નાણા મંત્રાલય

ભારતને એક વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસોથી રોજગારીનું સર્જન થશે અને રોકાણને પ્રોત્સાહન મળશે અને અન્ય ક્ષેત્રો માટે આર્થિક તકો ખોલીશુંઃ શ્રીમતી નિર્મલા સીતારમણ


વિષ્ણુપદ મંદિર કોરિડોર અને મહાબોધિ મંદિર કોરિડોરના વ્યાપક વિકાસને સમર્થન આપવામાં આવશે; જેને વિશ્વ કક્ષાના તીર્થયાત્રીઓ અને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવામાં આવશે

Posted On: 23 JUL 2024 12:45PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે વર્ષ 2024-25નું કેન્દ્રીય બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે, "લોકોએ અમારી સરકારને દેશને મજબૂત વિકાસ અને સર્વાંગી સમૃદ્ધિના માર્ગે લઈ જવાની અનન્ય તક આપી છે."

બજેટ ભાષણમાં પર્યટન પર બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "પર્યટન હંમેશાથી આપણી સભ્યતાનો ભાગ રહ્યું છે. ભારતને એક વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસોથી રોજગારીનું સર્જન પણ થશે, રોકાણને પ્રોત્સાહન મળશે અને અન્ય ક્ષેત્રો માટે આર્થિક તકોનો લાભ મળશે."

શ્રીમતી નિર્મલા સીતારમણએ કહ્યું હતું કે, બિહારમાં ગયામાં વિષ્ણુપદ મંદિર અને બોધગયામાં મહાબોધિ મંદિર અતિ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. તેમણે જાહેરાત કરી હતી કે, "વિષ્ણુપદ મંદિર કોરિડોર અને મહાબોધિ મંદિર કોરિડોરનાં વિસ્તૃત વિકાસને સમર્થન આપવામાં આવશે, જે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની સફળતાની જેમ થશે, જેથી તેમને વિશ્વસ્તરીય યાત્રાધામ અને પર્યટન સ્થળોમાં પરિવર્તિત કરી શકાય."

કેન્દ્રીય મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે રાજગીર હિન્દુઓ, બૌદ્ધો અને જૈનો માટે અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે અને જૈન મંદિર સંકુલમાં આવેલું 20માં તીર્થંકર મુનિસુવ્રત મંદિર પ્રાચીન છે. તેમણે એમ પણ ઉમેર્યું કે સપ્તર્ષિશી અથવા 7 ગરમ ઝરણાં એક ગરમ પાણીવાળા બ્રહ્મકુંડનું નિર્માણ કરે છે જે પવિત્ર છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રાજગીર માટે એક વ્યાપક વિકાસ પહેલ હાથ ધરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર નાલંદા વિશ્વવિદ્યાલયને તેના ગૌરવશાળી સ્વરુપમાં પુનર્જીવિત કરવા ઉપરાંત નાલંદાને એક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં પણ સાથ સહકાર આપશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઓડિશાની કુદરતી સુંદરતા, મંદિરો, સ્મારકો, કારીગરી, વન્યજીવન અભ્યારણ્યો, કુદરતી લેન્ડસ્કેપ્સ અને પ્રાચીન દરિયા કિનારાઓ તેને પ્રવાસન માટેનું ઉત્કૃષ્ટ સ્થળ બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમારી સરકાર તેના વિકાસ માટે સહાય પ્રદાન કરશે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NTPD.jpg

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035822) Visitor Counter : 8