આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
કેબિનેટે પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના આઠ જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જે ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 410 કિમીનો વધારો કરશે
આ પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 9,450 કરોડ છે, જે 2030-31 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
प्रविष्टि तिथि:
19 AUG 2026 3:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે આશરે રૂ. 9,450 કરોડના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચે મુજબના સેક્શનનો સમાવેશ થાય છે:
- ખડગપુર - ભદ્રક (રાણીતાલ) 4થી લાઇન - 173 કિમી (પશ્ચિમ બંગાળ અને ઓડિશા)
- ભદ્રક - હરિદાસપુર 4થી લાઇન - 75 કિમી (ઓડિશા)
- ગુમ્મિડીપૂંડી - ગુડુર 3જી અને 4થી લાઇન - 90 કિમી (આંધ્રપ્રદેશ અને તમિલનાડુ)
- કટક - પારાદીપ (બડાબંધા) 3જી અને 4થી લાઇન - 72 કિમી (ઓડિશા)
લાઈન ક્ષમતામાં આ વધારો ગતિશીલતા (મોબિલિટી) માં નોંધપાત્ર સુધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલવે માટે ઓપરેશનલ કાર્યક્ષમતા અને સેવા સુદ્રઢતામાં સુધારો થશે. આ મલ્ટિ-ટ્રેકિંગ પ્રસ્તાવો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ટ્રાફિક જામ/ભીડને હળવી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'ન્યૂ ઈન્ડિયા' ના વિઝનને અનુરૂપ છે, જે વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા આ પ્રદેશના લોકોને "આત્મનિર્ભર" બનાવશે અને તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો કરશે.
સંકલિત આયોજન અને ભાગીદારોની પરામર્શ પ્રક્રિયા દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.
પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ રાજ્યોના 08 (આઠ) જિલ્લાઓને આવરી લેતા આ 04 (ચાર) પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 410 કિમીનો વધારો કરશે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ આશરે 6,448 ગામડો સુધી કનેક્ટિવિટી વધારશે, જે આશરે 60 લાખની વસ્તી ધરાવે છે.
પ્રસ્તાવિત ક્ષમતા વધારો દેશભરના કેટલાંક અગ્રણી પ્રવાસન સ્થળો સુધી રેલ કનેક્ટિવિટી સુધારશે, જેમાં કુલ્ડીહા વન્યજીવ અભયારણ્ય, ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન, મા ભદ્રકાળી મંદિર, મા ધામરાઈ મંદિર, પંચલિંગેશ્વર મંદિર, તાલસરી-ઉદયપુર અને ચાંદીપુર બીચ, પુલિકટ સરોવર, નેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય, ભગવાન વીરરાઘવ પેરુમલ મંદિર, ગડા કુજંગ જગન્નાથ મંદિર, સારળા મંદિર, ધબલેશ્વર મંદિર, લલિતગિરી (બૌદ્ધ સ્થળ) વગેરેનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ કોલસો, લોખંડની અયસ્ક (આયર્ન ઓર), સિમેન્ટ, આયર્ન અને સ્ટીલ, કન્ટેનર, ઓટોમોબાઈલ, અનાજ વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગો છે. ક્ષમતા વૃદ્ધિના આ કાર્યોના પરિણામે પ્રતિ વર્ષ 76 મિલિયન ટન (MTPA) વધારાનો ફ્રેટ ટ્રાફિક પ્રાપ્ત થશે. રેલવે પરિવહનનું પર્યાવરણ-અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ માધ્યમ હોવાને કારણે, આબોહવાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડવામાં, તેલની આયાત ઓછી કરવામાં (~13 કરોડ લિટર) અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં (~65 કરોડ કિગ્રા) મદદ કરશે, જે 2.60 કરોડ વૃક્ષો વાવવા સમાન છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2301154)
आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
Tamil
,
Telugu_Vw
,
Telugu
,
Kannada
,
Malayalam