પ્રધાનમંત્રીનું કાર્યાલય

જામનગર અને જયપુરમાં ભવિષ્ય માટે તૈયાર એવી બે આયુર્વેદ સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 13 NOV 2020 1:00PM by PIB Ahmedabad

નમસ્કાર!

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રીમાન શ્રીપાદ નાઈકજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઇ રૂપાણીજી, રાજસ્થાનના રાજ્યપાલ શ્રીમાન કલરાજજી, ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, અન્ય તમામ મંત્રી ગણ સંસદગણ, વિધાયકગણ, આયુર્વેદ સાથે જોડાયેલા તમામ વિદ્વાનજન, દેવીઓ અને સજ્જનો!

આપ સૌને ધનતેરસ, ભગવાન ધન્વંતરિની જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્વંતરિજીને આરોગ્યના દેવતા માનવામાં આવે છે અને આયુર્વેદની રચના પણ તેમના આશીર્વાદથી થઈ છે. આજના આ પાવન દિવસ, આયુર્વેદ દિવસ પર ભગવાન ધન્વંતરિને સંપૂર્ણ માનવ જાતિની પ્રાર્થના છે કે તેઓ ભારત સહિત સમગ્ર વિશ્વને આરોગ્યના આશીર્વાદ આપે.

સાથીઓ,

આ વખતે આયુર્વેદ દિવસ ગુજરાત અને રાજસ્થાન માટે વિશેષ છે, આપણાં યુવા સાથીઓની માટે પણ વિશેષ છે. આજે ગુજરાતનાં જામનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સના રૂપમાં માન્યતા પ્રાપ્ત થઈ છે. એ જ રીતે જયપુરના રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાને પણ ડીમ્ડ યુનિવર્સિટીના રૂપમાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલ આ સર્વશ્રેષ્ઠ સંસ્થાનો માટે રાજસ્થાન-ગુજરાતની સાથે જ સંપૂર્ણ દેશને ખૂબ-ખૂબ અભિનંદન.

સાથીઓ,

આયુર્વેદ, ભારતની એક વિરાસત છે જેના વિસ્તારમાં સંપૂર્ણ માનવતાની ભલાઈ છે. આ જોઈને કયા ભારતીયને ખુશી નહિ થાય કે આપણું પારંપરિક જ્ઞાન, હવે અન્ય દેશોને પણ સમૃદ્ધ કરી રહ્યું છે. આજે બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ છે. ભારત અમેરિકા સંબંધ હોય, ભારત જર્મની સંબંધ હોય, આયુષ અને ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલ સહયોગ સતત વધી રહ્યો છે. આ પણ દરેક ભારતીય માટે ઘણા ગર્વની વાત છે કે ડબલ્યુએચઓએ અને હમણાં ડબલ્યુએચઓના વડા તેમજ મારા મિત્ર તેમણે એક બહુ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, ડબલ્યુએચઓએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન તેની સ્થાપના માટે દુનિયામાં ભારતને પસંદ કર્યું છે અને હવે ભારતમાંથી દુનિયા માટે આ દિશામાં કામ થશે. ભારતને આટલી મોટી જવાબદારી સોંપવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના, ખાસ કરીને ડબલ્યુએચઓના મહાનિદેશક મારા મિત્ર ડૉક્ટર ટૈડ્રોસનો પણ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે જે રીતે ભારત ફાર્મસી ઓફ ધિ વર્લ્ડ એ રૂપમાં બહાર આવ્યું છે, તે જ રીતે પરંપરાગત ચિકિત્સાનું આ કેન્દ્ર પણ વૈશ્વિક કલ્યાણનું કેન્દ્ર બનશે. આ કેન્દ્ર દુનિયાભરની પરંપરાગત ચિકિત્સા પ્રણાલીના વિકાસ અને તેમની સાથે જોડાયેલ સંશોધનને નવી ઊંચાઈઓ આપનારું સાબિત થશે.

સાથીઓ,

બદલાતા સમયની સાથે આજે દરેક વસ્તુ સંકલિત થઈ રહી છે. સ્વાસ્થ્ય પણ તેના કરતાં જુદું નથી. તે જ વિચારધારાની સાથે દેશ આજે સારવારની જુદી-જુદી પદ્ધતિઓના સંકલન, તમામને મહત્વ આપવાની દિશામાં એક પછી એક પગલાં ભરી રહ્યો છે. આ જ વિચારધારાએ આયુષને, આયુર્વેદને દેશની આરોગ્ય નીતિ – હેલ્થ પોલિસીનો મુખ્ય ભાગ બનાવ્યો છે. આજે આપણે સ્વાસ્થ્યના આપણાં પરંપરાગત ખજાનાને માત્ર એક વિકલ્પ જ નહિ પરંતુ દેશના આરોગ્યનો બહુ મોટો આધાર બનાવી રહ્યા છીએ.

સાથીઓ,

એ હંમેશાથી એક સ્થાપિત સત્ય રહ્યું છે કે ભારતની પાસે આરોગ્ય સાથે જોડાયેલ કેટલી મોટી વિરાસત છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આ જ્ઞાન મોટાભાગના પુસ્તકોમાં, શાસ્ત્રોમાં રહ્યું છે અને થોડું ઘણું દાદી નાનીના નુસખાઓમાં રહ્યું છે. આ જ્ઞાનને આધુનિક જરૂરિયાતો અનુસાર વિકસિત કરવું એ ખૂબ જરૂરી છે. એટલા માટે દેશમાં હવે સૌપ્રથમ વાર આપણું પુરાતન ચિકિત્સાવાળુ જ્ઞાન જે છે તે જ્ઞાન વિજ્ઞાનને 21 મી સદીના આધુનિક વિજ્ઞાન વડે મળેલી જાણકારીની સાથે પણ તેને જોડવામાં આવી રહ્યું છે, સંકલિત કરવામાં આવી રહ્યું છે, નવા સંશોધન કરવામાં આવી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા જ આપણે ત્યાં અહીંયા અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. લેહમાં સોવા રીગ્પા સાથે જોડાયેલ સંશોધન અને અન્ય અભ્યાસ માટે રાષ્ટ્રીય સોવા રીગ્પા સંસ્થાન વિકસિત કરવાનું કામ ચાલુ છે. આજે ગુજરાત અને રાજસ્થાનના જે બે સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવી છે તે પણ આ જ પરંપરાનો વિસ્તાર છે.

ભાઈઓ અને બહેનો,

કહેવાય છે કે જ્યારે કદ વધે છે તો જવાબદારી પણ વધે છે. આજે જ્યારે આ બે મહત્વપૂર્ણ સંસ્થાનોનું કદ વધી રહ્યું છે ત્યારે મારો એક આગ્રહ પણ છે. દેશની પ્રીમિયમ આયુર્વેદિક સંસ્થા હોવાના કારણે હવે તમે અને તમારા બધાની ઉપર આવા અભ્યાસક્રમો તૈયાર કરવાની જવાબદારી છે કે જે આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસને અનુકૂળ અને વૈજ્ઞાનિક માપદંડોને અનુરૂપ હોય. હું શિક્ષણ મંત્રાલય અને યુજીસીને પણ આગ્રહ પૂર્વક કહીશ કે આયુર-ભૌતિક અને આયુર-રસાયણ શાસ્ત્ર જેવા વિષયોને લઈને નવી સંભાવનાઓની સાથે કામ કરવામાં આવે. તેનાથી સંશોધનને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માટે ઇન્ટિગ્રેટેડ ડૉક્ટરલ અને પોસ્ટ ડૉક્ટરલ અભ્યાસક્રમ બનાવવા માટે કામ કરી શકાય તેમ છે. આજે મારો દેશના ખાનગી ક્ષેત્ર, આપણાં સ્ટાર્ટ અપ્સ અને તેમને પણ એક વિશેષ આગ્રહ છે. દેશના ખાનગી ક્ષેત્ર, નવા સ્ટાર્ટ અપ્સે આયુર્વેદની વૈશ્વિક માંગનો અભ્યાસ કરવો જોઈએ અને આ ક્ષેત્રમાં થનારી વૃદ્ધિમાં પોતાની ભાગીદારીની ખાતરી કરવી જોઈએ. આયુર્વેદની સ્થાનિક શક્તિ માટે તમારે દુનિયાભરમાં વોકલ બનવાનું છે. મને વિશ્વાસ છે કે આપણાં પારસ્પરિક પ્રયાસો વડે આયુષ જ નહીં પરંતુ આરોગ્યની આપણી સંપૂર્ણ વ્યવસ્થા એક મોટા પરિવર્તનની સાક્ષી બનશે.

સાથીઓ,

તમે ખૂબ સારી રીતે એ પણ જાણો છો કે આ જ વર્ષે સંસદના ચોમાસું સત્રમાં બે ઐતિહાસિક આયોગ પણ બનાવવામાં આવ્યા છે. પહેલું – નેશનલ કમિશન ફોર ઇંડિયન સિસ્ટમ ઓફ મેડિસિન અને બીજું નેશનલ કમિશન ફોર હોમિયોપથી. આટલું જ નહિ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ભારતના મેડિકલ શિક્ષણમાં સંકલનની પહોંચને પ્રોત્સાહિત કરવામાં આવી છે. આ નીતિની ભાવના એ છે કે એલોપથી શિક્ષણમાં આયુર્વેદની પાયાની જાણકારી જરૂરી હોય અને આયુર્વેદિક શિક્ષણમાં એલોપથી પ્રેક્ટિસની મૂળભૂત જાણકારી જરૂરી હોય. આ પગલું આયુષ અને ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલ શિક્ષણ અને સંશોધનને વધુ મજબૂત બનાવશે.

સાથીઓ,

21 મી સદીનું ભારત હવે ટુકડાઓમાં નહીં, સર્વાંગી રીતે વિચારે છે. આરોગ્ય સાથે જોડાયેલ પડકારોને પણ હવે સમગ્રતયા પહોંચ સાથે તે જ રીતે ઉકેલવામાં આવી રહ્યા છે. આજે દેશમાં સસ્તા અને અસરકારક સારવારની સાથે-સાથે અટકાયતી આરોગ્ય કાળજી ઉપર, કલ્યાણ ઉપર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આચાર્ય ચરકે પણ કહ્યું છે – स्वस्थस्य स्वास्थ्य रक्षणं, आतुरस्य विकार प्रशमनं च! અર્થાત સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની સુરક્ષા કરવી અને રોગીને રોગમુક્ત કરવો એ આયુર્વેદનો ઉદ્દેશ્ય છે. સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ જ રહે, આ જ વિચારધારાની સાથે એવા દરેક પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેનાથી બીમાર કરનારી પરિસ્થિતિઓ દૂર રહે. એક બાજુ સાફ સફાઇ, સ્વચ્છતા, શૌચાલય, સ્વચ્છ પાણી, ધુમાડા મુક્ત રસોડુ, પોષણ આ બધા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યાં બીજી બાજુ દોઢ લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો ભારતના ખૂણે ખૂણામાં તૈયાર થઈ રહ્યા છે. તેમાં ખાસ કરીને સાડા 12 હજારથી વધુ આયુષ આરોગ્ય કેન્દ્રો સંપૂર્ણ આયુર્વેદને સમર્પિત છે, આયુર્વેદ સાથે સંકળાયેલા બની રહ્યા છે.   

સાથીઓ,

આરોગ્યનું આ ભારતીય તત્વજ્ઞાન આજે સંપૂર્ણ દુનિયાને આકર્ષિત કરી રહ્યું છે. કોરોનાના આ મુશ્કેલ સમયે ફરીથી દેખાડ્યું છે કે આરોગ્ય અને કલ્યાણ સાથે જોડાયેલ ભારતની આ પારંપરિક વિદ્યા કેટલી કારગર છે. જ્યારે કોરોના સામે લડવા માટે કોઈ અસરકારક ઉપાય નહોતો ત્યારે ભારતના ઘર-ઘરમાં હળદર, દૂધ અને ઉકાળા જેવા અનેક રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉપાયો ઘણા કામમાં આવ્યા હતા. આટલી મોટી જન સંખ્યા, આટલી મોટી વસ્તી અને આવો આપણો દેશ, જો આજે સાચવાયેલી સ્થિતિમાં છે તો તેમાં આપણી આ પરંપરાની પણ મહત્વની ભમિકા રહી છે.

સાથીઓ,

કોરોના કાળમાં આખી દુનિયામાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગ ઝડપથી વધી છે. વિતેલા વર્ષોની સરખામણીએ આ વર્ષે સપ્ટેમ્બરમાં આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસ લગભગ દોઢ ગણી, લગભગ-લગભગ 45 ટકા વધી છે. એટલું જ નહિ મસાલાની નિકાસમાં પણ ઘણી વૃદ્ધિ નોંધવામાં આવી છે. હળદર, આદું આવી વસ્તુઓ જે રોગપ્રતિકારક શક્તિ વધારનારી માનવામાં આવે છે, તેમની નિકાસ અચાનક આ રીતે વધવી એ દર્શાવે છે કે દુનિયામાં આયુર્વેદિક સમાધાનો અને ભારતીય મસાલાઓ ઉપર વિશ્વાસ કેટલો વધી રહ્યો છે. આજે દુનિયાના પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ્સને પણ આયુર્વેદમાં નવી આશા, નવી સંભાવના જોવા મળી રહી છે.

સાથીઓ,

કોરોનાના આ કાળમાં અમારું ધ્યાન માત્ર આયુર્વેદના ઉપયોગ સુધી જ સીમિત નથી રહ્યું. પરંતુ આ મુશ્કેલ ઘડીનો ઉપયોગ આયુષ સાથે જોડાયેલ સંશોધનને દેશ અને દુનિયામાં આગળ વધારવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. આજે એક બાજુ ભારત જ્યાં રસીનું પરિક્ષણ કરી રહ્યો છે, ત્યાં બીજી બાજુ કોવિડ સામે લડવા માટે આયુર્વેદિક રિસર્ચ પર પણ આંતરરાષ્ટ્રીય સંગઠનને ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. હમણાં તાજેતરમાં જ અમારા સાથી શ્રીપાદજીએ જણાવ્યું કે આ વખતે સો કરતાં વધુ જગ્યાઓ ઉપર સંશોધન ચાલી રહ્યું છે. અહીંયા દિલ્હીમાં જ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાને, જેમ કે હમણાં તમને વિસ્તારથી જણાવવામાં આવ્યું, દિલ્હી પોલીસના 80 હજાર જવાનો પર રોગપ્રતિકારક શક્તિને લગતું સંશોધન કર્યું છે. આ દુનિયાનો સૌથી મોટો સામૂહિક અભ્યાસ બની શકે તેમ છે. તેના પણ ઉત્સાહજનક પરિણામો જોવા મળી રહ્યા છે. આવનાર દિવસોમાં કેટલાક અન્ય આંતરરાષ્ટ્રીય પરીક્ષણો પણ શરૂ કરવામાં આવનાર છે.

સાથીઓ,

આજે આપણે આયુર્વેદિક દવાઓ, જડી બુટીઓની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિને વધારનાર પોષણયુક્ત આહાર ઉપર પણ વિશેષ ભાર મૂકી રહ્યા છીએ. જાડું અનાજ એટલે કે બાજરાનું ઉત્પાદન વધારવા માટે આજે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ગંગાજીના કિનારે અને હિમાલયના ક્ષેત્રોમાં ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આયુર્વેદ સાથે જોડાયેલા ઝાડ છોડવાઓ લગાવવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રયાસ એ જ છે કે દુનિયાના સ્વાસ્થ્યમાં ભારત વધુમાં વધુ યોગદાન આપે, આપણી નિકાસ પણ વધે અને આપણાં ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થાય. આયુષ મંત્રાલય, તેની માટે એક વ્યાપક યોજના પર કામ કરી રહ્યું છે. તમે પણ જોયું હશે કે કોવિડ મહામારી શરૂ થયા પછી, આયુર્વેદિક જડી બુટીઓ જેવી કે અશ્વગંધા, ગિલોય, તુલસી વગેરેના ભાવ પણ એટલા માટે વધ્યા છે કારણ કે માંગ વધી છે, લોકોનો વિશ્વાસ વધ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે આ વખતે અશ્વગંધાની કિંમત ગત વર્ષની સરખામણીએ બે ગણી કરતાં પણ વધુ સુધી પહોંચી ગઈ છે. તેનો સીધો લાભ આ છોડવાઓ, આ જડી બુટીઓની ખેતી કરનાર આપણાં ખેડૂત પરિવારો સુધી પહોંચ્યો છે. જો કે અનેક જડી બુટીઓ છે, જેમની ઉપયોગિતાના વિષયમાં હજુ પણ આપણે ત્યાં જાગૃતતા વધારે વધારવાની જરૂર છે. એવા લગભગ 50 ઔષધીય છોડવા છે, જેમનો શાક અને સલાડ તરીકે ઘણો ઉપયોગ કરી શકાય તેમ છે. એવામાં કૃષિ મંત્રાલય હોય, આયુષ મંત્રાલય હોય કે પછી બીજા વિભાગ હોય, બધાના સંયુક્ત પ્રયાસો વડે આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવી શકે છે.

સાથીઓ,

આયુર્વેદ સાથે જોડાયેલ આ સંપૂર્ણ ઇકો સિસ્ટમના વિકાસમાં, દેશમાં આરોગ્ય અને કલ્યાણ સાથે જોડાયેલ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. ગુજરાત અને રાજસ્થાનમાં તો તેની માટે અસીમ સંભાવનાઓ પણ રહેલી છે. મને વિશ્વાસ છે કે જામનગર અને જયપુરના આ બંને સંસ્થાઓ આ દિશામાં પણ લાભકારી સાબિત થશે. એક વાર ફરીથી આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન. આજે નાની દિવાળી છે, કાલે મોટી દિવાળી છે. તમને તમારા પરિવારને પણ મારા તરફથી આ દિવાળી પર્વની અનેક અનેક શુભકામનાઓ છે.

ખૂબ ખૂબ આભાર!!

 

SD/GP/BT



(Release ID: 1672653) Visitor Counter : 324