નાણા મંત્રાલય

75 વર્ષથી વધુ વય ધરાવતા તથા પેન્શન અને વ્યાજની આવક ઉપર આધાર રાખતા વરિષ્ઠ નાગરિકોને આવકવેરાનુ રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામા આવી


પરવડે તેવા આવાસ/ રેન્ટલ હાઉસિંગને વધુ પ્રોત્સાહન

માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે કર રાહતો

બજેટમાં સ્ટાર્ટ-અપ્સ માટે કર પ્રોત્સાહનો જાહેર કરાયા

6 વર્ષમાં રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા 3.31 કરોડથી વધીને 6.48 કરોડ થઈ

Posted On: 01 FEB 2021 1:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્ર સરકારનું વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કર્યુ છે, જેમાં કર વ્યવસ્થાને વધુ સરળ બનાવવાની, લિટીગેશન મેનેજમેન્ટની  અને સીધા કરવેરાની વ્યવસ્થાનું આસાનીથી પાલન થઈ શકે તેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

તેમના બજેટ સંબોધનમાં નાણાં મંત્રીએ વરિષ્ઠ નાગરિકોને આવકવેરાનાં રિટર્ન ફાઈલ કરવામાં રાહત આપવાની, આવકવેરા અંગેની કાર્વાહીમાં સમય મર્યાદા ઘટાડવાની, ફેસલેસ આઈટીએટી માટે વિવાદ નિવારણ સમિતિ રચવાની, બિન-નિવાસી ભારતીયોને રાહત, ઓડિટમાંથી મુક્તિની મર્યાદા વધારવાની, અને ડિવિડન્ડની આવકમાં રાહત આપતી જાહેરાતો કરી છે.

શ્રીમતી નિર્મલા સીતારમણે તેમના બજેટ સંબોધનમાં જણાવ્યું હતું કે મહામારી પછી ભારતમાં એક નવો વિશ્વ ક્રમ ઉભરી રહ્યો છે. અને તેની મહત્વની ભૂમિકા રહેશે. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિમાં આપણી કર વ્યવસ્થા પારદર્શક અને કાર્યક્ષમ હોવી જોઈએ અને તેના થકી દેશમાં મૂડીરોકાણ અને રોજગારીને પ્રોત્સાહન મળવું જોઈએ. નાણાં મંત્રીએ જણાવ્યું કે તેની સાથે-સાથે આપણા કરદાતાઓ પર કરવેરાનો ઓછામાં ઓછો બોજ પડવો જોઈએ. તેમણે કહ્યું કે સરકારે કરદાતાઓ અને અર્થતંત્રના હિતમાં સંખ્યાબંધ સુધારા કર્યા છે, જેમાં કોર્પોરેટ કર દર ઘટાડો, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની નાબૂદી, અને નાના કર દાતાઓ માટે રિબેટમાં વધારા સહિતનાં પગલાંનો સમાવેશ થાય છે. વર્ષ 2020માં આવક વેરાનાં રિટર્ન ફાઈલ કરનાર લોકોની સંખ્યામાં નાટયાત્મક વધારો થયો છે, વર્ષ 2014માં રિટર્ન ફાઈલ કરનારની સંખ્યા 3.31 કરોડ હતી તે વધીને 6.48 કરોડ થઈ છે.   

DIRECT TAX.jpg

 

વરિષ્ઠ નાગરિકોને રાહત

દેશની આઝાદીને 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે બજેટમાં 75 વર્ષની વયના તથા તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને માટે નિયમ પાલનનો બોજ ઓછો કરવામાં આવ્યો છે. જે વરિષ્ઠ નાગરિકો માત્ર પેન્શન અને વ્યાજની આવક ધરાવતા હશે તેમને આવકવેરાનું રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

બિન- નિવાસી ભારતીયોને રાહત, ડિવિડન્ડ માટે રાહત

ભારતમાં પરત ફરતા બિન –નિવાસી ભારતીયોની હાડમારી ઓછી થાય તે માટે ફોરેન રિટાયરમેન્ટ એકાઉન્ટમાં એકત્ર થયેલી રકમ અંગે નિયમો નોટિફાય કરવાની બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે. બજેટમાં ડિવિડન્ડની ચૂકવણીમાં REIT/InvITને મૂળ સ્થાને કર કપાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફોરેન પોર્ટફોલિયો રોકાણકારોની ડિવિડન્ડની આવક ઉપર બજેટમાં ઓછો કર દર રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ડિવિડન્ડની આવક ઉપર એડવાન્સ્ડ કરની જવાબદારી ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત થવા ચૂકવણી કરવામાં આવે તે પછી જ ઉભી થશે.

પરવડે તેવા આવાસ/ રેન્ટલ હાઉસિંગ

નાણાં મંત્રીએ પરવડે તેવું મકાન ખરીદવા માટે લેવામાં આવેલા ધિરાણમાં વ્યાજની વધારાની કપાતનો દાવો કરવાની મુદત વધારીને 1.5 લાખ કરવાની દરખાસ્ત કરી છે. નાણાં મંત્રીએ પરવડે તેવાં મકાનની ખરીદી માટે લીધેલા ધિરાણમાં રૂ. 1.5 લાખ સુધીના વ્યાજના વધારાના ડીડકશન (કપાત) માટેની મુદત લંબાવીને 31, માર્ચ, 2022 કરી છે.

પરવડે તેવા મકાનોનો પુરવઠો વધે તે હેતુથી તેમણે એફોર્ડેબલ હાઉસિંગ માટે ટેક્સ હોલીડેનો દાવો કરવાની પાત્રતાનો સમય વધુ એક વર્ષ માટે એટલે કે 31 માર્ચ, 2022 સુધી લંબાવ્યો છે. પ્રવાસી શ્રમિકો માટે એફોર્ડેબલ રેન્ટલ આવાસોનો પુરવઠો વધે તે માટે તેમણે મોટિફાઈડ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ પ્રોજેકટસને માટે નવી કરમુક્તિની જાહેરાત કરી છે.   

સ્ટાર્ટ અપ્સ માટે કર લાભ

દેશમાં સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન મળે તે હેતુથી શ્રીમતી નિર્મલા સીતારમણે સ્ટાર્ટ અપ્સ માટે ટેક્સ હોલીડેનો દાવો કરવાની પાત્રતા વધુ એક વર્ષ માટે લંબાવીને તા. 31 માર્ચ, 2022 સુધીની કરી છે. સ્ટાર્ટ અપ્સ માટે ભંડોળને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમણે સ્ટાર્ટ અપ્સમાં થતા મૂડીરોકાણને કેપિટલ ગેઈનમાંથી મુક્તિ આપવાની મુદત વધુ એક વર્ષ માટે લંબાવીને 31 માર્ચ, 2022 સુધીની કરી છે. 

લેબર વેલફેર ફંડમાં માલિકોનું યોગદાન સમયસર જમા થાય તે માટે

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે વિવિધ કલ્યાણ ભંડોળોમાં માલિકોનું યોગદાન જમા કરાવવામાં વિલંબને કારણે કર્મચારીઓને વ્યાજ/ આવકમાં કાયમી ખોટ ભોગવવી પડે છે. માલિકોના હિસ્સાની રકમ સમયસર જમા થાય તેની ખાત્રી રાખવાના હેતુથી તેમણે જાહેરાત કરી છે કે માલિકોનો હિસ્સો મોડો જમા થશે તો માલિકને કર કપાતની ક્યારેય છૂટ નહીં મળે.

આવક વેરા વિભાગની કાર્યવાહી ખોલવાના સમયમાં ઘટાડો

કર પાલનનો બોજ ઘટાડવા માટે આવક વેરા વિભાગની કાર્યવાહી (પ્રોસીડીંગ્સ) ફરીથી ખોલવાની મુદત હાલમાં 6 વર્ષની છે તે ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે. કર ચોરીના ગંભીર કિસ્સાઓ કે જેમાં એક વર્ષમાં રૂ. 50 લાખ કે તેથી વધુ આવક છૂપાવી હોય તેવા કિસ્સામાં 10 વર્ષ સુધી એસેસમેન્ટ ખોલી શકાશે, પણ પ્રિન્સિપલ ચિફ કમિશનરની મંજૂરી પછી જ આ પ્રક્રિયા થઈ શકશે.

વિવાદ નિવારણ સમિતિ અને નેશનલ ફેસલેસ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સેન્ટર

કર વ્યવસ્થામાં કાનૂની વિવાદો ઘટાડવાની સરકાર ઈચ્છા ધરાવે છે તેવું જણાવતાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે સરકારે જાહેર કરેલી ‘વિવાદ સે વિશ્વાસ’ યોજનાને સારો પ્રતિભાવ હાંસલ થયો છે. 30 જાન્યુઆરી, 2021 સુધીમાં આ યોજના હેઠળ એક લાખ દસ હજારથી વધુ કરદાતાઓએ રૂ. 85,000 કરોડના કર વિવાદોની પતાવટ કરવાનું પસંદ કર્યું છે. સરકારે નાના કર દાતાઓના કાનૂની વિવાદ ઘટાડવા માટે શ્રીમતી નિર્મલા સીતારમણે વિવાદ નિવારણ સમિતિ રચવાની જાહેરાત કરી છે. રૂ. 50 લાખ સુધીની કર પાત્ર આવક ધરાવનાર અને રૂ. 10 લાખ સુધીનો કર વિવાદ ધરાવનાર આ કમિટીનો સંપર્ક કરી શકશે. કાર્યક્ષમતા, પારદર્શકતા અને જવાબદેહિતા માટે આ કમિટીની કાર્યવાહી ફેસલેસ રહેશે. તેમણે નેશનલ ફેસલેસ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સેન્ટર સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.

ડિજિટલ વ્યવહારો માટે ટેક્સ ઓડીટની મર્યાદામાં વધારો  

ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળે તે હેતુથી અને પોતાના લગભગ તમામ આર્થિક વ્યવહારો ડિજિટલ પધ્ધતિથી કરનાર વ્યક્તિનો બોજ ઘટાડવા માટે બજેટમાં 95 ટકા આર્થિક વ્યવહારો ડિજિટલ પધ્ધતિથી કરનારની ટેક્સ ઓડિટની મર્યાદા રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ સુધીની કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

વિદેશી મૂડીરોકાણોને પ્રોત્સાહનો

માળખાગત સુવિધાઓ (ઈનફ્રાસ્ટ્રકચર) માં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે બજેટમાં પ્રાઈવેટ ફંડીંગ ઉપર પ્રતિબંધ, કોમર્શિયલ પ્રવૃત્તિઓ પરનાં નિયંત્રણો તથા માળખાગત સુવિધાઓમાં સીધા મૂડી રોકાણની કેટલીક શરતો હળવી કરવાની જાહેરાત કરી છે. માળખાગત સુવિધાઓમાં ઝીરો કૂપન બોન્ડથી ફંડીંગ થઈ શકે તે માટે બજેટમાં કર કાર્યક્ષમ ઝીરો કૂપન બોન્ડ ઈસ્યુ કરીને નેટિફાઈડ ઈનફ્રાસ્ટ્રકચર ડેબ્ટ બોન્ડ માટે છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આઈએફએસસીને કર પ્રોત્સાહન

ગિફ્ટ સીટીમાં ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) ને પ્રોત્સાહન માટે બજેટમાં એરક્રાફટ લીઝીંગ કંપનીઓની આવકને કેપિટલ ગેઈનમાં ટેક્સ હોલીડે, વિદેશના ભાડે આપનારને આપવાનાં થતા એરક્રાફટ લીઝના ભાડામાં કર મુક્તિ, આઈએફએસસી ફરીથી ભંડોળ લગાવનારને કર પ્રોત્સાહનો અને આઈએફએસસી આવેલી વિદેશી બેંકોના ઈનવેસ્ટમેન્ટ ડિવિઝનને કરમુક્તિ આપવાનો સમાવેશ થાય છે.

નાનાં ટ્રસ્ટસને રાહત

શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્પિટલ ચલાવતાં નાનાં ચેરીટેબલ ટ્રસ્ટસનો નિયમ પાલનનો બોજ ઘટાડવા માટે બજેટમાં આવા ટ્રસ્ટ માટે વાર્ષિક આવકની મર્યાદા વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે. હાલમાં આ મર્યાદા રૂ. 1 કરોડની છે તે વિવિધ નિયમ પાલન કરવું પડે નહીં તે માટે રૂ. 5 કરોડની કરવામાં આવી છે.

ફેસલેસ આઈટીએટી

શ્રીમતી નિર્મલા સીતારમણે વધુમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલને ફેસલેસ બનાવવાની દરખાસ્ત કરી છે. તેમણે નેશનલ ફેસલેસ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે કે જેમાં ટ્રિબ્યુનલ અને અપીલ કરનાર વચ્ચેનું તમામ કોમ્યુનિકેશન ઈલેક્ટ્રોનિક સ્વરૂપે થશે.  

રિટર્નનું પ્રિ-ફાઈલીંગ

રિટર્ન ફાઈલીંગની વ્યવસ્થા આસાન બને તે હેતુથી બજેટમાં લીસ્ટેડ સિક્યુરિટીઝમાંથી કેપિટલ ગેઈન્સની વિગતો, ડિવિડન્ડની આવક અને બેંકો, પોસ્ટ ઓફિસ વગેરે તરફથી મળતું વ્યાજ વગેરે પણ રિટર્નમાં પ્રિ- ફાઈલ કરવામાં આવશે. વેતનની આવકની વિગત, ટીડીએસ વગેરેનો સમાવેશ અગાઉ પ્રિ-ફાઈલ્ડ રિટર્નમાં થઈ ચૂક્યો છે.

 

SD/GP/BT

 



(Release ID: 1694053) Visitor Counter : 323