સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

5જી ટેકનોલોજી અને કોવિડ-19ના પ્રસાર વચ્ચે કોઈ સંબંધ નથી

Posted On: 10 MAY 2021 8:16PM by PIB Ahmedabad

સંચાર મંત્રાલયના ટેલીકોમ વિભાગ (ડીઓટી)ના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાંક ગેરમાર્ગે દોરતા સંદેશા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વહેતા થયા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 5જી મોબાઇલ ટાવરના પરીક્ષણને કારણે કોરોનાવાયરસની બીજી લહેર પેદા થઈ છે. ટેલીકોમ વિભાગે જાહેર કરેલા અખબારી નિવેદન મુજબ, આ સંદેશા ખોટા છે અને એમાં ખરેખર કોઈ સત્ય નથી. અખબારી નિવેદનમાં જાણકારી આપવામાં આવી છે કે, જાહેર જનતાને અહીં માહિતી આપવામાં આવે છે કે, 5જી ટેકનોલોજી અને કોવિડ-19ના પ્રસાર વચ્ચે કોઈ સંબંધ નથી તથા જનતાને આ સંબંધમાં ફેલાવવામાં આવેલી ખોટી માહિતી અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવાઈ જવાની અપીલ કરવામાં આવી છે. કોવિડ-19 રોગચાળા સાથે 5જી ટેકનોલોજીને જોડતા દાવાઓ ખોટા છે અને એનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ઉપરાંત આ જાણકારી આપવામાં આવી છે કે, 5જી નેટવર્કનું પરીક્ષણ ભારતમાં કોઈ પણ જગ્યાએ હજુ શરૂ થયું નથી. એટલે 5જી પરીક્ષણો કે નેટવર્કથી ભારતમાં કોરોનાવાયરસ ફેલાયો હોવાનો દાવો પાયાવિહોણો અને ખોટો છે.

મોબાઇલ ટાવર્સમાંથી નોન-આયોનાઝિંગ રેડિયો ફ્રીક્વન્સી પેદા થાય છે, જે અતિ ઓછી ઊર્જા ધરાવે છે અને માનવજાત સહિત જીવિત કોષોને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવા સક્ષમ નથી. ટેલીકોમ વિભાગ (ડીઓટી)એ રેડિયો ફ્રીક્વન્સી ફિલ્ડની ઉત્સર્જનની મર્યાદા (એટલે કે બેઝ સ્ટેશન ઉત્સર્જન) માટે નિયમો બનાવ્યાં છે, જે ઇન્ટરનેશનલ કમિશન ઓન નોન-આયોનાઇઝિંગ રેડિયેશન પ્રોટેક્શન (આઇસીએનઆઇઆરપી) દ્વારા સૂચિત અને ડબલ્યુએચઓએ ભલામણ કરેલી સલામત મર્યાદાથી 10 ગણા વધારે કડક છે.

ટેલીકોમ વિભાગે લીધેલી પહેલોઃ

ટેલીકોમ વિભાગ સુગઠિત પ્રક્રિયા ધરાવે છે, જેથી ટીએસપી કડકપણે આ સૂચિત નિયમોનું પાલન કરે. જોકે વિભાગ દ્રારા નિર્ધારિત સલામત મર્યાદાથી વધારે રેડિયો તરંગોનું ઉત્સર્જન કરતા કોઈ પણ મોબાઇલ ટાવર વિશે કોઈ નાગરિકને શંકા હોવાના કિસ્સામાં ઇએમએફ માપવાની/પરીક્ષણની રિકવેસ્ટ તરંગ સંચાર પોર્ટલ પર https://tarangsanchar.gov.in/emfportal પર કરી શકે છે.

મોબાઇલ ટાવરમાંથી ઇએમએફની સ્વાસ્થ્યલક્ષી અસરોના સંબંધમાં જાહેર જનતાનો ડર દૂર કરવા ટેલીકોમ વિભાગે ઇએમએફ રેડિયેશન વિશે જાહેર જનતા વચ્ચે જાગૃતિ લાવવા કેટલાંક પગલાં લીધા છે, જેમ કે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિનો કાર્યક્રમ, ઇએમએફ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર પેમ્ફલેટ્સ/ઇન્ફોર્મેશન બ્રોશરનું વિતરણ, ટેલીકોમ વિભાગની વેબસાઇટ પર ઇએમએફ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર માહિતીનું પ્રકાશન, અખબારોમાં જાહેરાતો, તરંગ સંચાર પોર્ટલ વગેરેની શરૂઆત વગેરે. ટેલીકોમ વિભાગના ફિલ્ટ યુનિટ જાહેર જનતા વચ્ચે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી વધુને વધુ લોકો મોબાઇલ ટાવરોમાંથી ઇએમએફના ઉત્સર્જનની આરોગ્યલક્ષી અસરો પર વૈજ્ઞાનિક હકીકતો વિશે વાકેફ થાય.

SD/GP/JD



(Release ID: 1717723) Visitor Counter : 318