પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 18 જૂન 2020ના રોજ વ્યાપારી ધોરણે ખાણકામ માટે કોલસાની 41 ખાણોની હરાજીના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન આપશે

Posted On: 17 JUN 2020 7:16PM by PIB Ahmedabad
  1. કોલસાક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે કોલસા મંત્રાલય FICCIના સહયોગથી CM (SP) અધિનિયમ અને MMDR અધિનિયમની જોગવાઇઓ અંતર્ગત કોલસાની 41 ખાણોની હરાજી પ્રક્રિયાનો આરંભ કરી રહ્યું છે. આ હરાજી પ્રક્રિયા કોલસાની ખાણોના વ્યાપારી ધોરણે ખાણકામ માટે ભારતીય કોલસા ક્ષેત્રમાં એક નવી શરૂઆત ચિન્હિત કરશે. આનાથી દેશને પોતાની ઉર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં અને ઔદ્યોગિક વિકાસ માટે સ્વનિર્ભરતા હાંસલ કરવામાં મદદ મળશે. કોલસાના વેચાણ માટે કોલસાની ખાણોની હરાજીની આ પ્રક્રિયાની શરૂઆત ભારત સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવેલી શ્રેણીબદ્ધ જાહેરાતોના ભાગરૂપે છે. આ કાર્યક્રમ 18 જૂ 2020ના રોજ સવારે 11 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી શરૂ થશે. આ કાર્યક્રમ NIC, MEiTYના NeGD અને FICCI દ્વારા હોસ્ટ કરવામાં આવતા વિવિધ નેટવર્કના માધ્યમથી તમામ લોકોને જોડાવા માટે ખુલ્લો રહેશે.

હરાજીની પ્રક્રિયાનો આરંભ

 

2.      આદરણીય પ્રધાનમંત્રી હરાજી પ્રક્રિયાનો આરંભ કરાવવા માટે આ કાર્યક્રમની શરૂઆતમાં સંબોધન આપીને ખાણકામ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે દેશ માટે તેમની દૂરંદેશી પર પ્રકાશ પાડશે જે વિદ્યુત, સ્ટીલ, એલ્યુનિમિયમ, સ્પન્જ, લોખંડ વગેરે સંખ્યાબંધ પાયાના ઉદ્યોગો માટે ઇનપુટનો મુખ્ય સ્રોત છે. કોલસા, ખાણકામ અને સંસદીય બાબતોના મંત્રી આદરણીય શ્રી પ્રહલાદ જોશી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

 

3.      આ સીમાચિહ્નરૂપ પગલાંના કારણે ખાનગી ભાગીદારીને વેગ મળશે જેથી ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, સ્પર્ધા વધશે, મોટાપાયે રોકાણો દ્વારા અદ્યતન ઉપકરણો, ટેકનોલોજી અને સેવાઓનો ઉપયોગ કરીને ઉત્પાદકતા વધશે, ટકાઉક્ષમ ખાણકામ અને દેશના પછાત પ્રદેશોમાં વધુ રોજગારી નિર્માણ માટે નવા સ્થળોના સર્જનનો માર્ગ મોકળો થશે. વ્યાપારી ધોરણે ખાણકામની શરૂઆત સાથે, ભારતે ખાણકામ, વિદ્યુત અને સ્વચ્છ કોલસાના ક્ષેત્ર સંબંધિત રોકાણકારો માટે તકો પૂરી પાડીને કોલસા ક્ષેત્રને સંપૂર્ણપણે મુક્ત કરી દીધું છે.

 

4.      FICCIના પ્રમુખ શ્રી ડૉ. સંગીતા રેડ્ડી, વેદાંતા ગ્રૂપના ચેરમેન શ્રી અનિલ અગ્રવાલ, ટાટા સન્સના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન પણ આ કાર્યક્રમ દરમિયાન સંબોધન આપશે.

 

5.      આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે અને અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકો, બેંકિંગ પ્રોફેશનલો, ખાણકામ ઉદ્યોગના ઉદ્યમીઓ, રાજદ્વારીઓ, વિદેશી પ્રતિનિધિનમંડળો વગેરે મોટી સંખ્યામાં તેમાં ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.

 

હરાજીની પ્રક્રિયાની મુખ્ય બાબતો

6.      કોલસાની ખાણોની ફાળવણી માટે બે તબક્કાની ઇલેક્ટ્રોનિક હરાજી પ્રક્રિયા અપનાવવામાં આવી છે. મોડેલ કરાર સાથે બિડના દસ્તાવેજો સહિત હરાજીની પ્રક્રિયા, હરાજીની પ્રક્રિયાની વિગતવાર ટાઇમલાઇન, ઑફર કરવામાં આવતી કોલસાની ખાણો વગેરેની માહિતી http://cma.mstcauction.com/auctionhome/coalblock/index.jsp પરથી ઍક્સેસ કરી શકાય છે જે હરાજી પ્લેટફોર્મ પ્રદાતા MSTC લિમિટેડ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે.

 

7. દેશને થનારા લાભ:

 

•       સર્વાધિક સ્તરની 225 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાથી, આ ખાણો વર્ષ 2025-26માં દેશના કુલ પ્રસ્તાવિત કોલસાના ઉત્પાદનમાં 15% જેટલું યોગદાન આપશે.

•       2.8 લાખથી વધુ લોકો માટે રોજગારીનું સર્જન થશે; અંદાજે 70,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે જ્યારે અંદાજે 2,10,000 લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે.

•       આગામી 5-7 વર્ષમાં દેશમાં અંદાજે રૂપિયા 33,000 કરોડનું મૂડી રોકાણ ઉત્પન્ન થવાની અપેક્ષા છે.

•       આ ખાણો રાજ્ય સરકારો માટે દર વર્ષે અંદાજે રૂપિયા 20,000 કરોડની આવકનું યોગદાન આપશે.

•       100 FDIના કારણે ખાણકામની કામગીરીઓમાં આંતરરાષ્ટ્રીય રીતભાતો, અદ્યતન ટેકનોલોજી અને યાંત્રિકીકરણ આવવાની અપેક્ષા છે.

•       સ્વતંત્ર ઉષ્મા ઉર્જા પ્લાન્ટ્સ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સ દ્વારા આયાતની અવેજ સાથે આત્મનિર્ભરતા આવવાથી વિદેશી હુંડિયામણની બચત થશે.

•       બહેતર વિશ્વસનીયતા સાથે ઉદ્યોગો માટે ટકાઉક્ષમ કોલસાનો સ્ટોક સુનિશ્ચિત કરીને રેગ્યુલેટેડ અને નોન-રેગ્યુલેટેડ બંને ક્ષેત્રને વેગ મળશે.

•       નેશનલ કોલ ઇન્ડેક્સના અમલ સાથે મુક્ત બજાર માળખા તરફ પ્રગતી.

•       સ્વચ્છ ઉર્જાના કાર્યદક્ષ ઉપયોગની રીતભાતોને પ્રોત્સાહન આપીને અને કોલ ગેસિફિકેશન તેમજ લિક્વિફિકેશનને પ્રોત્સાહન સાથે પર્યાવરણીય પ્રદૂષણના અભિશાપને ઓછો કરી શકાશે.

 

GP/ DS



(Release ID: 1632244) Visitor Counter : 368