પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025 પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
રાષ્ટ્રીય અંતિરક્ષ દિવસ ભારતના યુવાનો માટે ઉત્સાહ અને પ્રેરણાનો પ્રસંગ બની ગયો છે, રાષ્ટ્ર માટે ગર્વની વાત છે; હું આ પ્રસંગે અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો - વૈજ્ઞાનિકો અને યુવા નાગરિકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું: પ્રધાનમંત્રી
અંતરિક્ષ ક્ષેત્રમાં એક પછી એક સીમાચિહ્ન હાંસલ કરવા એ હવે ભારત અને તેના વૈજ્ઞાનિકો માટે એક સ્વભાવિક ગુણ બની ગયો છે: પ્રધાનમંત્રી
ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી મહત્વપૂર્ણ તકનીકોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, અને ખૂબ જ ટૂંક સમયમાં, આપણા વૈજ્ઞાનિકોના સમર્પિત પ્રયાસોથી, ભારત ગગનયાન મિશન લોન્ચ કરશે અને આગામી વર્ષોમાં પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવશે: પ્રધાનમંત્રી
ભારતમાં અંતરિક્ષ ટેકનોલોજી શાસનનો અભિન્ન ભાગ બની રહી છે - પછી ભલે તે પાક વીમા યોજનાઓમાં ઉપગ્રહ-આધારિત મૂલ્યાંકન હોય, માછીમારો માટે ઉપગ્રહ-આધારિત માહિતી અને સુરક્ષા હોય, આપત્તિ વ્યવસ્થાપન પ્રયાસો હોય કે પછી પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં ભૂ-અવકાશી ડેટાનો ઉપયોગ હોય: પ્રધાનમંત્રી
અંતરિક્ષમાં ભારતની પ્રગતિ હવે સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવવામાં સીધી રીતે ફાળો આપી રહી છે: પ્રધાનમંત્રી
Posted On:
23 AUG 2025 11:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025 નિમિત્તે એક વિડિયો સંદેશ દ્વારા સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે, હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષનો વિષય, "આર્યભટ્ટથી ગગનયાન સુધી", ભારતના ભૂતકાળના આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટેના સંકલ્પ બંનેને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે ખૂબ જ ટૂંકા ગાળામાં, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ભારતના યુવાનો માટે આકર્ષણ અને ઉત્સાહનો પ્રસંગ બની ગયો છે, જે રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે. તેમણે વૈજ્ઞાનિકો અને યુવાનો સહિત અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ માહિતી આપી કે ભારત હાલમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું આયોજન કરી રહ્યું છે, જેમાં સાઠથી વધુ દેશોના લગભગ 300 યુવા સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે આ કાર્યક્રમમાં ઘણા ભારતીય સહભાગીઓએ મેડલ જીત્યા છે. તેમણે કહ્યું કે આ ઓલિમ્પિયાડ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના ઉભરતા વૈશ્વિક નેતૃત્વનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે યુવાનોમાં અંતરિક્ષમાં રસ વધારવા માટે, ISROએ ઇન્ડિયન સ્પેસ હેકાથોન અને રોબોટિક્સ ચેલેન્જ જેવી પહેલ શરૂ કરી છે. તેમણે આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ અને વિજેતાઓને અભિનંદન આપ્યા હતા.
શ્રી મોદીએ કહ્યું, “અંતરિક્ષ ક્ષેત્રમાં એક પછી એક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એ ભારત અને તેના વૈજ્ઞાનિકોનો સ્વાભાવિક ગુણ બની ગયો છે.” બે વર્ષ પહેલાં ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઇતિહાસ રચનાર પ્રથમ દેશ બન્યો હતો તે યાદ કરતાં, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારત અંતરિક્ષમાં ડોકિંગ-અનડોકિંગ ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ પણ બન્યો છે. તેમણે માહિતી આપી કે માત્ર ત્રણ દિવસ પહેલા, તેઓ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યા હતા, જેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, જેનાથી દરેક ભારતીયને ગર્વ થયો હતો. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ગ્રુપ કેપ્ટન શુક્લાએ તેમને ત્રિરંગો બતાવ્યો, ત્યારે તેને સ્પર્શ કરવાની અનુભૂતિ શબ્દોથી પર હતી. શ્રી મોદીએ કહ્યું કે ગ્રુપ કેપ્ટન શુક્લા સાથેની તેમની વાતચીતમાં, તેમણે નવા ભારતના યુવાનોની અસીમ હિંમત અને અનંત સપના જોયા હતા. આ સપનાઓને આગળ વધારવા માટે, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ભારત "અંતરિક્ષયાત્રી પૂલ" તૈયાર કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી મહત્વપૂર્ણ ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકોના અથાક પ્રયાસોને કારણે, ભારત ટૂંક સમયમાં ગગનયાન મિશન શરૂ કરશે અને આગામી વર્ષોમાં, ભારત પોતાનું અંતરિક્ષ મથક પણ સ્થાપિત કરશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત ચંદ્ર અને મંગળ પર પહોંચી ચૂક્યું છે, અને હવે તેણે અંતરિક્ષના વધુ ઊંડા પ્રદેશોનું અન્વેષણ કરવાનું છે. આ અજાણ્યા પ્રદેશો માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહસ્યો ધરાવે છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું, “આકાશગંગાથી પર આપણી ક્ષિતિજ છે!”
શ્રી મોદીએ કહ્યું કે અંતરિક્ષનો અનંત વિસ્તાર આપણને સતત યાદ અપાવે છે કે કોઈ પણ ગંતવ્ય અંતિમ નથી. તેમણે ભાર મૂક્યો કે તેવી જ રીતે, અંતરિક્ષ ક્ષેત્રમાં પણ નીતિગત પ્રગતિમાં કોઈ અંતિમતા હોવી જોઈએ નહીં. લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતનો માર્ગ સુધારા, પ્રદર્શન અને પરિવર્તનનો છે. તેમણે કહ્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં દેશે અંતરિક્ષ ક્ષેત્રમાં ઘણા મોટા સુધારાઓ અમલમાં મૂક્યા છે. એક સમય હતો જ્યારે અંતરિક્ષ જેવા ભવિષ્યવાદી ક્ષેત્રો ઘણા પ્રતિબંધોથી બંધાયેલા હતા, તે વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ખાતરી આપી કે હવે આ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે અને ખાનગી ક્ષેત્રને અંતરિક્ષ-ટેકનોલોજીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે ભાર મૂક્યો કે આજે આજના કાર્યક્રમમાં સક્રિય ભાગીદારીથી 350થી વધુ સ્ટાર્ટઅપ્સ અંતરિક્ષ ટેકનોલોજીમાં નવીનતા અને પ્રવેગના એન્જિન તરીકે ઉભરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ખાનગી ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ PSLV રોકેટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે ખુશી વ્યક્ત કરી કે ભારતનો પ્રથમ ખાનગી સંચાર ઉપગ્રહ પણ નિર્માણાધીન છે. તેમણે કહ્યું કે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નક્ષત્ર લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના યુવાનો માટે પુષ્કળ તકો ઊભી થઈ રહી છે."
15 ઓગસ્ટ, 2025ના રોજ લાલ કિલ્લા પરથી આપેલા પોતાના સંબોધનને યાદ કરતાં, જ્યાં તેમણે વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક ક્ષેત્રને પોતાના લક્ષ્યો નક્કી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ભારતના અંતરિક્ષ સ્ટાર્ટઅપ્સને સંબોધતા, એક પડકાર ફેંકતા શ્રી મોદીએ પૂછ્યું, "શું આપણે આગામી પાંચ વર્ષમાં અંતરિક્ષ ક્ષેત્રમાં પાંચ યુનિકોર્ન બનાવી શકીએ છીએ? ભારત દર વર્ષે તેની ધરતી પરથી 5-6 મોટા પ્રક્ષેપણોનું સાક્ષી બને છે." પ્રધાનમંત્રીએ ખાનગી ક્ષેત્રને આગળ આવવાની ઇચ્છા વ્યક્ત કરી જેથી ભારત આગામી પાંચ વર્ષમાં દર વર્ષે 50 રોકેટ પ્રક્ષેપણ કરવાની સ્થિતિમાં પહોંચી શકે છે. તેમણે ખાતરી આપી કે સરકાર આ દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે જરૂરી આગામી પેઢીના સુધારાઓને અમલમાં મૂકવાનો ઇરાદો અને ઇચ્છાશક્તિ બંને ધરાવે છે. પ્રધાનમંત્રીએ અંતરિક્ષ સમુદાયને ખાતરી આપી કે સરકાર દરેક પગલા પર તેમની સાથે મજબૂત રીતે ઉભી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અંતરિક્ષ ટેકનોલોજીને માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટેના સાધન તરીકે જ નહીં પરંતુ જીવનને સરળ બનાવવાના સાધન તરીકે પણ જુએ છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં પાક વીમા યોજનાઓમાં ઉપગ્રહ-આધારિત મૂલ્યાંકન, માછીમારો માટે ઉપગ્રહ-આધારિત માહિતી અને સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન એપ્લિકેશનો અને ભૂ-અવકાશી ડેટાના ઉપયોગ જેવા ઉદાહરણો ટાંકીને કહ્યું કે, "અંતરિક્ષ ટેકનોલોજી ભારતમાં શાસનનો અભિન્ન ભાગ બની રહી છે." તેમણે ભાર મૂક્યો કે ભારતની અંતરિક્ષમાં પ્રગતિ તેના નાગરિકોના રોજિંદા જીવનને સરળ બનાવવામાં સીધી રીતે ફાળો આપી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી કે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં અંતરિક્ષ ટેકનોલોજીના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવા માટે ગઈકાલે રાષ્ટ્રીય પરિષદ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે આવી પહેલોને ચાલુ રાખવા અને વિસ્તૃત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ અંતરિક્ષ સ્ટાર્ટઅપ્સને જાહેર સેવાને ધ્યાનમાં રાખીને નવા ઉકેલો અને નવીનતાઓ વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિશ્વાસ સાથે સમાપન કર્યું કે ભારતની અંતરિક્ષ યાત્રા આગામી સમયમાં નવી ઊંચાઈઓને સ્પર્શશે, અને ફરી એકવાર દરેકને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, ISROના અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને ઇજનેરો સહિત અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2160062)
Read this release in:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam