સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ

Posted On: 06 APR 2020 5:27PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

કેબિનેટ સચિવ વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરી રહ્યા છે જેથી દરેક રાજ્યોમાં તમામ ભાગોમાં એકસમાન પ્રતિભાવ આપી શકાય. તમામ જિલ્લાઓને સલાહ આપવામાં આવી છે કે કોવિડ-19 માટે જિલ્લા સ્તરે કટોકટી વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ-19 મહામારીના ઉપદ્રવ માટે ક્વૉરન્ટાઇન સુવિધાઓ ઉભી કરવા અંગે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં ખાસ કરીને શંકાસ્પદ અને અતિ જોખમ હોય તેવા લોકોને અન્ય ક્વૉરન્ટાઇન લોકોથી શક્ય હોય એટલા વહેલી તકે અલગ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકા આપેલી લિંક પરથી ઍક્સેસ થઇ શકે છે: https://www.mohfw.gov.in/pdf/90542653311584546120quartineguidelines.pdf

મંત્રાલય દ્વારા કોવિડ-19ના દર્દીઓની સારવાર/નિદાન/ક્વૉરન્ટાઇન દરમિયાન ઉત્પન્ન થયેલા કચરાને લઇ જવા માટે, ટ્રીટમેન્ટ કરવા કે તેનો નિકાલ કરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જે https://www.mohfw.gov.in/pdf/63948609501585568987wastesguidelines.pdf પર ઉપલબ્ધ છે. ઉપરાંત, કોવિડ-19 મહામારી દરમિયાન તણાવ અને અજંપાને દૂર કરવા માટે કેટલાક માહિતીપ્રદ વીડિયો પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યોને પહેલાંથી જ સલાહ આપવામાં આવી છે કે તેઓ ક્વૉરેન્ટાઇન કેન્દ્ર બનાવવા, કોવિડ-19 માટે સમર્પિત હોસ્પિટલો માટે અને અન્ય તબીબી ઉપકરણો, દર્દીઓની સારવાર તેમજ કોવિડ-19ના વ્યવસ્થાપન માટે કરવામાં આવતી અન્ય તમામ પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળના ભંડોળ તેમજ રાજ્ય આપત્તિ રાહત ભંડોળ (SDRF)નો ઉપયોગ કરે. વધુમાં, NHM દ્વારા તમામ રાજ્યોને પહેલાંથી જ રૂ. 1100 કરોડ ફાળવવામાં આવ્યા છે અને રૂ. 3000 કરોડ આપે આપવામાં આવ્યા છે. તેમજ. N-95 માસ્ક, વેન્ટિલેટર અને PPEની પ્રાપ્તિ સેન્ટ્રલ પૂલમાંથી કરવામાં આવી રહી છે અને દેશમાં તમામ રાજ્યોમાં તેનું વિતરણ ચાલી રહ્યું છે.

અત્યાર સુધીમાં કોરોના વાયરસના 4067 પોઝિટીવ દર્દીના કેસોની પુષ્ટિ થઇ છે તેમજ 109 દર્દીનાં મોત નોંધાયા છે. 291 દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હાલમાં ઉપલબ્ધ ડેટા અનુસાર, પુષ્ટિ થયેલા કુલ કેસોનું વિશ્લેષણ નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • જાતિ અનુસાર વર્ગીકરણ:
    • 76% પુરુષો
    • 24% મહિલાઓ
  • ઉંમર અનુસાર વર્ગીકરણ:
    • 47% લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના
    • 34% લોકો 40 થી 60 વર્ષની વચ્ચેની ઉંમરના
    • 19% લોકો 60 વર્ષથી વધુ ઉંમરના

કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા 109 લોકો અંગેના વિશ્લેષણમાં સામે આવેલા તારણો નીચે પ્રમાણે છે:

  • જાતિ અનુસાર વર્ગીકરણ:
    • 73% પુરુષો
    • 27% મહિલાઓ
  • ઉંમર અનુસાર વર્ગીકરણ:
    • 63% મૃત્યુ ઉંમરલાયક વ્યક્તિનાં નોંધાયા (60 વર્ષ અને તેથી વધુ)
    • 30% મૃત્યુ 40 થી 60 વર્ષની વચ્ચેની ઉંમરના લોકોના નોંધાયા
    • 7% મૃત્યુ 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોના નોંધાયા

અત્યાર સુધીમાં નોંધાયેલા મૃત્યુમાંથી 86% લોકોને ડાયાબિટિસ, જુની કિડનીની બીમારી, હાઇપર ટેન્શન અને હૃદય સંબંધિત અન્ય બીમારીઓ પણ હોવાનું નોંધાયું છે. 19% ચેપગ્રસ્ત લોકો ઉંમરલાયક હોવાનું નોંધાયું હોવા છતાં, કુલ મત્યુમાંથી 63% મૃત્યુ પામેલા લોકો ઉંમરલાયક હોવાથી વધુ ઉંમરના લોકોને મૃત્યુનું વધુ જોખમ હોવાનું નોંધાયું છે. વધુમાં, 37% મૃત્યુ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોના નોંધાયા છે જેમાંથી 86% લોકોને અન્ય બીમારી પણ હતી જેના પરથી ધ્યાનમાં આવ્યું છે કે, અન્ય બીમારી ધરાવતા લોકોને કોવિડ-19ના કારણે મૃત્યુનું જોખમ વધુ છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો. જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.



(Release ID: 1611749) Visitor Counter : 318