પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોઇમ્બતુર, તમિલનાડુમાં અનેકવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 FEB 2021 6:56PM by PIB Ahmedabad

તમિલનાડુના રાજ્યપાલ શ્રી ભંવરીલાલ પુરોહિતજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી પલાનીસ્વામીજી, નાયબ મુખ્ય મંત્રી શ્રી ઓપીએસ, મારા સાથીઓ, પ્રહલાદ જોશીજી, તમિલનાડુ સરકારમાં મંત્રી શ્રી વેલુમનીજી, મહાનુભવો, દેવીઓ અને સજ્જનો.

વનક્કમ.

અહીં કોઇમ્બતુરમાં આવીને મને ખુશીનો અનુભવ થાય છે. આ ઉદ્યોગો અને ઇનોવેશનનું શહેર છે. આજે આપણે અનેક વિકાસ કાર્યોની શરૂઆત કરી છે કે જે કોઇમ્બતુર અને સંપૂર્ણ તમિલનાડુ માટે લાભપ્રદ રહેશે.

મિત્રો,

ભવાની સાગર ડેમનું આધુનિકીકરણ કરવા માટેનો શિલાન્યાસ થઈ રહ્યો છે. તેનાથી બે લાખ એકરથી વધુ જમીનને સિંચાઇ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટ વડે ઇરોડ, તીરુંપ્પૂર અને કરુર જિલ્લાઓને ખાસ કરીને લાભ થશે. આપણાં ખેડૂતો માટે આ પ્રોજેક્ટ ઘણો ઉપયોગી સાબિત થશે. મને મહાન થીરુવલ્લુવરના શબ્દો યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે;

உழுதுண்டு வாழ்வாரே வாழ்வார்மற் றெல்லாம்

தொழுதுண்டு பின்செல் பவர்.

તેનો અર્થ થાય છે કે, ‘ખેડૂતો જ માત્ર સાચા અર્થમાં જીવે છે અને બાકીના તમામ લોકો તેમના કારણે જીવે છે; તેમની પૂજા કરીને.’

મિત્રો,

તમિલનાડુ એ ભારતના ઔદ્યોગિક વિકાસમાં ઘણું મોટું યોગદાન આપી રહ્યું છે. કોઈપણ ઉદ્યોગને વિકાસ કરવા માટેની મુખ્ય જરૂરિયાતોમાંથી એક છે સતત પ્રાપ્ત થનાર ઊર્જા પુરવઠો. આજે, મને બે મોટા પાવર પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરતાં અને વધુ એક પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતાં આનંદની લાગણીનો અનુભવ થાય છે. 709 મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ એ નેયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ દ્વારા તીરુંનેલવેલ્લી, થુથુકુડી, રામનાથપુરમ અને વીરૂધૂનગર જિલ્લાઓમાં વિકસિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની કિંમત ત્રણ હજાર કરોડ રૂપિયા કરતાં વધુ છે. એનએલસીનો બીજો એક 1000 મેગાવોટ થર્મલ પાવર પ્રોજેક્ટ કે જે અંદાજે સાત હજાર આઠસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે તે તમિલનાડુને ઘણો ઉપયોગી સાબિત થશે. આ પ્રોજેક્ટમાં ઉત્પન્ન થનારી 65 ટકાથી વધુ ઊર્જા તમિલનાડુને આપવામાં આવશે.

મિત્રો,

તમિલનાડુ દરિયાઈ વેપાર અને બંદર સંચાલિત વિકાસનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. વી ઓ ચિદંબરનર બંદર, થૂથૂકુડીને લગતા જુદા જુદા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતાં મને ખુશી થાય છે. આપણે મહાન સ્વતંત્રતા સેનાની વી ઓ સીના પ્રયાસોને યાદ કરીએ છીએ. એક ગતિશીલ ભારતીય દરિયાઈ ઉદ્યોગ અને દરિયાઈ વિકાસ માટેનું તેમનું વિઝન આપણને ઘણી પ્રેરણા આપે છે. આજે જાહેર કરવામાં આવેલ પ્રોજેક્ટ્સ આગળ જતાં આ બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાને મજબૂત બનાવશે. તે હરિયાળા બંદરની પહેલને પણ ટેકો આપશે. આ ઉપરાંત, આવનાર સમયમાં અમે પૂર્વના દરિયાકિનારા પર આ બંદરને વિશાળ ટ્રાન્સ શિપમેન્ટ બંદર બનાવવા માટેના પગલાં લઈશું. જ્યારે આપણાં બંદરો વધુ અસરકારક હશે, ત્યારે તે ભારતને આત્મનિર્ભર બનાવવામાં તેમજ વેપાર અને સાથે સાથે માલસામાન માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં યોગદાન આપે છે.

બંદર સંચાલિત વિકાસ માટેની ભારત સરકારની પ્રતિબદ્ધતા સાગરમાળા યોજનાના માધ્યમથી જોઈ શકાય છે. વર્ષ 2015-2035 સુધીના સમયગાળા માટે કુલ છ લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આશરે 575 પ્રોજેક્ટ્સ તેનું અમલીકરણ કરવા માટે ઓળખી કાઢવામાં આવ્યા છે. આ કાર્યો બંદરના આધુનિકીકરણ, નવા બંદરના વિકાસ, બંદર સંપર્ક વ્યવસ્થામાં સુધારો, બંદર સાથે જોડાયેલ ઔદ્યોગિકરણ અને દરિયાકાંઠાના સમુદાયોના વિકાસને આવરી લે છે.

મને એ બાબતનો ઉલ્લેખ કરતાં પણ હર્ષનો અનુભવ થાય છે કે ચેન્નાઈમાં શ્રીપેરૂમ્બુદૂર નજીક માપ્પેડુ ખાતે એક નવા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું પણ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ‘કોરામપલ્લમ બ્રિજનું 8 લેનિંગ અને રેલ ઓવર બ્રિજ’ને પણ ‘સાગરમાળા પ્રોજેક્ટ’ અંતર્ગત લઈ લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ બંદરેથી આવવા અને જવા માટે સુગમ અને ભીડભાડ વગરના આવાગમનની સુવિધા પૂરી પાડશે. તે માલવાહન કરતાં ટ્રક્સને આવવા જવાના સમયમાં પણ ઘટાડો કરશે.

મિત્રો,

વિકાસ અને પર્યાવરણ માટેની કાળજી એ એકબીજા સાથે સંકળાયેલા છે. વી ઓ સી બંદર પર 500 કિલોવોટ રૂફ ટોપ સોલર પાવર પ્લાન્ટ પહેલેથી જ લગાવી દેવામાં આવ્યો છે. બીજા એક 140 કિલોવોટ રૂફ ટોપ સોલર પ્રોજેક્ટ લગાવવાનું કામ પ્રગતિમાં છે. મને ખુશી થાય છે કે વી ઓ સી બંદરે ગ્રીડ સાથે સંકળાયેલ 5 મેગાવોટ ગ્રાઉન્ડ આધારિત સોલર પાવર પ્લાન્ટ લગભગ વીસ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ બંદરના કુલ ઊર્જા વપરાશના લગભગ 60 ટકા વપરાશને પહોંચી વળવામાં મદદ કરશે. તે ખરેખર ઊર્જા આત્મનિર્ભરનું એક સાચું ઉદાહરણ છે.

વ્હાલા મિત્રો,

 વિકાસના કેન્દ્રમાં પ્રત્યેક વ્યક્તિના આત્મગૌરવની ખાતરી રહેલી હોય છે. આત્મગૌરવની ખાતરી આપવાના અનેક માર્ગોમાંથી એક માર્ગ છે પ્રત્યેકને આશ્રય પ્રદાન કરવો. આપણાં લોકોના સપનાઓને અને મહત્વાકાંક્ષાઓને પાંખો પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી.

મિત્રો,

 ચાર હજાર એકસો ચુમાળીસ ઘરોનું ઉદ્ઘાટન કરવું એ મારુ સૌભાગ્ય છે. તે તીરુપ્પુર, મદુરાઇ અને તીરુચીરાપલ્લી જિલ્લાઓમાં બાંધવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની કિંમત 332 કરોડ રૂપિયા છે. આ ઘરો એવા લોકોને આપવામાં આવશે કે જેમને આઝાદીના 70 વર્ષ પછી પણ તેમના માથે ક્યારેય છત થઈ નથી.

મિત્રો,

તમિલનાડુ એ અત્યંત આધુનિક રાજ્ય છે. ભારત સરકાર અને તમિલનાડુની સરકાર શહેરોના ચોતરફા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સમગ્ર તમિલનાડુના સ્માર્ટ શહેરોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સ માટે શિલાન્યાસ કરતાં મને ખુશીની લાગણીનો અનુભવ થાય છે. તે તમામ શહેરોમાં જુદી જુદી સેવાઓ પૂરી પાડવા માટે એક બૌદ્ધિક અને સંકલિત આઈટી ઉપાયો પૂરા પાડશે.

મિત્રો,

મને વિશ્વાસ છે કે આજે જાહેર કરવામાં આવેલ પ્રોજેક્ટ્સ તમિલનાડુના લોકોના જીવન અને રોજગારીને ઘણો વેગ આપશે. જે પરિવારો આજે તેમના નવા ઘર મેળવી રહ્યા છે તેમને ખૂબ શુભેચ્છાઓ આપું છું. અમે લોકોના સપનાઓ પૂરા કરવા માટે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

આભાર.

ખૂબ ખૂબ આભાર!

વનક્કમ!

SD/GP/JD



(Release ID: 1701021) Visitor Counter : 187