પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી


વિદ્યાર્થીઓ 'વતન કો જાનો - યુથ એક્સચેંજ પ્રોગ્રામ 2023' હેઠળ દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે

જમ્મુ-કાશ્મીરના યુવાનોમાં કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની ક્ષમતા છેઃ પ્રધાનમંત્રી

દેશના વિકાસમાં યોગદાન આપો અને વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરોઃ પ્રધાનમંત્રી

જમ્મુ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલના નિર્માણથી આ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં સુધારો થશેઃ પ્રધાનમંત્રી

Posted On: 24 DEC 2023 7:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે તેમનાં નિવાસ સ્થાને 7, લોક કલ્યાણ માર્ગ પર વાતચીત કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં તમામ જિલ્લાઓમાંથી આશરે 250 વિદ્યાર્થીઓએ ફ્રીવ્હિલિંગ અને અનૌપચારિક વાતચીતમાં ભાગ લીધો હતો.

આ વિદ્યાર્થીઓ ભારત સરકારના 'વતન કો જાનો - યુથ એક્સચેન્જ પ્રોગ્રામ 2023' હેઠળ જયપુર, અજમેર અને નવી દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે, આ મુલાકાતનો હેતુ જમ્મુ-કાશ્મીરના યુવાનોને દેશની સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતા દર્શાવવાનો છે.

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તેમના પ્રવાસના અનુભવ અને તેમણે મુલાકાત લીધેલા પ્રતિષ્ઠિત સ્થળો વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતની સમૃદ્ધ સંસ્કૃતિ પર ચર્ચા કરી હતી તથા વિદ્યાર્થીઓને ક્રિકેટ, ફૂટબોલ વગેરે જેવી રમતોમાં તેમની ભાગીદારી વિશે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરના યુવાન તીરંદાજ શીતલ દેવીનું ઉદાહરણ આપ્યું હતું, જેમણે હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના યુવાનોની પ્રતિભાની પણ પ્રશંસા કરી હતી અને ઉમેર્યું હતું કે, તેઓ કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની ક્ષમતા ધરાવે છે.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં કામ કરવા અને યોગદાન આપવા તથા વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વનાં સૌથી ઊંચા રેલવે પુલનાં નિર્માણ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે.

પ્રધાનમંત્રીએ ચંદ્રયાન-3 અને આદિત્ય-એલ1 મિશનની સફળતા પર ચર્ચા કરી હતી અને ઉમેર્યું હતું કે, આ વૈજ્ઞાનિક સિદ્ધિઓ પર દરેક ભારતીયને ગર્વ છે.

ચાલુ વર્ષે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવેલા પ્રવાસીઓની વિક્રમી સંખ્યા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રમાં પુષ્કળ તકો રહેલી છે. પ્રધાનમંત્રીએ યોગના ફાયદાઓ વિશે પણ વાત કરી હતી અને વિદ્યાર્થીઓને દરરોજ તેનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કાશ્મીરમાં જી-20 સમિટના સફળ આયોજન અને દેશને સ્વચ્છ બનાવવાના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી.

YP/JD



(Release ID: 1990152) Visitor Counter : 99