પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોરોનાની રસી વિકસાવવા, દવાનું સંશોધન કરવા, નિદાન અને પરીક્ષણ કરવા અંગે ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી
પોસ્ટેડ ઓન:
05 MAY 2020 11:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ભારતના રસી વિકસાવવાના, દવા શોધવાના, નિદાન અને પરીક્ષણ કરવાના પ્રયાસોની હાલની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. ભારતમાં રસી બનાવતી કંપનીઓ એમની ગુણવત્તા, ઉત્પાદન ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી માટે પ્રસિદ્ધ છે. અત્યારે આ કંપનીઓ રસી વિકાસ સંશોધનના પ્રાથમિક તબક્કામાં ઇનોવેટર્સ તરીકે આગળ આવી છે. એ જ રીતે ભારતીય શિક્ષાવિદો, વૈજ્ઞાનિકો અને સ્ટાર્ટ-અપ્સ પણ આ ક્ષેત્રમાં પથપ્રદર્શક છે. ભારતમાં અત્યારે 30થી વધારે રસીઓ કોરોના રસી વિકસાવવાનાં વિવિધ તબક્કામાં છે, જેમાંથી થોડી રસીઓ પરીક્ષણના તબક્કામાંથી પસાર થઈ રહી છે.
એ જ રીતે દવાનો વિકાસ કરવા ત્રિપાંખિયો અભિગમ વિકસાવવામાં આવ્યો છે. પ્રથમ, હાલની દવાઓનો ઉપયોગ નવા ઉદ્દેશ માટે કરવો. આ કેટેગરીમાં ઓછામાં ઓછી ચાર દવાઓનું સંશ્લેષણ અને પરીક્ષણ થઈ રહ્યું છે. બીજું, નવી પ્રતિનિધિ દવાઓ વિકસાવવી અને અણુ કે પરમાણુને પ્રયોગશાળામાં વેરિફિકેશન સાથે અતિ સક્ષમ કમ્પ્યુટેશનલ અભિગમ સાથે જોડીને આગળ વધારવામાં આવે છે. ત્રણ, વાયરલવિરોધી ગુણો માટે પ્લાન્ટમાં અર્ક અને ઉત્પાદનોની ચકાસણી ચાલુ છે.
નિદાન અને પરીક્ષણમાં કેટલીક શૈક્ષણિક સંશોધન સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સે નવા ટેસ્ટ વિકસાવ્યાં છે, જે આરટી-પીસીઆર અભિગમ અને એન્ટિબોડી નિદાન એમ બંને પ્રકારની પ્રક્રિયા ધરાવે છે. આ ઉપરાંત દેશભરની પ્રયોગશાળાઓને એકબીજા સાથે જોડવાથી આ બંને પ્રકારનાં પરીક્ષણો માટેની ક્ષમતામાં મોટો વધારો થયો છે. ટેસ્ટિંગ માટે રિએજન્ટોને મોકલવાની સમસ્યાનું સમાધાન ભારતીય સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગના કન્સોર્ટિયાએ કર્યું છે, જેથી હાલની જરૂરિયાતો પૂર્ણ થઈ છે. અત્યારે આ ક્ષેત્રમાં લાંબા ગાળાના ઉદ્યોગને વિકસાવવા માટે રહેલી સંભવિતતા પર ભાર મૂકવામાં પણ આવ્યો છે.
પ્રધાનમંત્રીએ આ સમીક્ષામાં એકેડમિયા, ઉદ્યોગ અને સરકારના એકમંચ પર આવવાના અભિગમને અસાધારણ ગણાવ્યો હતો, જેથી નિયમનકારક પ્રક્રિયા ઝડપી, પણ અસરકારક બને. પ્રધાનમંત્રી એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, આ પ્રકારનું સંકલન અને ઝડપને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી)માં સામેલ કરવી જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે, અત્યારે કટોકટીમાં જે શક્ય છે એ આપણા નિયમિત વૈજ્ઞાનિક કાર્યોનો ભાગ બને એવો પ્રયાસ કરવો જોઈએ.
દવાનું સંશોધન કરવાની પ્રક્રિયામાં કમ્પ્યુટર સાયન્સ, કેમિસ્ટ્રી અને બાયોટેકનોલોજીના વૈજ્ઞાનિકો સંયુક્તપણએ કામ કરી રહ્યાં છે. આ અભિગમની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ આ વિષય પર હેકેથોન યોજવાનું, કમ્પ્યુટર સાયન્સને પ્રયોગશાળામાં સંશ્લેષણ અને પરીક્ષણ સાથે જોડવાનું સૂચન કર્યું હતું. હેકેથોનમાંથી સફળ ઉમેદવારને એના વિચારને આગળ વધારવા અને મોટા પાયે અજમાવવા સ્ટાર્ટ-અપ્સ દ્વારા લઈ શકાશે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતીય વૈજ્ઞાનિકો બેઝિકથી એપ્લાઇડ સાયન્સમાં નવીન અને સાચી રીતે ઉદ્યોગો સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. આ બાબત ખરેખર આનંદદાયક છે. આગળ જતાં આપણો આ પ્રકારનો ઓરિજિનલ, સન્માનયુક્ત અને અર્થપૂર્ણ અભિગમ જળવાઈ રહેવો જોઈએ. પછી જ આપણે વિજ્ઞાનની દુનિયામાં શ્રેષ્ઠ દેશોની હરોળમાં સ્થાન મેળવી શકીશું.
GP/DS
(રીલીઝ આઈડી: 1621332)
મુલાકાતી સંખ્યા : 297
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada