PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
03 MAY 2020 6:24PM by PIB Ahmedabad
 
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન 
Date: 3.5.2020
Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 10,632 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 682 દર્દી સાજા થઇ ગયા છે. જે 26.59% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 39,980 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2644 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. ડૉ. હર્ષવર્ધને ભારતના લોકોને લૉકડાઉન 3.0 (17 મે 2020)નું અક્ષરશઃ પાલન કરવાની વિનંતી કરી હતી કારણ કે કોવિડ 19ના સંક્રમણની સાંકળ તોડવા માટે આ એકમાત્ર અસરકારક રીત છે. તેમણે દેશવાસીઓને વિનંતી કરી હતી કે, કોવિડ-19 દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો અને સ્ટાફ સાથે ગેરવર્તણૂક ન કરવી અને જેઓ કોવિડ-19 બીમારીનો સામનો કરી રહ્યા છે તેવા દર્દીઓ સાથે પણ ખરાબ વ્યવહાર ન કરવો.
પ્રધાનમંત્રીએ ભારતમાં વિકાસને વેગ આપવા માટે આર્થિક ક્ષેત્રો, માળખાકીય અને કલ્યાણકારક પગલાં અંગે ચર્ચા માટે વિસ્તૃત બેઠક યોજી
પ્રધાનમંત્રીએ વર્તમાન સ્થિતિના સંદર્ભમાં દેશમાં વિકાસને વેગ આપવા માટે આર્થિક ક્ષેત્રમાં હસ્તક્ષેપો તેમજ માળખાકીય સુધારા અંગે વ્યૂહાત્મક ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. નાણામંત્રી અને આ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકમાં પ્રધાનમંત્રીએ MSME અને ખેડૂતોને સહકાર આપવા માટે, બજારમાં તરલતા વધારવા માટે અને ધિરાણનો પ્રવાહ વધુ મજબૂત બનાવવા માટેની રણનીતિ અને હસ્તક્ષેપો પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કોવિડ-19ના કારણે ઉભી થયેલી સ્થિતિમાં આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની રીતો અને માધ્યમો અંગે તેમજ આ બીમારીની અસરોમાંથી વ્યવસાયો ઝડપથી રીકવર થઇ શકે તે માટે લેવામાં આવેલા પગલાંઓ અંગે પણ ચર્ચા કરી હતી. કામદારો અને સામાન્ય લોકોની સુખાકારીના મુદ્દે ચર્ચા કરતી વખતે પ્રધાનમંત્રીએ ખાસ ટાંક્યું હતું કે, કોવિડ-19ના કારણે ઉભા થયેલા વિક્ષેપોના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વ્યવસાયોને આ સ્થિતિમાંથી બહાર લાવવામાં મદદ કરીને રોજગારીની લાભદાયક તકો ઉભી કરવાની જરૂર છે.
રેલવે માત્ર રાજ્ય સરકારો દ્વારા લાવવામાં આવેલા અને સુવિધા આપેલા મુસાફરોને સ્વીકારે છે
વિસ્થાપિત શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય ફસાયેલા લોકો માટે ચાલવવામાં આવી રહેલી કેટલીક વિશેષ ટ્રેનો માત્ર રાજ્ય સરકારની વિનંતીના આધારે જ ચલાવવામાં આવે છે તેવી અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે. અન્ય તમામ મુસાફર ટ્રેનોની સેવાઓ રદ કરવામાં આવી છે. રેલવે માત્ર રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા અને તેમને સુવિધા આપવામાં આવેલા મુસાફરોને જ સ્વીકારે છે.
ડૉ. હર્ષવર્ધને લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજની મુલાકાત લઇને કોવિડ-19 વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરી
કોવિડ-19નો સામનો કરી રહેલા અગ્ર હરોળના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને દર્દીઓની કાળજી લેનારા તમામ સ્ટાફની ફરજ માટેની દૃઢતા, સખત પરિશ્રમ અને સમર્પણ તેમજ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, "કોવિડ 19ના દર્દીઓ સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે અને તે દર્શાવે છે કે વધુને વધુ દર્દીઓ સારી સ્થિતિમાં આવી રહ્યા છે અને તેમના ઘરે પરત ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં કોવિડના 10,000થી વધુ દર્દી સાજા થયા છે અને તેઓ સામાન્ય જીવન જીવવા લાગ્યા છે. અન્ય હોસ્પિટલોમાં રહેલા મોટાભાગના અન્ય દર્દીઓ પણ સાજા થવાના માર્ગે છે. તે પ્રતિબિંબિત કરે છે કે, ભારતમાં આપણા અગ્ર હરોળના યોદ્ધાઓ તેમની ગુણવત્તાપૂર્ણ સંભાળ લઇ રહ્યા છે. હું તેમની આ સફળતા બદલ અભિનંદન પાઠવું છું."
કોરોના યોદ્ધાઓને ભારતે સલામી આપી
કોરોના યોદ્ધાઓના સતત સાથસહકારથી ભારત કોરોના વાયરસ સામે સફળતાપૂર્વક લડાઈ લડી રહ્યો છે. IAF આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સાધનસામગ્રીઓનો પુરવઠો પૂરો પાડીને કોરોનાના પ્રસારને અટકાવવાની દિશામાં દેશમાં ચાલી રહેલા પ્રયાસોમાં યોગદાન આપી રહી છે. 600 ટનથી વધારે ચિકિત્સા ચીજવસ્તુઓના પુરવઠા અને ચિકિત્સકો, ચિકિત્સા સહાયકો અને કોવિડ પરીક્ષણ પ્રયોગશાળાઓની સ્થાપના માટે ઉપકરણો વગેરે હવાઈ માધ્યમથી પહોંચાડવામાં આવ્યાં છે. આઈએએફના કર્મચારીઓ કોરોના સામેની લડાઈમાં આગળ પણ યોગદાન આપતા રહેશે. ભારતમાં તમામ કોરોના યોદ્ધાઓનો આભાર માનવા માટે આઈએએફ પોતાની સહાયક સેવાઓની સાથે ભારતનાં આ બહાદુર યોદ્ધાઓને સલામી આપવાની યોજના બનાવી રહી છે. આઈએએફ આ સલામી પોતાના ખાસ અંદાજમાં આપશે. બહાદુર કોરોના યોદ્ધાઓને સલામી આપવા માટે ભારતીય વાયુ સેનાએ પોતાના વિમાનોને ફ્લાઈ પોસ્ટ કરવાની યોજના બનાવી છે. આ એવા યોદ્ધા છે, જેઓ કોરોના વાયરસ રોગચાળાના આ અનપેક્ષિત સંકટના ગાળામાં થાક્યા વિના અને નિઃસ્વાર્થ ભાવ સાથે કામ કરી રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ વંદન કર્યા
શ્રી અમિત શાહે ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ભારત પોતાના વીર કોરોના યોદ્ધાઓને વંદન કરે છે. હું આ સૌને વિશ્વાસ અપાવું છું કે, મોદી સરકાર અને સમગ્ર દેશ તમારી પડખે ઉભો છે. દેશને કોરોનાથી મુક્ત કરવામાં આપણે જે પડકારોને સામનો કરી રહ્યા છીએ તેને તકોમાં બદલવાની છે અને એક સ્વસ્થ, સમૃદ્ધ તેમજ સશક્ત ભારતનું નિર્માણ કરીને સમગ્ર દુનિયાને એક દ્રષ્ટાંત પૂરું પાડવાનું છે. જય હિંદ!”
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ નવી દિલ્હીમાં ધોરણ 9 અને 10 માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું
આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, આ કેલેન્ડર શિક્ષકોને વિવિધ ટેકનોલોજીકલ માધ્યમો અને સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરવા અંગે શિક્ષકોને માર્ગદર્શન પ્રદાન કરશે, જેથી રસપ્રદ રીતો દ્વારા સંપૂર્ણ શિક્ષણ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. એનો ઉપયોગ વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો ઘરેથી પણ કરી શકશે. જોકે એમાં મોબાઇલ, રેડિયો, ટેલીવિઝન, એસએમએસ અને વિવિધ સોશિયલ મીડિયા જેવા માધ્યમોની સુલભતાના વિવિધ સ્તરોને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.
ભારતીય લોકપાલના ન્યાયિક સભ્ય, જસ્ટિક અજયકુમાર ત્રિપાઠીનું કોવિડ-19ના કારણે નિધન
શનિવાર, 2 મે 2020ના રોજ અંદાજે રાત્રે 8:45 કલાકે ભારતીય લોકપાલના ન્યાયિક સભ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું નવી દિલ્હીમાં એઇમ્સ ખાતે નિધન થયું હતું. તેઓ કોરોનાથી ચેપગ્રસ્ત થયા હતા અને 2 એપ્રિલ 202ના રોજ તેમને શ્વાસ લેવામાં સમસ્યા થયા પછી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન જન ઔષધી કેન્દ્રો પર એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્નઓવર સાથે વિક્રમી વેચાણ
કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો – PMBJAKએ એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્ન ઓવર સાથે વિક્રમી વેચાણ કર્યું છે જ્યારે માર્ચ 2020માં રૂપિયા 42 કરોડનું વેચાણ થયું હતું. એપ્રિલ 2019માં જન ઔષધી કેન્દ્રો પર રૂ. 17 કરોડનું વેચાણ થયું હતું.
કટોકટીમાંથી બહાર આવવા માટે તમામ હિતધારકોએ એકીકૃત અભિગમ અપનાવવો આવશ્યક છે: શ્રી નિતિન ગડકરી
શ્રી નિતિન ગડકરીએ ઉદ્યોગોને કહ્યું હતું કે, કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે લાગુ કરવામાં આવેલા જરૂરી સુરક્ષાત્મક પગલાંનું ઉદ્યોગો દ્વારા પાલન થાય તે સુનિશ્ચિત કરવું જોઇએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, વ્યવસાયિક કામગીરીઓ દરમિયાન PPE (માસ્ક, સેનિટાઇઝર વગેરે)નો ઉપયોગ કરવો અને સામાજિક અંતરનું પાલન થવું જરૂરી છે. કેન્દ્રીય મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, નિકાસમાં વધારો કરવા પર ધ્યાન આપવાની જરૂર છે તેમજ આયાતના વિકલ્પો શોધીને વિદેશી આયાત ઘટાડી સ્થાનિક ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવું જરૂરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમનો ઉપયોગ ખાલી ટ્રકો સહિત માલવાહક વાહનોની અવરજવર માટે ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોની ફરિયાદો/ પ્રશ્નોના ઉકેલ માટે કરવામાં આવશે
સમગ્ર દેશમાં લૉકડાઉન દરમિયાન એક રાજ્યથી બીજા રાજ્યમાં ખાલી ટ્રકો સહિત માલવાહક વાહનોની અવરજવર માટે ડ્રાઇવરો/ ટ્રાન્સપોર્ટરોની ફરિયાદો/ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તેવા આશયથી કેન્દ્ર સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે જ્યાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)ના અધિકારીઓને પણ આ હેતુથી નિયુક્ત કરવામાં આવી રહ્યા છે.
લાઇફલાઇન ઉડાન અંતર્ગત 430 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું
અત્યાર સુધીમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 430 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 252 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા કુલ 4,21,790થી વધુ કિલોમીટર હવાઇ અંતર કાપીને 795.86 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને સરહદી વિસ્તારો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પવન હંસ હેલિકોપ્ટર્સમાં 2 મે 2020 સુધીમાં 7,729 કિમી અંતર કાપીને 2.27 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે.
કોવિડ પછીની પરિસ્થિતિમાં ભારતને મોટાપાયે વાંસના સંસાધનોના કારણે અર્થતંત્રમાં વેગ માટે તક મળશે: ડૉ. જીતેન્દ્રસિંહ
ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ પછીની પરિસ્થિતિમાં અર્થતંત્રને વેગ આપવા માટે વાંસ ખૂબ મહત્વપૂર્ણ બની જશે અને તેનાથી ભારતને વાંસના સંસાધનોની મદદથી આર્થિક શક્તિ તરીકે ઉભરી આવવાની તક મળશે.
કોવિડ 19ના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં આદિ જાતિના લોકોને મદદ કરવા માટે ગૌણ વન પેદાશોની ખરીદીમાં ઝડપ કરવા માટે સરકારે રાજ્યોને કહ્યું
આદિજાતિ બાબતોના મંત્રાલયે તમામ રાજ્યોને સલાહ આપી છે કે, કોવિડ 19ના કારણે સર્જાયેલી સ્થિતિમાં આદિ જાતિ સમુદાયોને મદદરૂપ થવા માટે અને અત્યારે MFP એકત્ર કરવાની પૂર્ણ મોસમ આવી ગઇ છે તે વાતને ધ્યાનમાં રાખીને ગૌણ વન પેદાશોની ખરીદીની કામગીરી ઝડપથી કરવી જોઇએ.
EPFOના કર્મચારીઓએ PM CARES ભંડોળમાં રૂપિયા 2.5 કરોડનું યોગદાન આપ્યું
NMCG & NIUA દ્વારા 'નદી વ્યવસ્થાપનનું ભાવિ' વિષય પર આઇડિયાથોનનું આયોજન
જળશક્તિ મંત્રાલય હેઠળ નેશનલ મિશન ફોર ક્લિન ગંગા અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ અર્બન અફેર્સ દ્વારા "નદી વ્યવસ્થાપનનું ભાવિ" વિષય પર આઇડિયાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-19 કટોકટી કેવી રીતે ભવિષ્યમાં નદીઓના વ્યવસ્થાપનની રણનીતિ તૈયાર કરી શકે તે જાણવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-19નો સામનો કરવો એ સમગ્ર દુનિયામાં મોટાભાગના દેશો માટે મોટો પડકાર બની ગયું છે અને તેના કારણે મોટાભાગના સ્થળે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ કટોકટીના કારણે લોકોમાં અજંપો અને ચિંતા ઉભી થઇ છે ત્યારે આ કટોકટીના કારણે જ કેટલીક સકારાત્મક બાબતો પણ બની છે.
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળ: સશસ્ત્ર દળોએ તિરુવનંતપુરમ અને કોચીમાં કોવિડ 19 યોદ્ધાઓને સલામ કરીને તેમની સેવાઓ બદલ આભાર માન્યો. રેલવે દ્વારા આજે કેરળમાંથી ફસાયેલા વિસ્થાપિત શ્રમિકોને તેમના વતન જવા માટે વધુ ચાર ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનો થ્રીસુર, કન્નુર, અર્નાકુલમથી રવાના થશે. આ દરમિયાન, વધુ પાંચ કેરેલિયનના કોવિડ 19ના કારણે અમેરિકા અને અખાતી દેશોમાં મૃત્યુ થયા હોવાના સમાચાર આવ્યા છે. ગઇકાલ સુધીમાં કુલ પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા – 499, સક્રિય કેસ- 96, સાજા થયા- 400, કુલ મૃત્યુ- 4
- તામિલનાડુ: સશસ્ત્ર દળોએ ચેન્નઇમાં કોવિડ હોસ્પિટલો પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી. રાજ્ય સરકારે સોમવારથી તમામ બિન ચેપગ્રસ્ત વિચારોમાં લૉકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો; આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે. બે બાળકો સહિત 25 વ્યક્તિઓ વિલ્લુપુરમમાં કોવિડ 19 પોઝિટીવ આવી. પુડુચેરીના JIPMERમાં કેન્સરના દર્દીને કોવિડ 19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યા પછી 44 આરોગ્ય સંભાળ કર્મચારીઓને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા. તામિલનાડુમાં ગઇકાલ સુધીમાં કુલ પુષ્ટિ થયેલા કેસ- 2757, સક્રિય કેસ -1384, મૃત્યુ- 29, સાજા થયા- 1341. સૌથી વધુ કેસ ચેન્નઇમાં નોંધાયા છે જ્યાં કુલ કેસ 1257 થયા છે.
- કર્ણાટક: આજે નવા પાંચ કેસની પુષ્ટિ થઇ. કુલ કેસનો આંકડો 606 થયો. કાલબુર્ગીમાં 3 અને બાગલકોટમાં 2 નોંધાયા. અત્યાર સુધીમાં 25 દર્દીનાં મોત નીપજ્યાં જ્યારે 282 લોકો સાજા થતા રજા આપવામાં આવી. રાજ્ય સરકારે વિસ્થાપિત શ્રમિકોને ભાડામાં વધારો થતા વિનામૂલ્યે પરિવહનની સુવિધા આપવાની જાહેરાત કરી.
- આંધ્રપ્રદેશ: રાજ્યમાં કેસોની સંખ્યામાં વધારો થતા રેડ ઝોનમાં દરેક પરિવારમાંથી એક વ્યક્તિનું કોવિડ 19નું પરીક્ષણ કરવામાં આવશે. ગુંતૂર મેડિકલ કોલેજની કોલેજ એથિક્સ સમિતિએ પ્લાઝ્મા થેરાપીના ઉપયોગ માટે મંજૂરી આપી. સમિતિ દ્વારા ICMRને પોતાનો પ્રતિક્રિયા અહેવાલ મોકલવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં 58 નવા કેસ નોંધાયા; 58માંથી 30 કેસ કુર્નૂલ જિલ્લામાં છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા- 1583, સક્રિય કેસ -1062, રજા આપવામાં આવી- 488, મૃત્યુ થયા- 33, કુલ પરીક્ષણ થયા- 1,14,937. પોઝિટીવ કેસોની સૌથી વધુ સંખ્યા ધરાવતા જિલ્લા: કુર્નૂલ (466), ગુંતૂર (319), ક્રિશ્ના (266)
- તેલંગાણા: કોવિડના અગ્ર હરોળના યોદ્ધાઓ પ્રત્યે સંરક્ષણ વિભાગની કૃતજ્ઞતા વ્યક્ત કરતા, ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરોએ રાજ્ય દ્વારા સંચાલિત ગાંધી હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરી. પર્યાવરણવિદોએ ચેતવણી આપી કે, હૈદરાબાદમાં લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યારથી વાયુ અને પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે, અને જો આપણે તેના પર ધ્યાન નહીં આપીએ તો આ સુધારો થવાનું બંધ થઇ જશે. ઉત્તર ભારતના વિસ્થાપિત શ્રમિકોને ભોજન અને આવશ્યક ચીજો માટે માઇલો સુધી ચાલતા જવું પડ્યું. ગઇકાલ સુધીમાં કુલ કેસોની સંખ્યા- 1061, સક્રિય કેસ- 533, સાજા થયા- 499, કુલ મૃત્યુ- 29.
- અરુણાચલ પ્રદેશ: ભારતીય વાયુ સેનાએ કોરોના વાયરસ સામે અગ્ર હરોળમાં રહીને લડી રહેલા કોરોના યોદ્ધાઓને અરુણાચલ પ્રદેશના નહારલગુનમાં ફ્લાય પાસ્ટ કરીને સલામી આપી.
- આસામ: કોરોના વાયરસ મહામારીના કારણે ઉભી થયેલી આર્થિક સમસ્યાની સ્થિતિનો સામનો કરવા માટે, આસામની સરકારે 8 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું જે રાજ્યમાં અર્થતંત્રને ફરી બેઠું કરવા પર કામ કરશે.
- મણીપૂર: FCI પંજાબ અને હરિયાણામાંથી ખાદ્યાન્નનો 29000 મેટ્રિક ટન જથ્થો મણીપૂરમાં પહોંચાડ્યો.
- મિઝોરમ: પૂરવઠા વિભાગ અને IOCએ રાજ્યમાં લૉકડાઉન વચ્ચે મામિત જિલ્લાના ગામડાઓમાં 324 પરિવારોને ગેસના સિલિન્ડર પહોંચાડ્યા.
- નાગાલેન્ડ: નાગાલેન્ડના મોકોચુંગ નાગરિકો ‘માસ્ક ફોર ઓલ’ અભિયાન અંતર્ગત 2 લાખ ફેસ માસ્ક તૈયાર કરવા માટે એકજૂથ થયા. કોવિડ-19 પર જિલ્લા ટાસ્ક ફોર્સે આ અભિયાનની શરૂઆત કરી છે.
- ત્રિપૂરા: રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટમાં જણાવ્યું કે, વાયુ સેના દ્વારા ફ્લાય પાસ્ટ અને હોસ્પિલો પર પુષ્પવર્ષા એ કોવિડ-19 સામે લડી રહેલા કોરોના યોદ્ધાઓને સલામી માટેના વાયુ સેનાના નોંધનીય પ્રયાસો છે.
- ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશમાં લૉકડાઉનનો સમયગાળો બે અઠવાડિયા સુધી એટલે કે 17 મે 2020 સુધી લંબાવવામાં આવ્યો. શહેરમાં 3 મે મધ્યરાત્રિથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે. શહેરમાં ચેપગ્રસ્ત વિસ્તારોમાં ઓળખી કાઢવામાં આવેલા અને વહીવટીતંત્ર દ્વારા સૂચિત કરવામાં આવેલા પોકેટ્સમાં પ્રતિબંધો ચાલુ રહેશે. ચેપગ્રસ્ત પોકેટ્સમાં પ્રોટોકોલ અનુસાર સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગની મોટાપાયે કામગીરી કરવામાં આવશે.
- પંજાબ: પંજાબમાં તમામ જિલ્લામાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેડ અને ચેપગ્રસ્ત ઝોનમાં કોઇ રાહત આપવામાં આવી નથી. પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે માલસામનના વાહનો ચલાવતા લોકો અને તેમના ડ્રાઇવરો/ ક્લિનરોએ કોવિડ 19 મહામારી દરમિયાન સ્વચ્છતા અને સેનિટાઇઝેશન જાળવવા માટે નવી એડવાઇઝરી બહાર પાડી.
- હરિયાણાઃ હરિયાણામાં ફસાઇ ગયેલા વ્યક્તિઓ અને વિસ્થાપિત કામદારોની આંતર રાજ્ય અવરજવર (અંદર અને બહાર) માટે રાજ્ય સરકારે પોતાના વતનમાં પરત ફરવા ઇચ્છતાં સ્થળાંતરિત કામદારોની ઑનલાઇન નોંધણી માટે https://edisha.gov.in/eForms/MigrantService વેબ પેજ શરૂ કર્યુ છે. હરિયાણા સરકારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રોજેક્ટ સંકલનકર્તાઓ, તાલુકા શિક્ષણ અધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને કોવિડ-19 મહામારી દરમિયાન પરસ્પર અદલાબદલી દ્વારા પુસ્તકોના વિતરણ અંગે માહિતી પૂરી પાડવા નિર્દેશો આપ્યાં છે. આ સંબંધિત માર્ગદર્શિકા શિક્ષણ અધિકારીઓ, શાળાના વડાઓ અને SMC અધ્યક્ષ તથા સભ્યોને આપવામાં આવી છે.
- હિમાચલ પ્રદેશઃ રાજ્ય સરકારે કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂનો અમલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે પરંતુ 4 મે, 2020થી કર્ફ્યૂમાંથી વધુ એક કલાકની છૂટછાટ આપીને ચાર કલાકના બદલે પાંચ કલાક મુક્તિ આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં અર્થતંત્રને ફરી ઊભું કરવા માટે નવી મુખ્યમંત્રી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત શહેરી વસ્તીને 120 દિવસની નિશ્ચિત રોજગારી પૂરી પાડવામાં આવશે. આ હેતુસર, જો જરૂરિયાત હશે તો કૌશલ્યવર્ધન માટે પુરતી તાલીમ પણ પૂરી પાડવામાં આવશે.
- મહારાષ્ટ્રઃ રાજ્યમાં એક જ દિવસમાં નવા 790 કેસ નોંધાતાં કુલ કેસોની સંખ્યા વધીને 12,296 પર પહોંચી ગઇ છે. 521 લોકોના મરણ સાથે મૃત્યુઆંક પણ સમગ્ર દેશમાં સૌથી વધારે છે. મુંબઇમાં 322 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 8,359 પોઝિટીવ કેસો નોંધાયા છે. જિલ્લા પ્રશાસને જણાવ્યાં અનુસાર આજે વધુ 27 લોકોના ટેસ્ટ પોઝિટીવ આવતાં નાસિક જિલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 360 થઇ ગઇ છે. તેમાંથી માત્ર માલેગાંવમાં 324 કેસ નોંધાયાં હતા. મુંબઇમાં હજારો કોવિડ-19 યોદ્ધાઓની સન્માનમાં ભારતીય વાયુદળના વિમાનો દ્વારા રોમાંચક ઉડાન ભરવામાં આવી હતી. આ કાર્યક્રમ કોરોના વાયરસ મહામારી સામે લડવામાં અગ્રીમ શ્રેણીમાં ફરજ બજાવી રહેલા લાખો 'કોરોના યોદ્ધા'ઓ પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કરવામાં દેશવ્યાપી ક્વાયતના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો.
- ગુજરાતઃ ગુજરાતમાં 333 નવા કેસો નોંધાતાં અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 5,054 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં વધુ 26 લોકોના મરણ નીપજ્યાં હતા, જે એક જ દિવસમાં નોંધાયેલો અત્યાર સુધીનો સૌથી વધુ મૃત્યુઆંક હતો. અમદાવાદમાં 333માંથી 250 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા, જ્યારે વડોદરા અને સુરત બન્નેમાં 17-17 પોઝિટીવ કેસો નોંધાયાં હતા.
- મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં 127 નવા પોઝિટીવ કેસો નોંધાયાં હતા. તેના કારણે મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 2,846 ઉપર પહોંચી ગઇ છે. અત્યાર સુધી સંક્રમિત થયેલા તમામ લોકોમાંથી 624 લોકો સાજા થયા છે અને 151 લોકોના મરણ નીપજ્યાં છે.
- રાજસ્થાનઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બહાર પાડેલા આંકડા અનુસાર રાજસ્થાનમાં નવા 104 પોઝિટીવ કેસ નોંધાયાં છે. આ સાથે જ રાજસ્થાનમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 2,770 થઇ ગઇ છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 1,121 લોકો સાજા થયા છે અને 65 લોકોના મરણ નીપજ્યાં છે.
- છત્તીસગઢઃ મુખ્યમંત્રી ભુપેશ બાગેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આરોગ્ય કર્મચારીઓની જેમ જ પોલીસ કર્મચારીઓ, જિલ્લા પ્રશાસનની સ્થાનિક સંસ્થાઓના અધિકારી અને કર્મચારીઓનો PM કલ્યાણ પેકેજ અંતર્ગત વીમા યોજનામાં સમાવેશ કરવા અપીલ કરી છે.
(Release ID: 1620756)
|