PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 10 JUN 2020 6:10PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 10.06.2020

 

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય દર્દીઓની સંખ્યા કરતા વધી ગઇ; ICMR દ્વારા 50 લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું; 6 શહેરોમાં કોવિડ-19નું વ્યવસ્થાપન કરવામાં રાજ્યોને મદદરૂપ થવા માટે કેન્દ્રની ટીમો નિયુક્ત કરવામાં આવી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 5,991 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,35,205 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે જ્યારે કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 1,33,632 છે. દેશમાં પહેલી વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા કરતા વધુ નોંધાઇ છે. આ સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 48.88% નોંધાયો છે. ઉપરાંત, ICMR દ્વારા અત્યાર સુધીમાં કુલ 50 લાખથી વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે; આજના દિવસ સુધીમાં કુલ 50,61,332 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં, ICMR દ્વારા 1,45,216 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચેપગ્રસ્ત લોકોમાં નોવલ કોરોના વાયરસનું નિદાન કરવા માટે ICMR દ્વારા સતત તેમની પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી રહી છે. દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરી વધારીને 590 અને ખાનગી લેબોરેટરી વધારીને 233 (કુલ 823 લેબોરેટરી) કરવામાં આવી છે.

મુંબઇ, અમદાવાદ, ચેન્નઇ, કોલકાતા, દિલ્હી અને બેંગલુરુ આ છ શહેરમાં કોવિડ-19ના કેસોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં વધી રહી હોવાથી કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવેલા જાહેર આરોગ્યના પગલાંઓની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગો અને મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓને ટેકનિકલ સહાય પૂરી પાડવા આશયથી કેન્દ્ર દ્વારા ટીમો નિયુક્ત કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630675

 

રાજ્ય સરકારો દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરેલી તમામ CGHS પેનલબદ્ધ હોસ્પિટલોમાં CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધા મળશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આ આદેશ અનુસાર CGHS પેનલબદ્ધ હોસ્પિટલ, જેમને રાજ્ય સરકારો દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરવામાં આવી છે, તે કોવિડ સાથે સંબંધિત તમામ સારવારો માટે CGHSના માપદંડો અનુસાર CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધાર પુરી પાડશે. આજ રીતે તે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ CGHS પેનલબદ્ધ હોસ્પિટલો, જેમને કોવિડ હોસ્પિટલ તરીકે અધિસૂચિત કરવામાં આવી નથી, તે CGHSના લાભાર્થીઓને સારવારની સુવિધા આપવા / દાખલ કરવાનો ઇનકાર કરશે નહીં અને અન્ય તમામ સારવાર માટે CGHSના માપદંડો અનુસાર જ ફી વસૂલશે. આ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630670

 

લૉકડાઉનનો અમલ દૂર કરવામાં આવ્યો હોવાથી રેલવેની માલવહન સેવાએ ફરી પરિવહનમાં ગતિ વધારી

કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉનના અમલ અને તે પછીના તબક્કામાં સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો પહોંચી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે તેની માલવહન અને પાર્સલ સેવાના માધ્યમથી સતત પ્રયાસો કરી રહી છે. દેશવાસીઓને સમયસર આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવાનું સુનિશ્ચિત કરવું એ ખાસ કરીને ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે જરૂરી હોવાથી, ભારતીય રેલવેએ સફળતાપૂર્વક તેમની માલવહન સેવા અવિરત ચાલુ રાખી અને આ બંને ક્ષેત્રના લોકોની જરૂરિયાતો સંતોષવામાં સફળ રહ્યું છે. મે મહિનામાં, ભારતીય રેલવેએ 82.27 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓનું વહન કર્યું હતું જ્યારે એપ્રિલ 2020માં 65.14 મિલિયન ટન વસ્તુઓનું પરિવહન કર્યું હતું, જેથી એપ્રિલની તુલનાએ મે મહિનામાં 25% વધુ માલનું પરિવહન કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલ 2020થી 9 જૂન 2020 સુધીમાં, ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં તેની 24X7 માલવહન સેવા દ્વારા 175.46 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કર્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630647

 

પ્રધાનમંત્રીએ કેદારનાથ પુનર્નિર્માણ પરિયોજનાની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામ વિકાસ અને પુનર્નિર્માણ પરિયોજનાની આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરાખંડ સરકાર સાથે સમીક્ષા કરી હતી. આ તીર્થસ્થળના પુનર્નિર્માણની પોતાની પરિકલ્પના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કેદારનાથ અને બદ્રીનાથ જેવા પવિત્ર સ્થળોના વિકાસની પરિયોજનાઓની સંકલ્પનાની સાથે તેની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવી જોઇએ જે સમયની કસોટીમાં પાર ઉતરે, પર્યાવરણને અનુકૂળ હોય અને પ્રકૃતિ તેમજ આસપાસના વાતાવરણની સાથે તાલમેલ બેસાડેલો હોય. વર્તમાન સ્થિતિના કારણે આ તીર્થસ્થળોમાં પર્યટકો તેમજ શ્રદ્ધાળુઓની સંખ્યામાં અગાઉની સરખામણીએ ઘટાડો થયો છે તેને ધ્યાનમાં રાખતા, પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, વર્તમાન સમયમાં શ્રમિકોની યોગ્ય ફાળવણી દ્વારા પડતર કાર્યો પૂરા કરવા માટે સમયનો સદુપયોગ કરી લેવો જોઇએ અને સાથે સાથે યોગ્ય સામાજિક અંતરના માપદંડોનું પાલન થાય તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આમ કરવાથી આવનારા વર્ષોમાં પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ જાળવી રાખવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ તૈયાર કરવામાં મદદ મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630671

 

ખાનગી ક્ષેત્રને તેમની ક્ષમતામાં સુધારો કરવા માટે ઇસરોની સુવિધાઓ અને અન્ય સંબંધિત અસ્કયામતોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે: ડૉ. જીતેન્દ્રસિંહ

મોદી સરકારની બીજી ટર્મના પ્રથમ વર્ષમાં અવકાશ ટેકનોલોજી ક્ષેત્રે ભારતે હાંસલ કરેલી સિદ્ધિઓની માહિતી આપતા ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, નાણામંત્રીએ જણાવ્યા અનુસાર, મોદી સરકારના આત્મનિર્ભર ભારતની રૂપરેખા ભારતને સ્વનિર્ભરતા તરફ દોરી જાય છે, જેમાં અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે પહેલ હાથ ધરવામાં આવી છે. ભારતીય ખાનગી ક્ષેત્રને ભારતની અવકાશ ક્ષેત્રની સફરમાં સહ-પ્રવાસી બનાવવામાં આવશે. કોરોના વાયરસ મહામારીના સમય દરમિયાન પણ, ઇસરોના વૈજ્ઞાનિકો આવશ્યક તબીબી ઉપકરણો, સુરક્ષાત્મક કીટ્સ અને અન્ય ઉપકરણો આપવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધવામાં સતત સંકળાયેલા રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630524

 

પ્રધાનમંત્રી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ મહામહિમ રોડ્રિગો ડુટર્ટે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી અને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે બંને દેશોની સરકારોએ લીધેલા પગલાં અંગે બંને મહાનુભવોએ વાર્તાલાપ કર્યો હતો. બંને નેતાઓએ વર્તમાન આરોગ્ય કટોકટીની સ્થિતિમાં એકબીજાના દેશોમાં વસતા પોતાના દેશવાસીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે અને તેમને સ્વદેશ મોકલવાની કાર્યવાહીમાં બંનેની સરકારોએ આપેલા સહકારની પ્રશંસા કરી હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ ફિલિપાઇન્સમાં ભારતે મોકલેલા આવશ્યક ફાર્માસ્યુટિલના પૂરવઠાની પણ પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630594

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે તમામ ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, મ્યુનિસિપલ, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ કોરોના વાયરસ સામે લડવા માટે સક્રિયતાપૂર્વક જે પ્રકારે સખત પરિશ્રમ કર્યો અને તેના કારણે સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો તે બદલ સૌનો આભાર માન્યો હતો. જોકે, તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું હતું કે, જિલ્લા અધિકારીઓએ હજુ પણ અન્ય રાજ્યોમાંથી આવી રહેલા લોકો પર ચાંપતી નજર રાખવી પડશે જેથી કોઇને ચેપ લાગેલો હોય તો વહેલી તકે ખબર પડે અને બીમારીને નિયંત્રિત કરી શકાય. પ્રશાસકે અગ્ર આરોગ્ય સચિવને નિર્દેશો આપ્યા હતા કે, હવે સરહદો ખુલ્લી કરવામાં આવી હોવાથી જો કેસોની સંખ્યામાં અચાનક વધારો થાય તો, દર્દીઓને તાત્કાલિક દાખલ કરી શકાય તેમ માટે તેઓ તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને તૈયાર રાખે.
  • હરિયાણા: હરિયાણાની સરકારે રાજ્યમાં જિલ્લાઓમાં ઓછામાં ઓછા બે દિવસ અને બે રાત્રીની મુલાકાત લઇને વર્તમાન વ્યવસ્થાઓની દેખરેખ અને સમીક્ષા કરવા માટે વરિષ્ઠ અધિકારીઓને નિયુક્ત કર્યા છે અને કોવિડ-19ના પ્રસારના દરનું વિશ્લેષણ કરીને તેના આધારે ભવિષ્યની વ્યવસ્થાઓનું આયોજન કરવા જણાવ્યું છે. સંબંધિત અધિકારીઓ સુનિશ્ચિત કરશે કે, જિલ્લામાં તમામ પોલીસ અધિકારીઓ, ULB, આરોગ્ય અને તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગોને સક્રિય કરવામાં આવે અને કોવિડ-19 સામે લડવા માટે તેમને પ્રેરિત કરવામાં આવે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા 2,259 કેસો નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 90,787 થઇ ગઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કોવિડ-19ના કારણે વધુ 120 લોકોના મૃત્યુ થયા હોવાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 3289 થઇ ગયો છે. અત્યાર સુધીમાં 42,638 દર્દીઓ કોરોના વાયરસથી સાજા થઇ ગયા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 1663 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ મુંબઇમાં, નવા 1015 કેસ નોંધાયા છે જેથી અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસ 50,878 થઇ ગયા છે. શહેરમાં વધુ 58 દર્દીઓ કોરોનાની બીમારીથી મૃત્યુ પામ્યા હોવાથી કુલ 1,758 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મુંબઇમાં હવે નોંધાયેલા કુલ કેસની સંખ્યા જ્યાંથી કોરોના વાયરસની બીમારીનો ઉપદ્રવ શરૂ થયો હતો તે, ચીનના વુહાન શહેર કરતા વધી ગઇ છે. જોકે, આશાનું કિરણ છે કે, મુંબઇમાં કેસ બમણા થવાનો દર વધીને 23 દિવસ થઇ ગયો છે અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કેસ બમણા થવાનો દર વધીને 48 દિવસ થયો છે. વધુમાં, છેલ્લા સાત દિવસમાં ધારાવીમાં કોરોના વાયરસથી કોઇ વ્યક્તિનું મોત નોંધાયું નથી.
  • ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના વધુ 470 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસનો આંકડો વધીને 21044 થયો છે જેમાંથી 5336 દર્દીઓ હાલમાં સક્રિય છે. રાજ્યના હોટસ્પોટ અમદાવાદમાં નવા 331 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક વધીને 1,313 થઇ ગયો છે જેમાં મંગળવારે 33 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ, 409 દર્દીઓએ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જેથી રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો કુલ આંકડો વધીને 14,373 થયો છે. ઉપરાંત, અમદાવાદમાં, ખ્યાતનામ ગંભીર સારવારના નિષ્ણાત ડૉ. રાજ રાવલે નિષ્ણાત ડૉક્ટરોનું એક જૂથ બનાવ્યું છે અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની હોમ કેર સેવા શરૂ કરી છે. હોમ કેર સેવા અંતર્ગત, દર્દીઓને આસિસ્ટન્ટ નર્સ, ઓક્સિજન અને જો જરૂર જણાય તો મોનિટરિંગ આપવામાં આવે છે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે સવાર સુધીમાં કોવિડ-19ના નવા 123 કેસ નોંધાયા છે જ્યારે મંગળવારે 369 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ પોઝિટીવ દર્દીનો આંકડો 11,368 થઇ ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 8502 દર્દીઓ બીમારાથી સાજા થઇ ગયા છે અને જે દેશમાં સૌથી વધુ સાજા થવાનો દર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી રાજસ્થાન સરકારે આજે તેની તમામ આંતર રાજ્ય સરહદો સીલ કરી દીધી છે. વધુમાં, સરકારે રાજ્યની અંદરના ટ્રાફિકના નિયમન અને નિયંત્રણ માટે પણ નિર્ણય લીધો છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોવિડ-19ના વધુ 211 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 9849 થઇ ગઇ છે. આમાંથી, 2700 સક્રિય કેસો હાલમાં સારવાર હેઠળ છે અને 6729 દર્દી અત્યાર સુધીમાં કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં 420 દર્દીઓએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના ચેપનો વૃદ્ધિદર હવે ઘટીને 2.74 ટકા થઇ ગયો છે જ્યારે તેની સરખામણીએ દેશનો સરેરાશ દર 5.4 ટકા છે.
  • છત્તીસગઢ: છત્તીસગઢમાં મંગળવારે કોવિડ-19ના નવા 43 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1251 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 859 છે.
  • ગોવા: રાજ્યમાં મંગળવારે વધુ 29 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી ગોવામાં કોવિડ-19ના કારણે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત થયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 359 સુધી પહોંચી ગઇ છે. આમાંથી, 292 સક્રિય કેસો હાલમાં સારવાર હેઠળ છે અને રાજ્યમાં 67 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. રાજ્યમાં મંગોર વિસ્તારમાં સતત મહત્તમ કેસો નોંધાઇ રહ્યા છે અને નવા નોંધાયેલા કેસોમાંથી 22 વિસ્તારના છે.
  • અરૂણાચલ પ્રદેશ: રાજ્યના આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, 11,500થી વધુ ફસાયેલા લોકો અત્યાર સુધીમાં રાજ્યમાં પરત આવી ગયા છે. તેમણે કહ્યું હતું કે, વધુ ફસાયેલા લોકો રાજ્યમાં હજુ આવી રહ્યા છે અને તેમની તપાસ તેમજ ક્વૉરેન્ટાઇન માટે SoPનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.
  • આસામ: રાજ્યમાં વધુ 42 દર્દીઓનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 3092 થઇ છે જ્યારે સક્રિય કેસની સંખ્યા 1987 છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1097 છે જ્યારે 5 વ્યક્તિ મૃત્યુ પામી છે.
  • મણીપૂર: રાજ્યમાં કોવિડ-19ના વધુ પાંચ દર્દીના કોવિડ-19ના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હોવાની પુષ્ટિ થતા કુલ પોઝિટીવ દર્દીઓ 309 થઇ ગયા છે. તમામ દર્દીઓ બહારથી પરત આવેલા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 19,854 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • મિઝોરમ: લૉકડાઉનની માર્ગદર્શિકામાં આંશિક સુધારા કરી ફરી બહાર પાડવામાં આવી છે. મિઝોરમમાં લેંગપુઇ હવાઇમથકનું પરિચાલન આગામી આદેશ સુધી ચાલુ રાખવામાં આવશે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડ સિવિલ સોસાયટી સંગઠનોએ આજે સાંજે 7 વાગે ઘરેથી પ્રાર્થનાનું આયોજન કર્યું છે. અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓ સહિત તમામ લોકોની સલામતી માટે લોકોને તેના ઘરે મોબાઇલની ફ્લેશલાઇટ અને મીણબત્તી ચાલુ કરવા માટે અપીલ કરવામાં આવી છે. 4732 સેમ્પલનું અત્યાર સુધીમાં નાગાલેન્ડમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી 3518ના પરિણામો આવી ગયા છે અને 5922 વ્યક્તિઓને હાલમાં ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવી છે.
  • કેરળ: ત્રિવેન્દ્ર મેડિકલ કોલેજથી ભાગી ગયેલા કોવિડ-19ના દર્દીને પકડીને પાછો હોસ્પિટલમાં લાવવામાં આવતા આજે તેણે આઇસોલેશન વૉર્ડમાં આત્મહત્યા કરી હતી. તેનું બીજુ પરીક્ષણ નેગેટીવ આવ્યું હતું. તેના 40 મિત્રો અને નજીકના સગાને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે, કોવિડ-19નો સામુદાયિક ફેલાવો ટાળવા માટે કન્ટેઇન્મેન્ટના માપદંડો વધુ સખત કરવામાં આવશે. સબરીમાલા હીલ દેવસ્થાનના મુખ્ય પૂજારીએ  દેવસ્વમ બોર્ડને પત્ર લખીને વિનંતી કરી છે કે, મંદિરમાં આગામી સોમવારથી શરૂ થઇ રહેલી માસિક પૂજામાં ભક્તોને મંજૂરી આપવામાં ના આવે અને મહોત્સવની ઉજવણી મુલતવી રાખવાનું પણ કહ્યું છે. અખાતી દેશોમાં વધુ ચાર કેરળવાસીઓ કોવિડ-19ની બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે. અખાતી દેશોમાં કુલ 207 મલયાલીઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે. મુંબઇમાં બે અને દિલ્હીમાં એક કેરળવાસીનું મૃત્યુ થયું છે. કેરળમાં ગઇકાલે સતત બીજા દિવસે કોવિડ-19ના નવા 91 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં બે લાખથી વધુ લોકોને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે, કોવિડ-19ના કારણે થયેલા સંપૂર્ણ મૃત્યુ કદાચ તેઓ નથી નોંધી શક્યા; એક નવ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે જે ચેન્નઇમાં કોવિડ-19ના કારણે થયેલા તમામ મૃત્યુનું ઓડિટ કરશે. પુડુચેરીમાં એક નિવૃત્ત શિક્ષક મૃત્યુ પામ્યા પછી તેઓ કોવિડ-19 પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું જેથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ કેસની સંખ્યા 145 થઇ ગઇ છે. તામિલનાડુના પગલે, પુડુચેરીના પ્રશાસને મંગળવારે પુડુચેરી અને કરાઇકલ પ્રદેશમાં ધોરણ દસની જાહેર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. DMKના ધારાસભ્ય જે. અંબાઝગનનું કોવિડ-19ના કારણે ચેન્નઇમાં એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ગઇકાલે નવા 1685 કેસો નોંધાયા હતા જ્યારે 798 દર્દી સાજા થયા હતા અને 21 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. ચેન્નઇમાંથી 1242 કેસ નવા નોંધાયા હતા. કુલ કેસની સંખ્યા: 34914, સક્રિય કેસ: 16279, મૃત્યુ થયા: 307, ચેન્નઇમાં સક્રિય કેસ: 12570.
  • કર્ણાટક: રાજ્યના આરોગ્ય વિભાગે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં ILI અથવા SARIના લક્ષણોની હિસ્ટ્રી સાથે મૃત્યુ પામેલા દર્દીઓના તપાસની કામગીરી ચાલુ રહેશે- મૃત્યુ પછી કલાકમાં સ્વેબના સેમ્પલ લેવામાં આવશે. તબીબી શિક્ષણ મંત્રી ડૉ. સુધાકર કે. જણાવ્યું હતું કે, રાજ્યમાં મંગળવારે પરીક્ષણનો આંકડો ચાર લાખથી વધી ગયો છે. 2605 દર્દીઓને રજા આપવામાં આવી છે અને કુલ 5921 કેસ થયા છે. કર્ણાટકમાં સાજા થવાનો દર 44% છે. રાજ્યના આરોગ્યમંત્રી બી. શ્રીરામુલુએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રથી પરત ફરેલા લોકોને હવે સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે નહીં અને તેમને સીધા 14 દિવસના હોમ ક્વૉરેન્ટાઇનમાં મોકલવામાં આવશે. ગઇકાલે નવા 161 કેસ નોંધાયા છે, 164ને રજા આપવામાં આવી છે અને 2 દર્દી મૃત્યુ પામ્યા છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસ: 5921, સક્રિય કેસ: 3248, મૃત્યુ: 66.
  • આંધ્રપ્રદેશ: ચૂંટણી કમિશનર એન. રમેશકુમારને હોદ્દા પર રાખવાના કેસમાં આંધ્રપ્રદેશ ઉચ્ચ અદાલતના ચૂકાદા પર મનાઇહુકમ આપવાની આંધ્રપ્રદેશ સરકારની અરજીમાં સર્વોચ્ચ અદાલતે ના પાડી દીધી છે. દસમાની પરીક્ષા આંધ્રપ્રદેશમાં અગાઉ જાહેર કરવામાં આવેલા સમયપત્રક અનુસાર લેવામાં આવશે તેમ રાજ્યના મંત્રી અદીમુલાપુ સુરેશે કહ્યું હતું. મુખ્યમંત્રીએ જગનાન્નાચેધોડુ યોજના શરૂ કરી છે જેમાં રાજ્યમાં 2,47,040 વોશરમેન, ધોબી અને દરજીઓને વાર્ષિક રૂપિયા 10,000 રોકડ પ્રોત્સાહન આપવામાં આવશે. TTD ગુરુવારથી તિરુમાલામાં ભક્તોને દર્શનાર્થે મંજૂરી માટે તૈયારીઓ કરી લીધી છે. છેલ્લા 24 કલાકમાં 15,384 સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા હતા જેમાં 136 નવા કેસ નોંધાયા છે. 72 દર્દીને રજા આપવામાં આવી છે અને 1નું મૃત્યુ થયું છે. કુલ નોંધાયેલા કેસ: 4126, સક્રિય કેસ: 1573, સાજા થયા: 2475, મૃત્યુ પામ્યા: 78
  • તેલંગાણા: ગઇકાલે ડૉક્ટર પર હુમલાની ઘટના પછી ગાંધી હોસ્પિટલ ખાતે વિરોધ કરી રહેલા લોકોના સમર્થનમાં ડૉક્ટરો આવતા સમગ્ર તેલંગાણામાં દેખાવો શરૂ થઇ ગયા છે. તેલંગાણા સરકારે 10મા ધોરણના તમામ વિદ્યાર્થીઓને આંતરિક પરીક્ષાઓના ગુણના આધારે આગળના ધોરણમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અંદાજે 7 લાખ વિદ્યાર્થીઓને આદેશના પગલે આગળના ધોરણમાં મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં 448 વિસ્થાપિતો, વિદેશથી પરત આવેલા લોકો પોઝિટીવ નોંધાયા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

FACT CHECK

 

 

Image



(Release ID: 1630742) Visitor Counter : 292