ગૃહ મંત્રાલય

દેશમાં કોવિડ-19 મહામારીનો પ્રસાર નિયંત્રણમાં લાવવા માટે 3 મે 2020 સુધી લૉકડાઉન અમલમાં રહેશે

Posted On: 14 APR 2020 7:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં જાહેરાત કરી હતી કે, કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનનો અમલ આગામી 3 મે 2020 સુધી લંબાવવામાં આવ્યો છે.

આ જાહેરાતને અનુલક્ષીને, ભારત સરકાર દ્વારા ભારત સરકારના તમામ મંત્રાલયો/વિભાગો, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો અને સત્તામંડળોને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, દેશમાં કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંકલિત દિશાનિર્દેશોમાં લૉકડાઉનના પગલાંનો અમલ નિર્ધારિત કરવામાં આવ્યો છે, તે આગામી 3 મે 2020 સુધી અમલી રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સંદર્ભે આદેશ આપવામાં આવ્યો છે. આદેશ અનુસાર, લૉકડાઉનનો સમય લંબાવવામાં આવ્યો હોવાથી, વિવિધ ક્ષેત્રોમાં અને વિવિધ પ્રવૃત્તિઓ પર લાગુ કરવામાં આવેલા તમામ પ્રતિબંધોનો અમલ હજુ પણ ચાલુ રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સંકલિત માર્ગદર્શિકામાં ઉલ્લેખિત આ પ્રતિબંધોનું ભારત સરકારના તમામ મંત્રાલયો / વિભાગો અને રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો અને સત્તામંડળોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંદેશાવ્યવહારમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 અંતર્ગત ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશાનુસર, રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરોક્ત ઉલ્લેખ કરેલી માર્ગદર્શિકા દ્વારા લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોમાં કોઇપણ પ્રકારની છૂટછાટ કે મુક્તિ આપી શકશે નહીં.

RP

*****



(Release ID: 1614561) Visitor Counter : 296