પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દીપોત્સવની ભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવ્યો


"આજે અયોધ્યા ભારતની સાંસ્કૃતિક કાયાકલ્પનાં સોનેરી પ્રકરણનું પ્રતિબિંબ છે."

"આ પ્રકાશની રોશની અને તેની અસરો એ ભારતના સિદ્ધાંત મંત્રની ઘોષણા છે - 'સત્યમેવ જયતે'"

"દીપાવલીના દીવાઓ ભારતનાં આદર્શો, મૂલ્યો અને તત્ત્વજ્ઞાનની જીવંત ઊર્જા છે."

અંધકારને દૂર કરવા માટે 'દિયા' સળગે છે, જે સમર્પણની ભાવના પેદા કરે છે"

Posted On: 23 OCT 2022 8:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપાવલીની પૂર્વસંધ્યાએ આજે ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ ગ્રાન્ડ મ્યુઝિકલ લેસર શૉની સાથે સરયુ નદીના કિનારે રામ કી પૈડી ખાતે 3-ડી હૉલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શૉ પણ નિહાળ્યો હતો.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભગવાન રામની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આજે અયોધ્યાજી દીવાઓનાં અજવાળામાં દિવ્ય છે અને લાગણીઓ સાથે ભવ્ય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે અયોધ્યા ભારતની સાંસ્કૃતિક કાયાકલ્પનાં સોનેરી પ્રકરણનું પ્રતિબિંબ છે." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે તેઓ અહીં રાજ્યાભિષેક માટે આવ્યા હતા, ત્યારે તેમનામાં લાગણીઓનો ધસારો જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીએ પ્રશંસામાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી પાછા ફર્યા ત્યારે અયોધ્યાને કેવી રીતે શણગારવામાં આવ્યું હશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે આ અમૃત કાળમાં ભગવાન રામનાં આશીર્વાદ સાથે આપણે અયોધ્યાની દિવ્યતા અને અમરત્વનાં સાક્ષી છીએ."

તેમણે કહ્યું કે આપણે તે પરંપરાઓ અને સંસ્કૃતિઓના વાહક છીએ જ્યાં તહેવારો અને ઉજવણીઓ લોકોનાં જીવનનો કુદરતી ભાગ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે દરેક સત્યની જીત અને દરેક જુઠ્ઠાણાની હાર વિશે માનવતાનો સંદેશો જીવંત રાખવાની વાત આવે છે, ત્યારે ભારત માટે કોઈ મુકાબલો નથી." પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "દીપાવલીના દીવાઓ ભારતનાં આદર્શો, મૂલ્યો અને ફિલસૂફીની જીવંત ઊર્જા છે." પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "આ પ્રકાશ અને તેની અસરો ભારતના સિદ્ધાંત મંત્ર 'સત્યમેવ જયતે'ની ઘોષણા છે.

ઉપનિષદને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન:", જેનો અર્થ થાય છે કે વિજય સત્યનો છે, અસત્યનો નહીં. પ્રધાનમંત્રીએ આપણા ઋષિમુનિઓના શબ્દો પણ ટાંક્યા હતા, "રામો રાજમણિ સદા વિજયતે" જેનો અર્થ છે કે વિજય હંમેશા રામનાં સારા આચરણ માટે હોય છે, રાવણનાં દુષ્કર્મ માટે નહીં. ભૌતિક દીવામાં ચેતન ઊર્જા પર પ્રકાશ ફેંકતા તેમણે ઋષિઓને ટાંકતા કહ્યું કે, દીપો જ્યોતિહ પરબ્રહ્મા દીપો જ્યોતિ જનાર્દન '' જેનો અર્થ છે કે દીવાનો પ્રકાશ એ બ્રહ્માનું સ્વરૂપ છે. શ્રી મોદીએ તેમની એ માન્યતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે, આ આધ્યાત્મિક પ્રકાશ ભારતની પ્રગતિ અને ઉત્થાનમાં માર્ગદર્શન આપશે.

પ્રધાનમંત્રીએ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે જે કહ્યું હતું તેની યાદ દરેકને અપાવવાની તક ઝડપી લીધી હતી અને "જગત પ્રકાશ પ્રકાશક રામુ"ને ટાંક્યા, જેનો અર્થ છે કે ભગવાન રામ સમગ્ર વિશ્વને પ્રકાશના દાતા છે અને સમગ્ર વિશ્વ માટે દીવાદાંડી સમાન છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, "આ દયા અને કરુણા, માનવતા અને ગરિમા, સમતા અને કરુણાનો પ્રકાશ છે તથા આ સબ કા સાથનો સંદેશ છે."

પ્રધાનમંત્રીએ તેમની કવિતા 'દિયા'માંથી એક દીવા વિશે કેટલીક પંક્તિઓ સંભળાવી, જે તેમણે ઘણાં વર્ષો પહેલાં ગુજરાતીમાં લખી હતી.  તેમણે કવિતાનો અર્થ સમજાવ્યો જેનો અર્થ એ થાય કે દીવો આશા અને ઉષ્મા, અગ્નિ અને આરામ આપે છે. દરેક જણ ઉગતા સૂર્યની પૂજા કરે છે, તેમ છતાં તે દીવો છે જે સાંજના અંધકારને ટેકો આપે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકોનાં મનમાં સમર્પણની ભાવના લાવતી વખતે અંધકારને દૂર કરવા માટે દીવો પોતે જ સળગે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે આપણે સ્વાર્થથી ઉપર ઉઠીએ છીએ, ત્યારે સર્વસમાવેશકતાનો સંકલ્પ આપોઆપ તેમાં સમાઈ જાય છે. તેમણે કહ્યું કે, "જ્યારે આપણા વિચારો પૂર્ણ થાય છે, ત્યારે આપણે કહીએ છીએ કે આ સિદ્ધિ મારા માટે નથી, તે માનવજાતનાં કલ્યાણ માટે છે. દીપ (દીવા)થી લઈને દિવાળી સુધી, આ ભારતની ફિલસૂફી છે, આ ભારતનો વિચાર છે અને ભારતની શાશ્વત સંસ્કૃતિ છે." પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, મધ્યકાલીન અને આધુનિક સમયમાં ભારતે અંધકારયુગની આડઅસરોનો સામનો કર્યો હોવા છતાં દેશવાસીઓએ ક્યારેય દીવાઓ પ્રગટાવવાનું બંધ કર્યું નથી અને વિશ્વાસનું નિર્માણ કરવાનું ક્યારેય બંધ કર્યું નથી. તેમણે યાદ કર્યું હતું કે, કોરોનાની મુશ્કેલીઓ દરમિયાન દરેક ભારતીય એક જ ભાવનામાં દીવો લઈને ઊભો થયો હતો અને દુનિયા આ મહામારી સામે ભારતની લડાઈની સાક્ષી હતી. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "ભારત ભૂતકાળમાં દરેક અંધકારમાંથી બહાર આવ્યું છે અને પ્રગતિના પથ પર પોતાની તાકાતનો પ્રકાશ ફેલાવે છે."

પશ્ચાદભૂમિકા

દીપોત્સવનું છઠ્ઠું સંસ્કરણ પહેલી વાર છે જ્યારે પ્રધાનમંત્રી વ્યક્તિગત રીતે ઉજવણીનો ભાગ બન્યા. આ પ્રસંગે 15 લાખથી વધુ દીવડા (લેમ્પ) પ્રગટાવવામાં આવ્યા અને વિવિધ રાજ્યોનાં વિવિધ નૃત્ય સ્વરૂપો સાથે પાંચ એનિમેટેડ ટેબ્લો અને અગિયાર રામલીલા ટેબ્લોનું પ્રદર્શન થઈ રહ્યું છે.

YP/GP/JD



(Release ID: 1870542) Visitor Counter : 193