રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

દિવાળી અને છઠ માટે 12,000થી વધુ વિશેષ ટ્રેનો; 13 થી 26 ઓક્ટોબર વચ્ચે આગળની મુસાફરી માટે અને 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે પરત મુસાફરી માટે રિટર્ન ટિકિટ પર 20% ડિસ્કાઉન્ટ: અશ્વિની વૈષ્ણવ


બિહારને દિલ્હી, અમૃતસર અને હૈદરાબાદ સાથે જોડતી ચાર નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનઃ રેલવે મંત્રી

પૂર્ણિયા અને પટના વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ; વૈશાલી, હાજીપુર, સોનપુર, પટના, રાજગીર, ગયા અને કોડરમાને જોડતી બૌદ્ધ સર્કિટ ટ્રેનઃ અશ્વિની વૈષ્ણવ

બિહાર માટે મુખ્ય રેલ વિસ્તરણ: બક્સર-લખીસરાય ચાર-લાઇન કોરિડોર, પટના રિંગ રેલવે, સુલતાનગંજ-દેવઘર રેલ લિંક, અને પટના-અયોધ્યા ટ્રેન

Posted On: 21 AUG 2025 2:09PM by PIB Ahmedabad

દિવાળી અને છઠના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા માટે, ભારતીય રેલવેએ 12,000થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

રેલ ભવન ખાતે પત્રકારોને સંબોધતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, સાંસદ ડૉ. સંજય જયસ્વાલ, કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ અને સાંસદ સંજય કુમાર ઝા સાથે પરામર્શ કર્યા પછી, આગામી દિવાળી અને છઠના તહેવાર માટે ખાસ વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ભાર મૂક્યો હતો કે મુસાફરોને તેમની પરત યાત્રા દરમિયાન પણ સુવિધા આપવામાં આવે.

વરિષ્ઠ જનપ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યા પછી, દિવાળી અને છઠ માટે 12,000થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત મુસાફરોને તેમની પરત યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવામાં આવશે, એમ મંત્રીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જાહેરાત કરી કે 13 થી 26 ઓક્ટોબર વચ્ચે મુસાફરી કરનારા અને 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે પરત મુસાફરી કરનારા મુસાફરોને રિટર્ન ટિકિટ પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ પહેલ આ તહેવારોની મોસમ દરમિયાન અમલમાં મૂકવામાં આવશે અને તેનાથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે.

આ ઉપરાંત ગયાથી દિલ્હી, સહરસાથી અમૃતસર, છાપરાથી દિલ્હી અને મુઝફ્ફરપુરથી હૈદરાબાદ સુધી ચાર નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળો અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક નવી સર્કિટ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે, જે વૈશાલી, હાજીપુર, સોનપુર, પટના, રાજગીર, ગયા અને કોડરમાને આવરી લેશે એમ મંત્રીએ જાહેરાત કરી હતી.

બક્સર-લખીસરાય રેલ વિભાગને ચાર-લાઇન કોરિડોરમાં વિસ્તૃત કરવામાં આવશે, જેનાથી વધુ ટ્રેનો ચલાવવાનું શક્ય બનશે. પટનાની આસપાસ એક રિંગ રેલવે સિસ્ટમ વિકસાવવામાં આવશે. સુલતાનગંજ અને દેવઘરને રેલ દ્વારા જોડવામાં આવશે. પટના અને અયોધ્યા વચ્ચે એક નવી રેલ સેવા પણ શરૂ કરવામાં આવશે. શ્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે લૌખા બજારમાં વોશિંગ પીટ સુવિધા સ્થાપિત કરવામાં આવશે અને બિહારમાં નવા મંજૂર થયેલા ઘણા રોડ ઓવરબ્રિજ પર કામ હાથ ધરવામાં આવશે.

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ, સાંસદ ડૉ. સંજય જયસ્વાલ અને સાંસદ સંજય કુમાર ઝાએ બિહાર માટે વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા અને અમૃત ભારત અને વંદે ભારત સહિત અનેક નવી ટ્રેનો શરૂ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

 

SM/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2158997)