આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે વિવિધ અનાજ (ચોખા, ઘઉં, બાજરી, મકાઈ અને જુવાર), શેરડી, ખાંડના રસ વગેરેમાંથી 1 જનરેશન (1જી) ઇથેનોલનું ઉત્પાદન કરવા દેશમાં ઇથેનોલ ડિસ્ટિલેશન ક્ષમતા વધારવા સંશોધિત યોજનાને મંજૂરી આપી

Posted On: 30 DEC 2020 3:44PM by PIB Ahmedabad

ખાંડની સિઝન 2010-11થી અત્યાર સુધી દેશમાં ખાંડનું જંગી કે પુરાંત ઉત્પાદન થાય છે (ખાંડની સિઝન 2016-17માં દુષ્કાળને કારણે ઘટાડો થયા સિવાય). વળી આગામી વર્ષોમાં શેરડીની સંવર્ધિત જાતો પ્રસ્તુત થવાને કારણે પણ દેશમાં ખાંડનું ઉત્પાદન પુરાંત જળવાઈ રહે એવી શક્યતા છે. ખાંડની સાધારણ સિઝન (ઓક્ટોબરથી સપ્ટેમ્બર)માં ખાંડનું આશરે 320 લાખ મેટ્રિક ટન (એલએમટી) ઉત્પાદન થાય છે અને આપણો સ્થાનિક વપરાશ આશરે 260 એલએમટી છે. એટલે 60 એલએમટીની પુરાંત ખાંડથી મિલની બહાર ખાંડની કિંમત પર સ્થાનિક બજારમાં દબાણ ઊભું થાય છે. સાથે 60 એલએમટીનો પુરાંત જથ્થો વેચાયા વિના રહેવાથી ખાંડની મિલોનું આશરે રૂ. 19,000 કરોડનું ફંડ બ્લોક થઈ જાય છે, જેની અસર ખાંડની મિલોની લિક્વિડિટી (નાણાકીય પ્રવાહિતતા) પર પડે છે અને સરવાળે શેરડીના ખેડૂતોનું એરિયર્સ વધતું જાય છે. ખાંડના પુરાંત જથ્થાનો અસરકારક ઉપયોગ કરવા ખાંડની મિલો ખાંડની નિકાસ કરે છે, જે માટે સરકારે નાણાકીય સહાય કરી છે. ઉપરાંત વિકાસશીલ દેશ તરીકે ભારત ડબલ્યુટીઓ (વિશ્વ વેપાર સંસ્થા)ની ગોઠવણો અનુસાર વર્ષ 2023 સુધી ખાંડની નિકાસને નાણાકીય સહાય આપી શકે છે.

આ સ્થિતિસંજોગોમાં પુરાંત જથ્થાનો નિકાલ કરવા માટે વધારાની શેરડી અને ખાંડને ઇથેનોલનું ઉત્પાદન કરવા તરફ વાળવી ઉપયોગી રીત છે. વધારાની ખાંડને આ રીતે વાળવાથી મિલની બહાર સ્થાનિક બજારમાં ખાંડની કિંમતો સ્થિર જાળવવામાં મદદ મળશે અને એનાથી ખાંડની મિલોને સંગ્રહ કરવાની સમસ્યામાંથી પણ રાહત મળશે. એનાથી ખાંડની મિલોનો રોકડપ્રવાહ પણ વધશે અને તેમને શેરડીના ખેડૂતોની બાકી નીકળતી રકમ ચુકવવાની સુવિધા મળશે તેમજ આગામી વર્ષોમાં કામગીરી કરવા મિલોને સરળતા રહેશે.

સરકારે વર્ષ 2022 સુધીમાં પેટ્રોલમાં ઇંધણ ગ્રેડનું ઇથેનોલ મિશ્ર કરવાનો લક્ષ્યાંક 10 ટકા અને વર્ષ 2030 સુધીમાં 20 ટકા કરવાનો નિર્ધારિત કર્યો છે. ખાંડના ક્ષેત્રને ટેકો આપવા અને શેરડીના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે બી-હેવી મોલાસીસ, શેરડીના રસ, ખાંડના સીરપ અને ખાંડમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવાની મંજૂરી પણ આપી છે તેમજ ઇથેનોલની સિઝન માટે સી-હેવી મોલાસીસ, બી-હેવી મોલાસીસ અને શેરડીના રસ / ખાંડ / ખાંડના સીરપમાંથી પ્રાપ્ત ઇથેનોલની મિલની બહાર વળતરદાયક કિંમત નક્કી કરી છે. ઇથેનોલના પુરવઠા વર્ષ 2020-21 માટે સરકારે વિવિધ અનાજના સ્ટોકમાંથી પ્રાપ્ત ઇથેનોલની મિલની બહાર કિંમતોમાં વધારો પણ કર્યો છે.

ઇંધણના ગ્રેડના ઇથેનોલનું ઉત્પાદન વધારવા સરકારે એફસીઆઈ (ભારતીય ખાદ્યાન્ન નિગમ) પાસે ઉપલબ્ધ મકાઈ અને ચોખામાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવા ડિસ્ટલરીઓને પ્રોત્સાહન પણ આપ્યું છે. સરકારે મકાઈ અને ચોખામાંથી ઇથેનોલનું વળતરદાયક કિંમત નક્કી કરી છે.

સરકાર પેટ્રોલમાં ઇથેનોલના 20 ટકા મિશ્રણના લક્ષ્યાંકને ઘટાડવાની યોજના પણ ધરાવે છે. જોકે દેશમાં અત્યારે ચીનના પુરાંત જથ્થામાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવા અને એનો પુરવઠો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પૂરો પાડવાની પર્યાપ્ત ક્ષમતા નથી, જ્યારે ભારત સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.

આ ઉપરાંત પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક શેરડી / ખાંડને વાળવાથી હાંસલ ન થઈ શકે. આ માટે અન્ય ખાદ્ય સામગ્રીઓ જેમ કે અનાજ, ખાંડના રસ વગેરેમાંથી 1 જનરેશન (1જી) ઇથેનોલનું ઉત્પાદન કરવું જરૂરી છે, જે માટે દેશમાં પર્યાપ્ત ક્ષમતા નથી. એટલે દેશમાં 1જી ઇથેનોલનું ઉત્પાદન કરવા વિવિધ અનાજ (ચોખા, ઘઉં, જવ, મકાઈ અને બાજરી) શેરડી અને ખાંડના રસ વગેરેમાંથી ઇથેનોલ મેળવવાની ક્ષમતા વધારવાની તાતી જરૂર છે.

એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ નીચેની બાબતોને મંજૂરી આપી છેઃ

  1. નીચેની કેટેગરીઓ માટે ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા વધારવા વ્યાજની સહાય આપવા માટે એક સંશોધિત યોજના રજૂ કરવામાં આવેઃ
  2. ઇથેનોલનું ઉત્પાદન કરવા અનાજ આધારિત ડિસ્ટલરીઓ સ્થાપિત કરવી / અનાજ આધારિત ડિસ્ટલરીઓની હાલની ક્ષમતા વધારવી. જોકે વ્યાજમાં સહાયનો લાભ એ ડિસ્ટિલરીઓને જ મળશે, જેઓ મિલિંગની શુષ્ક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે.
  3. ઇથેનોલનું ઉત્પાદન કરવા મોલાસીસ આધારિત નવી ડિસ્ટિલરીઓ સ્થાપિત કરવી/હાલની ડિસ્ટિલરીઓની ક્ષમતા વધારવી (ખાંડની મિલો સાથે સંલગ્ન હોય કે સ્વતંત્રપણે કામ કરતી હોય) તેમજ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) હાંસલ કરવા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મંજૂર કોઈ પણ પદ્ધતિ સ્થાપિત કરવા.
  4. મોલાસીસ અને અનાજમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવા ડિસ્ટિલરીઓ સ્થાપિત કરવી અથવા આ પ્રકારની હાલની ડિસ્ટિલરીઓની ઉત્પાદન ક્ષમતા વધારવી.
  5. હાલની મોલાસીસ આધારિત ડિસ્ટિલરીઓ (ખાંડની મિલો સાથે સંલગ્ન કે સ્વતંત્રપણે કામ કરતી)ને ડ્યુઅલ ફીડ (એટલે કે મોલાસીસ અને અનાજ/કે અન્ય કોઈ પણ અનાજમાંથી 1જી ઇથેનોલનું ઉત્પાદન કરતી) ડિસ્ટિલરીઓમાં બદલવા અને અનાજ આધારિત ડિસ્ટિલરીઓને ડ્યુઅલ ફીડમાં પરિવર્તિત કરવા પણ.
  6. ખાંડના રસ, મીઠી જુવાર, અન્ય અનાજ વગેરેમાંથી 1જી ઇથેનોલનું ઉત્પાદન કરવા નવી ડિસ્ટિલરીઓની ઊભી કરવી / હાલની ડિસ્ટિલરીઓની ઉત્પાદનક્ષમતા વધારવી
  7. હાલની ડિસ્ટિલરીઓમાં સંશોધિત સ્પિરિટને ઇથેનોલમાં પરિવર્તિત કરવા મોલીક્યુલર સીઇવ ડિહાઇડ્રેશન (એમએસડીએચ) કોલમ સ્થાપિત કરવા.

ii) સરકાર યોજના રજૂ કરનાર દરખાસ્તકારો દ્વારા બેંકોમાંથી લેવામાં આવેલી લોનના વ્યાજના ખર્ચનું 5 વર્ષ સુધી વહન કરશે, જેમાં એક વર્ષનો મોરેટોરિયમ ગાળો પણ સામેલ હશે. આ રકમ દર વર્ષે 6 ટકાની દરથી કે બેંક દ્વારા લેવામાં આવતા વ્યાજની દરનો 50 ટકા, બેમાંથી જે ઓછો હશે, એ હશે.

iii) વ્યાજમાં સહાય એ ડિસ્ટિલરીઓને જ મળશે, જે પોતાની સંવર્ધિત ક્ષમતાના ઓછામાં ઓછો 75 ટકા ઉત્પાદિત ઇથેનોલનો પુરવઠો પેટ્રોલમાં મિશ્રણ માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પૂરો પાડશે.

સૂચિત પહેલથી વિવિધ અનાજના જથ્થામાંથી 1જી ઇથેનોલનું ઉત્પાદન વધશે, જેથી પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક હાંસલ થશે અને સ્વદેશી, બિનપ્રદૂષક અને સતત પ્રાપ્ત થનાર ઇંધણ તરીકે ઇથેનોલને પ્રોત્સાહન મળશે. વળી એનાથી પર્યાવરણ અને ઇકો-સિસ્ટમમાં સુધારો થશે, પરિણામે ઓઇલના આયાત ખર્ચમાં બચત થશે. વળી ખેડૂતોની બાકી નીકળતી રકમની સમયસર ચુકવણી પણ સુનિશ્ચિત થશે.

સૂચિત પહેલ

વર્ષ 2030 સુધીમાં 20 ટકા મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કરવા તથા રસાયણ અને અન્ય ક્ષેત્રની જરૂરિયાતો પૂર્ણ કરવા આશરે 1400 કરોડ લિટર આલ્કોહોલ / ઇથેનોલની જરૂર પડશે, જેમાંથી 1000 કરોડ લિટરની જરૂર 20 ટકા મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે થશે અને 400 કરોડ લિટરની જરૂર રસાયણ અને અન્ય ક્ષેત્રની જરૂરિયાત પૂર્ણ કરવા માટે થશે. કુલ 1400 કરોડ લિટરની જરૂરિયાતમાંથી 700 કરોડ લિટરની જરૂરિયાત ખાંડ ઉદ્યોગ દ્વારા પૂરી કરવામાં આવશે અને બાકીના 700 કરોડ લિટરની જરૂરિયાત અનાજ આધારિત ડિસ્ટિલરીઓ પૂરી કરે એ જરૂરી છે. ખાંડ ઉદ્યોગ દ્વારા 700 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરવા વધારાની આશરે 60 લાખ મેટ્રિક ટન (એલએમટી) ખાંડનો ઉપયોગ થશે, જેનાથી ખાંડના વધારાના જથ્થાની સમસ્યાનું સમાધાન પણ મળશે, ખાંડ ઉદ્યોગને એનો સંગ્રહ કરવાની સમસ્યામાંથી રાહત મળશે અને ખાંડની મિલોની આવકમાં વધારો થશે, જેથી આ મિલો શેરડીના ખેડૂતોને શેરડીની ચુકવણી સમયસર કરી શકશે. શેરડીના આશરે 5 કરોડ ખેડૂતો અને તેમના પરિવારજનો તેમજ 5 લાખ કામદારો ખાંડની મિલો અને અન્ય સંલગ્ન કામગીરીઓ સાથે જોડાયેલા છે, જેમને આ પહેલથી લાભ થશે.

ખાદ્યાન્નમાંથી 700 કરોડ લિટર ઇથેનોલ / આલ્કોહોલનું ઉત્પાદન કરવા આશરે 175 લાખ મેટ્રિક ટનનો ઉપયોગ થશે. આ વધારાના ખાદ્યાન્નનો વપરાશ થવાથી છેવટે ખેડૂતોને લાભ થશે, કારણ કે તેમને તેમના ઉત્પાદન માટે વધારે સારાં ભાવ મળશે અને સુનિશ્ચિત ગ્રાહકો મળશે. આ રીતે દેશભરમાં કરોડો ખેડૂતોની આવક પણ વધશે.

ખાંડ અને ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વ ત્રણ રાજ્યો – ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થાય છે. આ ત્રણ રાજ્યોમાંથી દૂરના રાજ્યોમાં ઇથેનોલનું પરિવહન કરવામાં પરિવહનનો જંગી ખર્ચ સંકળાયેલો છે. આખા દેશમાં નવી અનાજ આધારિત ડિસ્ટિલરીઓ શરૂ કરવાથી ઇથેનોલના ઉત્પાદનનું વિકેન્દ્રીકરણ થશે તેમજ પરિવહનના ખર્ચમાં ઘણી બચત થશે અને એનાથી મિશ્રણના લક્ષ્યાંકને હાંસલ કરવામાં વિલંબ ટળશે તથા દેશભરના ખેડૂતોને લાભ પણ થશે.

છેલ્લાં 6 વર્ષમાં ડિસ્ટિલેશન ક્ષમતા અને મિશ્રણનું સ્તર વધારવામાં સરકારની સફળતા

  1. સરકારે મોટર ઇંધણમાં ઇથેનોલના મિશ્રણનો લક્ષ્યાંક વર્ષ 2022માં 10 ટકા અને વર્ષ 2030 સુધીમાં 20 ટકા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. વર્ષ 2014 સુધી મોલાસીસ આધારિત ડિસ્ટલરીઓની ઇથેનોલ ડિસ્ટિલેશન ક્ષમતા 200 કરોડ લિટરથી ઓછી હતી. જોકે છેલ્લાં 6 વર્ષમાં મોલાસીસ આધારિત ડિસ્ટિલરીની ક્ષમતા બમણી થઈ છે અને અત્યારે 426 કરોડ લિટર છે. મિશ્રણના લક્ષ્યાંક હાંસલ કરવાની બાબતને ધ્યાનમાં રાખીને સરકાર વર્ષ 2024 સુધીમાં દેશમાં ઇથેનોલ ડિસ્ટિલેશન ક્ષમતા વધારીને બમણી કરવા સંકલિત પ્રયાસો કરી રહી છે.
  1. ઇથેનોલનું પુરવઠા વર્ષ (ઇએસવાય) 2013-14માં ઓએમસીને ઇથેનોલનો પુરવઠો 40 કરોડ લિટરથી ઓછો હતો, જેથી મિશ્રણનું સ્તર ફક્ત 1.53 ટકા હતું. જોકે કેન્દ્ર સરકારના સંકલિત પ્રયાસોને કારણે છેલ્લાં 6 વર્ષમાં ઇંધણ ગ્રેડના ઇથેનોલનું ઉત્પાદન અને ઓએમસીને એનો પુરવઠો 4 ગણો વધ્યો છે. ઇએસવાય 2018-19માં આપણે આશરે 189 લિટરની વિક્રમ સપાટીને આંબી ગયા હતા અને પરિણામે 5 ટકા મિશ્રણનું સ્તર હાંસલ થયું હતું. જોકે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાંક વિસ્તારોમાં દુષ્કાળ પડવાથી ખાંડની સિઝન 2019-20માં ખાંડનું ઉત્પાદન અને પરિણામે મોલાસીસનું ઉત્પાદન ઓછું થયું હતું. એટલે ઇએસવાય 2019-20માં ઓએમસીને ડિસ્ટલરીઓ દ્વારા આશરે 172.50 કરોડ લિટરના ઇથેનોલનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો અને મિશ્રણનું 5 ટકા સ્તર હાંસલ થયું હતું. ઇથેનોલના પુરવઠાની ચાલુ સિઝન 2020-21માં ઓએમસીને આશરે 325 કરોડ લિટર ઇથેનોલનો પુરવઠો પૂરો પાડવામાં આવે એવી શક્યતા છે, જેથી મિશ્રણમાં 8.5 ટકાનું સ્તર હાંસલ થશે એવી અપેક્ષા છે. આપણે વર્ષ 2022 સુધીમાં ઇથેનોલના 10 ટકા મિશ્રણના સ્તરનાં લક્ષ્યાંકને હાંસલ કરીશું એવી શક્યતા છે.
  2. મિશ્રણનાં સ્તરમાં વધારાની સાથે અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતામાં ઘટાડો થશે અને સાથે સાથે હવાના પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. વળી ડિસ્ટલરીની વધારાની/નવી ક્ષમતામાં આગામી રોકાણને કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની વિવિધ નવી તકો પણ ઊભી થશે, જેથી આત્મનિર્ભર ભારતનો લક્ષ્યાંક પાર પડશે.

SD/GP

 

 



(Release ID: 1684671) Visitor Counter : 336