પ્રધાનમંત્રીનું કાર્યાલય
વીસી (VC) દ્વારા કોકરાઝાર, આસામમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ દરમિયાન પીએમ (PM)ના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
13 MAR 2026 4:48PM by PIB Ahmedabad
ખુલુમબાઈ કોકરાઝાર !
સાથીઓ, હવામાન ખરાબ હોવાને કારણે હું કોકરાઝાર નથી આવી શક્યો. હું આપ સૌની ક્ષમા ચાહું છું. અહીં ગુવાહાટીથી જ આપની સાથે સંવાદ સંભવ થયો છે, હું દિલ્હીથી નીકળ્યો હતો, આપની પાસે આવવા માટે, પરંતુ મારે ગુવાહાટીમાં જ ઉતરવું પડ્યું અને હવે હું ગુવાહાટીથી આપના દર્શન પણ કરી રહ્યો છું, અને આપની સાથે વાત પણ કરી રહ્યો છું. આ કાર્યક્રમ સાથે જોડાયેલા આસામના મુખ્યમંત્રી ભાઈ હિમંત બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી સર્બાનંદ સોનોવાલજી, બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર હાગ્રામા મોહિલારીજી, આપણી સાથે ઉપસ્થિત આસામના ગવર્નર શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, આસામ સરકારના મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ, B.T.C ના તમામ પ્રતિનિધિઓ, સમાજના તમામ વરિષ્ઠ જન અને મારા વહાલા ભાઈઓ અને બહેનો !
સૌથી પહેલા હું બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા જી, રૂપનાથ બ્રહ્મા જી અને આ ધરતીના મહાન વ્યક્તિત્વોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. હું જોઈ રહ્યો છું, જ્યાં પણ મારી નજર પહોંચી રહી છે લોકો જ લોકો નજર આવી રહ્યા છે, અને આટલી મોટી માત્રામાં માતાઓ-બહેનો પણ આશીર્વાદ આપવા આવ્યા છે. તમે ત્યાં આટલી વિશાળ સંખ્યામાં પહોંચ્યા છો. તમારો આ પ્રેમ મારા પર દેવા સમાન છે. અને મારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે આ દેવાને હું તમારી સેવા કરીને ચૂકવું, આ ક્ષેત્રનો વિકાસ કરીને ચૂકવું.
સાથીઓ, હમણાં થોડા અઠવાડિયા પહેલા હું ગુવાહાટીમાં હતો, ત્યાં મને બાગુરુમ્બા દહોઉના ભવ્ય ઉત્સવમાં સમૃદ્ધ બોડો સંસ્કૃતિનો હિસ્સો બનવાનો અવસર મળ્યો. મને એ જોઈને ખૂબ ગર્વ થાય છે કે બોડો સમાજે પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ અને પોતાની પરંપરાઓને આટલી સાચવીને, જાળવીને રાખી છે. બાથોઉની આધ્યાત્મિક પરંપરા હોય, કે બેઈસાગૂનો ઉત્સવ, આ બધું ભારતની સાંસ્કૃતિક તાકાતને વધુ મજબૂત બનાવે છે.
સાથીઓ, ભાજપ-NDAની ડબલ એન્જિન સરકાર પણ આસામના વારસાના સંરક્ષણ અને આસામના તેજ વિકાસ, બંને માટે નિરંતર કામ કરી રહી છે. આજે અહીં આ કાર્યક્રમમાં જ, આ ક્ષેત્રના વિકાસ માટે સાડા ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. આમાંથી 1100 કરોડ રૂપિયાથી વધુની રાશિ, બોડોલેન્ડના રસ્તાઓ માટે ખર્ચ થવા જઈ રહી છે. આસામ માલા, આ અભિયાનના ત્રીજા ચરણથી આસામની રોડ કનેક્ટિવિટી વધુ સશક્ત થશે.
સાથીઓ, થોડીવાર પહેલા મને કામાખ્યા-ચાર્લાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ અને ગુવાહાટી-ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાનો પણ અવસર મળ્યો છે. આ તમામ પ્રોજેક્ટ્સથી તમને સુવિધાઓ તો મળશે જ, ટ્રેડ અને ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે. આનાથી ખેડૂતોની ઉપજ સરળતાથી મોટા બજારો સુધી પહોંચી શકશે. હું આપ સૌને આ વિકાસ પરિયોજનાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, કોકરાઝાર સહિત આખા ક્ષેત્રએ વીતેલા દાયકાઓમાં ઘણું સહન કર્યું હતું, ઘણું ખોયું હતું. આપણે તે મુશ્કેલ સમય જોયો છે, જ્યારે આ ટેકરીઓમાં બોમ્બ-બંદૂકના જ અવાજો સંભળાતા હતા. પરંતુ આજે આ તસવીર બદલાઈ રહી છે. આજે આ ટેકરીઓ, 'ખામ'ના ધબકાર અને 'સિફુંગ'ની મધુર ધૂનોથી ગુંજી રહી છે. આજે બોડોલેન્ડ શાંતિ અને વિકાસની રાહ પર ચાલી નીકળ્યું છે. આજે આસામ શાંતિ અને વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે.
સાથીઓ, આજે અહીં B.T.R ક્ષેત્રની 6 મહત્વપૂર્ણ રોડ પરિયોજનાઓનું ભૂમિ પૂજન થયું છે, સાથે જ આ ક્ષેત્રની રેલ કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે મોટા પગલાં ભરવામાં આવ્યા છે. અહીં બનનારી રેલવેની વર્કશોપ, આ ક્ષેત્રને લોજિસ્ટિક્સનું એક મોટું સેન્ટર બનાવવાની છે. અહીં ભૂતાનને જોડતી રેલવે લાઈન પર પણ કામ ચાલી રહ્યું છે, અનેક સ્ટેશનોને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. હવે વંદે ભારત અને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનો કોકરાઝારમાં રોકાય છે. આ બોડોલેન્ડની બહેતર કનેક્ટિવિટીનું પ્રમાણ છે. આવા પ્રોજેક્ટ્સથી કોકરાઝાર, વ્યાપારનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
સાથીઓ, હું હાગ્રામા મોહિલારીજીની ટીમને, હિમંતજીની પૂરી ટીમને, વિકાસના આ કામો માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, દાયકાઓ સુધી બોડોલેન્ડનું આ ક્ષેત્ર, કોંગ્રેસના વિશ્વાસઘાતનું સાક્ષી રહ્યું છે. બોડોલેન્ડની અનેક પેઢીઓને કોંગ્રેસે ખોટા સપનાઓમાં ગૂંચવી રાખી. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સરકારોએ માત્ર દેખાડા માટે કાગળીયા કરારો કર્યા.
સાથીઓ, જ્યારે તમે દેશમાંથી અને આસામમાંથી, બંને જગ્યાએથી કોંગ્રેસને હાંકી કાઢી અને ભાજપ-NDA ને અવસર આપ્યો, તો અમે ઈમાનદારીથી પ્રયાસ શરૂ કર્યા. કોંગ્રેસ જ્યાં પોતાની સ્વાર્થી રાજનીતિ માટે અલગ-અલગ સમુદાયોમાં ફૂટ પાડી દેતી હતી, ત્યાં ભાજપે સ્થાયી શાંતિ માટે કામ કર્યું. આ જ વિચાર સાથે બોડો શાંતિ કરાર કરવામાં આવ્યો. આ કરારમાં પહેલીવાર તમામ પ્રમુખ સંગઠનો અને સમૂહોને એક સાથે લાવવામાં આવ્યા.
સાથીઓ, કોંગ્રેસની એક બીજી સચ્ચાઈ છે, કોંગ્રેસ ખોટા વાયદાઓની દુકાન છે. અને એક ખોટા વાયદાની સાથે ચાર સુપર જૂઠ ગિફ્ટમાં આપે છે. કારણ કે, તે વાયદાઓને પૂરા કરવાનો કોંગ્રેસનો ઈરાદો જ હોતો નથી. ત્યાં જ તમારી સામે ભાજપ-NDAનું મોડલ છે. આપણી ડબલ એન્જિન સરકારે જે પણ કહ્યું, તેને સાચું કરવાની ઈમાનદાર કોશિશ કરી છે, અને આ આજની વાત નથી, 2003માં, જ્યારે દિલ્હીમાં NDA સરકાર હતી, અટલ બિહારી વાજપેયી જીના નેતૃત્વમાં, ત્યારે પણ અમે સચ્ચાઈથી, ઈમાનદારીથી કામ કરવામાં કોઈ કમી નથી રાખી. તેના હેઠળ સિક્સ્થ શેડ્યૂલમાં બીટીસીની રચના થઈ, આનાથી બોડોલેન્ડના વિકાસને બળ મળ્યું. અહીં બોડોલેન્ડ યુનિવર્સિટી બની, સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બની, એન્જિનિયરિંગ કોલેજ બની, આવા અનેક પ્રોજેક્ટ્સ અહીં આવ્યા.
સાથીઓ, 2020ના કરાર હેઠળ, અમે જે પણ વાયદા કર્યા હતા, તે એક પછી એક, તેજ ગતિએ, સતત મહેનત કરીને પૂરા કરવામાં આવી રહ્યા છે. બોડો ભાષાને, એસોસિએટ ઓફિશિયલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. બોડોલેન્ડ માટે 1500 કરોડ રૂપિયાનું વિશેષ વિકાસ પેકેજ આપવામાં આવ્યું. આજે કોકરાઝારમાં મેડિકલ કોલેજ ચાલી રહી છે અને તમુલપુરમાં મેડિકલ કોલેજ બની રહી છે. અહીં નવા-નવા બ્રિજ બની રહ્યા છે. આજે હથિયાર છોડનારા આસામના આશરે 10 હજાર નવયુવાનોને મુખ્યધારા સાથે જોડીને આગળ વધારવામાં આવી રહ્યા છે. તે તમામ માતાઓ અમને આશીર્વાદ આપી રહી છે, જેમના દીકરા આજે ઘરે પાછા ફર્યા છે. ખુશાલીમાં પોતાના પરિવાર સાથે જિંદગી જીવી રહ્યા છે.
સાથીઓ, આપણી સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે બોડો સમાજની આસ્થા અને પરંપરાઓને રાષ્ટ્રીય સ્તર પર સન્માન મળે. બોડો સમાજની પારંપરિક આસ્થા, બાથોઉને પણ મોટું સન્માન આપવામાં આવ્યું છે. અને આસ્થાના સ્થળોના વિકાસ માટે પણ વિશેષ સહાયતા આપવામાં આવી રહી છે.
સાથીઓ, કોંગ્રેસનું એક બીજું મોટું પાપ છે, જે દેશ અને આસામની સુરક્ષા માટે ઘણો મોટો ખતરો બની ગયું છે. જેણે રોટી, બેટી અને માટી, ત્રણેયની સુરક્ષાને ખતરામાં નાખી છે. કોંગ્રેસનો હાથ હંમેશાથી ઘૂસણખોરોની સાથે રહ્યો છે અને આજે પણ છે. કોંગ્રેસે દાયકાઓ સુધી અહીંના મૂળ નિવાસીઓને, જમીનના કાયદેસર દસ્તાવેજો પણ નથી આપ્યા. કોંગ્રેસે આદિવાસીઓની ઘણી બધી જમીનોને ઘૂસણખોરોના હવાલે કરી દીધી. ધુબરી અને ગોલપાડા જેવા જિલ્લાઓમાં તો સ્થિતિ ઘણી ભયાનક હતી. આનાથી બોડોલેન્ડમાં વસ્તીનું સંતુલન બગડી રહ્યું હતું, સમાજમાં સંકટ આવવા લાગ્યું હતું. મને સંતોષ છે કે હિમંતજીના નેતૃત્વમાં ઘૂસણખોરોના કબજામાંથી જમીનને છોડાવવાનું એક ઘણું મોટું અભિયાન આસામમાં ચાલી રહ્યું છે. અહીં ભાજપ-NDA સરકારે આસામના મૂળ નિવાસીઓને જમીનના કાયદેસર દસ્તાવેજો પણ આપ્યા છે. હું ટ્રાઈબલ કમ્યુનિટીનો પણ આ મુહિમમાં આગળ વધીને સાથ આપવા બદલ હૃદયથી આભાર વ્યક્ત કરવા માંગુ છું. આજે હું તમને આગ્રહ કરવા આવ્યો છું કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને આકરામાં આકરી સજા આપો, એક સ્પષ્ટ સંદેશ આપો કે હવે ઘૂસણખોરો માટે દેશમાં કોઈ જગ્યા નથી. આસામથી નીકળેલો સંદેશ, પૂરા દેશની અવાજ બની જશે.
સાથીઓ, આસામના વિકાસની ગતિને આપણે નિરંતર તેજ કરતા રહેવાનું છે અને હું જાણું છું કે આસામની જનતાના આશીર્વાદથી વિકસિત આસામનો સંકલ્પ જરૂર સિદ્ધ થશે. આ જ વિશ્વાસ સાથે હું આપ સૌને ફરીથી વિકાસ પરિયોજનાઓ માટે અનેક-અનેક શુભકામનાઓ આપું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2239756)
મુલાકાતી સંખ્યા : 10