પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ફ્રાન્સના ઇવિયન ખાતે G7માં ''નવી ભાગીદારીઓનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ'' વિષય પરના સત્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 16 JUN 2026 10:12PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ મેક્રોન, યોર એક્સેલન્સીઝ, નમસ્કાર!

G-7 સમિટમાં અમારા ઉષ્માભર્યા સ્વાગત માટે હું રાષ્ટ્રપતિ મેક્રોનનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.

મિત્રો ,

આજનું વિશ્વ પહેલા કરતાં ક્યાંય વધુ આપસમાં જોડાયેલું (ઇન્ટર-કનેક્ટેડ) અને એકબીજા પર નિર્ભર (ઇન્ટર-ડિપેન્ડન્ટ) છે. કોઈપણ દેશની ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય સુરક્ષા, સાયબર સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માત્ર તેની સરહદોની અંદર નક્કી થતી નથી. ગતિશીલતા (મોબિલિટી), ડેટા, મૂડી, ટેકનોલોજી, આ બધું આપણને આપસમાં જોડે છે.

આવા સમયે ભાગીદારીઓનું મહત્વ સ્વાભાવિક રૂપે વધી જાય છે. પરંતુ ભાગીદારીઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેના કેન્દ્રમાં વિશ્વાસ હોય. આજે સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ (સ્ટ્રેટેજિક એસેટ) કોઈ ખનિજ ટેકનોલોજી કે બજાર નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ છે.

વિશ્વાસ કે ટેકનોલોજી અને પુરવઠા શૃંખલાઓને હથિયાર તરીકે નહીં, વૈશ્વિક ભલાઈ (ગ્લોબલ ગુડ) માટે ઉપયોગમાં લેવામાં આવશે. વિશ્વાસ કે વિકાસની તકો અમુક દેશો સુધી સીમિત નહીં રહે. વિશ્વાસ છે કે વૈશ્વિક સંસ્થાઓ તમામ દેશોની આકાંક્ષાઓને પૂરી કરવામાં સક્ષમ બનશે.

મિત્રો ,

પાછલી સદીમાં માનવતાને બે વિશ્વ યુદ્ધોમાંથી પસાર થવું પડ્યું. અનેક બલિદાનો પછી વિશ્વ સમુદાયે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે વ્યવસ્થાઓ વિકસિત કરી. આ વ્યવસ્થાઓનો આધાર પણ વિશ્વાસ જ હતો.

પરંતુ અનેક દાયકાઓથી, અનેક પેઢીઓના યોગદાનથી બનાવવામાં આવેલા વિશ્વાસને આજે ઈજા પહોંચી રહી છે. કોવિડે આપણને અરીસો બતાવ્યો કે વિશ્વાસ અને એકતાના દાવા કેટલા પોકળ હતા.

આજે વિશ્વ સંસાધનોની અછતથી પીડાતું નથી; તે વિશ્વાસની અછતથી પીડાય છે. અને આપણી ભાગીદારીઓનું ભવિષ્ય આ વિશ્વાસના નિર્માણ પર નિર્ભર કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને કહ્યું હતું: વિશ્વાસ કરો પરંતુ ચકાસો (ટ્રસ્ટ બટ વેરિફાય). આ આજના સમયમાં પણ પ્રાસંગિક છે. ભાવી પેઢીઓ પ્રત્યે આપણી એ જવાબદારી છે કે આપણે નવા યુગને અનુરૂપ વિશ્વાસપાત્ર નિયમો આધારિત વ્યવસ્થા (ટ્રસ્ટેડ રૂલ્સ બેઝ્ડ ઓર્ડર) નું નિર્માણ કરીએ.

મિત્રો,

ભારતે સદાય વિશ્વને એક પરિવાર તરીકે જોયું છે. અમારા તમામ પ્રયાસો “सर्वजन हिताय, सर्वजन सुखाय” એટલે કે, બધા માટે કલ્યાણ અને સુખ (વેલફેર એન્ડ હેપીનેસ ફોર ઓલ) ના મૂળ સિદ્ધાંત પર આધારિત રહ્યા છે.

ભારતનો અનુભવ દર્શાવે છે કે વિકાસ સૌથી વધુ પ્રભાવી ત્યારે થાય છે જ્યારે તે લોકોની આકાંક્ષાઓ સાથે જોડાયેલો હોય. આ જ સિદ્ધાંત આપણી આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓનો પણ આધાર છે. આ જ વિચારની સાથે ભારતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ, મિશન લાઇફ (LiFE), અને “એક પેડ મા કે નામ” જેવી વૈશ્વિક પહેલોને આગળ વધારી છે.

સંકટના સમયે ભારતે પ્રથમ પ્રતિભાવ આપનાર (ફર્સ્ટ રિસ્પોન્ડર) તરીકે તમામ દેશોની સહાયતા કરવી પોતાની ફરજ સમજી છે. કોવિડ મહામારી દરમિયાન ભારતે દોઢસોથી વધુ દેશોને દવાઓ અને રસીઓ ઉપલબ્ધ કરાવી.

શ્રીલંકામાં ચક્રવાત હોય, અફઘાનિસ્તાનમાં ભૂકંપ હોય, મોઝામ્બિકમાં પૂર હોય, કે ક્યુબા અને જમૈકામાં વાવાઝોડું, ભારતે સદાય "માનવતા પ્રથમ"ના સિદ્ધાંત પર કાર્ય કર્યું છે. આપણી વિકાસ ભાગીદારીઓ પણ આ જ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. અમારા પ્રયાસો પાર્ટનર દેશોમાં ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત રહ્યા છે.

ભારતનું માનવું છે: ભાગીદારીની સાચી કસોટી એ નથી કે આપણે બીજા માટે શું બનાવીએ છીએ, પરંતુ એ છે કે આપણે બીજાને પોતાના માટે શું બનાવવા સક્ષમ કરીએ છીએ.

મિત્રો,

આજે ગ્લોબલ સાઉથની વિશ્વ સમુદાયથી બહુ આશાઓ છે. પરંતુ તેમની અપેક્ષા સહારાની નથી, સાથની છે. તેઓ વૈશ્વિક વિકાસના લાભાર્થી નથી, તેના ભાગીદાર બનવા માંગે છે.

આપણે દાતા-ગ્રહણકર્તાની વિચારસરણીથી આગળ વધીને, સમાન ભાગીદારો (ઇક્વલ પાર્ટનર્સ) તરીકે કામ કરવું પડશે. તેમની આસપાસ નહીં, સાથે-સાથે ચાલવું પડશે. ભાગીદારીને નિર્ભરતાના બદલે, ગરિમા સાથે જોડવી પડશે. આ પ્રયાસોથી આપણે ભાવી પેઢીઓના સતત વિકાસનો મજબૂત પાયો નાખી શકીશું.

મિત્રો,

આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ અને વૈશ્વિક એકતા ત્યારે જ સાર્થક બની શકે છે, જ્યારે આપણે સહિયારા પડકારોનો મળીને ઉકેલ લાવીએ. ભારતનો દ્રઢ વિશ્વાસ છે કે વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા તણાવો અને યુદ્ધોનો સ્થાયી ઉકેલ સંવાદ, મુત્સદ્દીગીરી અને આંતરરાષ્ટ્રીય સહયોગના માર્ગથી જ સંભવ છે.

અમે પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં શાંતિ પ્રયાસોમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષથી પશ્ચિમ એશિયામાં અમારા મિત્ર દેશોને જાન-માલનું નુકસાન વેઠવું પડ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વ્યાપાર (મેરિટાઇમ ટ્રેડ)માં આવેલી અડચણના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે. ભારતના કેટલાય નાગરિકોએ જાન ગુમાવવો પડ્યો છે. વૈશ્વિક દરિયાઈ વ્યાપારના માધ્યમથી તમામ દેશોને આપસમાં જોડનારા નાવિકો (સીફેઅરર્સ) ની સુરક્ષા આપણી જવાબદારી છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે, અને નાવિકો ભય વિના પોતાનું કાર્ય કરી શકે.

મિત્રો,

ભારત આ વિષયો પર તમામ ભાગીદારો સાથે મળીને કામ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

ખૂબ ખૂબ ધન્યવાદ.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2273811) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Malayalam