ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

તહેવારોની સિઝન દરમિયાન ખાંડના ભાવમાં થતો વધારો અટકાવવા અને પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકારના પગલાં

प्रविष्टि तिथि: 21 AUG 2026 5:28PM by PIB Ahmedabad

તાજેતરના સપ્તાહોમાં ખાંડના ભાવ વધીને 20 જુલાઈ 2026 ના રોજ ₹48.18 પ્રતિ કિલોથી વધીને 20 ઓગસ્ટ 2026 ના રોજ ₹55.70 પ્રતિ કિલો થયા છે. સરકાર આ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે અને ગ્રાહકો માટે ખાંડની પૂરતી ઉપલબ્ધતા અને સ્થિર ભાવ સુનિશ્ચિત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે.

ખાંડના ભાવમાં થયેલા વધારા માટે ઇથેનોલને જવાબદાર ગણાવી શકાય નહીં

 ખાંડના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા માટે ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડનો ઉપયોગ ડાયવર્ટ કરવાને જવાબદાર ગણાવવું અયોગ્ય છે.

હકીકતમાં, ઇથેનોલ માટે ડાયવર્ટ કરવામાં આવતી ખાંડનો હિસ્સો 2022-23માં લગભગ 12% થી ઘટીને 2025-26માં લગભગ 9% થયો છે. તદુપરાંત, દેશમાં ઉત્પાદિત થતા ઇથેનોલનો લગભગ પોણો ભાગ હવે અનાજમાંથી આવે છે, ખાસ કરીને મકાઈમાંથી. ખાંડના ભાવમાં વર્તમાન વધારો એ વિવિધ પરિબળોના મિશ્રણને કારણે છે, જેમાં અપેક્ષા કરતાં ઓછું સ્થાનિક ઉત્પાદન, તહેવારોની સિઝન પહેલાં વધેલી માંગ, શેરડીના પાકને વાતાવરણ સંબંધિત નુકસાન, વૈશ્વિક સ્તરે ખાંડના પુરવઠામાં ઘટાડો અને ઉદ્યોગના કેટલાક વર્ગો દ્વારા અટકળો અને સંગ્રહખોરીનો સમાવેશ થાય છે.

ખાંડનું ઉત્પાદન પ્રારંભિક અંદાજો કરતાં ઓછું

શેરડી પકવતા રાજ્યો દ્વારા આશરે 343 LMTના પ્રારંભિક અંદાજની સરખામણીમાં વર્તમાન સિઝન દરમિયાન ખાંડનું ઉત્પાદન આશરે 306 LMT રહેવાની ધારણા છે. શેરડીમાં રેડ રોટ (લાલ સડો) અને ટોપ બોરર રોગ, તેમજ ભારે વરસાદને કારણે થયેલા જળભરાવથી ઉત્પાદનને અસર થઈ છે. અંદાજ કરતાં ઓછું ઉત્પાદન હોવા છતાં, ઓક્ટોબરમાં ક્રશિંગની નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

વૈશ્વિક સ્તરે પણ ખાંડના ભાવ વધી રહ્યા છે

 ખાંડના પુરવઠામાં ઘટાડો એ એક વૈશ્વિક ઘટના છે અને તે માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. 2026-27 માટે વૈશ્વિક ખાંડની ખાધ આશરે 33 LMT હોવાનો અંદાજ છે. હવામાનની પરિસ્થિતિ અંગેની ચિંતાઓએ વૈશ્વિક દ્રષ્ટિકોણને વધુ અસર કરી છે. પરિણામે, આંતરરાષ્ટ્રીય સ્તરે ખાંડના ભાવ 30 જૂન 2026 ના રોજ $474 પ્રતિ ટનથી તીવ્રપણે વધીને 20 ઓગસ્ટ 2026 ના રોજ $552 પ્રતિ ટન થયા છે — બે મહિનાથી ઓછા સમયમાં 16% થી વધુનો વધારો થયો છે.

ઇથેનોલ કાર્યક્રમે ખેડૂતોને મદદ કરી છે અને ખાંડ મિલોને મજબૂત કરી છે

ભારત સામાન્ય રીતે આશરે 280-290 LMT ના સ્થાનિક વપરાશ સામે વાર્ષિક આશરે 320-340 LMT ખાંડનું ઉત્પાદન કરે છે. સરપ્લસ ઉત્પાદનના વર્ષોમાં, વધારાનો સ્ટોક ખાંડ મિલોના ભંડોળને બ્લોક કરે છે અને શેરડીના ખેડૂતોને ચૂકવણીમાં વિલંબ કરી શકે છે. વધારાની ખાંડને ઇથેનોલ તરફ ડાયવર્ટ કરવાથી આ માળખાકીય સમસ્યાને ઉકેલવામાં મદદ મળી છે અને ખાંડ મિલોની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે. પરિણામો દૃશ્યમાન છે. 20 ઓગસ્ટ 2026 સુધીમાં, 2025-26 ની ખાંડ સિઝન માટે શેરડીના 97% બાકી લેણાં ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા છે. ખાંડ મિલોની સુધારેલી નાણાકીય સ્થિતિએ સરકારી સહાય પરની તેમની નિર્ભરતા પણ ઘટાડી છે. જ્યારે 2014 અને 2021 વચ્ચે ખાંડ ઉદ્યોગને આશરે ₹14,600 કરોડની સબસિડી આપવામાં આવી હતી, ત્યારે 2021-22 થી આવી કોઈ સબસિડીની જાહેરાત કરવામાં આવી નથી. તે જ સમયે, ગ્રાહકો માટે ખાંડના ભાવ લાંબા ગાળે મોટા ભાગે સ્થિર રહ્યા છે, જે ઓગસ્ટ 2024 અને જુલાઈ 2026 વચ્ચે વાર્ષિક ધોરણે માત્ર 3% વધ્યા છે.

સંગ્રહખોરી સામે કાર્યવાહી અને પુરવઠો વધારવા માટે સરકારના પગલાં

સરકારે અવલોકન કર્યું છે કે કેટલીક ખાંડ મિલો અને વેપારીઓ દ્વારા અટકળો અને સંગ્રહખોરીએ પણ ભાવમાં તાજેતરના વધારામાં યોગદાન આપ્યું છે. તેથી કેટલાક પગલાં લેવામાં આવ્યા છે:

  1. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર 2026 સુધી દેશભરના ખાંડના વેપારીઓ પર 400 ટનની સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.
  2. 1 સપ્ટેમ્બરથી, જથ્થાબંધ ગ્રાહકોને (બલ્ક કન્ઝ્યુમર્સ) 15 દિવસના વપરાશથી વધુ ખાંડનો સ્ટોક રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  3. કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની સંયુક્ત ટુકડીઓ સંગ્રહખોરી અને કૃત્રિમ અછતને તપાસવા માટે મિલો ખાતે ખાંડના સ્ટોકની ભૌતિક ચકાસણી કરી રહી છે.
  4.  સાવચેતીના પગલા તરીકે, સરકારે સ્થાનિક ઉપલબ્ધતામાં વધુ વધારો કરવા માટે 10 LMT કાચી ખાંડ (ર સુગર)ની જકાત મુક્ત આયાત કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
  5.  રાજ્યો અને ખાંડ મિલોને 15 ઓક્ટોબર 2026 થી ક્રશિંગ શરૂ કરવા માટે સલાહ આપવામાં આવી છે. આનાથી ઓક્ટોબરમાં ખાંડનું ઉત્પાદન સામાન્ય 3-4 LMT થી વધીને 10 LMT થી વધુ થવાની ધારણા છે, જેનાથી તહેવારોની સિઝન દરમિયાન ઉપલબ્ધતામાં વધુ સુધારો થશે.

સરકાર ગ્રાહકો અને શેરડીના ખેડૂતો બંનેના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. તે ખાંડના સ્ટોક, ભાવ અને બજારની પદ્ધતિઓ પર સતત ઝીણવટભરી નજર રાખશે અને ખેડૂતોને સમયસર લેણાંની ચુકવણી સુનિશ્ચિત કરીને સંગ્રહખોરી અને અયોગ્ય ભાવ વધારાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2302035) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam