સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
એક જ દિવસમાં સૌથી વધુ લગભગ 30,000 સાજા થયેલા દર્દીઓ સાથે દેશમાં કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 7.82 લાખ કરતાં વધુ નોંધાઇ
प्रविष्टि तिथि:
23 JUL 2020 2:21PM by PIB Ahmedabad
સતત બીજા દિવસે, એક જ દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઇ હોવાથી કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ એટલે કે, 29,557 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે સાજા થયેલા કુલ કેસોની સંખ્યા વધીને 7,82,606 સુધી પહોંચી ગઇ છે. આથી, દર્દીઓ સાજા થવાના દરમાં પણ પ્રશંનીય વૃદ્ધિ સાથે છેલ્લે 63.18% નોંધાયો છે. મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતી હોવાથી કોવિડ-19ના સક્રિય દર્દીઓ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને આજે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા સક્રિય દર્દીઓ કરતાં 3,56,439 વધુ નોંધાઇ હતી.
કેન્દ્ર સરકારના નેતૃત્વમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે અપનાવવામાં આવેલી વ્યૂહનીતિના કારણે આ શક્ય બન્યું છે. કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના એકધારા પ્રયાસોના પરિણામે વધુ અસરકારક કન્ટેઇન્મેન્ટ, સઘન પરીક્ષણ અને ચેપગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક તેમજ કાર્યક્ષમ તબીબી સારવારની વ્યૂહનીતિનો અમલ કરવાનું શક્ય થયું છે. આ તમામ પ્રયાસો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જે-તે ક્ષેત્રોમાં નિષ્ણાતોની ટીમ જેમ કે સંયુક્ત દેખરેખ સમૂહ (JMG)ના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે અને નવી દિલ્હી સ્થિત એઇમ્સ, વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ઉત્કૃષ્ટતા કેન્દ્રો અને NCDC દ્વારા સમર્થ પૂરક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર સતત જ્યાં કોવિડના કેસોનું ભારણ વધારે હોય તેવા વિસ્તારોમાં કેન્દ્રની નિષ્ણાંતોની ટીમો મોકલીને અને રાજ્યોમાં આવેલી કોવિડ હોસ્પિટલોને નવી દિલ્હી સ્થિત એઇમ્સના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા ટેલિ-કન્સલ્ટેશનના માધ્યમથી સતત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલનમાં રહે છે. આ સંયુક્ત પ્રયાસોના પરિણામે કોવિડના કારણે મૃત્યુદરને નોંધપાત્ર પ્રમાણમાં નીચા સ્તરે લાવી શકાયો છે. દર્દીઓનો મૃત્યુદર આજે 2.41% નોંધાયો હતો અને તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
આના કારણે કોવિડ-19ના વાસ્તવિક કેસોના ભારણમાં ઘટાડો કરવામાં પણ મદદ મળી છે અને હાલમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 4,26,167 છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/DS/BT
(रिलीज़ आईडी: 1640640)
आगंतुक पटल : 284
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Punjabi
,
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam