પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી


આઝાદીનો 75મો મહોત્સવ ઉજવવાની સાથે આઝાદીનો મહોત્સવ ભાવિ ભારત માટે સ્પષ્ટ વિઝન અને રોડમેપ નિર્માણ કરવાની તક છે: પ્રધાનમંત્રી

ભૌતિક, ટેકનોલોજિકલ અને નાણાંકીય જોડાણને લીધે નાનાં થઈ જતાં વિશ્વમાં આપણી નિકાસના વિસ્તરણ માટે વિશ્વભરમાં નવી શક્યતાઓ સર્જાઈ રહી છે: પ્રધાનમંત્રી

આપણા અર્થતંત્રનાં કદ અને સંભાવના, આપણા ઉત્પાદન અને સેવા ઉદ્યોગનો વ્યાપ જોતાં નિકાસ વૃદ્ધિ માટે જબરદસ્ત સંભાવના રહેલી છે: પ્રધાનમંત્રી

ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના આપણા ઉત્પાદનના વ્યાપને વધારવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ વૈશ્વિક ગુણવત્તા અને કાર્યદક્ષતાના સ્તરને પણ વધારશે: પ્રધાનમંત્રી

પાછલી અસરના કરવેરામાંથી છૂટકારો મેળવવા ભારત દ્વારા લેવાયેલ નિર્ણય આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે, નીતિઓમાં સાતત્ય દર્શાવે છે અને તમામ રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત નવી શક્યતાઓના દરવાજા જ નથી ખોલી રહ્યું પણ ભારતની નિર્ણાયક સરકાર પાસે એનાં વચનો પૂરાં કરવાની સંકલ્પશક્તિ છે: પ્રધાનમંત્રી

કેન્દ્ર સરકાર નિયમનના બોજને ઓછામાં ઓછો કરવા રાજ્યો સાથે નિકટતાથી કાર્ય કરી રહી છે: પ્રધાનમંત્રી

રાજ્યોમાં નિકાસ હ

Posted On: 06 AUG 2021 8:48PM by PIB Ahmedabad

આ પ્રકારની પહેલવહેલી પહેલ કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિદેશમાં ભારતીય મિશનોના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને વિદેશ મંત્રી પણ આ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાતચીતમાં વીસથી વધુ વિભાગોના સચિવો, રાજ્ય સરકારના અધિકારીઓ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના સભ્યો અને ચૅમ્બર ઑફ કૉમર્સના સભ્યો પણ સામેલ થયા હતા.

આ મેળાવડાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સમય આઝાદીના અમૃત મહોત્સવ માટેનો છે. આઝાદીનો 75મો મહોત્સવ ઉજવવાની સાથે આ ભાવિ ભારત માટે સ્પષ્ટ વિઝન અને રોડમેપનું નિર્માણ કરવાની તક છે. આમાં આપણી નિકાસ મહત્વાકાંક્ષાઓ અને તમામ હિતધારકો બહુ મોટી ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે આજે ભૌતિક, ટેકનોલોજિકલ અને નાણાકીય જોડાણના કારણે વિશ્વ રોજ નાનું થતું જાય છે. આવા વાતાવરણમાં, આપણી નિકાસના વિસ્તરણ માટે વિશ્વભરમાં નવી શક્યતાઓ સર્જાઈ રહી છે. આ પહેલ માટે તેમણે હિતધારકોની પ્રશંસા કરી હતી અને નિકાસ બાબતે આપણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા માટે એ તમામ હિતધારકો દ્વારા દર્શાવાયેલા ઉત્સાહ, આશાવાદ અને પ્રતિબદ્ધતાના વખાણ કર્યા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે ભૂતકાળમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો સર્વોચ્ચ હિસ્સો હતો એનાં મુખ્ય કારણો તેનાં મજબૂત વેપાર અને નિકાસ હતાં. વૈશ્વિક અર્થતંત્રમાં આપણો જૂનો હિસ્સો પાછો મેળવવા માટે તેમણે આપણી નિકાસને મજબૂત કરવાની અગત્યતા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ હિતધારકોને કોવિડ પછીના વૈશ્વિક વિશ્વમાં વૈશ્વિક પુરવઠા સાંકળમાં થયેલા ફેરફારો દ્વારા સર્જાયેલી નવી તકોનો લાભ લેવા માટે તમામ પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. આપણા અર્થતંત્રનાં કદ અને એની સંભાવનાઓ, આપણા ઉત્પાદન અને સેવા ઉદ્યોગનો વ્યાપ જોતાં, નિકાસ વૃદ્ધિ માટે જબરદસ્ત સંભાવનાઓ રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશ જ્યારે આત્મનિર્ભર ભારતના મિશન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે એનાં લક્ષ્યાંકોમાંનું એક લક્ષ્ય નિકાસમાં ભારતનો હિસ્સો અનેક ગણો વધારવાનું છે. તેમણે કહ્યું કે આ હાંસલ કરવા માટે આપણે નિશ્ચિત કરવું પડશે કે આપણને વૈશ્વિક પુરવઠા સાંકળમાં પ્રવેશ મળે, જેથી આપણા ધંધા વ્યાપી અને વૃદ્ધિ પામી શકે. તેમણે ઉમેર્યું હતું કે આપણા ઉદ્યોગે પણ શ્રેષ્ઠ ટેકનોલોજી તરફ આગળ વધવું પડશે, નવીનીકરણ પર ધ્યાન આપવું પડશે અને સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી)માં હિસ્સો વધારવો પડશે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક મૂલ્ય સાંકળમાં આપણો હિસ્સો આ માર્ગને અનુસરીને જ વધી શકશે. સ્પર્ધા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરતી વખતે આપણે દરેક ક્ષેત્રમાં વૈશ્વિક સર્વવિજેતા-ચૅમ્પિયન્સ તૈયાર કરવા પડશે એમ તેમણે ભાર મૂક્યો હતો.

નિકાસ વધારવા માટે પ્રધાનમંત્રીએ ચાર પરિબળો ગણાવ્યા હતા જે બહુ અગત્યના છે. દેશમાં ઉત્પાદન અનેકગણું વધ્યું છે અને તે ગુણવત્તાત્મક રીતે સ્પર્ધાત્મક હોવું જોઇએ. બીજું, પરિવહન, લૉજિસ્ટિક્સની સમસ્યાઓ દૂર થવી જોઇએ અને એ માટે કેન્દ્ર, રાજ્યો અને ખાનગી હિતધારકોએ સતત કાર્ય કરતા રહેવું પડશે. ત્રીજું, સરકારે નિકાસકારો સાથે ખભાથી ખભા મેળવીને ચાલવું જોઇએ અને આખરી ચોથું ભારતીય વસ્તુઓ-પેદાશો માટે આંતરરાષ્ટ્રીય બજાર વિસ્તારવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ ચાર પરિબળોનો સુમેળ સધાય ત્યારે જ ભારત વિશ્વ માટે મેક ઈન ઈન્ડિયાનું લક્ષ્ય વધારે સારી રીતે હાંસલ કરી શકશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે, દેશમાં, રાજ્યોમાં સરકાર વેપાર વિશ્વની જરૂરિયાતોને સમજીને આગળ વધી રહી છે. એમએસએમઈને વેગ આપવા માટે તેમણે સરકારની વિવિધ પહેલની યાદી આપી હતી જેમ કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પાલનમાં ઘણી છૂટછાટો અપાઇ છે અને રૂ. 3 લાખ કરોડની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ. તેમણે એમ પણ નોંધ્યું હતું કે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના આપણા ઉત્પાદનના વ્યાપને વધારવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ વૈશ્વિક ગુણવત્તા અને કાર્યદક્ષતાના સ્તરને પણ વધારશે. આ આત્મનિર્ભર ભારતની એક નવી જ ઈકોસિસ્ટમ વિક્સાવશે. ઉત્પાદન અને નિકાસમાં દેશને નવા વૈશ્વિક વિશ્વવિજેતાઓ મળશે. ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના (પીએલઆઇ સ્કીમ)થી મોબાઇલ ફોન ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવામાં કેવી રીતે મદદ મળી એની પણ તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. મોબાઇલ ફોન ક્ષેત્ર, આપણે પણ એની અસર અનુભવી રહ્યા છીએ, 7 વર્ષ અગાઉ, આપણે આશરે 8 અબજ ડૉલર મૂલ્યનાં મોબાઇલ ફોનની આયાત કરતા હતા. આજે, એ ઘટીને 2 અબજ ડૉલર થઈ છે. ભારત માત્ર 0.3 અબજ ડૉલરના મોબાઇલ ફોનની નિકાસ કરતું હતું. આજે તે વધીને 3 અબજ ડૉલર કરતા વધારે થઈ છે. 

પ્રધાનમંત્રી કહ્યું કે સરકાર, બેઉ કેન્દ્ર અને રાજ્યોમાં, પણ દેશમાં લૉજિસ્ટિક્સનો સમય અને ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ માટે, મલ્ટીમોડલ કનેક્ટિવિટી સર્જવા દરેક સ્તરે ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મહામારીની અસરને ઓછામાં ઓછી કરવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા આપણા શ્રેષ્ઠ પ્રયાસો છે. આજે દેશમાં રસીકરણનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. દેશવાસીઓ અને ઉદ્યોગની તમામ સમસ્યાઓ ઉકેલવા માટે શક્ય દરેક પગલું લેવાયું છે. તેમણે ઉમેર્યું હતું કે આ ગાળા દરમ્યાન આપણા ઉદ્યોગ અને વેપારે પણ નવા પડકારોને અપનાવીને ફેરફારો કર્યા છે. દેશ તબીબી કટોકટીને પહોંચી વળે એમાં ઉદ્યોગે પણ મદદ કરી હતી અને વિકાસને સજીવન કરવામાં ભૂમિકા ભજવી હતી. એ જ કારણ છે કે આજે દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સની સાથે, આપણી નિકાસ કૃષિ જેવા ક્ષેત્રોમાં નવા સ્તરે પહોંચી છે. તેમણે કહ્યું કે આજે આપણે અર્થતંત્રમાં જ નહીં પણ ઊંચી વૃદ્ધિમાં પણ પુન:પ્રાપ્તિના હકારાત્મક સંકેતો જોઇ રહ્યા છીએ. આથી, નિકાસ માટે ઊંચા લક્ષ્યાંકો નક્કી કરીને એને હાંસલ કરવાનો આ સારો સમય છે. તેમણે કહ્યું કે આને હાંસલ કરવા માટે સરકાર દરેક સ્તરે જરૂરી પગલાં લઈ રહી છે. તાજેતરમાં, તેમણે કહ્યું હતું કે, સરકારે વીમા કવચના સ્વરૂપે આશરે રૂ. 88000 કરોડનો વેગ આપવા માટે આપણા નિકાસકારો માટે એક મોટો નિર્ણય લીધો હતો. એવી જ રીતે, આપણા નિકાસ પ્રોત્સાહનોને તાર્કિક બનાવીને આપણી નિકાસ ડબલ્યુટીઓ સક્ષમ બનશે અને એને વેગ મળશે.

પ્રધાનમંત્રીએ ધંધો કરવામાં સ્થિરતાની અગત્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પાછલી અસરના કરવેરામાંથી છૂટકારો મેળવવા ભારત દ્વારા લેવાયેલ નિર્ણય આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે, નીતિઓમાં સાતત્યને દર્શાવે છે અને તમામ રોકાણકારોને સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત નવી શક્યતાઓના દરવાજા જ નથી ખોલી રહ્યું પણ ભારતની નિર્ણાયક સરકાર પાસે એનાં વચનો પરિપૂર્ણ કરવાની સંકલ્પશક્તિ પણ છે.

પ્રધાનમંત્રીએ નિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને સુધારા અમલી કરવામાં, રોકાણ આકર્ષવામાં અને ધંધો કરવાની સુગમતા વધારવામાં તેમજ અંતિમ છેડાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જવામાં રાજ્યોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર નિયમનનો બોજો ઓછામાં ઓછો કરવા માટે અને એ જ રીતે નિકાસ અને રોકાણ વધારવા માટે રાજ્યો સાથે નિકટતાથી કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યો વચ્ચે રાજ્યોમાં નિકાસ હબ્સ બનાવવા માટે તંદુરસ્ત સ્પર્ધાને ઉત્તેજન અપાઇ રહ્યું છે. રાજ્યોને દરેક જિલ્લામાં એક પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવા પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા નિકાસ બાબતના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાકલ્યવાદી અને વિગતવાર કાર્ય યોજનાથી જ હાંસલ થઈ શકે. તેમણે હિતધારકોને આપણી હાલની નિકાસ વેગીલી કરવા અને બજારો, નવી પ્રોડક્ટ્સ માટે નવાં સ્થળો સર્જવા પણ અનુરોધ કર્યો હતો. હાલમાં આપણી નિકાસના લગભગ અડધો ભાગ 4 મુખ્ય સ્થળોનો જ છે. એવી જ રીતે, આપણી નિકાસનો આશરે 60% ભાગ એન્જિનિયરિંગ સામાન, જેમ્સ એન્ડ જ્વૅલરી, પેટ્રોલિયમ અને કેમિકલ ઉત્પાદનો અને ફાર્માસ્યુટિકલ્સનો છે. તેમણે હિતધારકોને અનુરોધ કર્યો હતો કે તેઓ નવા સ્થળો શોધે અને નવાં ઉત્પાદનોને વિશ્વમાં લઈ પણ જાય. તેમણે ઉમેર્યું હતું કે ખનન, કોલસો, સંરક્ષણ, રેલવે જેવા ક્ષેત્રો ખુલવાથી આપણા ઉદ્યોગ સાહસિકોને પણ નિકાસ વધારવામાં નવી તકો મળી રહી છે.

પ્રધાનમંત્રીએ રાજદૂતો, વિદેશ મંત્રાલયના અધિકારીઓને કહ્યું કે તેઓ ગમે તે દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય, તેઓ એ દેશની જરૂરિયાતોને સારી રીતે સમજે છે. તેમણે એમને કહ્યું કે તેઓ ત્યાં વાણિજ્ય ઉદ્યોગ માટે સેતુ તરીકે કાર્ય કરે. વિવિધ દેશોમાં હાજર ગૃહો પણ ભારતની ઉત્પાદન શક્તિના પ્રતિનિધિ પણ હોવાં જોઇએ. તેમણે વાણિજ્ય મંત્રાલયને એવી વ્યવસ્થા અમલી કરવા વિનંતી કરી હતી જેથી, નિકાસકારો અને આપણા મિશનો વચ્ચે સતત સંદેશાવ્યવહાર રહે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણી નિકાસમાંથી આપણા અર્થતંત્રને મહત્તમ લાભ મળે એ માટે આપણે દેશમાં પણ નિરંતર અને ઉચ્ચ ગુણવત્તાની પુરવઠા સાંકળ નિર્માણ કરવી પડશે. આ માટે આપણે નવા સંબંધો અને નવી ભાગીદારી નિર્માણ કરવાની જરૂર છે. તેમણે તમામ નિકાસકારોને આપણા એમએસએમઈ, ખેડૂતો અને આપણા માછીમારો સાથે ભાગીદારી મજબૂત કરવા, આપણા સ્ટાર્ટ અપ્સને ઉત્તેજન આપવા અને એને ટેકો આપવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ ગુણવત્તા અને વિશ્વસનીયતાની નવી ઓળખ સ્થાપવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વિશ્વના દરેક ખૂણે  ભારતનાં ઉચ્ચ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો માટે સ્વાભાવિક માગ સર્જવા આપણા પ્રયાસો હોવા જોઇએ. તેમણે ઉદ્યોગ, તમામ નિકાસકારોને ખાતરી આપી હતી કે સરકાર એમને દરેક રીતે મદદ કરશે. તેમણે ઉદ્યોગને આત્મનિર્ભર ભારતના અને એક સમૃદ્ધ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા અનુરોધ કર્યો હતો!

વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરે આ કાર્યક્રમની વિરલ લાક્ષણિક્તા ઉજાગર કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમનો વિષય લોકલ ગોઝ ગ્લૉબલ છે ત્યારે ભારતીય મિશનોએ પણ જે તે ચોક્કસ દેશમાં માગ સાથે આપણા ઉત્પાદનોને જોડવામાં મદદ કરવા વૈશ્વિક રીતે લોકલ બનવાની જરૂર છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે વૈશ્વિક વાતાવરણ અનુકૂળ છે અને આપણે આપણી નિકાસ વધારવા માટે અન્ય દેશોના સંદર્ભ સાથે તુલનાત્મક અને સ્પર્ધાત્મક લાભ ઉઠાવવા જોવું જોઇએ.

ભારતીય મિશનોના વડાઓએ ભારતની નિકાસ વધારવા માટે એમના પ્રતિભાવો અને સૂચનો આપ્યા હતા. તેમણે ક્ષેત્ર અને પ્રદેશ વિશિષ્ટ વેપાર લક્ષ્યાંકો સ્થાપવા, મૂલ્ય વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રીત કરવા, ઉત્પાદનોની ગુણવત્તાના ધારાધોરણ, પુરવઠા સાંકળના વૈવિધ્યકરણ, પુરવઠામાં વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા અને જોડાણ સુધારવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નવાં બજારો અને પ્રદેશ વિશિષ્ટ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે અને એની સાથે આપણે અત્યારે જેમાં સારું કરી રહ્યા છીએ એ પ્રદેશો અને ઉત્પાદનોમાં આપણી સ્પર્ધાત્મક ધારને જાળવી રાખવાની છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1743454) Visitor Counter : 333