પ્રધાનમંત્રીનું કાર્યાલય
આચાર્ય મહાપ્રજ્ઞ જન્મ શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીનું સંબોધન
પોસ્ટેડ ઓન:
19 JUN 2020 11:34AM by PIB Ahmedabad
નમસ્કાર!
આચાર્ય શ્રી મહાશ્રમણજી, તેરાપંથી મહાસભાના અધ્યક્ષ સુરેશ ચંદ્ર ગોયલજી, અને ટેકનોલોજીના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ મહાનુભવ, તમામ સાથીઓ!
આપણાં સૌનું સદભાગ્ય છે કે સંત પ્રવર આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીની જન્મ શતાબ્દીના પવિત્ર પ્રસંગ પર આપણે સૌ એકસાથે મળ્યા છીએ. તેમની કૃપા, તેમના આશીર્વાદને તમે, હું, આપણે સૌ અનુભવ કરી રહ્યા છીએ. સંત પ્રવર આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીને નમન કરતાં, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં, હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. હું આચાર્ય શ્રી મહાશ્રમણજીને પણ વિશેષ રૂપે આભાર વ્યક્ત કરું છું.
કોરોનાની પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે આ કાર્યક્રમને ટેકનોલોજીના માધ્યમથી આટલી અસરકારક રીતે આયોજિત કર્યો છે.
સાથીઓ,
તમારમાંથી ઘણા લોકો એવા હશે જેમને આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના સત્સંગ અને સાક્ષાત્કાર બંનેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તે વખતે તમે તેમની આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ જરૂરથી કર્યો હશે.
હું આમ એટલા માટે કહી રહ્યો છું કારણ કે મને મારા જીવનકાળ દરમિયાન આ અવસર, આચાર્ય શ્રીનો વિશેષ સ્નેહ અને આશીર્વાદનું સૌભાગ્ય સતત મળતું રહ્યું છે.
મને યાદ છે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે તે સમયે પણ તેમનું ગુજરાતમાં આગમન થયું હતું. મને તેમની અહિંસા યાત્રામાં, માનવતાની સેવાના અભિયાનમાં સામેલ થવાનો અવસર મળ્યો હતો.
મેં તે વખતે આચાર્ય પ્રવરની સામે જણાવ્યું હતું કે, “હું ઈચ્છું છું કે તેરા પંથ મેરા પંથ બની જાય.” આચાર્ય શ્રીના સ્નેહના કારણે તેરા પંથ પણ મારો પંથ બની ગયો અને હું પણ આચાર્ય શ્રીનો થઈ ગયો.
સાથીઓ,
મેં હંમેશા તેમના સાનિધ્યમાં એ વાતનો અનુભવ કર્યો છે કે તેમના જેવા યુગઋષિના જીવનમાં પોતાની માટે કઈં જ નથી હોતું. તેમનું જીવન, તેમના વિચાર, તેમનું ચિંતન, આ બધુ જ સમાજની માટે, માનવતાની માટે જ હોય છે.
આચાર્ય મહાપ્રજ્ઞજી કહેતા પણ હતા કે, “હું અને મારુ છોડો તો બધુ તમારું જ હશે.”
તેમનો આ મંત્ર, તેમનું આદર્શન તેમના જીવનમાં સ્પષ્ટપણે જોવા પણ મળતું હતું.
આપણે બધાએ જોયું છે કે તેમના જીવનમાં તેમનું પોતાનું કઈં જ નહોતું, પરંતુ છતાં દરેક વ્યક્તિ તેમની પોતાની હતી.
તેમના જીવનમાં ‘પરિગ્રહ’ કોઈપણ વસ્તુનું નહોતું પરંતુ ‘પ્રેમ’ દરેક વ્યક્તિ માટે હતો.
સાથીઓ,
વિશ્વમાં જીવન જીવવાનું દર્શન તો સરળતાથી મળી જાય છે પરંતુ આ પ્રકારનું જીવન જીવનારા લોકો સરળતાથી મળતા નથી. જીવનને આ સ્થિતિ સુધી લઈ જવા માટે તપવું પડે છે, સમાજ અને સેવ માટે હોમાવું પડે છે. તે કોઈ સામાન્ય વાત નથી. પરંતુ અસાધારણ વ્યક્તિ જ ‘અસાધારણ’ને ચરિતાર્થ કરતો હોય છે.
એટલે જ તો રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકર કહેતા હતા- આચાર્ય મહાપ્રજ્ઞજી આધુનિક યુગના વિવેકાનંદ છે.
એ જ રીતે દિગંબર પરંપરાના મહાન સંત આચાર્ય વિધ્યાનંદજી મહાપ્રજ્ઞજીની સરખામણી ડૉક્ટર સર્વપલ્લી રાધા કૃષ્ણન સાથે કરતા હતા.
આચાર મહાપ્રજ્ઞજીએ જે સાહિત્યની રચના કરી, તે અદભૂત હતી.
આપણાં શ્રદ્ધેય અટલજી, જેઓ પોતે પણ સાહિત્ય અને જ્ઞાનના આટલા મોટા પારખું હતા તેઓ અવારનવાર કહેતા હતા કે- “હું આચાર્ય મહાપ્રજ્ઞજીના સાહિત્યનો, તેમના સાહિત્યના ઊંડાણનો, તેમના જ્ઞાન અને શબ્દોનો બહુ મોટો પ્રેમી છું.” વાણીની સૌમ્યતા, મંત્રમુગ્ધ કરી દેનાર અવાજ, શબ્દોની પસંદગીનું સંતુલન, ઈશ્વરનું વરદાન પ્રાપ્ત હતું તેમને.
સાથીઓ,
તમે પણ આચાર્ય શ્રીના સાહિત્યને વાંચશો, તેમની વાતોને યાદ કરશો તો તમને પણ અનુભવ થશે, કેટલાય મહાપુરુષોની છબી તેમની ભીતર હતી, તેમનું જ્ઞાન કેટલું વ્યાપક હતું.
તેમણે જેટલા ઊંડાણપૂર્વક અધ્યાત્મ ઉપર લખ્યું છે, તેટલો જ વ્યાપક દ્રષ્ટિકોણ તેમણે તત્વજ્ઞાન, રાજકારણ, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા વિષયો પર પણ આપ્યો છે.
આ વિષયો પર મહાપ્રજ્ઞજીએ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજીમાં 300 થી વધુ પુસ્તકો લખ્યા છે. અને તમને તેમનું તે પુસ્તક તો યાદ જ હશે- ધી ફેમિલી એન્ડ ધી નેશન. આ પુસ્તક મહાપ્રજ્ઞજીએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની સાથે મળીને લખ્યું હતું.
એક પરિવાર સુખી પરિવાર કઈ રીતે બની શકે, એક સુખી પરિવાર એક સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતે કરી શકે છે, તેનો દ્રષ્ટિકોણ આ બંને મહાપુરુષોએ આ પુસ્તકમાં આપ્યો છે.
મને તે દિવસ પણ યાદ છે જ્યારે મારા મુખ્યમંત્રી બન્યા પછી ડૉક્ટર કલામ ગુજરાત આવ્યા હતા. ત્યારે હું પણ તેમની સાથે આચાર્ય પ્રવરના દર્શન કરવા માટે ગયો હતો. મને એકસાથે બંને મહાપુરુષોના સાનિધ્યનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
બંનેની એકસાથે હાજરીમાં મેં પોતે એવો પ્રત્યક્ષ અનુભવ કર્યો કે આપણે ત્યાં એક ઋષિ કઈ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવતો હોય છે અને એક વૈજ્ઞાનિક કઈ રીતે ઋષિ પ્રેમી હોઇ શકે છે.
મહાપ્રજ્ઞજીના વિષયમાં ડૉક્ટર કલામ કહેતા હતા કે, તેમના જીવનનો એક જ ઉદ્દેશ્ય છે- વૉક, એક્વાયર એન્ડ ગિવ. અર્થાત, સતત યાત્રા કરો, જ્ઞાન અર્જિત કરો અને જે કઈં પણ જીવનમાં છે તેને સમાજને આપી દો.
સાથીઓ,
મહાપ્રજ્ઞજીએ પોતાના જીવનમાં હજારો કિલોમીટરની યાત્રા અને પદયાત્રા કરી. પોતાના અંતિમ સમયમાં પણ તેઓ અહિંસા યાત્રા પર જ હતા.
તેઓ કહેતા હતા કે, “આત્મા મારો ઈશ્વર છે, ત્યાગ મારી પ્રાર્થના છે, મૈત્રી મારી ભક્તિ છે, સંયમ મારી શક્તિ છે અને અહિંસા મારો ધર્મ છે.”
આ જીવનશૈલીને તેમણે પોતે પણ જીવી છે અને લાખો કરોડો લોકોને પણ શીખવાડી છે. યોગના માધ્યમથી લાખો કરોડો લોકોને તેમણે તણાવમુક્ત જીવન જીવવાની કળા શીખવાડી. તે પણ એક સુખદ સંયોગ છે કે એક દિવસ બાદ જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે.
આપણી માટે તે પણ એક અવસર હશે કે જ્યારે આપણે સૌ ‘સુખી પરિવાર અને સમૃદ્ધ રાષ્ટ્ર’ના મહાપ્રજ્ઞજીના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીએ, તેમના વિચારોને સમાજ સુધી પહોંચાડીએ.
સાથીઓ,
આચાર્ય મહાપ્રજ્ઞજીએ આપણને સૌને એક બીજો મંત્ર પણ આપ્યો હતો. તેમનો એ મંત્ર હતો- ‘સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ અર્થવ્યવસ્થા.’ આજની પરિસ્થિતિમાં તેમનો આ મંત્ર આપણાં સૌની માટે બહુ મોટી પ્રેરણા છે.
આજે દેશ આ જ મંત્રની સાથે, આત્મનિર્ભર સંકલ્પની સાથે આગળ વધી રહ્યો છે.
મને વિશ્વાસ છે, જે સમાજ અને રાષ્ટ્રનો આદર્શ આપણાં ઋષિઓ, સંત આત્માઓએ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે, આપણો દેશ ટૂંક સમયમાં જ તે સંકલ્પને સિદ્ધ કરશે. તમે સૌ તે સપનાંને સાકાર કરશો. આપ સૌ સ્વસ્થ રહો, સકુશળ રહો, સંત પ્રવર આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના જીવન સંદેશને નવી પેઢી સુધી પહોંચાડતા રહો, એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર!
GP/DS
(રીલીઝ આઈડી: 1632554)
મુલાકાતી સંખ્યા : 285
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam