પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ પર આંતર-મંત્રાલય બ્રીફિંગ
ભારતની વીજળી વ્યવસ્થા મજબૂત, વૈવિધ્યસભર અને ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની માંગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પર્યાપ્ત રીતે સજ્જ છે
એપ્રિલ-જૂન 2026માં થર્મલ, હાઇડ્રો, રિન્યુએબલ, BESS અને PSP પ્રોજેક્ટ્સ શરૂ કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી
સમગ્ર ઉદ્યોગમાં ઓનલાઇન LPG બુકિંગ વધીને લગભગ 98% થયું છે
અમલીકરણની કાર્યવાહી ચાલુ છે; અંદાજે 1.2 લાખ દરોડા પાડવામાં આવ્યા, 57,000 થી વધુ સિલિન્ડર જપ્ત કરાયા
4.05 લાખ PNG જોડાણો ગેસિફાઇડ કરવામાં આવ્યા અને લગભગ 4.41 લાખ વધારાના ગ્રાહકોએ નવા જોડાણો માટે નોંધણી કરાવી
બંદરો પર કન્ટેનરની કોઈ ભીડ કે જમાવડો નથી
ભારત અને મોરેશિયસ વચ્ચે તેલ અને ગેસના પુરવઠા માટેના કરારને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે
લેબનોનમાં નાગરિક જાનહાનિ અંગે ભારત ઊંડી ચિંતા વ્યક્ત કરે છે; સુરક્ષા અને સલામતી માટે દૂતાવાસ ભારતીય સમુદાયના નજીકના સંપર્કમાં છે
પોસ્ટેડ ઓન:
10 APR 2026 6:25PM by PIB Ahmedabad
પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અંગે મીડિયાને માહિતગાર રાખવાના તેના સતત પ્રયાસોના ભાગરૂપે, ભારત સરકારે આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે એક બ્રીફિંગનું આયોજન કર્યું હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ઈંધણની ઉપલબ્ધતા, દરિયાઈ કામગીરી, પ્રદેશમાં ભારતીય નાગરિકોને સહાય અને મુખ્ય ક્ષેત્રોમાં સ્થિરતા જાળવવા માટે લેવામાં આવતા પગલાં વિશે અપડેટ્સ આપ્યા હતા. ઊર્જા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને લગતા અપડેટ્સ પણ શેર કર્યા હતા.
પાવર સેક્ટર અપડેટ્સ
ઊર્જા મંત્રાલયે હાઇલાઇટ કર્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, ભારતની વીજળી પ્રણાલી મજબૂત, વૈવિધ્યસભર અને ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની માંગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પર્યાપ્ત રીતે સજ્જ છે.
· ભારતની વર્તમાન સ્થાપિત ક્ષમતા 531 GW થી વધુ છે જે કોલસો, રિન્યુએબલ, હાઇડ્રો અને પરમાણુ સ્ત્રોતોના નોંધપાત્ર યોગદાન સાથે એક સુવ્યવસ્થિત પોર્ટફોલિયો દર્શાવે છે, જેમાં બિન-અશ્મિભૂત સ્ત્રોતો 50% થી વધુ છે.
· આ ક્ષમતાને આશરે 5 લાખ સર્કિટ કિલોમીટરના મજબૂત ટ્રાન્સમિશન બેકબોન અને 120 GW થી વધુ આંતર-પ્રાદેશિક ટ્રાન્સફર ક્ષમતા દ્વારા સમર્થન મળે છે, જે પ્રદેશોમાં વિશ્વસનીય પાવર પ્રવાહને સુનિશ્ચિત કરે છે.
ટૂંકા ગાળાની સજ્જતા: સપ્લાયની પર્યાપ્તતા સુનિશ્ચિત કરવી
· નજીકના ગાળાના પુરવઠાના પડકારોને પહોંચી વળવા માટે થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પર્યાપ્ત સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે.
· વર્તમાન ક્ષમતાને મહત્તમ કરવા માટે આયાતી કોલસા આધારિત (ICB) પ્લાન્ટ્સને સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી રહ્યા છે.
· ઉનાળા દરમિયાન ~10,000 MW વધારાની ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે થર્મલ પ્લાન્ટની જાળવણી મુલતવી રાખવામાં આવી રહી છે.
· એપ્રિલ-જૂન 2026 દરમિયાન બાંધકામ હેઠળના થર્મલ, હાઇડ્રો, રિન્યુએબલ, BESS અને PSP પ્રોજેક્ટ્સ શરૂ કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી રહી છે.
લાંબા ગાળાની વ્યૂહરચના: ઊર્જા સ્વતંત્રતા તરફ સંક્રમણ
· આયાત નિર્ભરતા ઘટાડવા અને ઊર્જા સુરક્ષા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
· છેલ્લા દાયકામાં, કોઈ નવા ગેસ-આધારિત અથવા આયાતી કોલસા-આધારિત પાવર પ્લાન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું નથી, જ્યારે વર્તમાન અસ્કયામતોને સ્થાનિક ઇંધણ સ્ત્રોતો સાથે સંરેખિત કરવામાં આવી રહી છે.
· રાષ્ટ્રીય વીજળી યોજના મુજબ, 2031-32 સુધીમાં કુલ સ્થાપિત ક્ષમતા ~874 GW સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં બિન-અશ્મિભૂત સ્ત્રોતો તરફ નોંધપાત્ર બદલાવ આવશે:
o બિન-અશ્મિભૂત હિસ્સો 67% થી વધુ થવાનો અંદાજ છે
o એનર્જી સ્ટોરેજ વિસ્તરણ: 300 GWh સુધી
o ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ: 167 GW આંતર-પ્રાદેશિક ક્ષમતા સાથે ~6.5 લાખ ckm
સ્થિતિસ્થાપકતા વધારવા માટે મુખ્ય નીતિગત હસ્તક્ષેપ: સરકારે આ ક્ષેત્રને મજબૂત કરવા માટે નીતિગત પહેલોની શ્રેણી હાથ ધરી છે:
· રાજ્યો રોલિંગ 10-વર્ષીય રિસોર્સ એડિક્વસી પ્લાન્સ અમલમાં મૂકી રહ્યા છે.
· રાષ્ટ્રીય/પ્રાદેશિક સ્તરે મેચિંગ ટ્રાન્સમિશન નેટવર્કનો વિકાસ.
· ISTS ચાર્જ માફી, ગ્રીન એનર્જી કોરિડોરનો વિકાસ અને PM-KUSUM, પીએમ સૂર્ય ઘર અને રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન જેવી ફ્લેગશિપ યોજનાઓ.
ઊર્જા પુરવઠો અને ઈંધણની ઉપલબ્ધતા
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે વર્તમાન ઈંધણ પુરવઠાની પરિસ્થિતિ વિશે અપડેટ શેર કર્યું છે, જેમાં હોર્મુઝની સામુદ્રધુનીને અસર કરતી ચાલી રહેલી ઘટનાઓ વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનો અને LPG ની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાંની રૂપરેખા આપી છે. એવું નોંધવામાં આવ્યું હતું કે:
જાહેર સલાહ અને નાગરિક જાગૃતિ
· નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને LPG ની ગભરાટમાં ખરીદી (panic purchase) ટાળવા અને માહિતી માટે માત્ર સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવાની સલાહ આપવામાં આવે છે.
· LPG ગ્રાહકોને ડિજિટલ બુકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અને વિતરકોની મુલાકાત લેવાનું ટાળવા વિનંતી કરવામાં આવે છે.
· નાગરિકોને PNG અને ઇલેક્ટ્રિક અથવા ઇન્ડક્શન કૂકટોપ્સ જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
· તમામ નાગરિકોને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન ઊર્જા બચાવવા માટે વિનંતી કરવામાં આવે છે.
સરકારી સજ્જતા અને સપ્લાય મેનેજમેન્ટ પગલાં
· ચાલુ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ હોવા છતાં, સરકારે ખાસ કરીને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે સ્થાનિક LPG અને PNG પુરવઠાને પ્રાથમિકતા આપી છે.
· સરકારે સપ્લાય અને ડિમાન્ડ બંને બાજુએ અનેક તર્કસંગત પગલાં અમલમાં મૂક્યા છે, જેમાં રિફાઇનરી ઉત્પાદન વધારવું, શહેરી વિસ્તારોમાં બુકિંગ અંતરાલ 21 થી વધારીને 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ સુધી કરવું અને પુરવઠા માટે ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાનો સમાવેશ થાય છે.
· LPG ની માંગ પરનું દબાણ ઘટાડવા માટે કેરોસીન અને કોલસો જેવા વૈકલ્પિક ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
· કોલસા મંત્રાલયે કોલ ઇન્ડિયા અને સિંગરેની કોલિયરીઝને નાના અને મધ્યમ ગ્રાહકોને વિતરણ માટે રાજ્યોને વધારાનો કોલસો સપ્લાય કરવા નિર્દેશ આપ્યો છે.
· રાજ્યોને ઘરેલું અને વ્યાપારી ગ્રાહકો માટે નવા PNG જોડાણોની સુવિધા આપવા સલાહ આપવામાં આવી છે.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલિત પ્રયાસો અને સંસ્થાકીય તંત્ર
· રાજ્ય સરકારોને આવશ્યક ચીજવસ્તુઓ ધારો, 1955 અને LPG નિયંત્રણ હુકમ, 2000 હેઠળ પુરવઠા પર દેખરેખ રાખવા અને પેટ્રોલિયમ ઉત્પાદનોની સંગ્રહખોરી અને કાળાબજાર સામે કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.
· ભારત સરકારે તારીખ 27.03.2026 અને 02.04.2026 ના પત્રો દ્વારા નાગરિકોને ઈંધણની પર્યાપ્ત ઉપલબ્ધતા અંગે ખાતરી આપવા માટે સક્રિય જાહેર સંચારની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. આ સંદર્ભમાં, 02.04.2026 (સચિવ, MoPNG ની અધ્યક્ષતામાં) અને 06.04.2026 (સચિવ, MoPNG ની અધ્યક્ષતામાં અને I&B તથા ગ્રાહક બાબતોના સચિવોની સાથે) બેઠકો બોલાવવામાં આવી હતી, જેમાં નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો:
o દૈનિક પ્રેસ બ્રીફિંગ જારી કરવી અને નિયમિત જાહેર એડવાઇઝરી જારી કરવી.
o સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ / ખોટી માહિતીને સક્રિયપણે મોનિટર કરવી અને તેનો પ્રતિકાર કરવો.
o જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દૈનિક અમલીકરણ ઝુંબેશને તેજ બનાવવી અને OMCs સાથે સંકલનમાં દરોડા અને તપાસ ચાલુ રાખવી.
o તેમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વ્યાપારી LPG ફાળવણીના આદેશો જારી કરવા.
o રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલા વધારાના SKO (કેરોસીન) માટે ફાળવણીના આદેશો જારી કરવા.
o PNG અપનાવવા અને વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવું.
o LPG પુરવઠાને પ્રાથમિકતા આપવી, ખાસ કરીને ઘરેલું જરૂરિયાતો માટે, અને સપ્લાય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે 5 કિલોના FTL સિલિન્ડરોના લક્ષિત વિતરણને અપનાવવું.
· તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે કંટ્રોલ રૂમ અને જિલ્લા મોનિટરિંગ કમિટીઓની સ્થાપના કરી છે.
· હાલમાં, 24 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો નિયમિત પ્રેસ બ્રીફિંગ જારી કરી રહ્યા છે.
અમલીકરણ અને મોનિટરિંગ કાર્યવાહી
· LPG ની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં અમલીકરણની કાર્યવાહી ચાલુ છે. 09.04.2026 ના રોજ, 3800 થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા અને દેશભરમાં લગભગ 450 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા.
· આજ સુધીમાં આશરે 1.2 લાખ દરોડા પાડવામાં આવ્યા છે, 57,000 થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે, 950 થી વધુ FIR નોંધવામાં આવી છે અને 229 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
· PSU ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઓચિંતી તપાસ સઘન બનાવી છે અને 2100 થી વધુ કારણદર્શક નોટિસો જારી કરી છે, 204 LPG ડિસ્ટ્રીબ્યુટરશિપ પર દંડ લાદ્યો છે અને 53 ડિસ્ટ્રીબ્યુટરશિપ સસ્પેન્ડ કરી છે.
LPG પુરવઠો
સ્થાનિક LPG પુરવઠાની સ્થિતિ:
· પ્રવર્તતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે LPG પુરવઠાને અસર થવાનું ચાલુ છે.
· LPG વિતરણ કેન્દ્રો પર કોઈ ડ્રાય-આઉટ (સ્ટોક ખતમ થવો) નોંધાયું નથી.
· સમગ્ર ઉદ્યોગમાં ઓનલાઇન LPG બુકિંગ વધીને લગભગ 98% થયું છે.
· ડાયવર્ઝન રોકવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) આધારિત ડિલિવરી વધીને લગભગ 92% થઈ છે.
· સ્થાનિક LPG સિલિન્ડરની ડિલિવરી સામાન્ય રહી છે.
વ્યાપારી LPG પુરવઠો અને ફાળવણીના પગલાં:
· કુલ વ્યાપારી LPG ફાળવણી કટોકટી પૂર્વેના સ્તરના આશરે 70% સુધી વધારવામાં આવી છે, જેમાં 10% સુધારા-લિંક્ડ ફાળવણીનો સમાવેશ થાય છે.
· ભારત સરકારે તારીખ 08.04.2026 ના પત્ર દ્વારા જણાવ્યું છે કે ફાર્મા, ફૂડ, પોલિમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, યુરેનિયમ, હેવી વોટર, સ્ટીલ, સીડ, મેટલ, સિરામિક, ફાઉન્ડ્રી, ફોર્જિંગ, ગ્લાસ, એરોસોલ વગેરે ક્ષેત્રોના ઔદ્યોગિક એકમો પણ યુનિટના માર્ચ 2026 પૂર્વેના બલ્ક નોન-ડોમેસ્ટિક LPG વપરાશ સ્તરના 70% મેળવશે, જે પ્રતિ દિવસ 0.2 TMT ની એકંદર ક્ષેત્રીય મર્યાદાને આધીન રહેશે.
· તારીખ 21.03.2026 ના પત્રના પેરા (b) માં નિર્ધારિત OMCs સાથે નોંધણી અને પેરા (c) માં CGD સંસ્થાઓને PNG માટેની અરજી સંબંધિત શરતો પણ આ ફાળવણી હેઠળ બલ્ક LPG મેળવવા માટે સંબંધિત ઉદ્યોગોએ પૂર્ણ કરવાની રહેશે. જો કે, જો ઉપર જણાવેલ ઉદ્યોગો ઉત્પાદન પ્રક્રિયામાં અભિન્ન ઇનપુટ તરીકે અથવા વિશિષ્ટ હેતુઓ માટે LPG નો ઉપયોગ કરે છે જેને કુદરતી ગેસ દ્વારા બદલી શકાતો નથી, તો PNG માટેની અરજી સંબંધિત જરૂરિયાત માફ કરવામાં આવશે.
· આ પગલાંથી સપ્લાય-ચેઇન વિક્ષેપો અટકવાની, આવશ્યક ચીજવસ્તુઓની અછત ટાળવાની અને ચાલુ વૈશ્વિક કટોકટી છતાં ઔદ્યોગિક કામગીરીનું સાતત્ય સુનિશ્ચિત કરવાની અપેક્ષા છે.
· ભારત સરકારે તારીખ 06.04.2026 ના પત્ર દ્વારા જણાવ્યું છે કે દરેક રાજ્યમાં સ્થળાંતરિત મજૂરોને વિતરણ માટે ઉપલબ્ધ 5 કિલોના FTL સિલિન્ડરોની દૈનિક માત્રા 2-3 માર્ચ 2026 દરમિયાન સ્થળાંતરિત મજૂરોને સરેરાશ દૈનિક પુરવઠા (સિલિન્ડરોની સંખ્યા) ના આધારે બમણી કરવામાં આવી રહી છે, જે 21.03.2026 ના પત્રમાં ઉલ્લેખિત 20% ની મર્યાદાથી વધુ છે. આ 5 કિલોના FTL સિલિન્ડરો રાજ્ય સરકારના નિકાલ પર રહેશે જે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની સહાયથી માત્ર તેમના રાજ્યમાં સ્થળાંતરિત મજૂરોને સપ્લાય કરવા માટે રહેશે.
· PSU OMCs એ છેલ્લા 7 દિવસ દરમિયાન 5 કિલોના FTL સિલિન્ડરો માટે આશરે 2400 જાગૃતિ શિબિરોનું આયોજન કર્યું છે, જેમાં 25,000 થી વધુ - 5 કિલોના FTL સિલિન્ડરો પણ વેચાયા હતા.
· 09.04.2026 ના રોજ, ફેબ્રુઆરી-26 ના મહિનામાં 77,000 ના દૈનિક સરેરાશ સામે દેશભરમાં 1.1 લાખથી વધુ 5 કિલોના FTL સિલિન્ડરો વેચાયા હતા.
· 23 માર્ચ 2026 થી, સ્થળાંતરિત મજૂરો સહિત વિદ્યાર્થીઓ અને નબળા સમુદાયોને લગભગ 11 લાખ 5-કિલોના ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરો વેચવામાં આવ્યા છે.
· IOCL, HPCL અને BPCL ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સની ત્રણ સભ્યોની સમિતિ વ્યાપારી LPG વિતરણનું આયોજન કરવા માટે રાજ્ય સત્તાવાળાઓ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે સંકલન કરી રહી છે.
· 14 માર્ચ 2026 થી અત્યાર સુધીમાં આશરે 1,06,093 MT વ્યાપારી LPG (55.8 લાખથી વધુ 19-કિલોના સિલિન્ડર સમાન) વેચાયા છે.
· ગઈકાલે 6297 MT વ્યાપારી LPG (3.3 લાખથી વધુ - 19 કિલોના સિલિન્ડર સમાન) વેચાયા હતા.
કુદરતી ગેસ પુરવઠો અને PNG વિસ્તરણ પહેલ
· પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને સુરક્ષિત પુરવઠો મળવાનું ચાલુ છે, જેમાં ઘરેલું PNG અને CNG પરિવહનને 100% પુરવઠાનો સમાવેશ થાય છે.
· ઉપલબ્ધ ઇન્વેન્ટરી અને સુનિશ્ચિત LNG કાર્ગોના આગમનના આધારે, ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સને એકંદર ગેસ ફાળવણીમાં વધુ 5% નો વધારો કરવામાં આવી રહ્યો છે જેથી તેઓ તેમના છ મહિનાના સરેરાશ વપરાશના આશરે 95% સુધી પહોંચી શકે, જે 09.04.2026 થી અમલી છે.
· સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્ક સહિત અન્ય ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રોમાં ગેસ પુરવઠો પણ વધુ 10% વધારવામાં આવ્યો છે, જે 06.04.2026 થી અમલી છે.
· CGD સંસ્થાઓને હોટલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીન જેવા વ્યાપારી સંસ્થાઓ માટે PNG જોડાણોને પ્રાથમિકતા આપવા માટે સલાહ આપવામાં આવી છે, જેથી વ્યાપારી LPG ની ઉપલબ્ધતા અંગેની ચિંતાઓ દૂર કરી શકાય.
· IGL, MGL, GAIL Gas અને BPCL સહિતની CGD કંપનીઓ ઘરેલું અને વ્યાપારી PNG જોડાણો માટે પ્રોત્સાહનો આપી રહી છે.
· રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોને CGD નેટવર્કના વિસ્તરણ માટે જરૂરી મંજૂરીઓ ઝડપી બનાવવા વિનંતી કરવામાં આવી છે.
· ભારત સરકારે તારીખ 18.03.2026 ના પત્ર દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વ્યાપારી LPG ની વધારાની 10% ફાળવણીની ઓફર કરી છે, જો તેઓ LPG થી PNG માં લાંબા ગાળાના સંક્રમણમાં મદદ કરી શકે.
· 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો PNG વિસ્તરણ સુધારાઓ સાથે જોડાયેલ વધારાની વ્યાપારી LPG ફાળવણી મેળવી રહ્યા છે.
· PNGRB એ CGD સંસ્થાઓને શાળાઓ, હોસ્ટેલ, સામુદાયિક રસોડા અને આંગણવાડી રસોડા જેવી સંસ્થાઓને 5 દિવસની અંદર PNG દ્વારા જોડવા નિર્દેશ આપ્યો છે જ્યાં પાઇપલાઇન્સ ઉપલબ્ધ છે.
· માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પ્રાથમિકતાના ધોરણે અરજીઓ પર પ્રક્રિયા કરવા માટે 3 મહિના માટે CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક્સિલરેટેડ એપ્રુવલ ફ્રેમવર્ક અપનાવ્યું છે.
· ભારત સરકારે તારીખ 24.03.2026 ના ગેઝેટ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ ધારો, 1955 હેઠળ કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ (પાઇપલાઇન્સ અને અન્ય સુવિધાઓ નાખવા, નિર્માણ, સંચાલન અને વિસ્તરણ દ્વારા) ઓર્ડર, 2026 સૂચિત કર્યો છે. આ ઓર્ડર દેશભરમાં પાઇપલાઇન નાખવા અને વિસ્તરણ કરવા માટે સુવ્યવસ્થિત અને સમયબદ્ધ માળખું પૂરું પાડે છે, મંજૂરીઓમાં વિલંબ અને જમીન સુધી પહોંચવાની સમસ્યાઓ દૂર કરે છે, અને રહેણાંક વિસ્તારો સહિત કુદરતી ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને સક્ષમ બનાવે છે. તે PNG નેટવર્ક વૃદ્ધિને વેગ આપવા, લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી વધારવા અને સ્વચ્છ ઇંધણ તરફના સંક્રમણને ટેકો આપવાની અપેક્ષા રાખે છે, જેનાથી ઊર્જા સુરક્ષા મજબૂત થશે અને ભારતની ગેસ-આધારિત અર્થવ્યવસ્થા આગળ વધશે.
· PNGRB એ PNG વિસ્તરણમાં વેગ જાળવી રાખવા માટે નેશનલ PNG ડ્રાઇવ 2.0 ને 30 જૂન 2026 સુધી લંબાવી છે.
· સ્વચ્છ, વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર ઊર્જા ભવિષ્યને પ્રોત્સાહિત કરવા માટે, ભારત સરકારે મોડેલ ડ્રાફ્ટ સ્ટેટ CBG પોલિસી તૈયાર કરી છે. મોડેલ પોલિસીનો હેતુ રાજ્યોને CBG વિકાસ માટે તેમની પોતાની રોકાણકાર-મૈત્રીપૂર્ણ અને અમલીકરણ-લક્ષી ઇકોસિસ્ટમ બનાવવા માટે સક્ષમ કરવા માટે વ્યાપક લવચીક માર્ગદર્શક માળખા તરીકે સેવા આપવાનો છે. જે રાજ્યો આ પસંદ કરશે, તેમને વ્યાપારી LPG ની વધારાની ફાળવણીના આગામી હપ્તા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
· માર્ચ 2026 થી અત્યાર સુધીમાં લગભગ 4.05 લાખ PNG જોડાણો ગેસિફાઇડ કરવામાં આવ્યા છે અને લગભગ 4.41 લાખ વધારાના ગ્રાહકોએ નવા જોડાણો માટે નોંધણી કરાવી છે.
ક્રૂડની સ્થિતિ અને રિફાઇનરી કામગીરી
· તમામ રિફાઇનરીઓ પર્યાપ્ત ક્રૂડ ઇન્વેન્ટરી સાથે ઉચ્ચ ક્ષમતા પર કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક જાળવવામાં આવી રહ્યો છે.
· સ્થાનિક વપરાશને ટેકો આપવા માટે રિફાઇનરીઓમાંથી સ્થાનિક LPG ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે.
· ભારત સરકારે તારીખ 01.04.2026 ના ઓર્ડર દ્વારા ભારતમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સહિતની રિફાઇનિંગ કંપનીઓને ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ વગેરે જેવા જટિલ ક્ષેત્રો માટે C3 અને C4 સ્ટ્રીમ્સની ચોક્કસ લઘુત્તમ માત્રા ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપી છે, જે સેન્ટર ફોર હાઇ ટેકનોલોજી (CHT) દ્વારા નિર્ધારિત ચોક્કસ માત્રા અને રિફાઇનરી સ્ત્રોત પર આધારિત છે.
· ઉપરોક્ત વિભાગો સાથે સંબંધિત કંપનીઓ માટે 800 MT/દિવસની જોગવાઈ કરવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગને BPCL કોચી અને મુંબઈ રિફાઇનરીઓમાંથી 400 MT/દિવસ ફાળવવામાં આવ્યા છે અને વેચાણ પહેલેથી જ શરૂ થઈ ગયું છે.
રિટેલ ફ્યુઅલ ઉપલબ્ધતા અને કિંમતના પગલાં
· દેશભરમાં રિટેલ આઉટલેટ્સ સામાન્ય રીતે કાર્યરત છે.
· મિડલ ઇસ્ટ કટોકટીના કારણે ક્રૂડના ભાવમાં અસાધારણ વધારો થયો છે; જો કે, ગ્રાહકોને રક્ષણ આપવા માટે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹10 નો ઘટાડો કર્યો છે.
· પૂરતી સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ડીઝલ પર ₹21.5 પ્રતિ લિટર અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર ₹29.5 પ્રતિ લિટરની નિકાસ લેવી લાદવામાં આવી છે.
· પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ યથાવત છે અને રિટેલ આઉટલેટ્સ પર કોઈ વધારો થયો નથી.
· સરકારે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા સલાહ આપી છે અને રાજ્ય સરકારોને પ્રેસ બ્રીફિંગ દ્વારા સચોટ માહિતી પ્રસારિત કરવા વિનંતી કરી છે.
કેરોસીન ઉપલબ્ધતા અને વિતરણ પગલાં
· રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિયમિત ફાળવણી ઉપરાંત 48,000 KL કેરોસીનની વધારાની ફાળવણી પૂરી પાડવામાં આવી છે.
· ભારત સરકારે તારીખ 29.03.2026 ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા PDS SKO મુક્ત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં માત્ર રસોઈ અને પ્રકાશના હેતુ માટે PDS સુપિરિયર કેરોસીન ઓઈલ (SKO) ના વિતરણની સુવિધા આપી છે –
o જિલ્લા દીઠ વધુમાં વધુ બે PSU OMC સર્વિસ સ્ટેશનો (પ્રાધાન્યમાં કંપની માલિકીની કંપની સંચાલિત) ને 5,000 લિટર સુધી PDS SKO સંગ્રહ કરવાની મંજૂરી છે.
o આ PSU OMC સર્વિસ સ્ટેશનો દરેક જિલ્લામાં રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટ દ્વારા નિયુક્ત કરવામાં આવશે.
· 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ SKO ફાળવણીના આદેશો જારી કર્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને લદ્દાખે કોઈ જરૂરિયાત ન હોવાનું જણાવ્યું છે.
દરિયાઈ સુરક્ષા અને શિપિંગ કામગીરી
પર્શિયન ગલ્ફમાં વર્તમાન દરિયાઈ પરિસ્થિતિ અને ભારતીય જહાજો અને ક્રૂને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવતા પગલાં વિશે પણ બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. એવું જણાવવામાં આવ્યું હતું કે:
· બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે વાણિજ્ય વિભાગ, CBIC અને DGFT સાથે મળીને ગઈકાલે FIEO, CSLA, EEPC, SEPC, APEDA અને અન્ય સહિતના હિતધારકો દ્વારા સામનો કરવામાં આવી રહેલા વર્તમાન પ્રશ્નોનું મૂલ્યાંકન કરવા માટે બેઠક યોજી હતી.
· નિકાસકારો અને તેમના સંગઠનોને ચોક્કસ સમસ્યાઓ તેમજ એવા બંદરોની વિગતો શેર કરવા વિનંતી કરવામાં આવી હતી જ્યાં આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
· શિપિંગ લાઇનોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે બંદરો દ્વારા નિકાસકારોને આપવામાં આવેલી રાહત પગલાં રિઇમ્બર્સમેન્ટના બદલે સીધા જ આપવામાં આવે.
· પારદર્શિતા અને વ્યાપક દૃશ્યતા સુનિશ્ચિત કરવા માટે બંદરોને કાર્ગો અને જહાજોને આપવામાં આવતી તમામ છૂટછાટો અને માફીની વિગતો તેમની સંબંધિત વેબસાઇટ્સ પર પ્રકાશિત કરવા સૂચના આપવામાં આવી છે.
· તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંકલન સાથે તમામ બંદરો પર પૂરતી બંકર સુવિધાઓ ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી.
· બંદરો પર કન્ટેનરની કોઈ ભીડ કે જમાવડો નથી અને બંદરની કામગીરી સરળતાથી ચાલી રહી છે.
· 8 માર્ચથી 10 એપ્રિલ, 2026 દરમિયાન કંડલા અને JNPT ખાતે શિપિંગ લાઇન કામગીરીને કારણે કન્ટેનરના સંચયમાં થયેલા ઘટાડાની વિગતો નીચે મુજબ છે:-
o કંડલા - 1575 થી ઘટીને 44 (97% ઘટાડો)
o JNPT - 4500 થી ઘટીને 394 (92% ઘટાડો)
o રીફર કન્ટેનર - 1200 થી ઘટીને 8 (99% ઘટાડો)
· માનનીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીએ તમામ બંદરો, DG શિપિંગ અને અન્ય હિતધારકો સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને તેમના ધ્યાન પર લાવવામાં આવેલા પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.
· પ્રદેશમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજો સાથે સંકળાયેલી કોઈ ઘટના નોંધાઈ નથી.
· DG શિપિંગ કંટ્રોલ રૂમે છેલ્લા 24 કલાકમાં 198 કોલ્સ અને 319 ઇમેઇલ્સ સંભાળ્યા છે.
· DG શિપિંગે અત્યાર સુધીમાં 1,927 થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પરત લાવવાની સુવિધા આપી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં અખાતી પ્રદેશના વિવિધ સ્થળોએથી 124 નાવિકોનો સમાવેશ થાય છે.
· મંત્રાલય ભારતીય નાવિકોના કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિતધારકો સાથે ગાઢ સંકલન કરવાનું ચાલુ રાખે છે.
પ્રદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા
પ્રદેશમાં તાજેતરના વિકાસ, જેમાં ભારતીય મિશનો દ્વારા સહાયનો સમાવેશ થાય છે, બ્રીફિંગ દરમિયાન શેર કરવામાં આવ્યો હતો. એવી જાણકારી આપવામાં આવી હતી કે:
· સરકાર અખાત અને પશ્ચિમ એશિયા પ્રદેશમાં વિકાસ પર નજીકથી નજર રાખવાનું ચાલુ રાખે છે.
· માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્દેશો પર, કેન્દ્રીય મંત્રીઓ ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે અખાતી દેશોની મુલાકાતો લઈ રહ્યા છે.
· વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર હાલમાં મોરેશિયસની સત્તાવાર મુલાકાતે છે. તેઓ 11-12 એપ્રિલ 2026 ના રોજ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ ભારત અને UAE વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે UAE નેતૃત્વ સાથે ચર્ચા કરશે.
· ભારત તેની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે તેની સાથે જ પડોશી દેશોની વિનંતી મુજબ તેમની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તેમને ટેકો પણ આપી રહ્યું છે.
· ભારતે બે અઠવાડિયા પહેલા શ્રીલંકાને 38 MT પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કર્યા હતા.
· તેલ અને ગેસના પુરવઠા માટેનો સરકાર-થી-સરકાર કરાર, જે મોરેશિયસની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
· બંને દેશોના નેતાઓએ ચાલુ પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થન બદલ પ્રશંસા વ્યક્ત કરી છે.
· માનનીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી 9-10 એપ્રિલ 2026 દરમિયાન કતારની મુલાકાત લઈ રહ્યા છે, જે ભારત માટે ઊર્જાનો મહત્વનો સપ્લાયર છે.
· તેમણે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વતી કતારના અમીર હિઝ હાઈનેસ શેખ તમીમ બિન હમદ અલ થાની તેમજ કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીને શુભેચ્છાઓ અને એકતા તથા સમર્થનનો સંદેશ પાઠવ્યો હતો.
· કતારના ઊર્જા મંત્રીએ તેમના દેશની વિશ્વાસપાત્ર ઊર્જા સપ્લાયર બની રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ભારત સાથે ઊર્જા સંબંધો અને સહકારને ચાલુ રાખવા અને મજબૂત કરવા આશા વ્યક્ત કરી.
· મંત્રાલયમાં સમર્પિત સ્પેશિયલ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને ભારતીય મિશનો સાથે મળીને કામ કરી રહ્યો છે, જ્યારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યો છે.
· પ્રદેશમાં ભારતીય સમુદાયની સલામતી, સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
· ભારતીય મિશનો અને પોસ્ટ્સ 24x7 હેલ્પલાઇન ચલાવવાનું ચાલુ રાખે છે અને ભારતીય નાગરિકોને સક્રિયપણે મદદ કરી રહ્યા છે.
· નવી એડવાઇઝરી નિયમિતપણે જારી કરવામાં આવી રહી છે, જેમાં સ્થાનિક સરકારની માર્ગદર્શિકા, ફ્લાઇટ અને મુસાફરીની પરિસ્થિતિ અને કોન્સ્યુલર સેવાઓ વિશેની માહિતીનો સમાવેશ થાય છે.
· ભારતીય મિશનો પ્રદેશમાં ભારતીય સમુદાય સંગઠનો, વ્યાવસાયિક જૂથો, ભારતીય કંપનીઓ અને અન્ય હિતધારકો સાથે સક્રિયપણે જોડાયેલા છે.
· જે દેશોમાં એરસ્પેસ ખુલ્લી છે ત્યાંથી ફ્લાઇટ્સ કાર્યરત છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં અંદાજે 8,43,000 મુસાફરોએ આ પ્રદેશમાંથી ભારતની મુસાફરી કરી છે.
· UAE માં, એરલાઇન્સ ઓપરેશનલ અને સુરક્ષાના કારણોસર UAE અને ભારત વચ્ચે મર્યાદિત નોન-શેડ્યુલ્ડ કોમર્શિયલ ફ્લાઇટ્સ ચલાવવાનું ચાલુ છે, જેમાં આજે આશરે 95 ફ્લાઇટ્સની અપેક્ષા છે.
· સાઉદી અરેબિયા અને ઓમાનના વિવિધ એરપોર્ટ પરથી ભારતના સ્થળો માટે ફ્લાઇટ્સ કાર્યરત છે.
· કતાર એરસ્પેસ આંશિક રીતે ખુલ્લી હોવાથી, કતાર એરવેઝ આજે ભારત માટે લગભગ 8-10 ફ્લાઇટ્સ ઓપરેટ કરે તેવી અપેક્ષા છે.
· કુવૈત એરસ્પેસ બંધ છે. જઝીરા એરવેઝ અને કુવૈત એરવેઝ સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટથી ભારત માટે નોન-શેડ્યુલ્ડ કોમર્શિયલ ફ્લાઇટ્સ ચલાવી રહી છે. એરસ્પેસ બંધ હોવાને કારણે, અમે સાઉદી અરેબિયા દ્વારા કુવૈતથી ભારતીય નાગરિકોની ભારત તરફની મુસાફરીમાં સુવિધા આપી રહ્યા છીએ.
· બહેરીન એરસ્પેસ ખુલ્લી છે. ગલ્ફ એર બહેરીનથી ભારત માટે મર્યાદિત ફ્લાઇટ કામગીરીનું આયોજન કરી રહી છે અને હાલમાં સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટથી ભારત માટે નોન-શેડ્યુલ્ડ ફ્લાઇટ્સ ચલાવી રહી છે. બહેરીનથી ભારતીય નાગરિકોની મુસાફરી સાઉદી અરેબિયા દ્વારા સુવિધાયુક્ત બનાવવામાં આવી રહી છે.
· તેહરાનમાં ભારતીય દૂતાવાસે અત્યાર સુધીમાં ઈરાનથી આર્મેનિયા અને અઝરબૈજાન થઈને ભારતની આગળની મુસાફરી માટે 2,180 ભારતીય નાગરિકોની અવરજવરની સુવિધા આપી છે, જેમાં 981 ભારતીય વિદ્યાર્થીઓ અને 657 ભારતીય માછીમારોનો સમાવેશ થાય છે.
· ઈઝરાયેલ એરસ્પેસ મર્યાદિત ફ્લાઇટ કામગીરી સાથે આંશિક રીતે ખુલ્લી છે. જોર્ડન અને ઇજિપ્ત દ્વારા ભારતીય નાગરિકોની ભારત તરફની મુસાફરીની સુવિધા આપવામાં આવી રહી છે.
· ઈરાક એરસ્પેસ મર્યાદિત ફ્લાઇટ કામગીરી સાથે ખુલ્લી છે. જોર્ડન અને સાઉદી અરેબિયા દ્વારા ભારતીય નાગરિકોની ભારત તરફની મુસાફરીની સુવિધા આપવામાં આવી રહી છે.
લેબનોન પર નિવેદન: અમે લેબનોનમાં મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિના અહેવાલોથી ઊંડી ચિંતામાં છીએ. UNIFIL માં સૈન્ય યોગદાન આપનાર દેશ તરીકે જે લેબનોનની શાંતિ અને સુરક્ષામાં રોકાણ કરે છે, તે રીતે ઘટનાઓની દિશા ખૂબ જ ચિંતાજનક છે. ભારતે હંમેશા નાગરિકોના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા તરીકે ભાર મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન અને રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો આવશ્યક છે. લેબનોનમાં અમારું દૂતાવાસ ભારતીય સમુદાયની સલામતી અને સુરક્ષા માટે તેના નજીકના સંપર્કમાં છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2250955)
મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam