PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
15 JUL 2020 6:27PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 15.07.2020
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: છેલ્લા 24 કલાકમાં 20,000થી વધુ દર્દી સાજા થયા, સાજા થવાનો દર વધીને 63.24% થયો; સાજા થયેલાની સંખ્યા 6 લાખની નજીક; કોવિડ-19ના વાસ્તવિક કેસ ભારણમાં માત્ર 3,19,840 સક્રિય કેસ
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને કુલ 20,572 દર્દીઓ સાજા થઇ ગયા છે. આથી, દેશમાં આજદિન સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 5,92,031 થઇ ગઇ છે. દેશમાં આજે દર્દીઓ સાજા થવાનો દર 63.24% નોંધાયો હતો. કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં એકધારી વૃદ્ધિ એ સઘન પરીક્ષણ, સમયસર નિદાન અને કોવિડના દર્દીઓના વ્યવસ્થાપન માટે હોમ આઇસોલેશન અથવા હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ સંભાળના કારણે જોવા મળી છે. હાલમાં દેશમાં કોવિડ-19ના વાસ્તવિક કેસનું ભારણ 3,19,840 સક્રિય કેસ છે. આ તમામ કેસોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોમ આઇસોલેશન માટેના માપદંડો અને ધોરણોનું પાલન કરાવવામાં આવે છે અને સાથે-સાથે પલ્સ ઓક્સીમીટરના કારણે પણ લક્ષણો ના ધરાવતા અથવા અંત્યત હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ દબાણ લાવ્યા વગર ઓળખી કાઢવામાં મદદ મળી રહી છે. હાલમાં સક્રિય કેસો અને સાજા થઇ ગયેલા કેસોની સંખ્યાનો તફાવત સતત વધી રહ્યો છે. આજે સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યા 2,72,191 વધારે નોંધાઇ હતી. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા કરતાં 1.85 ગણી વધારે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638799
WHOએ પ્રત્યેક 10 લાખની વસ્તીમાં દરરોજ સરેરાશ 140 પરીક્ષણની સલાહ આપી, ભારતમાં 22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પહેલાંથી જ પ્રત્યેક દસ લાખની વસ્તીમાં દરરોજ સરેરાશ 140થી વધુ પરીક્ષણ થાય છે; પ્રત્યેક દસ લાખની વસ્તીએ થયેલા સરેરાશ પરીક્ષણની સંખ્યા 8994 કરતાં વધુ
WHO દ્વારા "કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક માપદંડોનું સમાયોજન કરવા માટે જાહેર આરોગ્ય માપદંડ” નામથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં સલાહ આપવામાં આવી છે કે, શંકાસ્પદ કેસોનું વ્યાપક સર્વેલન્સ થવું જોઇએ. વ્યાપક સર્વેલન્સ અને શંકાસ્પદ કેસોના પરીક્ષણનું વર્ણન કરતા, WHOએ સલાહ આપી છે કે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 140 લોકોનું પરીક્ષણ થવું જોઇએ. કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સંકલિત પ્રયાસોના કારણે, હાલમાં ભારતમાં 22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં પહેલાંથી જ પ્રત્યેક દસ લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 140થી વધુ પરીક્ષણ કરવામાં આવે છે.
હાલમાં દેશમાં સરકારી ક્ષેત્રની 865 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 358 લેબોરેટરી સાથે કુલ 1223 લેબોરેટરીનું નેટવર્ક કોવિડ-19ના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,20,161 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણની સંખ્યા 1,24,12,664 છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ પરીક્ષણનો આંકડો એકધારો વધી રહ્યો છે અને આ સંખ્યા વધીને 8994.7 થઇ ગઇ છે. 14 જુલાઇ 2020ના રોજ, માત્ર એક જ દિવસમાં 3.2 લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638696
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે’ દિલ્હીના IIT દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશ્વની સૌથી સસ્તી RT-PCR આધારિત કોવિડ-19 નિદાન કિટ કોરોશ્યોરનું લોન્ચિંગ કર્યું
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે’ નવી દિલ્હી ખાતે આજે વિશ્વની સૌથી સસ્તી RT-PCR આધારિત કોવિડ-19 નિદાન કિટનું ઇ-લોન્ચિંગ કર્યું છે જે દિલ્હીના IIT દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ICMR તેમજ DCGI દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે. શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, કોરોશ્યોર નામની કોવિડ-19ના નિદાનની કિટ નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી છે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતના નિર્માણની દૂરંદેશીની દિશામાં એક પગલું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશને અત્યારે સસ્તી અને ભરોસાપાત્ર કિટની જરૂર છે જે આ મહામારીને નિયંત્રણમાં લાવવા માટે મદદરૂપ થઇ શકે. કોરોશ્યોર કિટ સ્વદેશી ઉત્પાદન છે અને અન્ય કિટ્સની સરખામણીએ તે સસ્તી પણ છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638780
વિશ્વ યુવા કૌશલ્ય દિન પ્રસંગે પ્રધાનમંત્રીનો યુવાનોને કૌશલ્ય હાંસલ કરવા, નવેસરથી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને કોશલ્યમાં સુધારો કરવા અનુરોધ
આજે વિશ્વ યુવા કૌશલ્ય દિન અને સ્કીલ ઈન્ડીયા મિશનની પાંચમી વર્ષગાંઠ પ્રસંગે યોજાયેલી ડિજિટલ સ્કીલ કોન્ક્લેવને સંબોધન કરતા એક સંદેશમાં પ્રધાનમંત્રીએ ઝડપથી બદલાતા જતા બિઝનેસના વાતાવરણની વચ્ચે અને બદલાતી જતી બજારની પરિસ્થિતમાં યુવાનોને કોશલ્ય હાંસલ કરવા, નવેસરથી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને કોશલ્યમાં સુધારો કરવા અનુરોધ કર્યો છે. તેમણે આ પ્રસંગે દેશના યુવાનોને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યુ હતું કે, દરેક સમયે નવુ કૌશલ્ય હાંસલ કરવાની ક્ષમતા ધરાવતા યુવાનોને કારણે આ વિશ્વ યુવાનોનુ છે. તેમણે કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં આજના જ દિવસે રજૂ કરવામાં આવેલા સ્કીલ ઈન્ડીયા મિશનને કારણે કૌશલ્ય હાંસલ કરવા, નવેસરથી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને કૌશલ્યમાં સુધારો કરવાની અપાર તકો પેદા થઈ છે અને સ્થાનિક સ્તરે તેમજ વિશ્વમાં નોકરીઓ હાંસલ કરવાની તકોમાં વધારો થયો છે. તાજેતરમાં કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટે રજૂ કરવામાં આવેલા પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા પ્રવાસી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે અને માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે, પ્રવાસી શ્રમિકોના કૌશલ્યનો ઉપયોગ કરવાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638715
વિશ્વ યુવા કૌશલ્ય દિન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638746
15મી ભારત- ઇયુ (વર્ચ્યુઅલ) સમિટ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભિક સંબોધન
આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર પર GST મુદ્દે સ્પષ્ટતા
આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર પર GST દર લાગુ કરવા અંગે મીડિયાને કેટલાક વર્ગોમાં મુદ્દા ચર્ચાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ બાબતે જણાવવામાં આવ્યું છે કે, આલ્હોકાલ આધારિત હેન્ડ સેનિટાઇઝર પર 18%ના દરે GST લાગુ થવા પાત્ર છે. સેનિટાઇઝર્સ એ સાબુ, એન્ટિ-બેક્ટેરિયલ પ્રવાહીઓ, ડેટોલ વગેરે જેવા જંતુનાશકો સમાન છે અને તે બધા પર GST કર પ્રણાલી અનુસાર 18%નો દર લાગુ પડે છે. વિવિધ ચીજો પર લાગુ કરવામાં આવતા GST દરનો નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે જ્યાં કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોની સરકારો સાથે મળીને વિચારવિમર્શ કર્યા પછી નિર્ણયો લે છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638769
અટલ ઇનોવેશને કોવિડ-19 ઉકેલો સાથેના સ્ટાર્ટઅપને સહકાર આપવા માટે મંત્રાલયો અને ભાગીદારો સાથે જોડાણ કર્યું
વૈશ્વિક અર્થતંત્ર પર કોવિડ-19 મહામારી અને આર્થિક મંદીના કારણે ભારે ફટકો પડી રહ્યો છે તેવા સંજોગોમાં, નીતિ આયોગનું મુખ્ય એવું અટલ ઇનોવેશન મિશન (AIM) સમગ્ર દેશમાં લોકોમાં ઉદ્યોગ સાહસિકતાનો જુસ્સો જળવાઇ રહે તે માટે, કોવિડ-19 માટે નવીનતમ ઉકેલો સાથેના સ્ટાર્ટઅપને સહકાર આપવા માટે તેમજ કોવિડ-19 મહામારી સામે વધુ લડત આપવા માટે અન્ય મંત્રાલયો અને ભાગીદારો સાથે જોડાણ કરી રહ્યું છે. આ સંદર્ભે, AIM દ્વારા આજે કોવિડ-19 ડેમો-ડેઝ નામથી સંભવિત કોવિડ-19 નાવીન્યતાઓ સાથેના આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ઓળખી કાઢવા અને તેમને વધુ મદદ કરવા માટે તેમના ઉકેલો દેશવ્યાપી રજૂ કરવા અને તેમાં ઉન્નતિ લાવવા માટેની પહેલની શ્રેણી અંગે ગઇકાલે સંકલન અને પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલની શરૂઆત બાયોટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સહાય પરિષદ (BIRAC), બાયોટેકનોલોજી વિભાગ (DBT), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), સ્ટાર્ટઅપ ઇન્ડિયા, AGNIi અને અન્ય મંત્રાલયો સહિત સરકારી સંગઠનોની ભાગીદારીમાં શરૂ કરવામાં આવ્યું છે. સંભાળ, નિવારાત્મક અને સહાયક ઉકેલો સહિત વિવિધ શ્રેણીઓમાં જોડાયેલા 1,000થી વધુ કોવિડ-19 સંબંધિત સ્ટાર્ટઅપને મૂલ્યાંકનના બે રાઉન્ડમાં સાથે રાખવામાં આવ્યા હતા અને તેમાંથી 70 સ્ટાર્ટઅપને કોવિડ-19 ડેમો-ડે માટે અલગ તારવવામાં આવ્યા છે. આ સ્ટાર્ટઅપને ભંડોળ, ઉત્પાદન ક્ષમતાઓ માટે ઍક્સેસ, પૂરવઠા સાંકળ અને લોજિસ્ટિક્સ તેમજ યોગ્ય વેન્ડર તેમજ માર્ગદર્શકોને ફંડિગ માટે જરૂરી સહકાર આપવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638572
શ્રી પીયૂષ ગોયલે પુનરોચ્ચાર કર્યો કે, ભારત –અમેરિકા દ્વિપક્ષીય જોડાણમાં અસામાન્ય વેગ આવ્યો છે, વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિના પ્રબળ સહિયારા હિતોના કારણે સંબંધોમાં ઘનિષ્ઠતા આવી છે
ભારત- અમેરિકા CEO મંચનું 14 જુલાઇ 2020ના રોજ ટેલિફોનિક કોન્ફરન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ રેલવે મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને અમેરિકા તરફથી અમેરિકાના વાણિજ્ય સચિવ શ્રી વિલ્બર રોસે સંયુક્ત રીતે સંભાળી હતી. સચિવ રોસે ખાસ કરીને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારજનક સમય કે જેના કારણે બંને દેશોને ફાર્માસ્યુટિકલ, તબીબી ઉપકરણો અને સંબંધિત પૂરવઠા સાંકળોના ક્ષેત્રે વધુ નજીક આવવાની તક મળી છે, તે સહિત હંમેશા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવાની દિશામાં ભાગ લેવા અને પહેલ શરૂ કરવા બદલ સહ-અધ્યક્ષ મંત્રીશ્રી ગોયલ અને CEO મંચના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી પીયૂષ ગોયલે પુનરોચ્ચાર કર્યો કે, ભારત –અમેરિકા દ્વિપક્ષીય જોડાણમાં અસામાન્ય વેગ આવ્યો છે, વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિના પ્રબળ સહિયારા હિતોના કારણે સંબંધોમાં ઘનિષ્ઠતા આવી છે. તેમણે બંને દેશોમાં અર્થતંત્રમાં નાના વ્યવસાયોના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રમાં રોજગારી તેમજ કૌશલ્ય વધારવાની જરૂરિયાત હોવાનું પણ કહ્યું હતું. તેમણે મંચને અનુરોધ કર્યો હતો કે, કોવિડ પછીની દુનિયામાં ભાવિ માર્ગ તૈયાર કરવામાં સૌ નેતૃત્વ સંભાળે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638702
CBSEએ ધોરણ Xનું પરિણામ જાહેર કહ્યું; સૌથી વધુ પાસની ટકાવારી સાથે ત્રિવેન્દ્રમ પ્રદેશ સૌથી ટોચે રહ્યો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા આજે ધોરણ Xના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. તમામ પ્રદેશોમાં ત્રિવેન્દ્રમનું પરિણામ 99.28% પાસ ટકાવારી સાથે સૌથી ટોચે રહ્યું હતું જ્યારે 98.95% સાથે ચેન્નઇ બીજા ક્રમે આવ્યું છે અને 98.23% સાથે બેંગલોર ત્રીજા ક્રમે આવ્યું છે. કુલ 18,73,015 વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષામાં બેઠા હતા જેમાંથી 17,13,121 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એકંદરે પાસ થનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 91.46% ટકા છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638740
કેન્દ્રીય ગ્રામીણ વિકાસઅને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનમાં થયેલી પ્રગતીની સમીક્ષા માટે છ રાજ્યોના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ગઇકાલે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની પ્રગતીની સમીક્ષા કરવા માટે છ રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. 20 જૂન 2020ના રોજ શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં છ રાજ્યો – બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનના 116 જિલ્લા આવરી લેવામાં આવી છે. આ અભિયાન 125 દિવસ સુધી ચાલશે જેમાં 11 અલગ અલગ મંત્રાલય અંતર્ગત આવતા 25 કાર્યોને ઓળખી કાઢવામાં આવ્યા છે તેને પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વિસ્થાપિત શ્રમિકોને તેમના વતનમાં જ રોજગારી મળી રહે તે દેશમાં સરકારના આ પ્રયાસો છે. આ અભિયાન માત્ર વિસ્થાપિત શ્રમિકોને જ નહીં પરંતુ અસરગ્રસ્ત ગ્રામીણ લોકોને પણ રોજગારી પૂરી પાડે છે અને તેના કારણે અર્થતંત્ર વધુ મજબૂત થઇ રહ્યું છે તેમજ આ અભિયાનથી ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંતૃપ્ત થશે અને લોકો માટે આજીવિકાનું સર્જન થશે. તેમણે ખાસ કરીને મહત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર અને આ કવાયતને વધુ વેગ આપવા પર ભાર મૂક્યો હતો.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638602
શ્રી રિજિજુએ NYKS, NSS સ્વયંસેવકો દ્વારા આત્મનિર્ભર ભારત અંગે રાજ્યોમાં લોકજાગૃતિ ફેલાવવા માટે આહ્વાન કર્યું
યુવા બાબતો અને રમતગમત (સ્વતંત્ર પ્રભાર)મંત્રી શ્રી કિરણ રિજિજુએ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગઇકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજી હતી. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે બે દિવસ કોન્ફરન્સના પ્રથમ ભાગ તરીકે આ બેઠક યોજાઇ હતી જેમાં કોવિડ-19 પછી રમતો માટેની ભાવિ સ્થિતિની રૂપરેખા જણાવવામાં આવશે તેમજ નહેરુ યુવા કેન્દ્ર સંસ્થાન (NYKS) તેમજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકોને રાજ્ય સ્તરે વિવિધ યોજનાઓના પ્રચાર માટે જોડવા અંગે પણ માહિતી આપવામાં આવશે. આ બેઠકને સંબોધન કરતા શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે, NYKS અને NSSના સ્વયંસેવકો કોવિડ-19 દરમિયાન નાગરિક વહીવટીતંત્રને મદદ કરીને પ્રશંસનીય કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અંદાજે 75 લાખ સ્વયંસેવકો છે અને મંત્રાલયે અનલૉક 2માં તે સંખ્યા વધારીને એક કરોડ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પહેલાંથી જ આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી છે. હવે દેશમાં બધુ તબક્કાવાર ખુલી રહ્યું છે જેથી આપણા સ્વયંસેવકો સમાજના તમામ વર્ગો જેમ કે, ખેડૂતો, નાના વ્યવસાય માલિકો અને અન્ય લોકોમાં આત્મનિર્ભર થવા માટેના સીધા લાભો અંગે લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરશે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638566
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે શ્રમ સચિવને નિર્દેશો આપ્યા હતા કે, કોવિડની સારવાર લીધી હોય તેવી કોઇપણ વ્યક્તિને ખાનગી અથવા સરકારી ક્ષેત્રમાં નોકરીએ પાછા રાખવાનો ઇનકાર ના કરવામાં તે સુનિશ્ચિત થવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, આવા લોકો સલામત છે કારણ કે, તેમને ફરી કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતા ઓછી છે.
- પંજાબ: જેઓ 72 કલાક કરતાં ઓછા સમય માટે પંજાબમાં આવી રહ્યા છે તેમને હવે ફરજિયાત હોમ ક્વૉરેન્ટાઇનના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે અને તેમણે સરહદે ચેક પોસ્ટ પર એક ઔપચારિક બાંયધરી આપવાની રહેશે. જેઓ પરીક્ષા આપવા માટે આવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક હેતુથી પંજાબમાં મુસાફરી કરવા માંગે છે કે જેમને રાજ્યમાં 72 કલાક કરતાં ઓછુ રોકાવાનું હોય તેવા લોકોને સુવિધા પૂરી પાડવાના આશય સાથે આ છુટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, તેમણે પોતાના આરોગ્યની એકધારી દેખરેખ રાખવાની રહેશે અને અન્ય લોકોથી સામાજિક અંતર જાળવવું પડશે તેમજ જો તેમને કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રકારના લક્ષણો હોવાની આશંકા જાય તો તેમને ફાળવેલી સર્વેલન્સ ટીમ સાથે વાતચીત કરવી પડશે અને તાત્કાલિક 104 પર કૉલ કરીને જાણ કરવાની રહેશે.
- હરિયાણા: રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોવિડ-19 પડકારને એક તક તરીકે લીધો છે અને આ સમયગાળા દરમિયાન વિવિધ ઔદ્યોગિક અને આર્થિક સુધારા લાવવામાં આવ્યા છે જેના પરિણામે 60 મોટી કંપનીઓએ હરિયાણામાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે કોરોના પછીના સમયગાળામાં રાજ્યના અર્થતંત્રને ફરી બેઠુ કરવા માટે ભાવિ રૂપરેખા તૈયાર કરી દીધી છે જે અંતર્ગત અલગ અલગ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ સાથે સંખ્યાબંધ સમૂહોની રચના કરવામાં આવી છે.
- હિમાચલ પ્રદેશ: આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યમાં પરિસ્થિતિની સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોવિડ-19ના નિરાકરણ અને નિયંત્રણ માટે અસરકારક પગલાં લઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે રાજ્યમાં અનલૉકની પ્રક્રિયા પછી વ્યાપાર અને આર્થિક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ થઇ રહી છે. અન્ય રાજ્યોમાંથી ઔદ્યોગિક શ્રમિકો પણ પાછા આવવા લાગ્યા છે. જોકે, અન્ય રાજ્યોમાંથી આવી રહેલા લોકોના કારણે કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે, રાજ્યમાં આવી રહેલા ઔદ્યોગિક શ્રમિકોને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન અથવા હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે. કોન્ટ્રાક્ટર અને ઔદ્યોગિક સંસ્થાઓએ તેમની સંપૂર્ણ જવાબદારી ઉપાડવાની રહેશે. તેમને કોવિડ-19નો નેગેટીવ રિપોર્ટ આવ્યા પછી જ કામ પર જવાની મંજૂરી આપવામાં આવશે.
- મહારાષ્ટ્ર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 6,741 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 2,67,655 થઇ ગઇ છે. આમાંથી 1.49 લાખ દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે જ્યારે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1,07,963 છે. મુંબઇમાં મંગળવારે નવા 969 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 1011 સાજા થઇ ગયા છે અને 70 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ સાથે મુંબઇમાં કોવિડ-19ના કુસ કેસની સંખ્યા 94,863 પર પહોંચી ગઇ છે; જ્યારે કુલ સાજા થયેલા કેસની સંખ્યા 66,633 થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધીમાં અહીં કુલ 5402 દર્દીઓ કોરોનાના ચેપથી મૃત્યુ પામ્યા છે. હાલમાં મુંબઇમાં સક્રિય કેસની સંખ્યા 22,828 છે. મુંબઇમાં કોવિડ-19ના કેસ બમણા થવાનો દર ઘટીને 52 દિવસ થઇ ગયો છે.
- ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના નવા 951 કેસ પોઝિટીવ હોવાનું નિદાન થયું છે જેથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુસ કેસની સંખ્યા 43,723 થઇ ગઇ છે. મંગળવારે 14 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક વધીને 2071 થયો છે. સુરત જિલ્લામાં કોવિડ-19ના સૌથી વધુ 291 નવા કેસ નોંધાયા હતા જ્યારે તે પછી અમદાવાદમાં 154 કેસ નોંધાયા છે. કોવિડ-19ના પોઝિટીવ કેસની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખતા, ટેક્સટાઇલ અને હીરાના હબ ગણાતા સુરતમાં સંખ્યાબંધ દુકાનો, બજારો અને ઔદ્યોગિક એકમોએ સ્વેચ્છાએ તેમના વેપાર-ધંધા બંધ રાખવાનો અથવા કામકાજના કલાકો ઓછા કરવાનો નિર્ણય લીધો છે. 35,000થી વધુ દુકાનો ધરાવતા અંદાજે 25 ટેક્સટાઇલ બજારોએ જાહેરાત કરી હતી કે તેઓ 20 જુલાઇ સુધી દુકાનો બંધ રાખશે.
- રાજસ્થાનઃ આજે સવારે કોવિડ-19ના વધુ 235 નવા પોઝિટીવ કેસો સામે આવતાં રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 25,806 પર પહોંચી ગઇ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 19,199 થઇ ગઇ છે, જ્યારે અત્યારે માત્ર 6,080 કેસો સક્રિય છે. રાજસ્થાનમાં અત્યાર સુધી 527 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- મધ્યપ્રદેશઃ મંગળવારે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધારે 798 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા. આ સાથે જ કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 19,005 પર પહોંચી ગઇ છે. મધ્યપ્રદેશમાં એક તરફ જ્યારે 4,757 સક્રિય કેસો છે, જ્યારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13,575 છે અને 673 લોકો મૃત્યુ પામ્યા છે. ગ્વાલિયરમાંથી મહત્તમ 190 કેસો નોંધાયા છે, જ્યારે ત્યારપછી ભોપાલમાં 103 કેસો અને મોરેનામાં 98 નવા કેસો નોંધાયા છે.
- છત્તીસગઢઃ રાજ્યમાં 105 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાતા રાજ્યમાં કોવિડ-19નો કુલ આંકડો 4,379 પર પહોંચી ગયો છે. વધુમાં અત્યારે સક્રિય દર્દીઓની સંખ્યા પણ 1,084 છે.
- ગોવાઃ મંગળવારે 170 નવા દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે જેના કારણે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 2,753 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,607 છે અને કોવિડના કારણે 19 વ્યક્તિઓ મૃત્યુ પામ્યાં છે. બુધવારે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે કોવિડ-19ના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતાં શુક્રવારથી ગોવામાં કડક જોગવાઇઓ સાથે ત્રણ દિવસનું લૉકડાઉન લાગુ કરવામાં આવશે. ઉપરાંત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા 10 ઑગસ્ટ સુધી રાત્રે 8થી સવારે 6 વાગ્યાં સુધી સમગ્ર ગોવામાં 'જનતા કર્ફ્યૂ' પાળવામાં આવશે. આ દરમિયાન માત્ર તબીબી સેવાઓને જ પરવાનગી અપાશે.
- અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશમાં નામસાઇ જિલ્લા પ્રશાસને કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે આજથી 23 જુલાઇ સુધી નવ દિવસના લૉકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. અરૂણાચલ પ્રદેશના આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, ઇટાનગરમાં નવા MLA એપાર્ટમેન્ટ ખાતે પ્રસ્તાવિત ક્વૉરેન્ટાઇન કેન્દ્ર માત્ર કોવિડ-19 દર્દી માટે જ નહીં પરંતુ તમામ પ્રકારના ગંભીર દર્દીઓ માટે છે.
- આસામઃ આસામના મુખ્યમંત્રીએ આજે તેઓકરાજાબારી HS સ્કૂલ ખાતે આવેલી પૂર રાહત શિબિરમાં રહેતાં લોકોની મુલાકાત લીધી હતી. આશરે 44,000 લોકો અત્યારે રાજ્યમાં વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોમાં આસામ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 198 રાહત શિબિરોમાં વસી રહ્યાં છે.
- મણિપુરઃ મણિપુરના કાકચિંગ ખાતે પાલ્લેલ બજારમાં યુનાઇટેડ પિપલ્સ એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલના સહયોગથી ડ્રગ્સ અને દારૂ વિરુદ્ધ કાકચિંગ જિલ્લા સમિતિ સંગઠન દ્વારા કોવિડ-19 અંગેના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- મિઝોરમઃ મિઝોરમ શાળા શૈક્ષણિક બોર્ડ (MBSE) દ્વારા ગઇકાલે ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતા. આ પરીક્ષામાં 78.52 ટકા વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા છે.
- કેરળઃ કેરળ ઉચ્ચ અદાલતે આજે 31 જુલાઇ સુધી રાજ્યમાં તમામ પ્રકારના વિરોધ પ્રદર્શનો, હડતાળો અને રેલીઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં અદાલતે રાજ્ય સરકારને કોવિડ-19 મહામારી સંબંધિત કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવા પણ જણાવ્યું છે. કોઝિકોડેમાં કોવિડ કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને આગામી નોટિસ સુધી રવિવારથી સંપૂર્ણ લૉકડાઉન અંગેનો આદેશ બહાર પડાયો છે. કોઝિકોડેમાં થુનેરીમાં 53 કોવિડ કેસો સામે આવ્યાં બાદ આજે વધુ 43 કેસો સામે આવ્યાં હતા. અહીં ત્રિપલ લૉકડાઉન પહેલેથી જ અમલી છે. બે બંદરોને પણ બંધ કરવામાં આવ્યાં છે. આજે રાજ્યમાં વધુ એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક વધીને 35 પર પહોંચી ગયો છે. ગઇકાલે રાજ્યમાં નવા 608 કેસો નોંધાયા હતા, જેમાંથી 396 કેસો સંપર્કના કારણે થયા હતા. અત્યારે 4,454 દર્દીઓ સારવાર હેઠળ છે અને વિવિધ જિલ્લાઓમાં 1,81,847 લોકો દેખરેખ હેઠળ છે.
- તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડના કારણે વધુ ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે વધુ 67 કેસો સામે આવતા કુલ કેસોની સંખ્યા 1,596 પર પહોંચી ગઇ છે. તામિલનાડુ સરકારે ICMRની ચેન્નઇ સંસ્થા ખાતે BCGના અભ્યાસ માટે સંમતિ આપી છે. આરોગ્યમંત્રી સી. વિજયભાસ્કરે જણાવ્યું હતું કે, તેમને આશા છે કે સમયસર પરીક્ષણ થયેલી BCG દ્વારા વૃદ્ધોનું રસીકરણ કરવાથી કોવિડ-19ની તીવ્રતા ઘટાડવામાં, હોસ્પિટલમાં લોકોની સંખ્યા ઘટાડવામાં અને મૃત્યુદર ઘટાડવામાં મદદ મળશે. ચેન્નઇમાં કોવિડના કેસો નિયંત્રણમાં આવ્યાં છે ત્યારે તામિલનાડુના બાકીના વિસ્તારોમાં તેની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. ગઇકાલે મદુરાઇમાં 450 કેસો, તિરુવલ્લુરમાં 360 કેસો અને વિરુધુનગરમાં 328 કેસો નોંધાયા છે. ગઇકાલે 4,526 નવા કેસો નોંધાયા છે અને 66 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાંથી 1,078 કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 1,47,324 છે, જેમાંથી 47,912 કેસો સક્રિય છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 15,814 છે.
- કર્ણાટકઃ બેંગલોર શહેરી અને બેંગલોર ગ્રામીણ જિલ્લાઓમાં સાત દિવસના લૉકડાઉનનો કડક અમલ કરવામાં આવશે. શિવામોગા જિલ્લામાં પણ આગામી આદેશ સુધી આવતી કાલથી લૉકડાઉનનો અમલ કરવામાં આવશે. રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો માટે પથારીઓની ફાળવણી દર્શાવતી માહિતી ફરજિયાત બનાવી દીધી છે, જેના ઉલ્લંઘન બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કર્ણાટક ઉચ્ચ અદાલતે લૉકડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા ખાનગી સેવકોનું કોવિડ પરીક્ષણ હાથ ધરવા માટે વિશેષ સુવિધા ધરાવે છે કે નહીં તે અંગે માહિતી પૂરી પાડવા જણાવ્યું છે. સરકાર ટૂંક જ સમયમાં ખાલી પડેલી 1,419 નર્સ, 506 લેબ ટેક્નિશિયન, 916 ફાર્માસિસ્ટ અને ડી-ગ્રૂપની જગ્યાઓ ઉપર ભરતી હાથ ધરશે. ગઇકાલે 2,496 નવા કેસો નોંધાયા હતા અને 87 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે બેંગલોર શહેરમાંથી 1,276 કેસો નોંધાયા હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 44,077 છે, જેમાંથી 25,839 કેસો સક્રિય છે અને 842 લોકોના મૃત્યુ થયા છે.
- આંધ્રપ્રદેશઃ તબીબી અને પેરા-મેડિકલ કર્મચારીઓ સહિત ચાળીસથી વધારે કર્મચારીઓ કોવિડ-19ના કારણે સંક્રમિત થવાથી તિરુપતિ ખાતે આવેલી SVIMS સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવાઓ બહારના દર્દીઓ માટે બંધ કરવામાં આવી છે. દૈનિક 100થી વધારે કેસો નોંધાતા હોવાથી, તિરુપતિ સત્તાવાળાઓએ 18 વિભાગોમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નોકરીયાત વર્ગ તરફથી વ્યક્ત કરવામાં આવેલી ચિંતા બાદ, APSRTCએ રાજ્યમાં કન્ડક્ટર વગરની બસ સેવા પાછી ખેંચી છે અને કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. વિજયવાડામાં ગન્નવરમ હવાઇ મથકે ફરજ બજાવી રહેલા APSPના 26 કોન્સ્ટેબલનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તેમની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ગઇકાલે 1,916 નવા કેસો નોંધાયા હતા, 952 લોકોને રજા આપવામાં આવી હતી. કુલ કેસોની સંખ્યા 33,019 છે, જેમાંથી 15,144 કેસો હાલમાં સક્રિય છે અને 408 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- તેલંગણાઃ જિલ્લા હોસ્પિટલ અને તેલંગણા તબીબી વિજ્ઞાન સંસ્થા કોવિડ-19 સારવાર શરૂ કરશે. હૈદરાબાદમાં નિઝામ તબીબી વિજ્ઞાન સંસ્થા (NIMS) દ્વારા કોરોના વાયરસની રસી માટે તબીબી પરીક્ષણો હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દેશની પ્રથમ સ્વદેશી બનાવટની કોવિડ-19 કોવેક્સિન ICMRના સહકારથી ભારત બાયોટેક અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા વિકસાવવામાં આવી છે. ગઇકાલે કુલ 37,745 કેસો નોંધાયા હતા, જેમાંથી 12,531 કેસો સક્રિય છે, 375 લોકોના મૃત્યુ થયા છે અને 24,840 લોકોને રજા આપવામાં આવી છે.
(Release ID: 1638891)
Visitor Counter : 272
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam