મંત્રીમંડળ

મંત્રીમંડળે કેન-બેતવા નદીઓના આંતરજોડાણ પ્રોજેક્ટને મંજૂરી આપી


પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 44,605 કરોડ આવશે અને 8 વર્ષમાં પૂર્ણ થશે

પ્રોજેક્ટ 103 મેગાવોટ હાઇડ્રો પાવર અને 23 મેગાવોટ સૌર ઊર્જા પેદા કરશે

પ્રોજેક્ટનો અમલ કરવા કેન-બેતવા લિન્ક પ્રોજેક્ટ ઓથોરિટી (કેબીએલપીએ) નામનું સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) સ્થાપિત થશે

પ્રોજેક્ટ મધ્યપ્રદેશમાં છતરપુર, પન્ના અને તિકમગઢમાં તથા ઉત્તરપ્રદેશમાં બાંદા, મહોબા અને ઝાંસીમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં 10.62 લાખ હેક્ટરમાં સિંચાઈની સુવિધા પ્રદાન કરશે

નહેરને જોડવાથી 62 લાખ લોકોને પીવાનું પાણી મળશે

Posted On: 08 DEC 2021 4:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન-બેતવા નદીના આંતરજોડાણના પ્રોજેક્ટને ફંડ આપવા અને અમલીકરણની મંજૂરી આપવામાં આવી છે.

કેન-બેતવા લિન્ક પ્રોજેક્ટનો કુલ ખર્ચ વર્ષ 2020-21ની કિંમતના સ્તરે રૂ. 44,605 કરોડ થશે એવી આકારણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારના રૂ. 39,317 કરોડની સહાયની મંજૂરી આપી છે, જેમાં રૂ. 36,290 કરોડની ગ્રાન્ટ અને રૂ. 3,027 કરોડની લોન સામેલ છે.

પ્રોજેક્ટ ભારતમાં નદીઓના વધારે આંતરજોડાણના પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો કરશે તથા દુનિયાને આપણી ક્ષમતા અને વિઝનથી પરિચિત પણ કરાવશે.

આ પ્રોજેક્ટમાં દૌધન જળાશયના નિર્માણ દ્વારા કેન નદીમાંથી પાણીને બેતવા નદીમાં હસ્તાંતરણ, બે નદીઓને નહેરના જોડાણ, લોઅર ઓર પ્રોજેક્ટ, કોઠા બેરેજ અને બિના કોમ્પ્લેક્સ બહુઉદ્દેશ પ્રોજેક્ટ સામેલ છે. પ્રોજેક્ટ વર્ષે 10.62 લાખ હેક્ટરની સિંચાઈ સુવિધા પ્રદાન કરશે, આશરે 62 લાખ લોકોને પીવાના પાણીનો પુરવઠો પ્રદાન કરશે તથા 103 મેગાવોટ હાઇડ્રોપાવર અને 27 મેગાવોટ સૌર ઊર્જા પણ પેદા કરશે. પ્રોજેક્ટનો અમલ અદ્યતન ટેકનોલોજી સાથે 8 વર્ષમાં થશે.

પ્રોજેક્ટથી પાણીની ખેંચ ધરાવતા તથા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજ્યમાં પથરાયેલા બુંદેલખંડ વિસ્તારને પ્રચૂર લાભ થશે. આ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશના પન્ના, તિકમગઢ, છતરપુર, સાગર, દામોહ, દાતિયા, વિદિશા, શિવપુરી અને રાયસેન તથા ઉત્તરપ્રદેશના બાંદા, મહોબા, ઝાંસી અને લલિતપુરને પુષ્કળ લાભ મળશે.

પ્રોજેક્ટ કૃષિ પ્રવૃત્તિઓમાં વધારા અને રોજગારીના સર્જનમાં વૃદ્ધિ થવાથી પછાત બુંદેલખંડ વિસ્તારમાં સામાજિક-આર્થિક સમૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે. એનાથી આ વિસ્તારમાંથી સ્થળાંતરણ અટકાવવામાં પણ મદદ મળશે.

આ પ્રોજેક્ટ પર્યાવરણલક્ષી વ્યવસ્થાપન અને સલામતી માટે સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડશે. આ માટે સંપૂર્ણ જમીનનું વ્યવસ્થાપન કરવાની યોજનાને ભારતીય વન્યજીવ સંસ્થા દ્વારા અંતિમ ઓપ આપવામાં આવે છે.

પૃષ્ઠભૂમિઃ

22 માર્ચ, 2021ના રોજ કેન્દ્રીય જલશક્તિ મંત્રી તથા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ વચ્ચે દેશમાં પ્રથમ મુખ્ય કેન્દ્ર સરકાર સંચાલિત નદીઓને જોડવાના પ્રોજેક્ટનો અમલ કરવા ઐતિહાસિક સમજૂતી થઈ હતી. આ સમજૂતીથી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીના નદીઓને એકબીજા સાથે જોડીને પુષ્કળ પાણી ધરાવતા વિસ્તારોમાંથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીનું વહન કરવાના વિઝનનો અમલ કરવા આંતર-રાજ્ય સાથસહકારની શરૂઆત થઈ છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1779329) Visitor Counter : 316