સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસની સંખ્યા ઘટવાનું વલણ સતત જળવાઇ રહ્યું


દુનિયાભરમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાં સ્થાન જળવાઈ રહ્યું

સળંગ ત્રીજા દિવસે સક્રિય કેસનું ભારણ 6 લાખ કરતાં ઓછું નોંધાયું

17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી

Posted On: 01 NOV 2020 11:29AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડાનું વલણ એકધારું જળવાઇ રહ્યું છે. લગભગ ત્રણ મહિના પછી સક્રિય કેસની સંખ્યા 6 લાખ કરતાં ઓછી નોંધાયા પછી સળંગ ત્રીજા દિવસે આ આંકડો 6 લાખની નીચે જળવાઇ રહ્યો છે અને તેમાં પ્રગતિપૂર્વક ઘટાડો નોંધાઇ રહ્યો છે.

હાલમાં ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ 5,70,458 છે.

દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા ઘટીને માત્ર 6.97% સુધી પહોંચી ગઇ છે જે કુલ કેસમાંથી એકધારા કેસ ઘટી રહ્યાં હોવાનું દર્શાવે છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સહકારમાં કેન્દ્ર સરકારની સઘન પરીક્ષણ, સમયસર ટ્રેકિંગ, ઝડપથી હોસ્પિટલાઇઝેશન અને પ્રમાણભૂત સારવારના પ્રોટોકોલના ચુસ્ત પાલનની વ્યૂહનીતિના અમલના કારણે આ સિદ્ધિરૂપ પરિણામો એકધારા જળવાઇ રહ્યાં છે. આના કારણે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તેમજ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓને પ્રમાણભૂત ગુણવત્તાપૂર્ણ તબીબી સંભાળ મેળવવાનું સમગ્ર દેશમાં સુનિશ્ચિત થઇ શક્યું છે.

સક્રિય કેસના ભારણમાં ઘટાડાનો પથ તમામ અલગ અલગ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઘટાડા તરફી વલણ દર્શાવી રહ્યો છે જે કોવિડ-19 સામે તેમની લડાઇમાં કેન્દ્રિત પ્રયાસો અને તબક્કાવાર વિકસિત પ્રગતિ દર્શાવે છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડા સાથે, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા ઘટી ગઇ છે અને દુનિયામાં સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાં ભારત છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સરેરાશ સંખ્યા 5,930 છે.

17 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે.

ભારતમાં મૃત્યુઆંકમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 470 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા 88 છે. આ આંકડો દુનિયામાં સૌથી નીચા આંકડા ધરાવતા દેશોમાંથી એક છે.

21 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે.

સક્રિય કેસની સંખ્યામાં એકધારો ઘટાડો થઇ રહ્યો હોવાની સાથે સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ જળવાઇ રહી છે. દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી 74,91,513 થઇ ગઇ છે. સાજા થયેલા અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત પણ વધીને 69 લાખ કરતાં વધુ (69,21,055) થઇ ગયો છે.

સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વૃદ્ધિના કારણે આ તફાવતમાં સતત વધારો થઇ રહ્યો છે.

મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી રાષ્ટ્રીય રિકવરી દરમાં વધુ સુધારો આવતા 91.54% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 58,684 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે નવા 46,963 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.

નવા સાજા થયેલામાંથી 76% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 7,000થી વધુ દર્દીઓ સાજા થતા સમગ્ર દેશમાં આ રાજ્યો અગ્રેસર છે. ત્યારપછીના ક્રમે એક દિવસમાં 4,000થી વધુ દર્દી સાજા થવાની સંખ્યા સાથે દિલ્હી અને પશ્ચિમ બંગાળ આવે છે.

છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 46,963 છે.

નવા નોંધાયેલા કેસમાંથી 77% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. કેરળ હજુ પણ સૌથી વધુ નવા કેસ સાથે ટોચે છે જ્યાં એક દિવસમાં 7,000થી વધુ કેસ નોંધાયા છે જ્યારે તે પછી 5,000થી વધુ કેસ સાથે મહારાષ્ટ્ર અને દિલ્હી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 470 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આમાંથી અંદાજે 78% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 15% કરતાં વધુ (74 મૃત્યુ) દર્દીઓ મહારાષ્ટ્રના હોવાનું નોંધાયું છે.

 

SD/GP/BT

 



(Release ID: 1669347) Visitor Counter : 187