સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 3 લાખથી નીચે નોંધાયું; 163 દિવસમાં સૌથી ઓછી કેસ સંખ્યા


કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી માત્ર 3% કરતાં ઓછા સક્રિય કેસ રહ્યાં

દૈનિક ધોરણે 20,000થી ઓછા નવા કેસ નોંધાયા જે 173 દિવસમાં સૌથી નીચો આંકડો

Posted On: 22 DEC 2020 11:54AM by PIB Ahmedabad

વૈશ્વિક મહામારી સામેની જંગમાં ભારતે આજે ઘણી સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ નોંધાવી છે.

ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 3 લાખ કરતાં ઓછું (2,92,518) થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિેય કેસની સંખ્યાની ટકાવારી પણ ઘટીને 3%થી નીચે એટલે કે 2.90% નોંધાઇ છે. 163 દિવસ પછી આ સૌથી ઓછો આંકડો નોંધાયો છે. અગાઉ, 12 જુલાઇ 2020ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 2,92,258 હતી.

છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં પણ 11,121 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતે દૈનિક ધોરણે નોંધાતા નવા પોઝિટીવ કેસમાં પણ સૌથી ઓછા આંકડાનું નવું સ્તર નોંધાવ્યું છે. 173 દિવસ પછી છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા 20,000 કરતાં ઓછી (19,556) નોંધાઇ છે. અગાઉ, 2 જુલાઇ 2020ના રોજ નવા ઉમેરાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 19,148 નોંધાઇ હતી.

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસની સંખ્યામાં દુનિયામાં સૌથી ઓછા (219) પૈકી એક છે. USA, ઇટાલી, બ્રાઝિલ, તુર્કી અને રશિયા જેવા દેશોમાં આ આંકડો ઘણો વધારે છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 96 લાખ કરતાં વધારે (96,36,487) થઇ ગઇ છે જેના પરિણામે દેશનો સરેરાશ સાજા થવાનો દર વધીને 95.65% થઇ ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે જે હાલમાં 93,43,969 છે.

છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30,376 નોંધાઇ છે. નવા સાજા થતા દર્દીઓની સંખ્યા છેલ્લા 25 દિવસથી નવા સંક્રમિત થતા દર્દીઓ કરતાં વધારે નોંધાઇ રહી છે.

દૈનિક ધોરણે મોટી સંખ્યામાં પરીક્ષણો અને નવા કેસના ઉમેરામાં સતત ઘટાડાની સાથે-સાથે નવા સાજા થતા દર્દીઓની સંખ્યાનું ઊંચુ સ્તર જળવાઇ રહ્યું હોવાથી મૃત્યુદરમાં પણ એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે.

Image

નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 75.31% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 6,053 દર્દીઓ સાજા થાય છે, જે દેશમાં સૌથી વધુ આંકડો છે. ત્યારબાદ કેરળમાં 4,494 અને પશ્ચિમ બંગાળમાં 2,342 નવા દર્દીઓ એક જ દિવસમાં સાજા થયા છે.

નવા સંક્રમિત થયેલા દર્દીઓમાંથી 75.69% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે સૌથી વધુ 3,423 દર્દીઓ પોઝિટીવ હોવાનું નોંધાયું છે. ગઇકાલે મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2,834 નવા દર્દીઓ જ્યારે પશ્ચિમ બંગાળમાં 1,515 નવા દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં મૃત્યુ પામેલા કુલ 301 દર્દીઓમાંથી 76.74% મૃત્યુ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 18.27% દર્દીઓ એટલે કે 55 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. ત્યારબાદ, સૌથી વધુ મૃત્યુઆંકમાં પશ્ચિમ બંગાળ અને કેરળમાં અનુક્રમે વધુ 41 અને 27 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.

 

SD/GP/BT



(Release ID: 1682654) Visitor Counter : 155