ગૃહ મંત્રાલય

દેશવ્યાપી લૉકડાઉનને ૩ મે સુધી વધારવાનો નિર્ણય ભારત અને ભારતવાસીઓના જીવન અને તેમની રક્ષા માટે લેવામાં આવ્યો: શ્રી અમિત શાહ


પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતની જનતાએ કોવિડ-19 સામે લડવા માટે સંપૂર્ણ વિશ્વ સમક્ષ એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે: ગૃહ મંત્રી

કોવિડ-19 સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે સમન્વય પ્રશંસનીય: શ્રી અમિત શાહ

કોવિડ-19 સામે લડી રહેલા પ્રથમ હરોળમાં ઉભેલા સ્વાસ્થ્ય અને સુરક્ષાકર્મીઓને નમન: ગૃહ મંત્રી

દેશમાં અનાજ, દવાઓ અને અન્ય રોજબરોજની ચીજવસ્તુઓનો પુરતો ભંડાર, કોઇપણ નાગરિકને ચિંતિત થવાની જરૂર નથી: શ્રી અમિત શાહ

Posted On: 14 APR 2020 3:10PM by PIB Ahmedabad

આજે ભારત સરકાર દ્વારા કોવિડ-19 સામે લડવા માટે દેશવ્યાપી લૉકડાઉનને ૩ મે સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે તેની માટે પ્રધાનમંત્રીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે “આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કોવિડ-19ને ફેલાતો અટકાવવા અને તેને ખતમ કરવા માટે દેશભરમાં કરવામાં આવેલ લૉકડાઉનને ૩ મે સુધી વધારવાનો નિર્ણય ભારત અને ભારતવાસીઓના જીવન તથા તેમની રક્ષા માટે લેવામાં આવેલો નિર્ણય છે. તેની માટે હું પ્રધાનમંત્રીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

કોવિડ-19ને ફેલાતો અટકાવવા અને તેને નાબૂદ કરવા માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ તમામ નિર્ણયોની પ્રશંસા કરતા શ્રી શાહે જણાવ્યું કે, “આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક રોગચાળાની સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની જનતાએ તેની સામે લડવામાં એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. સરકારદ્વારા સમય રહેતા લેવામાં આવેલ તમામ નિર્ણયો અને જનતાની તેમાં ભાગીદારી એ તેની ઓળખ બની છે.”

આ મહારોગ સામે લડવા અને નાગરિકોની દરેક જરૂરિયાતને પૂરી કરવા માટે કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે સમન્વયને મહત્વપૂર્ણ દર્શાવતા ગૃહ મંત્રીએ જણાવ્યું કે “તમામ પ્રદેશ સરકારો જે રીતે કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે. હવે આપણે આ સમન્વયને હજુ વધારે ગાઢ બનાવવાનો છે જેથી કરીને તમામ નાગરિક લૉકડાઉનનું સારામાં સારી રીતે પાલન કરે અને કોઇપણ નાગરિકને જરૂરી ચીજવસ્તુઓની સમસ્યા પણ ઉભી ના થાય.”

કોવિડ-19 સામે લડી રહેલા પ્રથમ હરોળમાં ઉભેલા સ્વાસ્થ્ય અને સુરક્ષા કર્મીઓને નમન કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે, “આ લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહેલા આપણા ડૉક્ટર્સ, સ્વાસ્થ્યકર્મી, સફાઈ કર્મચારીઓ, પોલીસદળ અને તમામ સુરક્ષા કર્મચારીઓનું યોગદાન હૃદયને સ્પર્શી જાય તેવું છે. આ વિષમ પરિસ્થિતિમાં તમારું આ સાહસ અને સમજદારી દરેક ભારતવાસીને પ્રેરિત કરે છે. તમામ લોકો દિશાનિર્દેશોનું પાલન કરીને તેમને સહયોગ આપે.”

સંકટના આ સમયમાં દેશના નાગરિકોને ખાતરી આપતા અને એકબીજાની સહાયતા કરવા માટે પ્રેરિત કરતા શ્રી શાહે જણાવ્યું કે, “દેશના ગૃહ મંત્રી તરીકે હું જનતાને ફરીથી સાંત્વના આપું છું કે દેશમાં અનાજ, દવાઓ અને અન્ય રોજબરોજની ચીજવસ્તુઓનો પૂરતી માત્રામાં ભંડાર છે, એટલા માટે કોઇપણ નાગરિકને ચિંતિત થવાની જરૂર નથી. આ સાથે જ સમૃદ્ધ લોકોને વિનંતી કરું છું કે તમે આગળ આવીને તમારી આસપાસ રહેતા ગરીબોની સહાયતા કરો.”

GP/RP



(Release ID: 1614376) Visitor Counter : 148