પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કાલકાજી ખાતે ‘ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ’ અંતર્ગત નવા બાંધવામાં આવેલા 3024 ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું


ભૂમિહીન કેમ્પમાં પાત્રતા ધરાવતા ઝુગ્ગીઝોપડીના રહેવાસીઓને ફ્લેટની ચાવીઓ સોંપી

"સૌના ઉત્કર્ષ માટે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસના માર્ગે દેશ આગળ વધી રહ્યો છે"

“અમારી સરકાર ગરીબોની છે. નીતિ ઘડવાની અને નિર્ણય લેવાની વ્યવસ્થામાં ગરીબોને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે”

"જીવનમાં જ્યારે આ સુરક્ષા હોય છે, ત્યારે ગરીબો પોતાને ગરીબીમાંથી બહાર લાવવા માટે તનતોડ પરિશ્રમ કરે છે"

"અમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે જીવીએ છીએ"

"PM-UDAY યોજના દ્વારા દિલ્હીની અનધિકૃત કોલોનીઓમાં બનેલા મકાનોને નિયમિત કરવા માટે કામ ચાલી રહ્યું છે"

"કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય દિલ્હીને દેશની રાજધાની તરીકેની સ્થિતિને અનુરૂપ તમામ સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ભવ્ય શહેરમાં રૂપાંતરિત કરવાનો છે"

"દિલ્હીનો ગરીબ અને મધ્યમ વર્ગ મહત્વાકાંક્ષી અને પ્રતિભાશાળી છે"

Posted On: 02 NOV 2022 6:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કાલકાજી ખાતે ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓના પુનર્વસન માટે 'ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ' (યથાસ્થાને ઝૂંપડપટ્ટી પુનર્વસન પરિયોજના) અંતર્ગત નવા બાંધવામાં આવેલા 3024 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભૂમિહીન કેમ્પમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મકાનોની ચાવીઓ સોંપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ દિલ્હીના સેંકડો પરિવારો માટે એક ખૂબ જ મોટો દિવસ છે કારણ કે ઝુગ્ગીઝોપડી (ઝૂંપડપટ્ટી)માં રહેતા ઘણા પરિવારોના જીવનમાં આજનો દિવસ એક નવી શરૂઆત છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે માત્ર કાલકાજી એક્સટેન્શનના પ્રથમ તબક્કામાં જ 3000 કરતાં વધુ ઘરો તૈયાર કરવામાં આવ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં, આ વિસ્તારમાં રહેતા અન્ય પરિવારોને તેમના નવા ઘરોમાં ગૃહ પ્રવેશ કરવાની તક મળશે. તેમણે કહ્યું હતું કે, "મને વિશ્વાસ છે કે, કેન્દ્ર સરકારના આ પ્રયાસો દિલ્હીને એક આદર્શ શહેર બનાવવામાં મોટી ભૂમિકા નિભાવશે". દિલ્હી જેવા મોટા શહેરોમાં જે વિકાસ જોવા મળે છે અને જે સપનાં સાકાર થાય છે તેના પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવા વિકાસ અને સપનાંનો પાયો ગરીબોના સખત પરિશ્રમ અને પ્રયાસોથી બનેલો છે. તેમણે કહ્યું હતું કે, "વિડંબણા તો જુઓ કે, આ ગરીબ લોકોને દયનીય સ્થિતિમાં રહેવું પડે છે. જ્યારે એક જ શહેરમાં આટલું મોટું અસંતુલન હોય ત્યારે આપણામાંથી કોણ સર્વાંગી વિકાસ વિશે વિચારી શકે? આઝાદીના અમૃતકાળમાં, આપણે અસમાનતાની આ મોટી ખાઇ દૂર કરવાની છે. તેથી જ સૌના ઉત્કર્ષ માટે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસના માર્ગ પર દેશ આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, દેશમાં દાયકાઓથી શાસન પ્રણાલી એવી માનસિકતાથી ઘેરાયેલી હતી કે ગરીબી એ તો ગરીબ લોકોની સમસ્યા છે પરંતુ આજની સરકાર ગરીબોની છે અને તેમને ત્યજી દેવાનું તેના સ્વભાવમાં નથી. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, નીતિ ઘડવામાં અને નિર્ણય લેવાની વ્યવસ્થાઓમાં ગરીબોને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે અને શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, સરકાર શહેરી ગરીબોની સમસ્યાઓને સમાન પ્રમાણમાં મહત્વ આપીને તેના પર કામ કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં 50 લાખ એવા લોકો હતા કે જેમની પાસે બેંકમાં ખાતું પણ નહોતું. તેના કારણે તેઓ બેંકિંગ સિસ્ટમના કોઇપણ લાભોથી વંચિત રહેતા હતા. તેમણે કહ્યું કે, "તેઓ દિલ્હીમાં હતા પરંતુ દિલ્હી તેમનાથી ખૂબ દૂર હતું". સરકાર દ્વારા આ પરિસ્થિતિ બદલવામાં આવી હતી અને તેમના ખાતા ખોલાવીને નાણાકીય સમાવેશ માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેના કારણે રસ્તા પરના ફેરિયાઓ સહિત દિલ્હીના ગરીબ લોકો સુધી સીધો ફાયદો પહોંચ્યો છે. તેમણે UPIના સર્વવ્યાપક પગપેસારા અંગે પણ ટિપ્પણી કરી હતી. સ્વનિધિ યોજના હેઠળ 50 હજારથી વધુ રસ્તા પરના ફેરિયાઓને નાણાકીય સહાય પ્રાપ્ત થઇ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "અમે 'એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ' દ્વારા દિલ્હીમાં ગરીબો માટે 'ઇઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કરી રહ્યા છીએ." આ પગલું મહામારી દરમિયાન ગરીબ વર્ગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. પાત્રતા ધરાવતા લાખો નિઃસહાય લોકો છેલ્લા બે વર્ષથી કેન્દ્ર સરકાર તરફથી મફત રાશન મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર દિલ્હીમાં જ આની પાછળ રૂપિયા 2.5 હજાર કરોડ કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા માહિતી આપી હતી કે, દિલ્હીમાં 40 લાખથી વધુ ગરીબ લોકોને વીમા સુરક્ષા મળી છે. જન ઔષધિ યોજનાઓ દ્વારા મેડિકલ સંબંધિત ખર્ચમાં ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે જીવનમાં આ સુરક્ષા હોય છે, ત્યારે ગરીબો આરામ કર્યા વિના તેમની બધી તાકાત લગાવીને તનતોડ પરિશ્રમ કરે છે. તેઓ પોતાને ગરીબીમાંથી બહાર લાવવા માટે કામ કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ બધુ ખૂબ ધામધૂમથી અને વિશાળ જાહેરાતો સાથે કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આવું કરવા પાછળનું કારણ એ છે કે, "અમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે જીવીએ છીએ".

દિલ્હીમાં અનધિકૃત કોલોનીઓ મુદ્દે બોલતા પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું કે, લોકોને તેમના ઘરોની સ્થિતિ વિશે સતત ચિંતા થતી હોય છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દિલ્હીના લોકોની આ ચિંતા ઘટાડવાનું કામ પણ કર્યું છે. PM-UDAY યોજના દ્વારા દિલ્હીની અનધિકૃત કોલોનીઓમાં બનેલા ઘરોને નિયમિત કરવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.  તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમના પોતાના ઘર બનાવવા માટે વ્યાજ સબસિડી આપવા માટે 700 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર દિલ્હીમાં નાગરિકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે કોઇ જ કસર છોડી રહી નથી. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય દિલ્હીને દેશની રાજધાની તરીકેની તેની સ્થિતિ અનુસાર તમામ સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ભવ્ય શહેરમાં પરિવર્તિત કરવાનો છે. લાલ કિલ્લાના કિલ્લા પરથી મહત્વાકાંક્ષી સમાજવિશે કરેલી પોતાની વાતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હીનો ગરીબ અને મધ્યમ વર્ગ મહત્વાકાંક્ષી અને પ્રતિભાશાળી છે.

દિલ્હી NCR ક્ષેત્રમાં થયેલા વિકાસના કાર્યો પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ 2014 પછી મેટ્રોના રૂટ્સના 190 કિમીથી વધારીને 400 કિમી સુધીના વિસ્તરણ વિશે માહિતી આપી હતી. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં, આના નેટવર્કમાં 135 નવા મેટ્રો સ્ટેશન ઉમેરવામાં આવ્યા છે જેના કારણે લોકોના સમય અને પૈસાની બચત થઇ છે. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે ભારત સરકાર દિલ્હીને ટ્રાફિકની ભીડમાંથી રાહત આપવા માટે 50 હજાર કરોડ રૂપિયાના રોકારણ દ્વારા માર્ગો પહોળા કરી રહીછે. પ્રધાનમંત્રીએ દ્વારકા એક્સપ્રેસ-વે, અર્બન એક્સટેન્શન રોડ, અક્ષરધામથી બાગપત 6-લેન ઍક્સેસ કંટ્રોલ હાઇવે અને ગુરુગ્રામ-સોહના રોડના રૂપમાં એલિવેટેડ કોરિડોરના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, નજીકના ભવિષ્યમાં દિલ્હી NCR માટે રેપિડ રેલ જેવી સેવાઓ શરૂ થવા જઇ રહી છે. તેમણે નવી દિલ્હી રેલવે સ્ટેશનના ભવ્ય નિર્માણની નોંધ લીધી જે થવા જઇ રહ્યું છે અને દ્વારકામાં 80 હેક્ટર જમીન પર ભારત વંદના પાર્કના નિર્માણ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો જેનું કામ હવે આગામી થોડા મહિનામાં પૂરું થવા જઇ રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, મને કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં 700થી વધુ મોટા ઉદ્યાનોની જાળવણી DDA દ્વારા કરવામાં આવે છે. DDA દ્વારા વઝીરાબાદ બેરેજથી ઓખલા બેરેજ વચ્ચેના 22 કિમીના પટ્ટામાં વિવિધ ઉદ્યાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ નવા મકાનોના લાભાર્થીઓને વીજળી બચાવવા માટે માત્ર LED બલ્બનો ઉપયોગ કરવા, પાણીનો બગાડ ન થાય તે સુનિશ્ચિત કરવા અને આખી વસાહતને સ્વચ્છ અને સુંદર રાખવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, આજે ભારત સરકાર કરોડો ગરીબો માટે ઘરોનું નિર્માણ કરી રહી છે, નળ દ્વારા પાણી પૂરું પાડી રહી છે, વીજળીના કનેક્શન, ઉજ્જવલા સિલિન્ડર આપી રહી છે અને તેથી આપણે વર્ષો જૂની ખોટી માન્યતાને તોડવી પડશે કે ઝૂંપડપટ્ટી સાથે ગંદકી જોડાયેલી છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે દરેક વ્યક્તિ દિલ્હી અને દેશના વિકાસમાં અગ્રેસર ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે. દરેક નાગરિકના યોગદાનથી દિલ્હીની યાત્રા અને ભારતનો વિકાસ નવી ઊંચાઇઓ પર પહોંચશે.

આ પ્રસંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોર, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.

 

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીની સૌના માટે આવાસ ઉપલબ્ધ કરાવવાની દૂરંદેશીને અનુરૂપ, દિલ્હી વિકાસ સત્તામંડળ (DDA) દ્વારા 376 ઝુગ્ગીઝોપડી ક્લસ્ટરો (ઝૂંપડપટ્ટી ક્લસ્ટરો)માં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પુનર્વસન પરિયોજનાનો ઉદ્દેશ્ય યોગ્ય સુવિધાઓ અને સવલતો સાથે ઝુગ્ગીઝોપડી ક્લસ્ટરના રહેવાસીઓને વધુ સારા અને સ્વસ્થ જીવનનો માહોલ પૂરો પાડવાનો છે.

DDA દ્વારા કાલકાજી એક્સ્ટેન્શન, જેલરવાલાબાગ અને કાથપુતલી કોલોની ખાતે આવા ત્રણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. કાલકાજી એક્સ્ટેન્શન પ્રોજેક્ટ હેઠળ, કાલકાજી ખાતે આવેલા ભૂમિહીન કેમ્પ, નવજીવન કેમ્પ અને જવાહર કેમ્પ નામના ત્રણ ઝૂંપડપટ્ટીના ઝૂંપડપટ્ટી ક્લસ્ટરોના પુનર્વસનની કામગીરી તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવી છે. તબક્કા I હેઠળ, નજીકની ખાલી પડેલી કોમર્શિયલ સેન્ટરની સાઇટ પર 3024 EWS ફ્લેટ બાંધવામાં આવ્યા છે. ભૂમિહીન કેમ્પ ખાતેની ઝૂંપડપટ્ટીની સાઇટને ભૂમિહીન કેમ્પના પાત્રતા ધરાવતા પરિવારોને નવા બાંધવામાં આવેલા EWS ફ્લેટમાં પુનર્વસન કરીને ખાલી કરવામાં આવશે. ભૂમિહીન કેમ્પની સાઇટ ખાલી થઇ ગયા પછી, આ ખાલી કરાયેલી જગ્યાનો ઉપયોગ બીજા તબક્કામાં નવજીવન કેમ્પ અને જવાહર કેમ્પના પુનર્વસન માટે કરવામાં આવશે.

પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂરો થઇ ગયો છે અને 3024 ફ્લેટ્સ લોકોને રહેવા માટે તૈયાર છે. આ ફ્લેટ્સ લગભગ રૂ. 345 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે જેમાં વિટ્રિફાઇડ ફ્લોર ટાઇલ્સ, સિરામિક્સ ટાઇલ્સ, ફિનિશિંગ, રસોડામાં ઉદયપુર ગ્રીન માર્બલના કાઉન્ટર વગેરે સહિત તમામ નાગરિક સુવિધાઓથી તેને સજ્જ કરાયા છે. સામુદાયિક ઉદ્યાનો, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્યૂઅલ વોટર પાઇપલાઇન, લિફ્ટ, સ્વચ્છ પાણી પુરવઠા માટે ભૂગર્ભ જળાશયો વગેરે જેવી સાર્વજનિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. ફ્લેટની ફાળવણી રહેવાસીઓને માલિકી હક અને સુરક્ષાની ભાવના પ્રદાન કરશે.

YP/GP/JD



(Release ID: 1873233) Visitor Counter : 212