ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને તિરુવારુરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તમિલનાડુના 11મા પદવીદાન સમારોહની શોભા વધારી


કેવળ જ્ઞાન જ પૂરતું નથી; ભવિષ્ય માટે આજીવન શિક્ષણ, નાવીન્યતા અને અનુકૂલનક્ષમતા આવશ્યક છે: ઉપરાષ્ટ્રપતિ

સ્વતંત્ર વિચારસરણી, સર્જકતા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ પરીક્ષાઓ અને ગુણથી પર હોવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

ગુનેગારોને શિક્ષા કરવા અને પ્રામાણિક વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે જાહેર પરીક્ષા સુધારા જરૂરી: ઉપરાષ્ટ્રપતિ

પોતાના માટે જીવવું એ પાપ નથી, માત્ર પોતાના માટે જીવવું એ પાપ છે: ઉપરાષ્ટ્રપતિ

“જ્ઞાનના ઉપભોક્તા બનવાને બદલે સર્જક બનો; અનુકરણ કરનારા બનવાને બદલે ઇનોવેટર બનો; અનુયાયીઓ બનવાને બદલે નેતા બનો”: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ સુરક્ષા એજન્સીઓને નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો

પોસ્ટેડ ઓન: 17 AUG 2026 1:56PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે તિરુવારુરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તમિલનાડુ (CUTN)ના 11મા પદવીદાન સમારોહની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને તેમના જીવનના એક મહત્વપૂર્ણ તબક્કે પહોંચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સ્નાતકોને સંબોધિત કરતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે પદવીદાન સમારોહ માત્ર પદવીઓ એનાયત કરવાની ઉજવણી કરતો નથી પરંતુ શિક્ષણની પરિવર્તનકારી શક્તિ, જ્ઞાનની શોધ અને સમર્પણ, ખંત તથા સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે જે વિદ્યાર્થીઓને આ મહત્વપૂર્ણ ક્ષણ સુધી લાવ્યા છે.

તેમણે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓના માતાપિતા અને શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતા, તેમના સમર્પણનો સ્વીકાર કર્યો હતો અને નોંધ્યું હતું કે તેઓએ તેમના બાળકો અને વિદ્યાર્થીઓના ભવ્ય ભવિષ્ય માટે તેમના વર્તમાન સમયની ઘણી સુખ-સુવિધાઓ જતી કરી છે.

તિરુવારુરના મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે ભવ્ય ત્યાગરાજ મંદિરનું ઘર એવું આ પવિત્ર શહેર સદીઓથી આધ્યાત્મિકતા, વિદ્વત્તા અને કલાત્મક શ્રેષ્ઠતાનું કેન્દ્ર રહ્યું છે.

તેમણે નોંધ્યું હતું કે આ પવિત્ર ભૂમિએ સંતો, વિદ્વાનો અને કર્ણાટક સંગીતની સુપ્રસિદ્ધ ત્રિપુટીનું પાલનપોષણ કર્યું છે. સાચી મહાનતા ત્યારે જ ઉભરી આવે છે જ્યારે સંસ્કૃતિ, શિક્ષણ અને મૂલ્યો સાથે મળીને ખીલે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ છેલ્લા બાર વર્ષમાં ઉચ્ચ શિક્ષણના પ્રચંડ વિસ્તરણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે દેશભરના પદવીદાન સમારોહમાં, તેઓ ઘણીવાર પુરૂષો કરતાં વધુ મહિલાઓને પદવીઓ અને ચંદ્રકો મેળવતી જુએ છે, આ ટ્રેન્ડને તેમણે એક આવકારદાયક વિકાસ ગણાવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આજના શિક્ષણને માત્ર પરીક્ષાઓ કે ગુણ દ્વારા માપી શકાય નહીં.

"તેને સ્વતંત્ર રીતે વિચારવાની, અસરકારક રીતે સંચાર કરવાની, સહયોગથી કામ કરવાની અને જીવનભર શિક્ષણ ચાલુ રાખવાની ક્ષમતા દ્વારા માપવામાં આવવું જોઈએ," તેમણે કહ્યું.

તેમણે બહુવિધ ક્ષેત્રીય શિક્ષણ, સંશોધન, નાવીન્યતા અને મૂલ્ય-આધારિત શિક્ષણ પર ભાર મૂકીને આ વિઝનને અપનાવવા બદલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તમિલનાડુની પ્રશંસા કરી હતી.

તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલનો ઉલ્લેખ કરતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પરીક્ષાઓમાં અયોગ્ય સાધનોને રોકવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

ઝારખંડના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ઝારખંડ સરકાર દ્વારા આવું જ એક બિલ પસાર કરવામાં આવ્યું હતું, અને તત્કાલીન રાજ્યપાલ તરીકે તેમણે તેના પર તાત્કાલિક હસ્તાક્ષર કર્યા હતા, જેથી તે કાયદો બની શક્યો.

"સારા લોકોના હિતોનું રક્ષણ કરવા માટે સમાજના ખરાબ તત્વોને શિક્ષા થવી જ જોઈએ," તેમણે જાહેર પરીક્ષાઓની અખંડિતતા અને ન્યાયીપણાની રક્ષા માટે મજબૂત પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું.

ઉપરાષ્ટ્રપતિએ સ્નાતકોને "જ્ઞાનના ઉપભોક્તા બનવાને બદલે સર્જક બનવા, અનુકરણ કરનારા બનવાને બદલે નવપ્રવર્તક બનવા અને અનુયાયીઓ બનવાને બદલે નેતા બનવા" આહ્વાન કર્યું હતું.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, ભારત વિકસિત ભારત @2047ના વિઝન તરફ કામ કરી રહ્યું છે. તેમણે યુવાનોને તેમના કાર્યોના મૂળમાં "રાષ્ટ્ર પ્રથમ" રાખવા અને રાષ્ટ્રીય વિકાસ માટે તેમના જ્ઞાન, કૌશલ્ય અને નેતૃત્વનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને ડ્રગ પેડલર્સ અને નશાના દૂષણને ફેલાવવામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.

તેમણે કહ્યું કે નશાનો દુરુપયોગ માત્ર વ્યક્તિઓના જીવનને બગાડતો નથી પરંતુ પરિવાર અને સમાજ પર પણ વિપરીત અસર કરે છે અને યુવાનોને આ દૂષણથી બચાવવા એ સામૂહિક જવાબદારી છે.

તેમણે વિદ્યાર્થીઓને " સે નો ટૂ ડ્રગ્સ" ની તેમની અપીલ દોહરાવી અને તેમને તેમના મિત્રોને પણ નશાના દુરુપયોગથી દૂર રહેવાનો આગ્રહ રાખવા પ્રોત્સાહિત કર્યા.

પોતાના સંબોધનનું સમાપન કરતા, ઉપરાષ્ટ્રપતિએ દરેક સ્નાતકને સફળતા, પરિપૂર્ણતા, સારા સ્વાસ્થ્ય અને સમાજમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાના સંતોષ માટે શુભકામનાઓ પાઠવી હતી.

પદવીદાન સમારોહમાં કુલ 1,103 સ્નાતકોએ તેમની પદવીઓ પ્રાપ્ત કરી હતી, જેમાં 50 ગોલ્ડ મેડાલિસ્ટનો પણ સમાવેશ થાય છે જેમને શૈક્ષણિક શ્રેષ્ઠતા દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી છે. 1,103 સ્નાતકોમાંથી 616 મહિલાઓ છે. 50 માંથી 37 ગોલ્ડ મેડલ પણ મહિલાઓએ મેળવ્યા છે.

તમિલનાડુના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, લોકસભા સાંસદ (નાગાપટ્ટિનમ) થિરુ વી. સેલ્વરાજ, ચાન્સેલર પ્રો. જી. પદ્મનાભન, વાઇસ-ચાન્સેલર સીનિયર પ્રો. સુલોચના શેખર, ફેકલ્ટી સભ્યો, માતાપિતા અને વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2300396) મુલાકાતી સંખ્યા : 8