પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને સંબોધિત કર્યો
ભારતે એવા ખુલ્લા પ્લેટફોર્મ બનાવ્યા છે જે સૌના માટે તક, સૌના માટે પ્લેટફોર્મ અને સૌના માટે પ્રગતિ પ્રદાન કરે છે: પ્રધાનમંત્રી
વૈશ્વિક વિક્ષેપો અને અનિશ્ચિતતાઓ છતાં, ભારતનો વિકાસ નોંધપાત્ર રહ્યો છે: પ્રધાનમંત્રી
ભારતે આત્મનિર્ભર બનવું જોઈએ; ભારતમાં બનેલી દરેક પ્રોડક્ટ ભારતમાં જ બનાવવી જોઈએ: પ્રધાનમંત્રી
ભારતમાં, અમે એક જીવંત સંરક્ષણ ક્ષેત્ર વિકસાવી રહ્યા છીએ, એક એવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ જ્યાં દરેક ઘટક 'મેડ ઇન ઇન્ડિયા' ચિહ્ન ધરાવે છે: પ્રધાનમંત્રી
GST માં માળખાકીય સુધારા ભારતની વિકાસગાથાને નવી ગતિ આપશે: પ્રધાનમંત્રી
Posted On:
25 SEP 2025 11:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શો 2025નું ઉદ્ઘાટન અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ યુપી આંતરરાષ્ટ્રીય વેપાર શોમાં ભાગ લેનારા તમામ વેપારીઓ, રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને યુવા સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી કે 2,200 થી વધુ પ્રદર્શકો આ કાર્યક્રમમાં તેમના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરી રહ્યા છે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે રશિયા આ વેપાર શોના આ સંસ્કરણ માટે દેશ ભાગીદાર છે, જે સમયની કસોટી પામેલી ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર મૂકે છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સરકારી સાથીદારો અને અન્ય હિસ્સેદારોને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ પ્રસંગ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ સાથે સુસંગત છે, જેમણે રાષ્ટ્રને અંત્યોદય - કતારમાં છેલ્લા વ્યક્તિના ઉત્થાનના માર્ગ પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભાર મૂક્યો કે અંત્યોદયનો અર્થ એ છે કે વિકાસ ગરીબમાં ગરીબ સુધી પણ પહોંચે અને તમામ પ્રકારના ભેદભાવને દૂર કરે છે. તેમણે વધુમાં ટિપ્પણી કરી કે ભારત હવે વિશ્વને સમાવિષ્ટ વિકાસનું આ મોડેલ આપી રહ્યું છે.
એક ઉદાહરણ આપતા, પ્રધાનમંત્રીએ ભારતના ફિનટેક ક્ષેત્રની વૈશ્વિક માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે તેની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા સમાવેશી વિકાસમાં તેનું યોગદાન છે. શ્રી મોદીએ જણાવ્યું કે ભારતે એવું ખુલ્લુ પ્લેટફોર્મ બનાવ્યું છે જે સૌને સાથે લઈ જાય છે - જેમ કે UPI, આધાર, DigiLocker અને ONDC - જે સૌને સમાન તકો આપે છે. તેમણે "સૌને માટે પ્લેટફોર્મ, સૌને માટે પ્રગતિ" ના સિદ્ધાંતની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આ પ્લેટફોર્મની અસર સમગ્ર ભારતમાં દેખાય છે, મોલના દુકાનદારો અને શેરી-બાજુના ચા વિક્રેતાઓ બંને UPI નો ઉપયોગ કરે છે. તેમણે ધ્યાન દોર્યું કે ઔપચારિક ક્રેડિટ, જે એક સમયે ફક્ત મોટી કંપનીઓ માટે સુલભ હતી, હવે PM SVANIDHI યોજના દ્વારા શેરી વિક્રેતાઓ સુધી પહોંચે છે.
ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) ને બીજા પરિવર્તનશીલ ઉદાહરણ તરીકે ટાંકીને, શ્રી મોદીએ યાદ કર્યું કે એક સમય હતો જ્યારે સરકારને માલ વેચવાનું કામ મોટા ખેલાડીઓ સુધી મર્યાદિત હતું. આજે, લગભગ 25 લાખ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ GeM પોર્ટલ સાથે જોડાયેલા છે. આમાં નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને દુકાનદારોનો સમાવેશ થાય છે, જેઓ હવે સીધા ભારત સરકારને વેચાણ કરી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે GeM દ્વારા અત્યાર સુધીમાં ₹15 લાખ કરોડના માલ અને સેવાઓ ખરીદી છે. આમાંથી, MSME અને નાના ઉદ્યોગો પાસેથી આશરે ₹7 લાખ કરોડની ખરીદી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉની સરકારો હેઠળ આવી પરિસ્થિતિ અકલ્પનીય હતી. હવે, દેશના દૂરના ખૂણામાં એક નાનો દુકાનદાર પણ GeM પોર્ટલ પર ઉત્પાદનો વેચી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ અંત્યોદયનો સાર છે અને ભારતના વિકાસ મોડેલનો પાયો છે.
ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. તે વાત પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “વૈશ્વિક વિક્ષેપો અને અનિશ્ચિતતા છતાં, ભારતનો વિકાસ આકર્ષક રહે છે”. તેમણે કહ્યું કરી કે વિક્ષેપો ભારતને વિચલિત કરતા નથી - તે નવી દિશાઓ પ્રગટ કરે છે. આ પડકારો વચ્ચે, ભારત આગામી દાયકાઓ માટે મજબૂત પાયો નાખી રહ્યું છે. શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે રાષ્ટ્રનો સંકલ્પ અને માર્ગદર્શક મંત્ર આત્મનિર્ભર ભારત છે. તેમણે જણાવ્યું કે બીજાઓ પર નિર્ભરતા કરતાં મોટી લાચારી કોઈ હોઈ ન શકે. બદલાતી દુનિયામાં, કોઈ દેશ જેટલો વધુ બીજા પર આધાર રાખે છે, તેનો વિકાસ તેટલો જ વધુ જોખમમાં મુકાય છે. “ભારતે આત્મનિર્ભર બનવું જોઈએ. ભારતમાં બનાવી શકાય તેવી દરેક પ્રોડક્ટ ભારતમાં જ ઉત્પન્ન થવી જોઈએ”, એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. ઉદ્યોગસાહસિકો, વેપારીઓ અને નવીનતાઓના વિશાળ મેળાવડાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ આત્મનિર્ભર ભારત અભિયાનમાં મુખ્ય હિસ્સેદારો છે, અને તેમને ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવતા વ્યવસાયિક મોડેલો ડિઝાઇન કરવા વિનંતી કરી હતી.
સરકાર મેક ઇન ઇન્ડિયાને ભાર આપે છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે તે અંગે જણાવતા, પ્રધાનમંત્રીએ ચિપ્સથી લઈને જહાજો સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવાના વિઝન પર વાત કરી હતી. આને ટેકો આપવા માટે, સરકાર વ્યવસાય કરવાની સરળતા વધારવા માટે સતત કામ કરી રહી છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે 40,000 થી વધુ અનુપાલન દૂર કરવામાં આવ્યા છે અને સેંકડો નિયમો કે જે અગાઉ નાની વ્યાપારી ભૂલો માટે કાનૂની કેસ તરફ દોરી જતા હતા, તેને અપરાધિકૃત કરવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી કે સરકાર ઉદ્યોગસાહસિકો સાથે ખભેથી ખભો મિલાવીને ઉભી છે. જો કે, તેમણે મુખ્ય અપેક્ષાઓ પણ શેર કરી, વિનંતી કરી કે બધા ઉત્પાદિત ઉત્પાદનો ઉચ્ચતમ ગુણવત્તાના હોવા જોઈએ. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે નાગરિકો વધુને વધુ સ્વદેશી ઉત્પાદનોની ગુણવત્તામાં સતત સુધારાની અપેક્ષા રાખે છે અને જણાવ્યું કે ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. તેમણે ટિપ્પણી કરી કે દરેક ભારતીય હવે સ્વદેશી સાથે જોડાઈ રહ્યો છે અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા માંગે છે. "આ સ્વદેશી છે" ગર્વથી કહેવાની ભાવના દેશભરમાં અનુભવાઈ રહી છે. તેમણે વેપારીઓને આ મંત્ર અપનાવવા અને ભારતમાં બનેલા ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા હાકલ કરી હતી.
પ્રધાનમંત્રીએ સંશોધનના મહત્વની વાત કરી અને કહ્યું કે આ ક્ષેત્રમાં રોકાણ અનેકગણું વધવું જોઈએ. તેમણે ખાતરી આપી કે સરકારે આ વિસ્તરણને ટેકો આપવા માટે જરૂરી પગલાં લીધાં છે. શ્રી મોદીએ જણાવ્યું કે સંશોધનમાં ખાનગી રોકાણ હવે અનિવાર્ય છે અને તેને સક્રિયપણે આગળ ધપાવવું જોઈએ. તેમણે આને સમયની માંગ ગણાવી અને સ્વદેશી સંશોધન, ડિઝાઇન અને વિકાસ માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ બનાવવા માટે હાકલ કરી હતી.
ઉત્તર પ્રદેશ અસાધારણ રોકાણ સંભાવનાઓથી ભરપૂર છે તે વાત પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તાજેતરના વર્ષોમાં કનેક્ટિવિટી ક્રાંતિએ લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ઉત્તર પ્રદેશ હવે દેશમાં સૌથી વધુ એક્સપ્રેસવે ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યામાં અગ્રેસર છે. તે બે મુખ્ય સમર્પિત ફ્રેઇટ કોરિડોર માટે કેન્દ્ર તરીકે સેવા આપે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે યુપી હેરિટેજ ટુરિઝમમાં પ્રથમ ક્રમે છે, અને નમામી ગંગે જેવી પહેલોએ રાજ્યને ક્રુઝ ટુરિઝમ નકશા પર મૂક્યું છે. તેમણે કહ્યું કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમથી યુપીના વિવિધ જિલ્લાઓના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવામાં સક્ષમ બન્યા છે. ઉત્પાદનમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ઉત્પાદનમાં યુપી નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત છેલ્લા દાયકામાં વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે, જેમાં યુપી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે - દેશમાં ઉત્પાદિત તમામ મોબાઇલ ફોનના લગભગ 55 ટકાનું ઉત્પાદન કરે છે. તેમણે ઉમેર્યું કે યુપી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાને પણ મજબૂત બનાવશે, જેમાં એક મોટી સેમિકન્ડક્ટર સુવિધા માત્ર થોડા કિલોમીટર દૂર કાર્યરત થવાની છે.
શ્રી મોદીએ સંરક્ષણ ક્ષેત્રને બીજું મુખ્ય ઉદાહરણ ગણાવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે ભારતના સશસ્ત્ર દળો સ્વદેશી ઉકેલો શોધે છે અને બાહ્ય નિર્ભરતા ઘટાડવાનું લક્ષ્ય રાખે છે. "ભારતમાં, અમે એક જીવંત સંરક્ષણ ક્ષેત્ર વિકસાવી રહ્યા છીએ, એક એવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ જ્યાં દરેક ઘટક 'મેડ ઇન ઇન્ડિયા' ની નિશાની ધરાવે છે", પ્રધાનમંત્રીએ આ પરિવર્તનમાં ઉત્તર પ્રદેશની મહત્વપૂર્ણ ભૂમિકાની વાત કરી અને નોંધ્યું કે રશિયન સહયોગથી સ્થાપિત ફેક્ટરીમાં AK-203 રાઇફલ્સનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે ઉમેર્યું કે યુપીમાં એક સંરક્ષણ કોરિડોર વિકસાવવામાં આવી રહ્યો છે, જ્યાં બ્રહ્મોસ મિસાઇલો અને અન્ય શસ્ત્ર પ્રણાલીઓનું ઉત્પાદન પહેલાથી જ શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રીએ તમામ હિસ્સેદારોને ઉત્તર પ્રદેશમાં રોકાણ અને ઉત્પાદન કરવા વિનંતી કરી, જે લાખો MSMEsનું મજબૂત અને વિસ્તરતું નેટવર્ક ધરાવે છે. તેમણે રાજ્યમાં સંપૂર્ણ ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે તેમની ક્ષમતાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે ખાતરી આપી કે ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકાર બંને સંપૂર્ણ સમર્થન આપવા માટે તૈયાર છે.
ભારત પોતાના ઉદ્યોગો, વેપારીઓ અને નાગરિકો સાથે મજબૂત રીતે ઉભું છે, જે સુધારા, કામગીરી અને પરિવર્તનની પ્રતિબદ્ધતાથી પ્રેરિત છે, એમ કહીને શ્રી મોદીએ ત્રણ દિવસ પહેલા જ આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરવામાં આવ્યા હતા, જેને 'માળખાગત ફેરફારો જે ભારતની વિકાસગાથાને આગળ ધપાવશે' તરીકે વર્ણવ્યા હતા. આ સુધારાઓ GST નોંધણીને સરળ બનાવશે, કર વિવાદો ઘટાડશે અને MSME માટે રિફંડ ઝડપી બનાવશે, જેનાથી દરેક ક્ષેત્રને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે હિસ્સેદારોએ ત્રણ અલગ અલગ તબક્કાઓનો અનુભવ કર્યો છે - GST પહેલા, GST પછી, અને હવે આગામી પેઢીના GST સુધારાઓ - અને તેમણે કરેલા નોંધપાત્ર તફાવત પર ભાર મૂક્યો હતો. તેમણે આને ઉદાહરણો સાથે સમજાવતા કહ્યું કે 2014 પહેલા, કરવેરાની સંખ્યા વધુ હોવાથી વ્યવસાયિક ખર્ચ અને ઘરગથ્થુ બજેટ બંનેનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું હતું. 2014 પહેલા ₹1,000 ની કિંમતના શર્ટ પર લગભગ ₹170 નો કર લાગતો હતો. 2017 માં GST દાખલ થયા પછી, તે ઘટીને ₹50 થઈ ગયો. 22 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા સુધારેલા દરો સાથે, તે જ ₹1,000 શર્ટ પર હવે ફક્ત ₹35 નો કર લાગે છે.
વધુ વિગતવાર વાત કરતાં, પ્રધાનમંત્રીએ GST સુધારાઓના મૂર્ત ફાયદાઓને એક સંબંધિત ઉદાહરણ સાથે સમજાવ્યા હતા. તેમણે નોંધ્યું કે 2014 માં, ટૂથપેસ્ટ, શેમ્પૂ, હેર ઓઇલ અને શેવિંગ ક્રીમ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ₹100 ખર્ચવાથી ₹31 ટેક્સ થયો, જેના કારણે બિલ ₹131 થયું હતું. 2017 માં GST લાગુ થયા પછી, ₹100 ની કિંમતની સમાન ચીજવસ્તુઓ પર ₹118 નો ખર્ચ થયો, જેના પરિણામે ₹13 ની સીધી બચત થઈ. GST સુધારાઓની નવીનતમ પેઢી સાથે, આ ખર્ચ વધુ ઘટીને ₹105 થયો છે - જે 2014 પહેલાના દરોની તુલનામાં કુલ ₹26 ની બચત કરે છે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે આ સામાન્ય પરિવારો માટે નોંધપાત્ર માસિક બચત દર્શાવે છે. તેમણે સમજાવ્યું કે 2014 માં જરૂરીયાતો પર વાર્ષિક ₹1 લાખ ખર્ચનાર પરિવારને ₹20,000–₹25,000 ટેક્સ ચૂકવવા પડશે. આજે, નવા GST શાસન હેઠળ, તે જ પરિવાર વાર્ષિક માત્ર ₹5,000–₹6,000 ચૂકવે છે, કારણ કે મોટાભાગની આવશ્યક વસ્તુઓ પર હવે ફક્ત 5 ટકા GST લાગે છે.
ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં ટ્રેક્ટરની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે 2014 પહેલાં, ટ્રેક્ટર ખરીદવા પર ₹70,000 થી વધુનો કર લાગતો હતો. આજે, તે જ ટ્રેક્ટર પર ફક્ત ₹30,000 થી વધુ કર લાગતો હતો, જેના પરિણામે ખેડૂતોને ₹40,000 થી વધુની સીધી બચત થાય છે. તેમણે જણાવ્યું કે ગરીબો માટે રોજગારનો મુખ્ય સ્ત્રોત ગણાતા થ્રી-વ્હીલર વાહનો પર અગાઉ ₹55,000 નો કર લાગતો હતો, જે હવે ઘટીને ₹35,000 થયો છે - જેનાથી ₹20,000 ની બચત થાય છે. તેવી જ રીતે, GST દરમાં ઘટાડો થવાને કારણે, 2014ની સરખામણીમાં સ્કૂટર હવે ₹8,000 સસ્તા અને મોટરસાયકલ ₹9,000 સસ્તા થઈ ગયા છે. શ્રી મોદીએ કહ્યું કરી કે આ બચત ગરીબો, નવ-મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ બંનેને લાભ આપે છે. તેમ છતાં, તેમણે ચેતવણી આપી કે અમુક રાજકીય પક્ષો જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વિપક્ષી પક્ષો પર પોતાની શાસન નિષ્ફળતાઓને ઢાંકવા માટે જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો, અને ભારપૂર્વક જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન વધુ પડતા કરવેરાથી સામાન્ય નાગરિકો પર બોજ પડ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની સરકારે કરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, ફુગાવો કાબુમાં લીધો છે અને લોકો માટે આવક અને બચત બંનેમાં વધારો કર્યો છે. તેમણે નોંધ્યું કે ₹12 લાખ સુધીની આવકને કરમુક્ત કરીને અને નવા GST સુધારાઓ લાગુ કરીને, નાગરિકો ફક્ત આ વર્ષે જ ₹2.5 લાખ કરોડ બચાવવા માટે તૈયાર છે. તેમણે જાહેર કર્યું કે રાષ્ટ્ર GST બચત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે અને ખાતરી આપી કે, જાહેર સમર્થન સાથે, GST સુધારાઓની ગતિ અવિરત ચાલુ રહેશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારતમાં સુધારા માટે મજબૂત ઇચ્છાશક્તિ છે, જે લોકશાહી અને રાજકીય સ્થિરતા અને નીતિગત આગાહી દ્વારા સમર્થિત છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં વિશાળ, કુશળ કાર્યબળ અને ગતિશીલ યુવા ગ્રાહક આધાર છે - જેનું એક અજોડ સંયોજન વૈશ્વિક સ્તરે અન્ય કોઈ ક્ષેત્રમાં જોવા મળતું નથી. શ્રી મોદીએ જણાવ્યું કે કોઈપણ રોકાણકાર અથવા કંપની જે પોતાનો વિકાસ વધારવા માંગે છે, તેને ભારતમાં રોકાણ કરવું એ સૌથી આકર્ષક તક રજૂ કરવા જેવુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવું એ બંને માટે ફાયદાકારક છે. પ્રધાનમંત્રીએ સમાપન કરીને કહ્યું કે સામૂહિક પ્રયાસો દ્વારા વિકસિત ભારત અને વિકસિત ઉત્તર પ્રદેશ સાકાર થશે. તેમણે આંતરરાષ્ટ્રીય વેપાર શોના તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રીએ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના ગ્રેટર નોઇડામાં ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો-2025 (UPITS-2025)નું ઉદ્ઘાટન કર્યું હતું.
"અલ્ટિમેટ સોર્સિંગ બિગીન્સ હીયર" થીમ હેઠળ આ ટ્રેડ શો 25 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તેના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો હશે - નવીનતા, એકીકરણ અને આંતરરાષ્ટ્રીયકરણ. ત્રિ-સ્તરીય ખરીદદાર વ્યૂહરચના આંતરરાષ્ટ્રીય ખરીદદારો, સ્થાનિક બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) ખરીદદારો અને સ્થાનિક બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર (B2C) ખરીદદારોને લક્ષ્ય બનાવશે, જે નિકાસકારો, નાના વ્યવસાયો અને ગ્રાહકો માટે સમાન તકો પૂરી પાડશે.
UPITS-2025 રાજ્યની વિવિધ હસ્તકલા પરંપરાઓ, આધુનિક ઉદ્યોગો, મજબૂત MSME અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને એક જ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરશે. જે મુખ્ય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે તેમાં હસ્તકલા, કાપડ, ચામડું, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, IT, ઇલેક્ટ્રોનિક્સ, આયુષ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ઉત્તર પ્રદેશની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને ભોજન પણ એક છત નીચે રજૂ કરવામાં આવશે.
રશિયા એક ભાગીદાર દેશ તરીકે ભાગ લેશે જે વ્યૂહાત્મક મહત્વ ઉમેરશે અને દ્વિપક્ષીય વેપાર, ટેકનોલોજી વિનિમય અને લાંબા ગાળાના સહયોગ માટે માર્ગો ખોલશે. 2,400 થી વધુ પ્રદર્શકો; 1,25,000 B2B મુલાકાતીઓ; અને 4,50,000 B2C મુલાકાતીઓ ટ્રેડ શોમાં ભાગ લેશે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2171062)
Visitor Counter : 29
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam