નાણા મંત્રાલય

કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં ભારતીય અર્થતંત્રને ટેકો આપવા નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે રૂ. 6,28,993 કરોડનું રાહત પૅકેજ જાહેર કર્યું


● કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રો માટે રૂ. 1.1 લાખ કરોડની લોન ગૅરન્ટી યોજના

● ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી યોજના માટે વધુ રૂ. 1.5 લાખ કરોડ

● ક્રેડિટ ગૅરન્ટી યોજના માઇક્રો ફાયનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ (એમએફઆઇ) મારફત 25 લાખ વ્યક્તિઓને લોન સુગમ બનાવશે

● 11000થી વધારે નોંધાયેલા ટુરિસ્ટ્સ ગાઈડ્સ/ ટ્રાવેલ અને પર્યટન હિતધારકોને નાણાકીય મદદ

● પ્રથમ 5 લાખ પ્રવાસીઓને મફત એક માસના ટુરિસ્ટ વિઝા

● આત્મનિર્ભર ભારત રોજગાર યોજના 31મી માર્ચ 2022 સુધી લંબાવાઇ

● ડીએપી અને પીએન્ડકે ખાતરો માટે રૂ. 14,775 કરોડની વધારાની સબસિડી

● પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય) લંબાવાઇ- મે થી નવેમ્બર 2021 સુધી મફત અનાજ

● જાહેર આરોગ્ય માટે વધુ રૂ. 23,220 કરોડ જેમાં બાળકો અને પીડિઍટ્રિક કેર / પીડિઍટ્રિક બૅડ્સ પર ભાર

● પોષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને દેશને સમર્પિત થનારી અન્ય વિશેષતાઓ માટે 21 જાતના બાયો-ફોર્ટિફાઈડ પાક.

● રૂ. 77.45 કરોડ સાથે નોર્થ ઇસ્ટર્ન રિજિયોનલ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ કૉર્પોરેશન (એનઈઆરએએમએસી)નું પુનરુત્થાન

● નેશનલ એક્સ્પોર્ટ ઇન્સ્યુરન્સ એકાઉન્ટ (એનઈટીએ) મારફત પ્રોજેક્ટ નિકાસો માટે રૂ. 33,000 કરોડની મદદ

● એક્સપોર્ટ ઇન્સ્યુરન્સ કવરને રૂ. 88000 કરોડની મદદ

● ભારતનેટ પીપીપી મોડેલ મારફત દરેક ગામને બ્રોડબેન્ડ માટે રૂ. 19041 કરોડ

● મોટા કદના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો માટે પીએલઆઇ સ્કીમની મુદત 2025-26 સુધી લંબાવાઇ

● રૂ. 3.03 લાખ કરોડ સુધારા આધારિત-પરિણામ સાથે સંકળાયેલ વીજ વિતરણ યોજના માટે

● પીપીપી પ્રોજેક્ટ્સ અને એસેટ્સ મૉનેટાઇઝેશન માટે નવી સુવ્યવસ્થિત પ્રક્રિયા

Posted On: 28 JUN 2021 6:53PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે અત્રે આજે કોવિડ-19 મહામારીની બીજી લહેરથી અસરગ્રસ્ત વિવિધ ક્ષેત્રોને રાહત પૂરી પાડવા માટે શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યાં હતાં. જાહેર કરાયેલાં પગલાંનો હેતુ ઇમરજન્સી વળતાં પગલાં માટે આરોગ્ય પ્રણાલિઓને તૈયાર કરવાનો અને વિકાસ અને રોજગારને વેગ પૂરો પાડવાનો પણ છે. કેન્દ્રીય નાણાં  અને કોર્પોરેટ  બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર, નાણાં સચિવ ડૉ. ટી.વી. સોમનાથન; સચિવ, ડીએફએસ, શ્રી દેવાશિષ પાંડા અને સચિવ, મહેસૂલ શ્રી તરૂણ બજાજ પણ રાહત પૅકેજની જાહેરાત દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

 

નાણાં અને કોર્પોરેટ બાબતોનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં આર્થિક રાહત પૅકેજ જાહેર કરી રહ્યાં છે.

 

 

રૂ. 6,28,993 કરોડના કુલ 17 પગલાં જાહેર કરવામાં આવ્યાં હતાં. એમાં અગાઉ જાહેર થયેલાં બે પગલાં જેવા કે ડીએપી અને પી એન્ડ કે ખાતરો માટે વધારાની સબસિડી અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય) મેથી નવેમ્બર 2021 સુધી લંબાવવાનો સમાવેશ થાય છે.

 

આજે જાહેર કરાયેલાં પગલાંને 3 વિસ્તૃત શ્રેણીઓમાં ભેગાં કરી શકાય છે:-

 

  1. મહામારીમાંથી આર્થિક રાહત
  2. જાહેર આરોગ્યને મજબૂત કરવું
  3. વિકાસ અને રોજગારને પ્રોત્સાહન-વેગ

 

  1. મહામારીમાંથી આર્થિક રાહત

 

આજે જાહેર કરવામાં આવેલી 17 યોજનાઓમાંથી આઠનો હેતુ કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત થયેલા લોકો અને ધંધાઓને આર્થિક રાહત પૂરી પાડવાનો છે. આરોગ્ય અને પ્રવાસ,પર્યટન ક્ષેત્રોના પુનરુત્થાન પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

 

  1. કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્રો માટે રૂ. 1.10 લાખ કરોડની લોન ગૅરન્ટી સ્કીમ

 

નવી યોજના હેઠળ ધંધાઓને રૂ. 1.1 લાખ કરોડનું વધારાનું ધિરાણ મળી રહેશે. એમાં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 50000 કરોડ અને પર્યટન સહિતના અન્ય ક્ષેત્રો માટે રૂ. 60000 કરોડનો સમાવેશ થાય છે.

આરોગ્ય ક્ષેત્ર માટેના ઘટકનો હેતુ અપાત્ર-વંચિત રહી ગયેલા વિસ્તારોને લક્ષ્યાંક બનાવીને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો છે. 8 મેટ્રોપોલિટન શહેરો સિવાયના શહેરોમાં આરોગ્ય/મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધી વિસ્તરણ અને નવા પ્રોજેક્ટ્સ બેઉ માટે ગૅરન્ટી કવર ઉપલબ્ધ રહેશે. વિસ્તરણ માટે ગૅરન્ટી કવર 50% અને નવા પ્રોજેક્ટ્સ માટે ગૅરન્ટી કવર 75% રહેશે. આકાંક્ષી જિલ્લાઓના કિસ્સામાં, નવા પ્રોજેક્ટ્સ અને વિસ્તરણ બેઉ માટે ગૅરન્ટી કવર 75% રહેશે. યોજના હેઠળ મહત્તમ મળવાપાત્ર લોન રૂ. 100 કરોડ છે અને ગૅરન્ટી કવર 3 વર્ષ સુધી રહેશે. બૅન્કો લોન પર મહત્તમ 7.95% વ્યાજ લઈ શક્શે. અન્ય ક્ષેત્રો માટેની લોન વાર્ષિક 8.25%ની વ્યાજની ટોચમર્યાદા સાથે ઉપલબ્ધ રહેશે. રીતે યોજના હેઠળ મળનારી લોન ગૅરન્ટી વગરના 10-11%ના સામાન્ય વ્યાજ દરોની સરખામણીએ ઘણી સસ્તી રહેશે.