કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ધરતી માને બચાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ, 1 જૂનથી રાયસેનથી શરૂ થશે ‘ખેત બચાવો અભિયાન’


કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશભરના કૃષિ તંત્રને આહ્વાન કર્યું, બોલ્યા- કર્મકાંડ નહીં, પૂરા અંતરાત્માથી ખેતરોમાં ઉતરો

શ્રી શિવરાજ સિંહની પહેલ પર દેશભરના કેવીકે (KVK), આઈસીએઆર (ICAR) ની સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટીઓ અને તમામ રાજ્ય તંત્ર એક મંચ પર

અભિયાનના માધ્યમથી ખેડૂતો-ખેતરોના હિતમાં ચાલશે રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન- કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

સંતુલિત ખાતર ઉપયોગ, પ્રાકૃતિક ખેતી, નકલી ખાતર-બીજ પર પ્રહાર- ‘ખેત બચાવો અભિયાન’નો બહુઆયામી રોડમેપ તૈયાર

1 જૂનના રોજ રાષ્ટ્રીય શુભારંભ પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહે ઉત્સાહવર્ધન કર્યું, કહ્યું- ધરતી માતાની લાજ રાખવી એ આપણા સૌની જવાબદારી

શ્રી શિવરાજ સિંહની અભિયાનમાં સામેલ થવા માટે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર ચર્ચા, કેન્દ્રીય મંત્રીઓને પણ સહભાગિતાની અપીલ

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ પણ અભિયાન દરમિયાન વિવિધ રાજ્યોમાં ગામડાઓમાં જઈને ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે

પોસ્ટેડ ઓન: 31 MAY 2026 4:12PM by PIB Ahmedabad

1 જૂનના રોજ મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાંથી થનારા ખેત બચાવો અભિયાનના રાષ્ટ્રીય શુભારંભ પૂર્વે, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, આઈસીએઆર (ICAR) સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ કૃષિ અધિકારીઓ તથા ખેડૂત હિતમાં કાર્યરત સાથીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને અભિયાનને જનભાગીદારી, વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને રાષ્ટ્રીય જવાબદારી સાથે આગળ વધારવાનું આહ્વાન કર્યું હતું. શિવરાજ સિંહે આ મહત્વપૂર્ણ અભિયાનમાં સામેલ થવા માટે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર ચર્ચા કરી છે, તો બીજી તરફ તેઓ કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય તમામ જનપ્રતિનિધિઓને પણ સહભાગિતાની અપીલ કરી રહ્યા છે.

આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે આ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ ધરતી માને બચાવવા, ખેતીનું ભવિષ્ય સુરક્ષિત કરવા અને આવનારી પેઢીઓના અધિકારોનું રક્ષણ કરવાનું રાષ્ટ્રીય અભિયાન છે. તેમણે કહ્યું કે વધતું તાપમાન, રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો અસંતુલિત ઉપયોગ, જમીનના સ્વાસ્થ્યમાં ઘટાડો અને બદલાતું આબોહવા સંકટ ખેતી સામે ગંભીર પડકાર બનીને ઉભા છે, તેથી સમય રહેતા વ્યાપક જાગૃતિ અને વ્યવહારિક હસ્તક્ષેપ આવશ્યક છે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે 1 જૂનના રોજ રાયસેન જિલ્લાના રામસિયા ગામથી પ્રારંભ થઈ રહેલું રાષ્ટ્રવ્યાપી ખેત બચાવો અભિયાનખેડૂતોને સંતુલિત ખાતર ઉપયોગ, જમીન પરીક્ષણ, સોઈલ હેલ્થ કાર્ડ, પ્રાકૃતિક ખેતી, પાકની પસંદગી, જળ સંરક્ષણ, લીલું ખાતર, ઓછા વરસાદની સ્થિતિમાં વૈકલ્પિક કૃષિ પદ્ધતિઓ તથા નકલી ખાતર-બીજ અને પેસ્ટીસાઈડની ઓળખ જેવા વિષયો પર જાગૃત કરશે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે માત્ર સલાહ આપવી પૂરતી નહીં હોય, પરંતુ ખેતર સુધી પહોંચીને ડેમો, વૈજ્ઞાનિક પુરાવા અને વ્યવહારિક ઉદાહરણોના માધ્યમથી ખેડૂતોનો વિશ્વાસ મજબૂત કરવો પડશે. કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે દેશભરમાં 30 જૂન સુધીનો વિગતવાર રોડમેપ તૈયાર કરવામાં આવે, જેમાં એ સ્પષ્ટ હોય કે કયા અધિકારી, વૈજ્ઞાનિક, સંસ્થા કે ટીમ કઈ તારીખે કયા ગામમાં જશે. તેમણે નિર્દેશ આપ્યા કે દરેક જિલ્લાનો કાર્યક્રમ પૂર્વ આયોજિત હોય, ડેશબોર્ડ આધારિત મોનિટરિંગ હોય, સ્થાનિક સ્તરે યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે અને અભિયાનના દરેક તબક્કામાં અસરકારક સંકલન દેખાય.

શ્રી ચૌહાણે રાજ્યોના કૃષિ વિભાગોની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે આ અભિયાનને સફળ બનાવવા માટે કેન્દ્ર, રાજ્ય, આઈસીએઆર, કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જનપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂત હિતૈષી સંસ્થાઓ એકજુથ થઈને કાર્ય કરે. તેમણે સાંસદો, ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓને પણ અભિયાન સાથે જોડવા તથા પ્રાકૃતિક ખેતી અને ટકાઉ કૃષિના વ્યવહારિક નમૂનાઓ પ્રસ્તુત કરવા પર ભાર મૂક્યો હતો.

શ્રી શિવરાજ સિંહે કહ્યું કે અભિયાનને બહુહેતુક સ્વરૂપ આપતાં ખેડૂત ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, મિની બીજ કીટ, કઠોળ-તેલીબિયાં મિશન તથા કૃષિ યાંત્રીકીકરણ જેવી યોજનાઓનો લાભ પણ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે, આનાથી ખેતર બચાવવાની સાથે-સાથે ખેડૂતની આવક, જાગૃતિ અને કૃષિ વ્યવસ્થાપન ક્ષમતાને પણ મજબૂત કરી શકાશે.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે પ્રચાર-પ્રસાર પર ભાર મૂકીને તેને અભિયાનનો મહત્વનો હિસ્સો ગણાવતા કહ્યું કે આ દેશહિતનો કાર્યક્રમ છે અને આની માહિતી જેટલી ઝડપથી ગામે-ગામ પહોંચશે, અભિયાન એટલું જ પ્રભાવશાળી બનશે. તેમણે અધિકારીઓ અને વૈજ્ઞાનિકોને કહ્યું કે તેઓ કોઈ પણ સંકોચ વિના મીડિયા સાથે સંવાદ કરે, કારણ કે આ અભિયાન ધરતી, ખેતી અને અન્નદાતાના ભવિષ્ય સાથે જોડાયેલું છે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેવી રીતે ભૂતકાળમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાને વ્યાપક પ્રભાવ છોડ્યો હતો, તેવી જ રીતે ખેત બચાવો અભિયાનપણ દેશવ્યાપી જનજાગરણ અને કૃષિ સુધારાનો સફળ અધ્યાય બનશે. તેમણે તમામ સાથીઓને આહ્વાન કર્યું કે તેઓ પૂરી નિષ્ઠા, તૈયારી અને સંવેદનશીલતા સાથે ગામે-ગામ પહોંચીને ખેડૂતોને સાચી માહિતી આપે અને ધરતી માના સંરક્ષણનો આ સંકલ્પ જનઆંદોલનમાં ફેરવે. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ પોતે પણ આ અભિયાન દરમિયાન વિવિધ રાજ્યોમાં ગામડાઓમાં જઈને ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.

આ વર્ચ્યુઅલ સંવાદ દરમિયાન કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ શ્રી અતિશ ચંદ્ર, આઈસીએઆર (ICAR) ના મહાનિદેશક ડૉ. એમ.એલ. જાટે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ અવસરે કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, વૈજ્ઞાનિકો, આઈસીએઆર સંસ્થાઓના નિયામકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, રાજ્યોના કૃષિ વિભાગોના અધિકારીઓ તથા કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2267247) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी