પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રસીકરણ વ્યૂહરચનાની ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું


ભારતમાં ત્રણ સ્વદેશી સહિત આઠ સંભવિત રસીઓનું પરીક્ષણ વિવિધ તબક્કાઓમાં છેઃ પ્રધાનમંત્રી

રસી આગામી થોડા અઠવાડિયાઓમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાઃ પ્રધાનમંત્રી

દુનિયા સલામત અને વાજબી રસીના વિકાસ માટે ભારત તરફ મીટ માંડી રહી છેઃ પ્રધાનમંત્રી

Posted On: 04 DEC 2020 4:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ભારતમાં કોવિડ-19 રસીકરણની વ્યૂહરચનાની ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સ દ્વારા સર્વપક્ષીય બેઠકમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર વિસ્તૃત રસીકરણ વ્યૂહરચના વિકસાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દુનિયા સલામત અને વાજબી રસી વિકસાવવા માટે ભારત તરફ મીટ માંડી રહી છે.

કોવિડ રસીકરણ માટે ભારત સજ્જ

પ્રધાનમંત્રીએ અમદાવાદ, પૂણે અને હૈદરાબાદમાં રસી ઉત્પાદન કરવાની સુવિધાની એમની મુલાકાત વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, હાલ આઠ સંભવિત રસી પરીક્ષણના વિવિધ તબક્કાઓમાં છે, જેનું ઉત્પાદન ભારતમાં થશે, જેમાં ત્રણ સ્વદેશી રસી સામેલ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી થોડા અઠવાડિયામાં રસી ઉપલબ્ધ થશે એવી અપેક્ષા છે. રસીકરણ અભિયાન ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે, કારણ કે રસીને વૈજ્ઞાનિકોએ સ્વીકૃતિ આપી છે. કેન્દ્ર સરકાર રસીકરણ માટે પ્રાથમિકતા ધરાવતા જૂથોને ઓળખવા રાજ્ય સરકારો સાથે ખભેખભો મિલાવીને કામ કરશે.

ભારતની રસીના વિતરણની કુશળતા, ક્ષમતા તથા રસીકરણ માટે અનુભવી અને બહોળા નેટવર્ક પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનાથી કોવિડ રસીકરણની પ્રક્રિયાને સરળ અને કાર્યદક્ષ બનાવવામાં મદદદ મળશે. વધારાનાં કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ માટે અને આ પ્રકારની અન્ય લોજિસ્ટિકલ જરૂરિયાતો માટે રાજ્ય સરકારો સાથે જોડાણ સ્થાપિત કરવામાં આવશે.

રસીકરણ અભિયાન માટે રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની રચના

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એમ બંનેના ટેકનિકલ નિષ્ણાતો અને અધિકારોએ ધરાવતા રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની રચના રસી સાથે સંબંધિત અભિયાનની જવાબદારી અદા કરવા થઈ છે. રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ રાષ્ટ્રીય અને પ્રાદેશિક જરૂરિયોત મુજબ સહિયારો નિર્ણય લેશે.

અદમ્ય જુસ્સા સાથે ભારત રોગચાળા સામે લડશે

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતીયો અદમ્ય જુસ્સા સાથે આ રોગચાળા સામે લડી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીયોનો સંયમ, એમનું સાહસ અને એમની ક્ષમતા અતુલનીય છે અને આ સંપૂર્ણ લડાઈ દરમિયાન અભૂતપૂર્વ છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે આપણા સાથી ભારતીયોને મદદ કરવાની સાથે અન્ય દેશોના નાગરિકોનું જીવન બચાવવા શક્ય તમામ પ્રયાસ કરવાનો છે. ઉપરાંત ભારતમાં પરીક્ષણ વધારવા ભારતનાં નેતૃત્વમાં અપનાવવામાં આવેલી વૈજ્ઞાનિક પદ્ધતિથી પોઝિટિવિટીનો દર ઘટવાની સાથે કોવિડ મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે.

પ્રધાનમંત્રીએ રસીકરણ વિશે ફેલાઈ શકે એવી અફવાઓ સામે ચેતવણી આપીને જણાવ્યું છે કે, આ જાહેર જનતા અને રાષ્ટ્રીય એમ બંનેના હિત સામે છે. તેમણે તમામ નેતાઓને દેશના નાગરિકોને વધારે જાગૃત કરવા અને કોઈ પણ પ્રકારની અફવાઓનું નિવારણ કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કોવિડ સામેની લડાઈમાં તેમના અમૂલ્ય પ્રદાન બદલ તમામ રાજકીય પક્ષોના આગેવાનોનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે નાગરિકોને સતત સતર્ક રહેવાની અને વાયરસ સામે નિવારણાત્મક પગલાંને અનુસરી સાવચેતી ન ઘટાડવાની અપીલ કરી હતી.

રાજકીય પક્ષોના નેતાઓએ પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, વાયએસઆર કોંગ્રેસ પક્ષ, જેડી(યુ), બીજેડી, શિવસેના, ટીઆરએસ, બીએસપી, એસપી, એઆઇએડીએમકે અને બીજેપી સહિતત તમામ પક્ષોના આગેવાનો સહભાગી થયા હતા. તેમણે પ્રધાનમંત્રીને તેમના સંપૂર્ણ સાથસહકારની તેમજ અસરકારક અને ઝડપી રસીકરણની સુનિશ્ચિતા કરી હતી. તેમણે રોગચાળાને નિયંત્રણમાં લેવા પ્રધાનમંત્રીના નેતૃત્વની અને વૈજ્ઞાનિક સમુદાયની તેમજ રસી વિકસાવવામાં તેમના પ્રયાસો માટે રસી ઉત્પાદકોની પ્રશંસા કરી હતી.

 

SD/GP/BT



(Release ID: 1678373) Visitor Counter : 259