પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રગતિ મેદાન ખાતે સુસંકલિત ટ્રાન્ઝીટ કોરિડોરના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 19 JUN 2022 4:50PM by PIB Ahmedabad

કેન્દ્રિય મંત્રી મંડળના મારા સાથી શ્રી પિયૂષ ગોયેલજી, હરદીપસિંહ પૂરીજી, શ્રી સોમ પ્રકાશજી, અનુપ્રિયા પટેલજી, અન્ય લોક પ્રતિનિધિઓ, અતિથીગણ, દેવીઓ અને સજ્જનો.

હું દિલ્હીના લોકોને, નોઈડા, ગાઝિયાબાદના લોકોને અને સમગ્ર દેશમાંથી જેમને દિલ્હી આવવાની તક મળી છેતે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક માળખાગત સુવિધાની એક ખૂબ જ સુંદર ભેટ પ્રાપ્ત થઈ છે.

હમણાં હું જ્યારે ટનલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારા મનમાં ઘણી બધી વાતો યાદ આવી રહી હતી. આટલા ઓછા સમયમાં આ સુસંકલિત ટ્રાન્ઝીટ કોરિડોર તૈયાર કરવાનું કામ સહેજ પણ આસાન ન હતું. જે સડકોની આસપાસ આ કોરિડોર બનાવવામાં આવ્યો છે તે દિલ્હીના સૌથી વિસ્તારોમાંનો એક છે. અહીથી દરરોજ લાખો વાહનો પસાર થઈ રહ્યા છે. અને જે સુરંગ બનાવવામાં આવી છે તેના ઉપરથી 7 રેલવે લાઈનો પસાર થાય છે. આ બધી મુશ્કેલીઓની વચ્ચે કોરોના આવ્યો હતો અને તેણે નવી પરિસ્થિત ઉભી કરી હતી. આપણાં દેશમાં જ્યારે કોઈપણ કામ કરવું હોય તો ન્યાયતંત્રના દરવાજા ખખડાવનારા લોકો પણ ઓછા નથી. દરેક બાબતે માથું મારનાર લોકો હોય છે. આથી દેશને આગળ ધપાવવામાં અનેક તકલીફો ઉભી થાય છે. આ પ્રોજેક્ટ માટે  પણ એવી જ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું, પરંતુ આ નવું ભારત સમસ્યાઓના ઉપાયો પણ શોધી કાઢે છે અને નવા સંકલ્પો પણ લે છે અને તે સંકલ્પોને સિધ્ધ કરવા માટે સતત પ્રયાસ કરતા જ રહે છે. આપણાં જે ઈજનેરો છે તેમને અને આપણાં શ્રમિકો સહિત બધાંને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમણે જે ચીવટ અને પરિશ્રમ સાથે ખૂબ જ સુસંકલિત પ્રયાસો હાથ ધરીને પ્રોજેક્ટ મેનેજમેન્ટનું એક  ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરીને પ્રોજેક્ટ પૂરો કર્યો છે. મારા જે શ્રમિક ભાઈ-બહેનોએ પોતાનો જે પરસેવો વહાવ્યો છે તે બધાંને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

આ સુસંકલિત ટ્રાન્ઝીટ કોરિડોર પ્રગતિ મેદાનના પ્રદર્શન સ્થળને 21મી સદીની જરૂરિયાતો અનુસાર પરિવર્તન કરવાના પ્રયાસોનો એક હિસ્સો છે. દાયકાઓ પહેલાં ભારતની પ્રગતિને, ભારતીયોના સામર્થ્યને, ભારતની પ્રોડક્ટસ અને આપણી સંસ્કૃતિને દર્શાવવા માટે પ્રગતિ મેદાનનું નિર્માણ કર્યું હતું, પરંતુ તે પછી ભારતમાં ઘણું બધુ બદલાઈ ગયું છે. ભારતનું સામર્થ્ય બદલાઈ ગયું છે અને આપણી જરૂરિયાતો પણ અનેકગણી વધી ગઈ છે, પરંતુ કમનસીબે પ્રગતિ મેદાનની વધુ પ્રગતિ થઈ શકી નથી. આ પ્રગતિ મેદાનની સૌથી પહેલાં પ્રગતિ થાય તે જરૂરી હતું પરંતુ આ કામ રહી ગયું છે. દોઢ દાયકા પહેલાં અહીંની સુવિધાઓનું વિસ્તરણ કરવાનું આયોજન થયું હતું, પરંતુ તે કાગળ ઉપર જ રહી ગયું હતું. હવે તો એક એવી ફેશન થઈ ગઈ છે કે જાહેરાત કરો, કાગળ ઉપર બતાવી દો અને દીવો સળગાવીને રિબન કાપી લો તથા અખબારોમાં હેડલાઈન મેળવી લો અને ફરી પાછા પોતાના કામે લાગી જાવ.

પરંતુ મારા કામમાં આવું ચાલતું નથી. દેશની રાજધાનીમાં વિશ્વસ્તરના કાર્યક્રમો માટે અદ્યતન સુવિધાઓ હોય, પ્રદર્શન હોલ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આજે દેશના અનેક સ્થળોએ આ પ્રકારે ધ્યાન આપીને ભારત સરકાર સતત કામ કરતી રહી છે. આ દિલ્હીમાં પણ દ્વારકામાં બની રહેલ ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર અને પ્રગતિ મેદાનમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સ્વયં એક  ઉદાહરણ બની રહેવાના છે.

ગયા વર્ષે મને ચાર પ્રદર્શન હોલનું ઉદ્દઘાટન કરવાની તક મળી હતી અને આજે કનેક્ટિવીટીની આ આધુનિક સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા આ આધુનિક નિર્માણ દેશની રાજધાનીની તસવીર બદલી રહ્યા છે અને તેને વધુ આધુનિક બનાવી રહ્યા છે. માત્ર આ તસવીર બદલવાનું જ કામ થયું નથી, પણ આ  તસવીર એટલા માટે બદલવામાં આવી રહી છે કે જેથી તે તકદીર બદલવાનું એક માધ્યમ બની શકે.

સાથીઓ,

દિલ્હીમાં આધુનિક માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં અને આધુનિકીકરણ કરવા ઉપર કેન્દ્ર સરકાર જેટલું જોર આપી રહી છે તેનું સીધા પરિણામમાં જીવન જીવવામાં આસાનીનો સ્પષ્ટ ઉદ્દેશ વર્તાઈ રહ્યો છે. સામાન્ય માનવીઓને પડી રહેલી અગવડમાં ઘટાડો થાય, તેમના જીવનમાં સુવિધાઓ વધે, સહજતા, સરળતા, સ્વાભાવિકતા જેવી વ્યવસ્થાઓના માધ્યમથી તે ઉપલબ્ધ થાય અને સાથે સાથે આપણે વિકાસ કરતાં રહીએ તેવું પર્યાવરણ અંગે સભાન આયોજન કરતાં રહેવું જોઈએ. પર્યાવરણ તરફ સંવેદનશીલ બનવું જોઈએ. જલવાયુ પરિવર્તનની ચિંતા કરવી જોઈએ. આ બધી બાબતોને સાથે રાખીને આપણે આગળ ધપી રહ્યા છીએ.

ગયા વર્ષે મને સંરક્ષણ સંકુલનું લોકાર્પણ કરવાની પણ તક પ્રાપ્ત થઈ હતી. આપણાં દેશની એ કમનસીબી છે કે ઘણી બધી સારી બાબતો અને સારા ઉદ્દેશથી હાથ ધરેલી બાબતો પણ રાજનીતિના રંગમાં ફસાઈ જાય છે અને મિડીયાની પણ મજબૂરી બની જાય છે કે ટીઆરપીના કારણે તેને પણ તેમાં ઘસડાવું પડે છે. આ ઉદાહરણ હું તમને એટલા માટે આપું છું કે શું થયું તે અંગે તમને જાણકારી મળે. તમે જે દિલ્હીથી પરિચીત છો તે સારી રીતે જાણે છે કે સંરક્ષણ સાથે જોડાયેલા તમામ મહત્વના કામ બીજા વિશ્વયુધ્ધ પછી એટલે કે તેને કેટલા વર્ષ થયા તેનો અંદાજ બાંધી શકો છો. આપણે ત્યાં રાષ્ટ્રપતિ ભવનના વિસ્તારોમાં કેટલાક ઝૂંપડા બની ગયા હતા અને નાની નાની ઝૂંપડીઓ હોય તેમ લાગતું હતું. તમે જોયું હશે કે ત્યાં ઘણાં કામ થતા હતા. આ  મકાનો જર્જરીત થઈ ચૂક્યા હતા અને ઘણી વિશાળ જમીન ઉપર તે ફેલાયેલા હતા. ત્યાર પછી સરકારો તો અનેક આવી, અને શું થયું તેની તમને ખબર જ છે, હું તમને કશું જણાવવા માંગતો નથી.

અમારી સરકારે કેજી માર્ગ ઉપર અને આફ્રિકા એવન્યુમાં ઈકો-ફ્રેન્ડલી ઈમારતો બનાવી અને ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં સંરક્ષણનું કામ 80 વર્ષ સુધી ચાલતું રહ્યું. હવે ત્યાંથી તેને દૂર કરીને એક સારા વાતાવરણમાં, સૈન્ય માટે અમે વ્યવસ્થા ઉભી કરી છે. દાયકાઓ જૂની આ ઓફિસોનું સ્થળ બદલવાને કારણે તેમને સારૂં વાતાવરણ પ્રાપ્ત થયું છે અને લોકોને કામ કરવામાં સુવિધા પ્રાપ્ત થઈ છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જે પ્રકારે માળખાકિય સુવિધાઓની જરૂરિયાતો ઉભી થતી હોય છે તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવમાં આવ્યું છે અને સમગ્ર બાંધકામ ઈકોફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. અને અહિંયા શું પરિણામ મળ્યું, આ તમામ ઓફિસો કે જ્યાં કામ કરવા માટે સારૂં વાતાવરણ હતું અને પરિણામો સારા મળતા હતા, પરંતુ ઓફિસોનું સ્થળ બદલવાના કારણે આટલી મોટી કિંમતી જમીન મુક્ત થઈ અને તેમાં લોકો માટે સગવડોના કામ ચાલી રહ્યા છે. મને આનંદ છે કે સેન્ટ્રલ વિસ્ટા અને દેશની નવી સંસદના બિલ્ડીંગનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં ભારતની રાજધાનીની ચર્ચા થશે અને દરેક ભારતીય આ બાબત ગર્વ સાથે જણાવશે તેવો મને પૂરો વિશ્વાસ છે.

સાથીઓ,

અમારી સરકારે આ જે સુસંકલિત ટ્રાન્ઝીટ કોરિડોર બનાવ્યો છે તેમાં પણ આધુનિક માળખાગત સુવિધાઓ અને પર્યાવરણનું આવુ જ વિઝન કામ કરી રહયું છે અને આવો જ તાલમેલ છે. પ્રગતિ મેદાનની આસપાસનો આ સમગ્ર વિસ્તાર દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક છે. વર્ષો સુધી અહીંયા લોકોને ટ્રાફિકની ગંભીર સમસ્યા સાથે ઝઝૂમવું પડતું હતું. આઈટીઓ ચાર રસ્તા પર કેટલી બધી તકલીફ  પડતી હતી તે તમે સૌ સારી જાણો છો. અહીંયા મારા કાર્યક્રમ થતા હતા ત્યારે હું 50 વખત વિચાર કરતો હતો કે હું મારા એસપીજી વગેરેને કહેતો હતો કે કાંતો મનને સવારે 5 વાગે બહાર લઈ જાવ કે જેથી લોકોને તકલીફ ના પડે અથવા તો મને રાત્રે બહાર કાઢો કે જેથી દિવસ દરમ્યાન મને મહેરબાની કરીને તે રસ્તા ના લઈ જાવ. લોકો મુશ્કેલી અનુભવે છે. હું જેટલો બચી શકું તેટલો બચવાના પ્રયાસ જાતે કરૂં છું, પરંતુ ઘણી વખત તો અનેક મજબૂરીઓ હોય છે.

આજે જે વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે તેના કારણે દોઢ કી.મી.થી વધુ લાંબી સુરંગ ઉભી કરાઈ છે. આ જે ટનલ  બની છે તેનાથી પૂર્વ દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદથી દરરોજ આવનારા હજારો સાથીઓને ઘણી બધી રાહત મળશે. આ સુસંકલિત ટ્રાન્ઝીટ કોરિડોરના કારણે દિલ્હીના લોકોનો સમય બચશે અને સાથે સાથે ગાડીઓના બળતણમાં પણ ઘટાડો થશે. હમણાં મને પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે 55 લાખ લીટર પેટ્રોલની બચત થવાની છે, એટલે કે નાગરિકોના ખિસ્સામાંથી એટલા પૈસા બચવાના છે.

આજે હું કોઈને 100 રુપિયા આપવાની જાહેરાત કરૂં છું તો મારા દેશમાં હેડલાઈન બની જાય છે, પરંતુ હું જો એવી વ્યવસ્થા ઉભી કરૂં તો તેના કારણે રૂ.200 બચતા હોય તો તે સમાચાર બનતા નથી. આવી બાબતોનું મહાત્મ્ય જ નથી, કારણ કે તેમાં પોલિટીકલ માઈલેજ હોતો નથી. પરંતુ જો દેશનું ભલું કરવું હોય તો આપણે સ્થાયી વ્યવસ્થાઓ વિકસીત કરતા રહીને સામાન્ય લોકોની સુવિધા અને તેમનો બોજ ઓછો કરવાની દિશામાં આપણે કામ કરતા રહેવું જોઈએ. હવે ટ્રાફિક જામથી બચી શકાશે, દિલ્હીના પર્યાવરણને બચાવી શકાશે. આપણે આરામથી કહી શકીએ તેમ છીએ કે સમય એ પૈસા છે, આપણે ખૂબ સરળતાથી આવું કહેતા હોઈએ છીએ. આ ટનલ બનવાના કારણે હવે સમયની જે બચત થશે અને તેનાથી કેટલા પૈસા બચશે તે અંગે પણ વિચારવું જોઈએ. ટાઈમ ઈઝ મની એ કહેવત છે તે ઠીક છે, પરંતુ ભારત સરકારની સુવિધાને કારણે સમય બચી જાય તો પૈસા બચે છે તેવું કહેવા માટે કોઈ તૈયાર નથી. એટલે કે વિચાર કરવાની આપણી પધ્ધતિ અલગ છે. આપણી જૂની આદતો, અને જૂની રીતે વિચારવાની પધ્ધતિમાંથી બહાર આવવાની જરૂર છે.

એક અંદાજ છે કે આ કોરિડોરના કારણે પ્રદુષણમાં જે ઘટાડો થશે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે આપણો પિયૂષભાઈએ જણાવ્યું તે મુજબ પાંચ લાખ વૃક્ષોના કારણે જે મદદ મળે છે તેટલી મદદ આ ટનલના નિર્માણને કારણે મળવાની છે. આનો અર્થ એ નથી કે વૃક્ષા વાવવા જ નહીં જોઈએ. અને મને આનંદ છે કે આ પ્રોજેકટની સાથે સાથે વૃક્ષો વાવવાનો પ્રોજેક્ટ પણ યમુના તટ પર હાથ ધરવામાં આવ્યો છે અને તે કામ પૂર્ણ થશે ત્યારે બેવડો ફાયદો થશે, એટલે કે અમારી સરકાર મારફતે નવા નવા વૃક્ષો વાવવાની સાથે સાથે જે કારણોથી પ્રદુષણમાં વધારો થાય છે તેમાં કેટલો ઘટાડો કરી શકાય તે વિચારવામાં આવ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી આપણે જે કાંઈ કરી શકીએ તે દિશામાં કામ થઈ રહ્યું છે.

હમણાં જ ભારતમાં પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલના મિશ્રણનું લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યુ છે,જે એક ખૂબ મોટી સિધ્ધિ છે. ભારતની જરૂરિયાતના 10 ટકા ઈથેનોલ શેરડીમાંથી બનાવવામાં આવ્યું છે. ખેતીના કચરામાંથી બનેલુ ઈથેનોલ આજે આપણી ગાડીઓ દોડાવી રહ્યું છે, આપણી ગતિને તાકાત પૂરી પાડી રહ્યું છે અને આ કામ અમે લક્ષિત સમય પહેલાં જ પૂરૂ કરી દીધુ છે. પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ કરવાના આ અભિયાનથી આપણું પ્રદુષણ ઓછું થશે અને ખેડૂતોની આવક વધારવામાં પણ મદદ થશે, કારણ કે તેમનો જે કૃષિ કચરો છે તેનો અહીંયા ઉત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.

સાથીઓ,

દિલ્હી એનસીઆરની સમસ્યાઓના ઉકેલ માટે વિતેલા 8 વર્ષમાં અમે અભૂતપૂર્વ પગલાં લીધા છે. વિતેલા 8 વર્ષમાં દિલ્હી એનસીઆરમાં મેટ્રો સેવાનો વિસ્તાર 193 કી.મી.થી વધારીને અંદાજે 400 કી.મી. સુધી લઈ જવામાં આવ્યો છે, જે બમણાંથી પણ વધારે છે. જો કોઈ નાગરિક નકકી કરે કે હું પ્રવાસ કરૂં છું તેમાં વાહનનો ઓછામાં ઓછા 10 ટકા ઉપયોગ ઘટાડીને મેટ્રોનો ઉપયોગ કરીશ તો મેટ્રોમાં થોડીક ભીડમાં વધારો થશે, પરંતુ આવું નાનું કામ આપણી દિલ્હીના જીવનને કેટલી મદદ કરી શકે છે અને એક નાગરિકને પોતાનું કર્તવ્ય બજાવ્યાનો કેટલો આનંદ મળી શકે છે તે પણ એક અનુભવનો વિષય છે. ક્યારેક તો સામાન્ય લોકોની વચ્ચે જઈને પ્રવાસ કરવાનો પણ એક અનોખો આનંદ મળતો હોય છે. અને તેમની જીંદગીને જાણવા- સમજવા માટે પાંચ- દસ મિનિટની જે થોડીક તક મળે છે તેના અનેક લાભ થતા હોય છે. અને મેટ્રોમાં જો મુસાફરોની સંખ્યા થોડીક વધશે તો તેનાથી તે આર્થિક રીતે સક્ષમ બનશે. આપણે સૌ સાથે મળીને આવું કામ કરતાં રહીશું તો કેટલો મોટો ફાયદો થશે, પરંતુ દિલ્હી એનસીઆરમાં મેટ્રોના વધતા જતા નેટવર્કને કારણે હવે સડકો પર ઘણાં ઓછા વાહનો ચાલી રહ્યા છે. તેના કારણે પ્રદુષણને ઓછુ થવામાં ઘણી મદદ મળી રહે છે.

ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવેના કારણે પણ દિલ્હીને ઘણી રાહત મળી છે. હજારો ટ્રક સીધે સીધી બહાર નિકળી જાય છે. દિલ્હીના આંતરરાજ્ય કનેક્ટિવીટીનો વ્યાપ અભૂતપૂર્વ પ્રમાણમાં વધ્યો છે. અભૂતપૂર્વ સ્પીડ આજે ઓળખ બની ચૂકી છે, જે કામની બાબત છે. હવે જુઓ, દિલ્હી- મેરઠ એક્સપ્રેસવેના કારણે દિલ્હી અને મેરઠ વચ્ચેનું અંતર માત્ર એક કલાક જેટલું થઈ ગયું છે. અગાઉ લોકો હરિદ્વાર, ઋષિકેશ જવાનું નકકી કરતા હતા ત્યારે દહેરાદૂન જવાનું પણ વિચારતા હતા, જેના કારણે પ્રવાસમાં 8 થી 9 કલાકનો સમય થતો હતો. જ્યારે આજે દિલ્હીથી નિકળીને ચારથી સાડા ચાર કલાકમાં ત્યાં પહોંચી જવાય છે. સમયની તાકાત શું હોય છે, હું હમણાં દિલ્હી રેલવે સ્ટેશન પર ગયો હતો. હું ત્યાંનો સાંસદ હોવાના કારણે ત્યાંના લોકોને તકલીફ પડે નહીં તે માટે રાત્રે દોઢ વાગે ત્યાં ગયો હતો. કાશી રેલવે સ્ટેશન પર ગયો હતો. અહીંયા નાગરિકો માટે શું વ્યવસ્થા છે તે જોવાની મને ઈચ્છા થઈ. હું બધુ જોઈ રહ્યો હતો અને ત્યાં જઈને રેલવેનું કામ કરતા લોકોને પૂછ્યું તથા ટ્રાફિક અને ટ્રેન બાબતે તેમની સાથે વાત કરતાં તેમણે મને જણાવ્યું કે સાહેબ  અહીંયા વંદે ભારત ટ્રેનની ઘણી માંગ છે. મેં જણાવ્યું કે ભાઈ તે ટ્રેન તો મોંઘી છે, તો તેમણે જવાબ આપ્યો કે એવું નથી સાહેબ, આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ વંદેભારત ટ્રેનમાં જવા માંગે છે. મજૂર વર્ગ પણ વંદેભારત ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે. મેં જણાવ્યું કે ટિકિટના થોડા પૈસા વધારે થાય છે, તેમણે કહ્યું કે સાહેબ, અમને પણ એ વાતનું આશ્ચર્ય છે. મેં પૂછ્યું કે વંદે ભારતમાં આટલું રિઝર્વેશન કેવી રીતે થાય છે. આટલી ભીડ કેવી રીતે થાય છે. ત્યારે તેમણે પેસેન્જરને પૂછ્યું કે જુઓ ભાઈ તમારી વંદેભારત ટ્રેનમાં અમને સામાન રાખવાની ઘણી જગા મળે છે અને ગરીબ માણસ જ્યારે પોતાના ઘરેથી તમામ સામાન ઉઠાવીને લાવ્યો હોય તો તેને પણ તેમાં  જગા મળી રહે છે. બીજુ તેમણે જણાવ્યું કે અમે ત્રણ ચાર કલાક વહેલા પહોંચી જઈએ છીએ. એટલા કલાકમાં કોઈ કામ કરવાની તક મળી રહેતી હોય છે અને આ કારણે અમારી કમાણી શરૂ થઈ જાય છે.

હવે જુઓ, સામાન્ય વ્યક્તિની વિચારવાની પધ્ધતિ કેટલી બદલાઈ ગઈ છે. આપણે જૂની વિચારધારા મુજબ કહેતા રહીશું કે જુઓ, વંદેભારત ટ્રેન લાવ્યા, મોંઘી ટ્રેન લાવ્યા, પરંતુ લોકો આવા વિચારથી અળગા થઈ જાય છે અને તેની ખબર પડતી નથી કે આ પરિવર્તન કેવી રીતે આવે છે. અને મારા માટે એક આનંદનો વિષય  એ પણ છે કે ભારતનો સામાન્ય માનવી કેવી રીતે નવી નવી બાબતો અપનાવી રહ્યો છે.

હવે તમે જુઓ, દિલ્હી- મુંબઈ એક્સપ્રેસવે, દિલ્હી- દહેરાદૂન એક્સપ્રેસવે, દિલ્હી – અમૃતસર એક્સપ્રેસવે, દિલ્હી- ચંદીગઢ એક્સપ્રેસવે, દિલ્હી- જયપુર એક્સપ્રેસવે, કેટલા બધા પ્રોજેક્ટ ભારતની રાજધાનીને દુનિયાની સૌથી બહેતર રાજધાનીઓમાંની એક બનાવવાનું સામર્થ્ય ધરાવે છે અને જ્યારે આ કામ પૂરૂં થશે ત્યારે એવી સ્થિત ઉભી થશે.

દેશની પ્રથમ અને સ્વદેશી ટેકનિકથી બનેલી રેપિડ રેલવે સિસ્ટમ દિલ્હીથી મેરઠ વચ્ચે ઝડપથી તૈયાર થઈ રહી છે. હરિયાણા અને રાજસ્થાનને દિલ્હી સાથે જોડવા માટે આવી જ રેપિડ રેલવે સિસ્ટમ્સનું કામ ચાલી રહ્યું છે. આ બધા પ્રોજેક્ટ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે દેશની રાજધાની તરીકે દિલ્હીની ઓળખ વધુ મજબૂત થશે અને તેનો લાભ દિલ્હી એનસીઆરમાં કામ કરનારા પ્રોફેશનલ્સને થશે. આપણો યુવા વર્ગ, આપણાં વિદ્યાર્થી, શાળામાં જતા આપણાં બાળકો, ઓફિસે જતા લોકો, આપણાં સાથીદારો, ઓટો ચલાવનારા આપણાં સાથીદારો, આપણાં વેપારીબંધુઓ, આપણાં નાના દુકાનદારો એટલે કે સમાજના દરેક વર્ગના લોકોને તેનાથી અનેકગણો ફાયદો થશે.

સાથીઓ,

આજે દેશ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના વિઝન પર કામ કરી રહ્યો છે અને તેના કારણે આધુનિક મલ્ટીમોડલ કનેક્ટિવીટીનું કામ પણ ઘણું જ ઝડપથી આગળ ધપી રહ્યું છે અને નિર્ણય પ્રક્રિયામાં લાગતો સમય પણ બચી રહ્યો છે. હું હમણાં હિમાચલમાં ધર્મશાળામાં હતો. દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હું ત્યાં મળ્યો હતો અને ત્યારે મારા માટે સુખદ આશ્ચર્ય એ હતું કે જ્યારે રાજ્યોના મુખ્ય સચિવોએ ગતિશક્તિના મહાત્મ્યને જે પ્રકારે સમજ્યુ છે અને જે પ્રકારે તેનો ઉપયોગ કર્યો છે અને તેના આધારે મોટા પ્રોજેક્ટના પ્લાનીંગ કર્યા છે તે બતાવે છે કે સાહેબ જે કામમાં આપણને 6-6 મહિના લાગતા હતા તેવા પ્રોજેક્ટ ગતિશક્તિની ટેકનિકલ વ્યવસ્થાના કારણે, સંકલનને કારણે 6 મહિનાનું કામ 6 દિવસમાં થવા લાગ્યું છે. ગતિશક્તિ માસ્ટર પ્લાન સૌને સાથે લઈને, સૌને વિશ્વાસમાં લઈને સૌના પ્રયાસ માટેનું એક ખૂબ મોટું અને ઉત્તમ માધ્યમ બની ચૂક્યું છે. કોઈ પ્રોજેક્ટ અટકે નહીં, તમામ વિભાગો સાથે મળીને તાલમેલથી કામ કરે, દરેક વિભાગને એકબીજાના કામની સંપૂર્ણ જાણકારી હોય તો આખરી સ્થિતિ કેવી હોઈ શકે તેનો આપણને ખ્યાલ આવે છે. આ વિચારધારાને કારણે ગતિશક્તિ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૌના પ્રયાસની આ ભાવના શહેરી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે.

આઝાદીના અમૃતકાળમાં દેશના મેટ્રો શહેરોના વિસ્તારમાં વધારો કરવો તથા બીજા વર્ગના અને ત્રીજ વર્ગના શહેરોમાં બહેતર આયોજન સાથે કામ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આવનારા 25 વર્ષમાં ભારતના ઝડપી વિકાસ માટે આપણે શહેરોને ગ્રીન, ક્લિન અને ફ્રેન્ડલી બનાવવા પડશે. કામનું સ્થળ અને રહેઠાણનું સ્થળ બની શકે તેટલું નજીક હોય, ઝડપી વાહન વ્યવસ્થાની આસપાસ હોય, તે આપણી પધ્ધતિની પ્રાથમિક જરૂરિયાત છે. પ્રથમ વખત દેશમાં સરકાર શહેરી આયોજન બાબતે આટલા મોટા સ્તરે મહત્વ પૂરૂં પાડી રહી છે અને આપણે એવું માનીને ચાલવું જોઈએ કે કોઈ શહેરીકરણને રોકી શકશે નહીં. હવે શહેરીકરણને મુશ્કેલી માનવાને બદલે શહેરીકરણને તક માનીને આયોજન કરીશું તો દેશની તાકાત અનેકગણી વધારવાનું સામર્થ્ય તેમાં પડેલું છે. અને અમે પણ તે રીતે ધ્યાન કેન્દ્રિત કરીને શહેરીકરણને તક માનીને શહેરોનું આયોજન શરૂ કર્યું છે.

સાથીઓ,

શહેરી ગરીબોથી માંડીને શહેરી મધ્યમ વર્ગ સુધીના લોકોને બહેતર સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ઝડપી ગતિથી કામ થઈ રહ્યું છે. વિતેલા 8 વર્ષમાં એક કરોડ સિત્તેર લાખથી વધુ શહેરી ગરીબોને પાકા મકાનો આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના લાખો પરિવારોને તેમના ઘર માટે સહાય કરવામાં આવી રહી છે. શહેરોમાં જે રીતે આધુનિક જાહેર વાહનવ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, તો બીજી તરફ સીએનજી આધારિત પરિવહન વ્યવસ્થા, ઈલેક્ટ્રિક મોબિલીટી માટેની માળખાકીય સુવિધાઓ બાબતે પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની (એફએએમઈ) યોજના તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ યોજના હેઠળ દિલ્હી સહિત દેશના ડઝનબંધ શહેરોમાં નવી ઈલેક્ટ્રીક બસના કાફલા તૈયાર કરવામાં આવી રહ્યા છે. થોડાંક દિવસ પહેલાં જ દિલ્હીમાં આ યોજના હેઠળ કેટલીક બસ ચાલુ થઈ ગઈ છે. આના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને સુવિધા મળવાની સાથે સાથે પ્રદુષણની સમસ્યામાં પણ ઘટાડો થશે.

દેશવાસીઓનું જીવન આસાન બનાવવા માટેનો આ સંકલ્પ આવી જ રીતે મજબૂત થતો રહેશે. મારા માટે ટનલ જોવા હાલમાં ખૂલ્લી જીપની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હું પણ નિયમ, કાનૂન અને શિસ્તને કારણે થોડીવાર તો જીપમાં ગયો, પણ પછી ઉતરી ગયો. હવે અહીં આવવામાં મને જે 10 થી 15 મિનિટનો જે વિલંબ થયો તેનું કારણ પણ  એ જ હતું કે હું પગપાળા ચાલવા લાગ્યો હતો. હું પગપાળા એટલા માટે ચાલ્યો કારણ કે બાજુમાં જે આર્ટ વર્ક તૈયાર કરવામાં આવ્યા હતા તેને જોવાની મારી ઈચ્છા હતી. હું એક એક ચીજ જોતા જોતાં આગળ વધતો ગયો. હું કહી શકું તેમ છું કે પિયૂષજીએ જે રીતે તેનું વર્ણન કર્યું હતું તે પ્રકારે તેમાં ઋતુઓનું આલેખન કરવામાં આવ્યું હતું. એ ઠીક છે કે આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આવી વાતોનો ઉલ્લેખ કરીએ છીએ, પરંતુ ચર્ચાના સમયે અમે જેટલી બાબતો જણાવી હતી તેમાં પણ મને વેલ્યુ એડીશન લાગ્યું, નવાપણું લાગ્યું, સારૂં લાગ્યું.

ટનલ જોઈને હું આવ્યો તેથી હું કહી શકું છું કે તે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ એજ્યુકેશન સેન્ટર છે. હું જાણતો નથી કે દુનિયામાં ક્યાં શું થશે, પરંતુ આ જોયા પછી હું કહી શકું તેમ છું કે કદાચ કોઈપણ ટનલની અંદર કોઈપણ જગાએ આટલી લાંબી આર્ટ ગેલેરી નહીં હોય, જેટલી લાંબી આર્ટ ગેલેરી અહીંયા બનાવવામાં આવી છે.

ભારતની સરેરાશ નજરથી સમજવું હોય તો તેની વિવિધતાઓને, તેના ઉમંગને, ઉત્સાહની પળોને પામવી હોય તો ટનલની યાત્રા કરીને તેને પામી શકાશે. કોઈ વિદેશી હશે તો તે પણ આ બાબતનો અનુભવ કરી શકશે. નાગાલેન્ડ કેવું છે, કેરળ કેવું છે, જમ્મુ- કાશ્મીર કેવું તે બધુ જણાવતી વિવિધતાઓ સાથેનું આર્ટ વર્ક અને તે પણ હાથથી તૈયાર કરવામાં આવ્યું હોવાથી તેમા ઉત્તમ કામગીરી થઈ છે.

આ બધુ જોયા પછી મેં આજે જે ભાષણ કર્યું તેનાથી થોડોક અલગ વિચાર હું આપને જણાવવા માંગુ છું. હું જાણતો નથી કે નિષ્ણાંત લોકો મારા વિચારને કેવો માનશે, પરંતુ મારૂં સૂચન એ છે કે રવિવારે થોડોક ટ્રાફિક ઓછો હોય છે, શું રવિવારે સાડા 6 કલાક સુધી ટનલને જે કામ માટે તૈયાર કરવામાં આવી છે તેનાથી ઉલ્ટા કામ માટે તમને સૂચન કરી રહ્યો છું કે રવિવારે 4 થી 6 કલાક સુધી કોઈપણ વાહનને ટનલમાં પ્રવેશ આપવામાં ના આવે અને શક્ય હોય તો શાળાના બાળકોને પગપાળા લઈ જઈને આ આર્ટ ગેલેરી બતાવવામાં આવે, તેનાથી ખૂબ મોટી સેવા થશે.

અને હું વિદેશ મંત્રાલયને તો કહીશ કે સૌથી પહેલાં આપણી જે એલચી કચેરીઓ છે, તેમના મિશન છે તે બધા લોકોને અહીંયા લઈ આવો અને આ ટનલમાં પદયાત્રા કરાવો. ત્યાં જવાથી જ ખ્યાલ આવશે કે આ ગાંધીજી છે, આ બાબત ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે, અહીં જોઈને ખબર પડશે કે આસામના નૃત્ય કેવા દેખાય છે, તેની સાથે સાથે સારી ટેકનોલોજી માટે ફોટો પાયલોટ અને ફોન દ્વારા ગાઈડની વ્યવસ્થા પણ થઈ શકે તેમ છે. ઘણી વખત તો ભલેને ઓછા પૈસાથી, 10 પૈસા જ કેમ નહીં, પણ ટિકિટ આપીને લોકોને અહીંયા મોકલીશું તો ત્યાં ફાલતું લોકોનું આવવાનું બંધ થઈ જશે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ થશે અને તે બાબતને ગણતરીમાં પણ લેવાશે.

હું તમને સાચું કહું છું દોસ્તો, કદાચ મને એ સૌભાગ્ય મળતું નથી કારણ કે એક વખત યાત્રા શરૂ થયા પછી કોઈ મને નીચે ઉતરવા દેતું નથી, પરંતુ આજે તે સ્થિતિ ન હતી તેથી હું પગપાળા ચાલતો અહીં આવી ગયો. જે લોકોને ખરેખર કલામાં રૂચિ છે, અને કલાના માધ્યમથી વિવિધ બાબતો સમજવા માંગે છે તેમના માટે દિલ્હીમાં આ એક ઉત્તમ અવસર ઉભો થયો છે, તો પછી આયોજન કરવામાં આવે. એક ખાસ બાબત એ છે કે હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે મેં એક પ્રયોગ કર્યો હતો. અમારો આ પ્રયોગ લાંબો નહીં ચાલ્યો. અમદાવાદમાં ખૂબ ટ્રાફિકવાળો રસ્તો હતો. મેં નક્કી કર્યું કે મહિનાના અમુક ચોક્કસ દિવસે, આજે તો હું ભૂલી ગયો છું કે તે રસ્તા પર કોઈ વાહન ચલાવવાની છૂટ નથી અને તે રોડ બાળકો માટેનો  રોડ છે. દરેક બાળકનો ખ્યાલ રાખવો જોઈએ. બાળકો ત્યાં ક્રિકેટ રમતા હોય તો લાગવું જોઈએ કે મારૂં પણ આ શહેરમાં કોઈ મહત્વ છે. કેટલાક દિવસ તેનું ઘણું આકર્ષણ રહ્યું. જે રોડ ભરચક રહેતો હતો ત્યાં બાળકોને રમવાનો મોકો મળ્યો ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

હું માનું છું કે સપ્તાહમાં એક દિવસ ટ્રાફિક ઓછો હોય છે અને બની શકે કે રવિવારે આવી છૂટ મળી શકે. 4 થી 6 કલાક માત્ર ત્યાં પગપાળા ચાલવાનું અભિયાન શરૂ કરવામાં આવે. વીઆઈપી લોકો પણ પગપાળા ચાલે. હું તો કહીશ કે જ્યારે સંસદ શરૂ થશે ત્યારે હું સાંસદોને કહીશ કે પરિવાર સાથે જુઓ આવી યોજના બનાવી શકાય તો પગપાળા ચાલવા માટે આવી જાવ. તેની શરૂઆત કરવી હોય તો આર્ટ ક્રિટિકસ, રાઈટર્સ, મિડીયાના ક્રિટીક્સ હોય, તેમના માટે પણ એક દિવસ ખાસ કાર્યક્રમ યોજીને તેમને ત્યાં લઈ જવા જોઈએ. હું ચોક્કસપણે માનું છું કે તે થોડુંક તો સારૂં લખશે જ. આ બાબતને સારી રીતે લોકો સુધી પહોંચાડવા માટેનું એક સારૂં કામ થયું છે અને આપણે તેનો ઉપયોગ કરીશું.

સાથીઓ,

દિલ્હીની આજુબાજુ જે કનેક્ટિવીટી તૈયાર થઈ રહી છે તેને માત્ર આવવા –જવાની સુવિધા તરીકે જ વિચારવી જોઈએ નહીં. આજે દિલ્હી-નોઈડા- ગાઝિયાબાદના સ્થળોના લોકોને તથા સાથીઓને સુવિધા મળી છે, પણ તેનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી શહેરો પરનો બોજ ઘટી જાય છે. જો લોકોને આવવા- જવાની સુવિધા મળે ત્યારે તે વિચારે કે હવે દિલ્હીમાં આટલું મોંઘુ જીવન જીવવાને બદલે હું ગાઝિયાબાદમાં જ રહીશ, મેરઠમાં રહીશ અને જરૂર પડશે ત્યારે જ ત્યાં જઈશે. અગાઉની તુલનામાં તો  હું અડધા કલાકમાં જ ત્યાં પહોંચી જાઉં છું. આનો અર્થ એ થયો કે દિલ્હીનો બોજ ઓછો કરવા માટેનું સૌથી મોટું કામ કનેક્ટિવીટી મારફતે થઈ રહ્યું છે અને જે યોજનાઓ પાછળ ભારત સરકાર આટલા નાણાં ખર્ચી રહી છે તે દિલ્હીનો બોજ ઓછો કરવાનું ખૂબ મોટું કામ કરી રહી છે.

સાથીઓ,

આજે લોકો અહીંયા આવ્યા છે, તમારી પાસે જો થોડોક સમય હોય તો હમણાં ટ્રાફિક શરૂ કરવામાં ના આવે અને મારો આપ સૌને આગ્રહ છે કે થોડુંક પગપાળા પણ ચાલવામાં આવે અને મારી વાત યોગ્ય લાગે તો લોકોને આવું કરવા માટેની પ્રેરણા આપવામાં આવે. અને હું વિભાગને પણ જણાવીશ કે તમામ અધિકારીઓને પણ આ બાબતે વિચારવાનું કહેવામાં આવે.

ખૂબ ખૂબ ધન્યવાદ! આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835385) Visitor Counter : 283