પ્રધાનમંત્રીનું કાર્યાલય

જી-20 નેતાઓની 15મી શિખર મંત્રણા (21-22 નવેમ્બર 2020)

Posted On: 19 NOV 2020 8:33PM by PIB Ahmedabad

સાઉદી અરબમાં બે પવિત્ર મસ્જિદના અભિરક્ષક મહામહિમ કિંગ સુલેમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદના આમંત્રણના પગલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21-22 નવેમ્બર 2020ના રોજ યોજાનારી 15મી જી-20 શિખર મંત્રણામાં ભાગ લેશે. સાઉદી અરબના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ શિખર મંત્રણાની થીમ “સૌના માટે 21મી સદીની તકો સાકાર કરવી” રાખવામાં આવી છે. આ બેઠકનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે.

આ શિખર મંત્રણા વર્ષ 2020ની જી-20 નેતાઓની બીજી બેઠક હશે. પ્રધાનમંત્રી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ વચ્ચે થયેલા ટેલિફોનિક વાર્તાલાપના પગલે, ગત જી-20 નેતાઓની અસાધારણ શિખર મંત્રણા માર્ચ 2020માં યોજવામાં આવી હતી જેમાં નેતાઓએ કોવિડ-19 મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે મદદરૂપ થવા માટે જી-20 દેશોમાં સમયસર સમજણ કેળવી હતી અને વૈશ્વિક સહકારનો પ્રતિભાવ આગળ ધપાવ્યો હતો.

આ જી-20 શિખર મંત્રણામાં કોવિડ-19 રોગચાળામાંથી સમાવેશક, સ્થિતિસ્થપક અને ટકાઉક્ષમ રીતે સાજા થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જી-20 શિખર મંત્રણા દરમિયાન, નેતાઓ મહામારી અંગેની તૈયારીઓ અને નોકરીઓ પુનઃસ્થાપિત કરવા માટેની વિવિધ રીતો અને માધ્યમો પર ચર્ચા કરશે. આ નેતાઓ સહિયારા, ટકાઉક્ષમ અને અનુકૂળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે પોતાની દૂરંદેશીના અભિપ્રાયોનું આદાનપ્રદાન કરશે.

ઇટાલી જ્યારે 1 ડિસેમ્બર 2020ના રોજ જી-20ના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળશે ત્યારે સાઉદી અરબની સાથે ભારત પણ જી-20 ટ્રોઇકામાં દાખલ થશે.

 

SD/GP/BT



(Release ID: 1674217) Visitor Counter : 202