આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓની ઇથેનોલની ખરીદી માટેની વ્યવસ્થાને મંજૂરી આપી – ઇથેનોલ પુરવઠા વર્ષ 2020-21 માટે સરકારી OMCsને પુરવઠા માટે ઇથેનોલની કિંમતમાં વધારો કર્યો

Posted On: 29 OCT 2020 3:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ નીચેના નિર્ણયોને મંજૂરી આપી છે, જેમાં 1 ડિસેમ્બર, 2020થી 30 નવેમ્બર, 2021 સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2020-21 દરમિયાન આગામી શુગર સિઝન 2020-21 માટે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (ઇબીપી) અંતર્ગત શેરડી આધારિત વિવિધ કાચામાલમાંથી પ્રાપ્ત ઇથેનોલની ઊંચી કિંમત નક્કી કરવી સામેલ છે:

 

  1. સી ભારે મોલાસીસ માધ્યમમાંથી પ્રાપ્ત ઇથેનોલની કિંમત લિટરદીઠ રૂ. 43.75થી વધારીને લિટરદીઠ રૂ. 45.69,

 

  1. બી ભારે મોલાસીસ માધ્યમમાંથી પ્રાપ્ત ઇથેનોલની કિંમત લિટરદીઠ રૂ. 54.27થી વધારીને લિટરદીઠ રૂ. 57.61,

 

  1. શેરડીના રસ/ખાંડ/ખાંડના સીરપમાંથી પ્રાપ્ત ઇથેનોલની કિંમત લિટરદીઠ રૂ. 59.48થી વધારીને લિટરદીઠ રૂ. 62.65,

 

  1. આ ઉપરાંત જીએસટી અને પરિવહન ચાર્જ પણ ચુકવવાપાત્ર બનશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વાસ્તવિક પરિવહન ચાર્જ નક્કી કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી ઇથેનોલના લાંબા અંતરના પરિવહનમાં નુકસાન ન થાય અને પ્રોત્સાહન ન મળે.
  2. રાજ્યની અંદર સ્થાનિક ઉદ્યોગને વાજબી તક પ્રદાન કરવા અને ઇથેનોલની સામસામી અવરજવર ઘટાડવા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) વિવિધ પરિબળોની ગણતરી કરીને વિવિધ સ્ત્રોતોમાંથી ઇથેનોલની પ્રાથમિકતા માટે માપદંડ નિર્ધારિત કરશે, જેમાં પરિવહનનો ખર્ચ, ઉપલબ્ધતા વગેરે પરિબળોને ધ્યાનમાં લેવાશે. આ પ્રાથમિકતા એ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉત્પાદન માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની જકાતક્ષમ હદો સુધી મર્યાદિત હશે. પછી જ્યારે જરૂર પડશે, તો અન્ય રાજ્યોમાંથી ઇથેનોલની આયાત માટે પસંદગીના સમાન આદેશ આપવામાં આવશે.

 

તમામ ડિસ્ટલરી યોજનાનો લાભ લઈ શકશે અને તેમાંથી મોટી સંખ્યામાં ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલનો પુરવઠો પૂરો પાડશે એવી અપેક્ષા છે. ઇથેનોલના સપ્લાયર્સને વળતરદાયક કિંમત શેરડીના ખેડૂતનું એરિયર્સ ઘટાડવામાં મદદ કરશે અને આ રીતે સંપૂર્ણ પ્રક્રિયામાં શેરડીના ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડશે.

સરકાર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (ઇબીપી) પ્રોગ્રામનો અમલ કરે છે, જેમાં OMCs 10 ટકા સુધી ઇથેનોલ ધરાવતા પેટ્રોલનું વેચાણ કરે છે. આ પ્રોગ્રામ 01 એપ્રિલ, 2019થી આંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતા સંપૂર્ણ ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોગ્રામ ઊર્જાની જરૂરિયાત માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે.

સરકાર વર્ષ 2014થી ઇથેનોલની કિંમત નક્કી કરવા અધિસૂચના પ્રકટ કરે છે. વર્ષ 2018 દરમિયાન સરકારે પહેલી વાર ઇથેનોલના ઉત્પાદન માટે ઉપયોગી કાચી સામગ્રીને આધારે ઇથેનોલની વિવિધ કિંમતો જાહેર કરી હતી. આ નિર્ણયોથી ઇથેનોલના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી સરકારી OMCs દ્વારા ઇથેનોલની ખરીદી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2013-14માં 38 કરોડ લિટરથી વધીને ઇએસવાય 2019-20માં 195 કરોડ લિટર થઈ છે.

હિતધારકોને લાંબા ગાળાનું પાસું પ્રદાન કરવા MoP&NGએ ઇબીપી પ્રોગ્રામ અંતર્ગત લાંબા ગાળાના આધારે ઇથેનોલ ખરીદીની નીતિ પ્રકાશિત કરી છે. એને અનુરૂપ OMCsએ ઇથેનોલ સપ્લાયર્સનું વન ટાઇમ રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે. OMCsએ ઇથેનોલના સપ્લાયર્સ માટે સીક્યોરિટી ડિપોઝિટની રકમ 5 ટકાથી ઘટાડીને 1 કરી છે, જેથી તેમને આશરે રૂ. 400 કરોડનો લાભ થયો છે. OMCsએ સપ્લાય ન થયો હોય એવા જથ્થા પર લાગુ પેનલ્ટી 5 ટકાથી ઘટાડીને 1 ટકા પણ કરી છે, જેનાથી સપ્લાયર્સને આશરે રૂ. 35 કરોડનો લાભ થયો છે. આ તમામ સુવિધાઓ વેપારવાણિજ્યને સરળ કરશે તથા આત્મનિર્ભર ભારતની પહેલોના ઉદ્દેશો પાર પાડશે.

ખાંડના સતત વધારે ઉત્પાદનથી એની કિંમતો દબાણ હેઠળ છે. પરિણામે ખાંડ ઉદ્યોગની ઓછી ક્ષમતાને કારણે શેરડીના ખેડૂતોને ચુકવવા માટે બાકી નીકળતી રકમમાં વધારો થયો છે. સરકારે શેરડીના ખેડૂતોની બાકી નીકળતી રકમ ઘટાડવા ઘણા નિર્ણયો લીધા છે.

દેશમાં ખાંડના ઉત્પાદનને મર્યાદિત કરવા અને ઇથેનોલનું સ્થાનિક ઉત્પાદન વધારવા સરકારે વિવિધ પગલાં લીધા છે, જેમાં ઇથેનોલના ઉત્પાદન માટે બી ભારે મોલાસીસ, શેરડીના રસ, ખાંડ અને ખાંડના સીરપનો ઉપયોગ અન્યત્ર કરવાની મંજૂરી આપવી સામેલ છે. શેરડીની વાજબી અને વળતરદાયક કિંમત (એફઆરપી) અને ખાંડની એક્સ-મિલ કિંમતમાં ફેરફારો થઈ રહ્યાં હોવાથી શેરડી આધારિત વિવિધ કાચી સામગ્રીમાંથી પ્રાપ્ત ઇથેનોલની એક્સ-મિલ કિંમતમાં સુધારો કરવાની જરૂર છે.

 

SD/GP/BT



(Release ID: 1668529) Visitor Counter : 268