, દેશના જાહેર અને ખાનગી બંને ક્ષેત્ર પર ભરોસો કરવાની આ ભાવના છે જેને કારણે આજે ભારતમાં વિકાસ માટે અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે આપણી નિકાસ નવા વિક્રમો સર્જી રહી છે. સર્વિસ ક્ષેત્ર પણ ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પીએલઆઈ યોજનાની અસર ઉત્પાદનના ક્ષેત્રો પર જોવા મળી રહી છે. મોબાઇલ ફોન સહિત આખા ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રમાં કેટલાય ગણી વૃદ્ધિ થઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રધાનમંત્રી તો ક્યારેક ઝાડુની વાત કરે છે, સ્વચ્છતાની વાત કરે છે, ટોયલેટની વાત કરે છે અને હવે તે ટોયઝ (રમકડા)ની વાત કરે છેઘણા લોકો અત્યાર સુધી મોટી મોટી વાતોમાં ફસાયા હતા એટલે મારી વાત તેમના ગળે ઉતરતી નથી. માત્ર રમકડા પર  ધ્યાન આપ્યું, રમકડા બનાવવા પર મેં ધ્યાન કેન્દ્રીત કર્યું. ટેકનોલોજી પર મેં ધ્યાન આપ્યું, ઇનોવેશન પર ધ્યાન આપ્યું, ફાઇનાન્સિયલ ક્ષેત્ર તરફ ધ્યાન આપ્યું, હજી તો બે વર્ષ પૂરા થયા નથી મારા દેશવાસીઓ ગર્વ કરશે કે રમકડાની આયાત આટલા ઓછા સમયમાં એટલી ઘટી ગઈ છે નહિતર આપણા દરેક ઘરમાં રમકડા પણ વિદેશી રહેતા હતા. આટલી આયાત ઘટી છે એટલું જ નહીં ભારતના રમકડા અગાઉ જેટલા આયાત થતા હતા તેના કરતાં અત્યારે નિકાસ થઈ રહ્યા છે. એટલે કે કેટલી મોટી ક્ષમતા આ ક્ષેત્રમાં. જેમ તમે કહ્યું પ્રવાસનમાં, હું તમારી સાથે સહમત છું ભારતમાં પ્રવાસનની શક્યતા એટલી અપાર છે પરંતુ આપણી માનસિકતા થઈ ચૂકી છે અને હું તો વિદેશથી જે કોઈ મહેમાન આવે છે તેમને હિન્દુસ્તાનના કોઈને કોઈ સ્થાન પર જવાનો આગ્રહ કરું છું કદાચ મારા પ્રવાસનને ફાયદો થાય. આ વખતે અમે યોગનો જે કાર્યક્રમ કર્યો તે 75 આઇકોનિક સ્થળો પર કર્યો છે જેથી એ ખબર પડે કે ટુરિઝમમાં આવા કેટલાય સ્થળો છે આપણે ત્યાં. ટુરિઝમની સંભાવનાઓ તમે સાચું જ કહ્યું કે સમગ્ર વિશ્વ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની શકે છે ભારત.

 

સાથીઓ,
આપણી ડિજિટલ ઇકોનોમી પણ ઝડપથી આગળ ધપી રહી છે. ફિઝિકલ અને ડિજિટલ માળખા પર વિક્રમજનક રોકાણ થઈ રહ્યું છે. એટલે કે આપણા વિકાસના એન્જિન સાથે સંકળાયેલું દરેક ક્ષેત્ર સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે.

સાથીઓ,
આઝાદીનો આ અમૃતકાળ ભારત માટે અગણિત નવી શક્યતાઓ, તકો લઈને આવી રહ્યો છે. અમારો નિશ્ચય પાક્કો છે, અમારા ઇરાદા અટલ છે. મને વિશ્વાસ છે કે આપણે આપણા સંકલ્પોને સિદ્ધ કરીશું. 21મી સદીમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરીશું જેનું ભારત હકદાર છે. અને જેમ થર્મનજી રણ કોઈ પડકાર વિના કહી રહ્યા હતા હું માનું છું કે પડકારો છે પરંતુ જો પડકારો છે તો 130 કરોડ ઉકેલ પણ છે આ મારો વિશ્વાસ છે અને આ ભરોસાને લઈને પડકારોને જ પડકાર આપીને આગળ ધપવાના સંકલ્પને લઈને ચાલી રહ્યા છીએ અને તેથી જ અમે સમાવેશીનો માર્ગ લીધો છે અને એ જ માર્ગે વિકાસ પામવાનો ઇરાદો પણ ધરાવીએ છીએ. ફરી એક વાર અરૂણજીને યાદ કરીને હું મારી વાણીને વિરામ આપું છું. થર્મનજીને ખાસ અભિનંદન આપું છું. આપ સૌનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ધન્યવાદ.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1840352) Visitor Counter : 302