પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વાર્તાલાપ કર્યો
"પ્રકૃતિ અને આનંદ સિવાય, ગોવા વિકાસનું નવું મોડલ દર્શાવે છે તથા પંચાયતથી પ્રશાસન સુધી વિકાસના સામૂહિક પ્રયાસો અને દ્રઢતાનું પ્રતિબિંબ રજૂ કરે છે"
"ગોવાએ ODF, વીજળી, નળથી જળ, ગરીબોને રાશન જેવી તમામ મહત્ત્વની યોજનાઓમાં 100% સફળતા મેળવી છે"
"સ્વયંપૂર્ણ ગોવા ટીમ ગોવાની નવી ટીમ સ્પિરિટનું પરિણામ છે"
"ગોવામાં વિકાસ પામી રહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેડૂતોની આવક, પશુપાલકો અને આપણાં માછીમારોની આવક વધારવામાં પણ મદદ કરશે"
"પ્રવાસન કેન્દ્રિત રાજ્યોએ રસીકરણ ઝૂંબેશમાં વિશેષ ઝૂંબેશમાં વિશેષ ધ્યાન પ્રાપ્ત કર્યુ છે અને ગોવાએ તેનાથી મહત્ત્વપૂર્ણ લાભ પ્રાપ્ત કર્યો છે"
પોસ્ટેડ ઓન:
23 OCT 2021 12:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ ગોવા સરકારના ઉપસચિવ શ્રીમતિ ઇશા સાવંત સાથે વાતચીત કરતી વખતે સ્વયંપૂર્ણ મિત્ર તરીકે તેમની કામગીરીના અનુભવ વિશે પૂછપરછ કરી હતી. શ્રીમતિ સાવંતે જણાવ્યું હતું કે લાભાર્થીઓ તેમના ઘરઆંગણે સેવાઓ અને સમાધાન પ્રાપ્ત કરી રહ્યાં છે. તેની સાથે ખૂબ જ સરળતા જોડાયેલી છે કારણ કે તમામ સેવાઓ એક જ સર્વિસ-વિન્ડો પરથી પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે પ્રધાનમંત્રીએ ટેક્નોલોજીના ઉપયોગ અંગે પૂછ્યું ત્યારે તેમણે માહિતી આપી હતી કે ટેક્નોલોજીનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે કે ડેટાનો સંગ્રહ પરસ્પર સહયોગપૂર્ણ પદ્ધતિથી કરવામાં આવે. તેના કારણે જરૂરી સુવિધાઓનું મેપિંગ કરવાનું સંભવ બન્યું હતું. મહિલા સશક્તિકરણ અંગે પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે તાલીમ અને સ્વસહાય જૂથ વ્યવસ્થાતંત્ર દ્વારા મહિલાઓને સાધનો પૂરા પાડવામાં આવ્યાં હતાં અને સોશિયલ મીડિયા માર્કેટિંગ અને બ્રાન્ડિંગના સંદર્ભમાં સહાયતા કરવામાં આવી હતી. અટલ ઇન્ક્યુબેશન જૂથોનો પણ ઉપયોગ કરાયો હતો. પ્રધાનમંત્રીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના દિવસો યાદ કર્યા હતા અને તાલીમ દ્વારા ભોજન પીરસવું, કેટરિંગ વગેરે જેવી સેવાઓ માટે મહિલા સ્વસહાય જૂથોના સભ્યોને તાલીમ અંગે અને સક્ષમ વાતાવરણનું સર્જન કરવા અંગે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ સૂચન કર્યુ હતું કે પ્રોડક્ટ સિવાય સેવા પણ ખૂબ જ ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ અધિકારીઓને સંવેદનશીલ અને નવીન ઉપાયો શોધવા જણાવ્યું હતું અને આવા અધિકારીઓની પ્રશંસા કરી હતી.
પૂર્વ હેડમાસ્તર અને સરપંચ શ્રી કોન્સ્ટેન્સિયો મિરાન્ડાએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે સ્વયંપૂર્ણ ઝૂંબેશ વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નવી પ્રવૃતિઓ માટે મદદરૂપ બની છે. તેનાથી જરૂરિયાત આધારિત રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ ઓળખ કરી શકાઇ છે અને સંકલિત પદ્ધતિથી તેની ઉપર કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ લાંબા સમયથી પડતર કાર્યો પૂરા કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેમની સરકાર પણ લાંબા સમયથી પડતર કાર્યો પર કામગીરી કરી રહી છે જેને સ્વતંત્રતા બાદ લાંબા સમય માટે નજરઅંદાજ કરવામાં આવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ શ્રી કુંદન ફલારી સાથે વાતચીત કરી હતી જેમણે જણાવ્યું હતું કે તે અને સ્થાનિક પ્રશાસન સમુદાયમાં છેવાડાના લોકો સુધી પહોંચવા પ્રયાસો કરી રહ્યાં છે. તેમણે તેમના વિસ્તારમાં સ્વનિધી યોજનાને લોકપ્રિય બનાવવામાં પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે શું ફેરિયાઓ ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ કરી રહ્યાં છે કે નહીં. તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવહારો વ્યવહારોના ઇતિહાસનું સર્જન કરે છે જે બેન્કોને તેમને વધારે યોગ્ય ધીરાણ આપવા માટે સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ગોવાની આઝાદીના 60 વર્ષોના ભાગરૂપે ગોવાને કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક પંચાયતને રૂ.50 લાખ અને દરેક નગરપાલિકાઓને રૂ.1 કરોડનું વિશેષ અનુદાન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ નાણાકીય સમાવેશનના સરકારના પ્રયાસો અંગે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહન આપવું જોઇએ.
મસ્ત્યઉદ્યોગ ઉદ્યમી શ્રી લૂઇસ કોર્ડોઝોએ સરકારી યોજનાઓના લાભો મેળવવાની અને ઇન્સ્યુલેટ કરેલા વાહનોના ઉપયોગ અંગે પોતાનો અનુભવ રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માછીમાર સમુદાયોને મદદરૂપ બની રહેલી યોજનાઓ જેવી કે કિસાન ક્રેડિટ કાર્ડ, નાવિક એપ, બોટ માટે ધીરાણ વિશે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ માછીમારો અને ખેડૂતોને વધુ નફો થાય તે માટે કાચા માલસામગ્રીના બદલે પ્રસંસ્કરણ કરેલી સામગ્રીનું વિસ્તરણ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
શ્રી રુકી અહેમદ રજાસાબે સ્વયંપૂર્ણ હેઠળ દિવ્યાંગજનોના માટે લેવામાં આવી રહેલા પગલાંઓ અંગે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દિવ્યાંગજનના આત્મસન્માન અને સુગમતા માટે કામગીરી કરી રહી છે. તેમણે સુવિધાઓને નિયત ધોરણો અનુસાર બનાવવા અને તાજેતરના પેરાલિમ્પિકમાં પેરા એથલેટ્સની સફળતા યાદ કરી હતી.
સ્વસહાય જૂથના વડા શ્રીમતિ નિશિતા નામદેવ ગવાસ સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ જૂથની પેદાશો અંગે અને આ પેદાશોનું તેમના દ્વારા કરવામાં આવતાં માર્કેટિંગ અંગે માહિતી માંગી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર મહિલાઓનું સન્માન અને આત્મવિશ્વાસ વધારવા માટે ઉજ્જવલા, સ્વચ્છ ભારત, PM આવાસ, જનધન જેવી યોજનાઓ હાથ ધરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓ સૈન્ય દળોથી માંડીને રમતના મેદાન ઉપર દરેક સ્થાને પોતાનો ડંકો વગાડી રહી છે.
શ્રી દુર્ગેશ એમ શિરોડકર સાથે પ્રધાનમંત્રીએ જૂથની દૂધ ઉત્પાદન પ્રવૃતિઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના જૂથે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ ઉઠાવ્યો છે. તેમણે અન્ય ખેડૂતો અને ડેરી ઉદ્યમીઓને પણ આ સુવિધા અંગે જાગૃત બનાવ્યાં છે. પ્રધાનમંત્રીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને લોકપ્રિય બનાવવા માટે શ્રી શિરોડકરના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર તેમની આવક વધારવામાં મદદ કરવા માટે બિયારણથી બજાર સુધી સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર તૈયાર કરવા કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે કિસાન ક્રેડિટ કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, યુરિયાનું નિમ કોટિંગ, ઇ-નામ, પ્રમાણિત બિયારણો, MSP ખરીદી, નવા કૃષિ કાયદાઓ આ દિશામાં હાથ ધરવામાં આવેલા પ્રયત્નો છે.
આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગોવામાં આનંદ જોવા મળે છે, ગોવામાં પ્રકૃતિ જોવા મળે છે, ગોવામાં પ્રવાસન જોવા મળે છે. પરંતુ આજે ગોવામાં વિકાસનું નવું મોડલ પણ જોવા મળે છે. તે પંચાયતથી માંડીને પ્રશાસન સુધી વિકાસના સામૂહિક પ્રયાસો અને દ્રઢતાનું પ્રતિબિંબ સૂચવે છે.
કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણમાં ગોવાના અદભૂત પ્રદર્શન અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ખુલ્લામાં શૌચમુક્તિનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા જઇ રહ્યાં છે. ગોવાએ 100% આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે. દેશે દરેક ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગોવાએ આ લક્ષ્યાંક 100% પ્રાપ્ત કરી લીધો છે. દરેક ઘર, નળ અભિયાન ગોવા તેનું 100% અમલીકરણ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. ગરીબોને મફત રાશન આપવાની બાબતમાં ગોવાએ 100% લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ તમામ નોંધપાત્ર સિદ્ધી મેળવવા બદલ પ્રધાનમંત્રીએ ગોવાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓની સુગમતા અને સન્માન માટે ગોવાએ કેન્દ્ર સરકારની યોજનાઓનો જમીની સ્તરે સફળતાપૂર્વક અમલ કર્યો છે અને તેનો વિસ્તાર પણ કરી રહ્યું છે. તેમણે મહિલાઓને શૌચાલય, ઉજ્જવલા ગેસ જોડાણો અને જનધન બેન્ક ખાતાઓ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં ઉત્તમ કાર્ય કરવા બદલ ગોવા સરકારની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ સ્વર્ગીય મનોહર પારિકરને પણ યાદ કર્યા હતા જેમણે ગોવાને પ્રગતિના માર્ગ પર દોડતું કર્યુ હતું. તેમણે ગોવાના વિકાસને ગંભીરતાપૂર્વક આગળ વધારવામાં અને ગોવાને નવી ઊંચાઇઓ પર મુકવા માટે વર્તમાન મુખ્યમંત્રી અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. આજે ગોવા એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. આજે રાજ્યના વિકાસ માટે ડબલ એન્જિન સરકાર અદભૂત ઉર્જા અને દ્રઢનિશ્ચય સાથે કાર્ય કરી રહી છે. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ટીમ ગોવાની આ નવી ટીમ ભાવનાનું પરિણામ સ્વયંપૂર્ણ ગોવાનો નિર્ધાર છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગોવામાં વિકસાવવામાં આવી રહેલી માળખાકીય સુવિધાઓ ખેડૂતો, પશુપાલકો અને આપણાં માછીમાર ભાઇઓની આવક વધારવામાં મદદ કરશે. તેમણે ઉમેર્યુ હતું કે ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ માટે ગોવાના ભંડોળમાં અગાઉના વર્ષોની સરખામણીમાં ચાલુ વર્ષે પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે માછીમારોની બોટના આધુનિકીકરણ માટે વિવિધ મંત્રાલયોમાંથી દરેક સ્તરે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે ગોવામાં માછીમારો પ્રધાનમંત્રી મસ્ત્ય સંપદા યોજના હેઠળ અસંખ્ય મદદ મેળવી રહ્યાં છે.
રસીકરણ ઝૂંબેશ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગોવા સહિત દેશમાં પ્રવાસન આધારિત રાજ્યોને વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યાં છે. ગોવાએ પણ તેમાંથી લાભ મેળવ્યો છે. તેમણે તમામ પાત્રતા ધરાવતાં લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં દિવસ અને રાત પ્રયત્નો કરવા બદલ ગોવા સરકારની પ્રશંસા કરી હતી.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1765955)
મુલાકાતી સંખ્યા : 352
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam