કાયદો અને ન્યાય મંત્રાલય
આવકવેરા ન્યાયપંચ, ITAT, દ્વારા પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી યોજાઇ
प्रविष्टि तिथि:
24 APR 2020 7:19PM by PIB Ahmedabad
ન્યાયમૂર્તિ પી.પી. ભટ્ટની અધ્યક્ષતામાં બનેલી આવકવેરા એપલેટ ન્યાયપંચ (ITAT)ની ડિવિઝન ખંડપીઠ દ્વારા આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને મનાઇ હુકમ માટે કરવામાં આવેલી તાત્કાલિક અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટના ન્યાયપંચના 79 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બની હતી. આ અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ ભટ્ટ અને ITATના ઉપાધ્યક્ષ શ્રી પ્રમોદ કુમારની મુંબઇ સ્થિત બે સભ્યો બનેલી ITAT ખંડપીઠ દ્વારા કરવામાં આવી હતી. કોવિડ-19 લૉકડાઉનના કારણે ITAT બંધ હોવાના કારણે આ સુનાવણી ITATના બંને સભ્યોના ઘર સ્થિત કાર્યાલય ખાતેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરાઇ હતી.
અપીલકર્તા સોલાપુર સ્થિત પાંધેશ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આકારણી વર્ષ 2010-11 માટે આવકવેરા વિભાગના મુંબઇ કાર્યાલય દ્વારા રૂ. 2.91 કરોડની વસૂલાત માટે ફટકારેલી નોટિસ ઉપર મનાઇ હુકમ મેળવવા તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની વિનંતી કરવામાં આવી હતી. કંપનીએ અગાઉ મુંબઇ ઉચ્ચ અદાલતમાં અરજી કરી હતી, પરંતું ઉચ્ચ અદાલતે સૌપ્રથમ ITATનો સંપર્ક કરવા નિર્દેશ આપ્યો હતો.
મનાઇ હુકમ મંજૂર રાખતાં ITAT બેન્ચે કંપનીના બેન્કર્સ અને દેણદારોને મહેસૂલ સત્તામંડળ દ્વારા જારી કરાયેલી તમામ નોટિસ પર રોક લગાવી હતી. ખંડપીઠ દ્વારા સુનાવણીની પ્રક્રિયા દરમિયાન હાજર રહેલા વિભાગીય પ્રતિનિધિને મનાઇ હુકમની જાણકારી આકારણી અધિકારી/ ક્ષેત્રીય અધિકારીને આપવાના નિર્દેશ અપાયા હતા. આ દરમિયાન ખંડપીઠ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે કંપનીની સંબંધિત અપીલની સુનાવણી 8 જૂન, 2020ના રોજ ક્રમાનુસાર હાથ ધરવામાં આવશે.
27 સ્થાનો ઉપર આવેલી ITAT ખંડપીઠ જ્યારે જ્યારે સંજોગો ઉપસ્થિત થાય ત્યારે તાત્કાલિક ધોરણે આકારણીકર્તા અથવા મહેસૂલ વિભાગ દ્વારા કરાયેલી અરજીના આધારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રકારની સુનાવણી હાથ ધરી શકે તે માટે સુસજ્જ છે.
GP/DS
(रिलीज़ आईडी: 1617991)
आगंतुक पटल : 248