રસાયણ અને ખાતર મંત્રાલય

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો (પીએમજેએકે) કોવિડ-19 સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છેઃ મનસુખ માંડવિયા


દરરોજ ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી ભાવે ખરીદવા 10 લાખ વ્યક્તિઓ પીએમ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યાં છે

Posted On: 04 MAY 2020 5:44PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, કોવિડ-19 સ્થિતિમાં જન ઔષધિ કેન્દ્રો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે, કારણ કે દરરોજ 6000 જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત આશરે 10 લાખ લોકો વાજબી કિંમતની ગુણવત્તાયુક્ત દવાઓ ખરીદવા માટે લઈ રહ્યાં છે. કેન્દ્રો હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું વેચાણ પણ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર (પીએમબીજેપી) ભારત સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગની નાગરિકો માટે ઉપયોગી પહેલ છે અને યોજના અંતર્ગત પ્રધાનમંત્રીના વાજબી કિંમત ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના સ્વપ્નને સાકાર કરવા જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યા પછી અત્યાર સુધી જન ઔષધિ કેન્દ્રો ખોલવાની પ્રક્રિયાને વેગ  આપ્યો છે. તેમના 5.5 કે સાડા પાંચ વર્ષના કાર્યકાળમાં દેશભરમાં આશરે 6000 જન ઔષધિ કેન્દ્રો ખુલ્યાં છે, જે ગુણવત્તાયુક્ત દવાઓ સરેરાશ બજારભાવથી 50 ટકાથી 90 ટકા ઓછી કિંમતે વેચે છે.

તેમણે ઉમેર્યું હતું કે, વાજબી અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓનું વેચાણ કરવા ઉપરાંત લોકડાઉનના ગાળા દરમિયાન ઘણા જન ઔષધિ કેન્દ્રો અનાજની કિટ, રાંધેલું ભોજન, નિઃશુલ્ક દવાઓનું વિતરણ જરૂરિયાતમંદો વચ્ચે કરે છે.

કોવિડ-19 જેવી વિશેષ પરિસ્થિતિમાં જન ઔષધિ કેન્દ્રોની ભૂમિકા બહુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. 6000 જન ઔષધિ કેન્દ્રો ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવા મારે રાતદિવસ કાર્યરત છે. એપ્રિલ, 2020માં આશરે 52 કરોડના મૂલ્યની દવાઓનો પુરવઠો દેશભરમાં પૂરો પાડવામાં આવ્યો છે. જન ઔષધિ કેન્દ્રો હાઇડ્રોક્સીક્લોરો ક્વિન (એચસીક્યુ), એન-95 માસ્ક, થ્રી-પ્લાય માસ્ક, હેન્ડ સેનિટાઇઝર્સ વગેરેનું વેચાણ સસ્તા દરે કરે છે.

કોવિડ-19 રોગચાળા દરમિયાન કેન્દ્રોની ભૂમિકાને બિરદાવી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, હું જરૂરિયાતમંદો વચ્ચે જન ઔષધિ કેન્દ્રોના માલિકોની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય સામાજિક સેવાને બિરદાવું છું.

 

 

GP/DS

 



(Release ID: 1621037) Visitor Counter : 635