પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 11 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે

બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના વ્યાપક પાસાઓની સમીક્ષા કરશે

મોરેશિયસ ભારતના ‘મહાસાગર’ વિઝન અને ‘પડોશી પ્રથમ' નીતિનું મુખ્ય કેન્દ્ર છે

સમૃદ્ધિ અને સ્થિરતા તરફની આપણી સહિયારી યાત્રામાં વારાણસી સમિટ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે

પ્રધાનમંત્રી દેહરાદૂનમાં પૂરની સ્થિતિનું હવાઈ સર્વેક્ષણ કરશે અને સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે

प्रविष्टि तिथि: 10 SEP 2025 1:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે.

વારાણસીમાં સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામનું સ્વાગત કરશે, જેઓ 9 થી 16 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારતની રાજકીય યાત્રા પર છે.

ત્યારબાદ પ્રધાનમંત્રી દેહરાદૂન જશે અને સાંજે 4:15 વાગ્યે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

ઐતિહાસિક શહેર વારાણસીમાં બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના ખાસ અને અનોખા સંબંધોને આકાર આપનારા કાયમી સભ્યતા સંબંધો, આધ્યાત્મિક બંધનો અને લોકો વચ્ચેના ઊંડા સંબંધો પર ભાર મૂકે છે.

દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન, બંને નેતાઓ સહકારના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે જેમાં વિકાસ ભાગીદારી અને ક્ષમતા નિર્માણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેઓ આરોગ્ય, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, માળખાગત સુવિધા, તેમજ નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા અને વાદળી અર્થતંત્ર જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર પણ ચર્ચા કરશે.

આ મુલાકાત માર્ચ 2025માં પ્રધાનમંત્રી મોદીની મોરેશિયસની રાજકીય મુલાકાતથી  આવેલ સકારાત્મક ગતિને વધુ મજબૂત બનાવશે, જે દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને 'એડવાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'ના સ્તરે ઉન્નત કર્યા હતા.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક મૂલ્યવાન ભાગીદાર અને નજીકના દરિયાઈ પાડોશી તરીકે, મોરેશિયસ ભારતના MAHASAGAR (મ્યુચલ ઍન્ડ હોલિસ્ટિક ઍડવાન્સમેન્ટ ફોર સિક્યોરીટી ઍન્ડ ગ્રોથ અક્રોસ રિજિન) દ્રષ્ટિકોણ અને 'પડોશી પ્રથમ' નીતિ માટે મહત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચે સહકારને ગાઢ બનાવવો એ ફક્ત બંને દેશોના લોકોની સમૃદ્ધિ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક દક્ષિણની સામૂહિક આકાંક્ષાઓ માટે પણ મહત્વપૂર્ણ છે.

વારાણસી સમિટ ભારત અને મોરેશિયસની પરસ્પર સમૃદ્ધિ, સતત વિકાસ અને સુરક્ષિત અને સમાવિષ્ટ ભવિષ્ય તરફની સહિયારી યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2165234) आगंतुक पटल : 52
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Bengali , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali-TR , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam